પહેલાના જમાનામાં માણસ પોતાને ગમતું કામ કરીને પૈસા કમાતો હતો. એ પોતાની જરૂરિયાતો થી વધારે મળે એટલે અન્યને મદદ કરતો. પરસ્પર સુખની વહેંચણી થતી. અને સમાજ સ્થિર, સમૃદ્ધ હતો. અન્યને મદદ કરવા માટે વ્યક્તિને દેખાડો કરવાની ઈચ્છા નહોતી થતી. જ્યારથી સમાજને ભૌતિકતાની ભૂખ જાગી ત્યારથી પોતાની જરૂરિયાતોથી અનેક ગણું ભેગું કરવાની રેસમાં માણસ સુખથી વિમુખ થતો ગયો. એ મોજશોખને જ આનદ માનવા લાગ્યો. વ્યસનો વધ્યા, વ્યભીચાર વધ્યા અને માણસાઈ ઘટી. કોઈને નાનકડી મદદ કરવા માટે પણ રીલ્સ બનવવાની શરુ થઇ. મફતિયા વૃત્તિ વધી. સુખી થવા માટે બાંધછોડ કરવાની જરૂર નથી. પણ પ્રસિદ્ધ થવા માટે ઘણા નિયમો નેવે મુકવા પડે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: શું બધું મફતમાં મળવું જોઈએ? જે સમાજ પોતાની આવડત અને ખુમારી માટે જાણીતો હતો એ આજે એક આશામાં જીવતો થઇ ગયો છે કે કોઈ આવશે, બધું મફતમાં આપશે, રૂપિયાના ઢગલા કરીને જતું રહેશે. મારી દ્રષ્ટીએ સરળ ધન જેવું કશું હોતું નથી. મહેનત અને આવડત બંને સફળ બનાવી શકે. વળી માત્ર ધન પ્રાપ્તિ એ સફળતાની ચાવી ન હોઈ શકે.
મારા એક પડોસીને ઘર લેવું હતું. એમના મમ્મી થોડા બીમાર થયા. એ પછી એમણે મોટી ઉમરનો વીમો લઇ લીધો. એક વરસ પછી એમણે એક ઘર માટે વાત શરુ કરી. અને જેવી વાત નક્કી થઇ એમના હરતા ફરતા મમ્મી ગુજરી ગયા. સાચી વાત તો ખબર નથી. પણ સ્મશાનમાં એમના સગા કહેતા હતા કે એમના વીમા માંથી ઘર લેવા માટે આવું કર્યું. શું સંબંધોનું કોઈ મહત્વ જ નહિ? અત્યારે એમના ઘરની દિશા દક્ષિણ છે. પહેલા ઉત્તર હતી.
જવાબ: આપણે જે વિચારીએ છીએ એ બધુજ સાચું હોય એવું જરૂરી નથી. બની શકે એમના મમ્મી સામાન્ય સંજોગોમાં ગુજરી ગયા હોય. એ સમયે એમના ઘરનું દ્વાર ઉત્તરી ઈશાનના પહેલા પદમાં હતું. આ દ્વારના લીધે અંગત દેખાતી વ્યક્તિઓ પીઠ પાછળ બદલાઈ જાય. જે એમની સાથે થયું. અત્યારે એમનું દ્વાર નૈરુત્ય દક્ષિણના પહેલા પદમાં છે. જેના કારણે એમના બીજા નંબરના પુરુષ સંતાનને તકલીફ પડી શકે. તમને અન્ય માટે ઘણા નકારાત્મક વિચારો આવે છે. એને દુર કરવા માટે સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો.
સવાલ: અભિવ્યક્તિની આઝાદીના નામે જે ચાલી રહ્યું છે તે યોગ્ય છે? કોઈ એલફેલ બોલે અને એને બચાનારા પણ ફૂટી નીકળે. કોઈ બળાત્કાર કરે એને વકીલ પણ મળી રહે. કહેવાતા સાધુ ચાર્ટર પ્લેનમાં ફરે. માયાથી વિમુખ થવાના બદલે દેખાડો? કર્મના સિદ્ધાંતનું શું? જો કર્મનો સિદ્ધાંત છે તો પછી એની અસર દેખાતી કેમ નથી? આપણા મૂળભૂત સિદ્ધાંતો વિસરાઈ રહ્યા છે. આવનારી પેઢી તો એવા નિયમો માનશે જે એમણે જોયા છે.
જવાબ: જે પેઢી પોતે જ નિયમો નથી શીખી એ નવી પેઢીને શું શીખવાડશે? આપણી અંગ્રેજી શિક્ષણ પાછળની આધળી દોટ એ અંગ્રેજોનો વિજય છે. કર્મનો ઇદ્ધાંત કામ કરે જ છે. માત્ર એના માટે યોગ્ય સમયની રાહ જોવી જૂરી છે. આપણે બધા ફરિયાદ કરવાના બદલે સંસ્કૃતિને સાચવવા માટે કાર્યરત થઇ જઈશું તો જ આપણે એને બચાવી શકીશું. મોડું તો થયું જ છે. પણ શરૂઆત તો ગમે ત્યારે થઇ શકે.
સુચન: ઇશાન ખૂણામાં આવેલા દ્વાર સકારાત્મક હોય છે એ માન્યતા ખોટી છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
