મન વિચલિત ન થાય એના માટે વાસ્તુમાં કોઈ ઉપાય ખરો?

ભય, માયા, પ્રિત જેવા શબ્દો માણસની નિર્ણય શક્તિને અસર કરે છે. અત્યારે આ બધા શબ્દોની અસર હેઠળ માણસ જીવી રહ્યો છે. ભય વધવા છતા માયા ઓછી થતી નથી અને જેમની સાથે પરીત છે ત્યાં પણ ભય છવાઈ રહ્યો છે. આવા સંજોગોમાં સકારાત્મક વિચારધારાની ખુબજ જરૂર છે. આવી વિચારધારા સકારાત્મક ઉર્જામાં રહેવાથી આવે છે. સકારાત્મકઉર્જાના નિયમ એટલે વાસ્તુ નિયમો.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોઉં જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મયંકભાઈ. આ દુનિયાનું શું થવા બેઠું છે? કોઈને માસ્ક પહેરવું નથી. બધાબેફામ ફરી રહ્યા છે. ફરી પાછો કોરોનાનો ભરડો વધી રહ્યો છે. અન્યના વાંકે આપણે ક્યાં સુધી હેરાન થયા કરવાનું? મારી પડોશમાં કોઈ માસ્ક નથી પહેરતું. વળી હું પણ ક્યારેક માસ્ક પહેરવાનું ભૂલી જાઉં તો એ લોકોએ તો સમજવું જોઈએ ને? એમ સામે આવી જાય એવું થોડું ચાલે? મને ખુબ ડર લાગે છે. ક્યારેક તો થાય છે કે એ લોકો જાણી જોઇને મને હેરાન કરવા જ આવું કરે છે. મારા પતિ ગુજરી ગયા છે અને દીકરો નોકરી કરે છે. દીકરાના ઘરે પણ દીકરો છે. અમે કોરોના માટે ખુબ કાળજી રાખીએ છીએ. પણ બીજા લોકો નથી રાખતા. અમે એક વરસ પહેલા અહી રહેવા આવ્યા. મારા ઘરના બ્રહ્મમાં સ્ટોરેજ રૂમ છે, ઉત્તરમાં સદસ અને દક્ષિણમાં રસોડું છે. નવા ઘરમાં આવ્યાનો આનંદ હતો. હવે કોરોનાથી બચવા મથી રહ્યા છીએ. કોઈ ઉપાય સુજાડો. તમારા વિડીઓ જોઉં છુ. મને ખુબ અપેક્ષા છે.

જવાબ: બહેનશ્રી. આપનો વાસ્તુશાસ્ત્રમાં રસ ગમ્યો. તમે ગભરાયેલા છો. તમારી વાત સાચી છે કે કોરોના માટે ઘણા લોકો સીરીયસ નથી. પણ એના કારણે એવું ન માની લેવાય કે એ બધા જાણી જોઇને તમને હેરાન કરવા માટે આવું કરી રહ્યા છે. પોતાના શરીરમાં વાયરસ લાવીને અન્યને હેરાન કરવાનું કોઈ વિચારી શકે ખરું? તમારા ઘરના બ્રહ્મમાં વજન આવે છે. બ્રહ્મમાંથી પસાર થતા ઉત્તરના અક્ષ પર પણ બે વાસ્તુ દોષ છે. આના કારણે આત્મવિશ્વાસ ઘટે. ઘરનું વાતાવરણ પણ ઉગ્ર રહે. પણ જ્યાં સુધી તમે તમારા નિયમો સાચી રીતે પાળો છો ત્યાં સુધી કારણ વિના ગભરાવાની જરૂર નથી. તમારા ઘરના બ્રહ્મમાં બેસી અને મહામૃત્યુંન્જય અથવા નવકાર મંત્રના જાપ કરો. ઘરના ઈશાનમાં સાત તુલસી વાવી દો. આપણે ચોક્કસ સારું લાગશે. આપનો અનુભવ ચોક્કસ જણાવશો.

સવાલ: મયંકજી. લગભગવીસેક વરસથી હું આપને વાચું છુ. ટી વી પર પણ જોયા છે. આપના સૂચનો ખુબ જ સરળ હોય છે. મને ઘણી બધી બાબતોમાં લાભ થયો છે. મેં પોતે વાસ્તુ શીખવા પ્રયત્ન કર્યો પણ કેટલીક બાબતો સમજાતી નથી. ઈન્ટરનેટ પર જાત જાતની વાતો આવ્યા કરે છે. કેટલીક વાતોમાં તો શાસ્ત્ર જેવું પણ નથી લાગતું. જો એ બધું માનવા બેસીએ તો મગજ ખરાબ થઇ જાય. એક તો અત્યારનો સમય ખરાબ છે અને એમાં આવી ડરાવવા વાળી વાતો. આવા સમયમાં મન વિચલિત ન થઇ જાય એના માટેના કોઈ ઉપાય બતાવોને.

જવાબ: ભાઈશ્રી.વાસ્તુ એ દરિયા જેવો વિષય છે. વિવિધગ્રંથોમાં એની માહિતી મળે છે. એને કોઈ ટૂંકા સમયમાં સંપૂર્ણપણે સમજી ન શકાય. વાસ્તુ શીખવા ગહન અભ્યાસ જરૂરી છે. આપને આપેલા મારા નાના સુચન પાછળ પણ વરસોની મહેનત છે. વળી રીસર્ચ કર્યા વિના કોઈ પણ વિષયને યોગ્ય રીતે શીખી ન શકાય. જો તમારે અભ્યાસ કરવો જ છે તો પુરતો સમય આપો. આ વિષયમાં વિજ્ઞાન, ગણિત, હવામાન શાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, જેવા વિવિધ વિષયોને આવરી લેવાયા છે. વળી દરેક મકાન અલગ હોય છે. તેથી તેના માટેના નિયમોને પણ એ જ રીતે વિચારવા પડે. આપના ઘરને સમજ્યા બાદ સંપૂર્ણ મકાન માટેનું સોલ્યુસન નીકળી શકે. અધૂરું જ્ઞાન હમેશા હાનીકારક છે. પણ એક સામાન્ય નિયમ સમજાવું છુ જેનાથી તણાવ ઓછો થશે. ઘરમાં સવારે અને સાંજે ગુગળઅને સુખડનો ધૂપ ફેરવો. આનાથી ફેર પડશે. આપણો સુખદ અનુભવ ચોક્કસ જણાવશો.

આજનું સુચન: તિજોરી પર વજન ક્યારેય ન રખાય. એનાથી તિજોરીમાં રાખેલી વસ્તુની ઉર્જા પર અસર પડે છે.

વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…મદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે. 

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલકરો…vastunirmaan@gmail.com)