વાસ્તુ: કેકટ્સના છોડ ઘરમાં રખાય કે નહીં?

આપણો દેશ કોણ ચલાવે છે? બધા જ કહેશે કે સરકાર. પણ શું એ વાત બધા સમજે છે ખરા? બીમારી આવે એટલે બધા જ જાણે ડોક્ટર હોય એમ જ્ઞાનની સરવાણી શરુ થઇ જાય. મેચમાં ક્યારેક એવું લાગે કે પ્રેક્ષકોને ખેલાડીઓ કરતા પણ વધારે જ્ઞાન છે. સરકારે શું કરવું જોઈએ એની ચર્ચામાં અમુક લોકોની અર્ધી જિંદગી નીકળી જાય. બોર્ડની પરીક્ષા નહિ લેવાનો નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને લેવાયો એ મને ગમ્યું. આમ પણ એન્ટ્રન્સ વિના મોટા ભાગની સંસ્થાઓમાં એડમીશન ક્યાં મળે છે? તો પણ એનો પણ વિરોધ થયો. આપણા બાળકોથી પણ વિશેષ એમનું પરિણામ હોઈ શકે? પરીક્ષા આપવાના ચક્કરમાં એ પોતે જ નહિ રહે તો? એવો વિચાર પણ કરવો જરૂરી છે. સવાલો કરવા એ સારી વાત છે. પણ જ્યાં જરૂર છે ત્યાં કરીએ એ પણ જરૂરી છે. ક્યારેક વધારે પડતા વિચારોથી પણ નકારાત્મકતા આવે છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  મારી પૌત્રી બારમાં ધોરણમાં છે. એ ભણવામાં સારી છે. એને પરીક્ષા આપવા જતા ડર લાગે છે. જો પરીક્ષા ન આપે તો નાપાસ થાય અને આપવા જાય તો કોરોનાના સંક્રમણથી ગભરાય છે. વળી હવે તો જાત જાતની ફૂગ પણ આવી ગઈ છે. કોઈ મંત્ર કે જાપ કરવાથી આમાંથી છુટકારો મળી શકે? વરસ બગડ્યા વિના કોઈ પણ જગ્યાએ એડમીશન મળશે તો ચાલશે. મારી રાત્રીની ઊંઘ ઉડી ગઈ છે. એમની મમ્મી સમજતી નથી. બાકી મેં તો કહ્યું કે આવતા વરસે પરીક્ષા અપાવીએ. સલાહ આપશો.

જવાબ:  હોંશિયાર હોવું એટલે માત્ર પરીક્ષામાં પાસ થવું કે નંબર લાવવો એવું ન માની લેવાય. તમે જમાનો જોયો છે એટલે તમે સકારાત્મક વિચારી શકો છો. તમારા પુત્રવધુને એમની દીકરીની કેરિયર દીકરીના જીવન કરતા વહાલી નહિ જ હોય. આપણી સંવેદનશીલ સરકારે તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. સરકાર અને ઈશ્વર બંનેનો હૃદય પૂર્વક આભાર માની લેજો. રાત્રે સુતા પહેલા પગ ધોઈને સુવો અને પગના તળિયા ઢંકાય એ રીતે સુવો. સારી ઊંઘ ચોક્કસ આવી જશે.

સવાલ:  મારી પત્નીને ગાર્ડનીંગનો શોખ છે. એ જાત જાતના કેક્ટસ ઘરમાં લાવ્યા કરે છે. મને એ નથી ગમતું. શાસ્ત્રોક્ત રીતે એ ઘરમાં રખાય કે નહિ?

જવાબ:  વનસ્પતિ માટેનો પ્રેમ એ જરૂરી છે. કારણકે એ આપણને સહુને ઓક્સિજન આપે છે. પણ જે રીતે અમુક માણસોનો સહવાસ આપણને નકારાત્મકતા આપે છે. તકલીફ આપે છે એવું વનસ્પતિમાં પણ હોય છે. કેટલીક વનસ્પતિ સારી ગણાય છે અને કેટલીક નકારાત્મક. મોટાભાગે જે વનસ્પતિ સારી મનાય છે તે સારો ઓક્સીજન આપે છે. પરંતુ એ ઉપરાંત એ વનસ્પતિનો પ્રકાર, જાતી અને એનો રંગ, આકાર એ પણ એની ઉર્જાને સમજવામાં મદદ કરે છે. તેથી જ વનસ્પતિને પણ સમજવી જુરીર છે. કેક્ટસમાં નાના નાના ઘણા કાંટા હોય છે. એ કાંટા ઉપરાંત કેક્ટસ પાસે કોઈ મજબુત થડ નથી. એમાં માત્ર પલ્પ છે. આવા વ્યક્તિત્વનો સાથે સકારાત્મક ગણાય? તેથી જ કેક્ટસ ઘરમાં ન રખાય.

આજનું સુચન:  બેસતા મહીને(સુદ એકમે) કીડ્યારું પૂરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. લોટમાં ઘી અને ગોળ ઉમેરી બરાબર મસળી અને જ્યાં કીડીયારું હોય એની આસપાસ ભભરાવી દેવાય. કીડ્યારાની અંદર ન નાખવું.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)