સકારાત્મક ઉર્જા માટે વાસ્તુના સાચા નિયમોનું પાલન જરૂરી…

દિવાળીમાં દીવાતો પ્રગટ્યા પણ ઠેર ઠેર આગ પણ લાગી. શું કુદરત કોઈ સંદેશ તો નથી આપી રહી ને? વૃક્ષોમાં જીવ છે એ વાત સર્વ પ્રથમ વેદોમાં લખાઈ. વળી એ વાતને શોધવાનો દાવો પણ એક ભારતીયના જ નામે છે. વૃક્ષો કાપવાથી જાણે સંતોષ ન થયો હોય એમ માણસ એના પર જાત જાતની લાઈટો લગાવીને ભવ્યતા અનુભવે છે. વૃક્ષોમાં જીવ છે તો એને ગરમી લાગવાની જ છે. શું કોઈ માણસની આસપાસ આવી લાઈટો લગાવીએ તો સહન કરી શકશે? સંવેદના વિહીન માણસ અને પશુમાં ખાસ અંતર નથી હોતું. જાહેરમાં કોઈની હત્યા થાય અને હજારો લોકો માત્ર તમાસો જોયા કરે ત્યારે આ વાતની પુષ્ટી થાય છે. માણસના બદલાતા સ્વભાવનું કારણ એની નકારાત્મક ઉર્જા છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડ છુ. અત્યંત સારી રીતે ઉછેર થયો. અચાનક એક સંજોગોના કારણે પરિવારને નિભાવવાની જવાબદારી મારા ઉપર આવી ગઈ. માત્ર સત્તર વરસની ઉમરે મારે ગુજરાત આવી અને કામ શોધવું પડ્યું. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. મારી ટ્રાન્સફર થઇ. અત્યારે જે જગ્યાએ છુ ત્યાં બધા જ ખોટા કામ ચાલે છે. કમિટી વાળા જ ગાર્ડની મદદથી આ બધું કરે છે. આ પહેલા ક્રિકેટના સટ્ટા માટે, ડ્રગ્સ માટે, દેહ વ્યાપાર માટે અહી રેડ પડી જ હતી. નાના બાળકોનું શારીરિક શોષણ કરતા પણ લોકો પકડાયા હતા. પણ બધું ઠેરનું ઠેર છે.

મારા બિલ્ડીંગમાં છઠા માળ પર છ છોકરીઓ રાત્રે જાત જાતના લોકોને બોલાવે છે. એમને રોકવા એ મારી ફરજ છે. આ પહેલા પણ એક ભૂરા રંગની ગાડીમાં એક યુગલને મેં નિવસ્ત્ર હાલતમાં પકડ્યા હતા. રાત્રે બાર વાગ્યા પછી બેઝમેન્ટમાં દારૂની ફેરી પણ થાય જ છે. આ બધું ન થાય એ જોવાની મારી ફરજ છે. એક રાત્રે બે માણસો હથિયાર લઈને છઠા માળે જતા હતા. મેં એમને રોક્યા તો અમારા સુપરવાઈઝરે મને નોકરી છોડી દેવા કહીને પેલા લોકોને જવા દીધા. પછી એમણે જતી વખતે મને સમજાવ્યું કે આ બધું ચેરમેનના તાબામાં જ છે. અને સુપરવાઈઝર એમનો એજન્ટ છે. મેનેજર ને ફરિયાદ કરી પછી તો મારો પગાર પણ ન આપવા સુધી વાત જતી રહી. સામી દિવાળીએ ઘરે જવાબ શું આપું? અમારી સોસાયટીના એક કામવાળા બહેનને પણ તમે સુચન આપ્યું હતું. નાનો માણસ છુ. શું કરું?

જવાબ: ખુમારીથી જીવવું એ જ જીવન છે. તમારી પેઢીમાં તમારા જેવી વ્યક્તિ છે એ સાચેજ ગર્વનો વિષય છે. તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યા તમારે લાયક નથી. વળી આવા માફિયા જ્યાં કમિટીમાં હોય અને લોકો એમને સહન કર્યા કરતા હોય એ જગ્યાએ કામ ન જ કરાય. તમારી બધી જ વાતો અહી લઇ નથી શકાઈ પણ આ સોસાયટી એ ગુન્હાખોરીનું કેન્દ્ર છે. જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં બીજી શું અપેક્ષા હોય? તમારે ત્યાં અમુક મેમ્બર્સ પોતેજ દેહવ્યાપારમાં સંડોવાયેલા છે તેથી એમને તમે નડશો જ. એમને તો સોસાયટીમાં જ બધી સગવડ મળે છે. વળી એનાથી સોસાયટીનું વાતાવરણ બગડે છે એ પણ કોઈને સમજાતું નથી. સમાજની અવદશાનું કારણ સમાજ પોતે જ છે.

તમે તમારા પગારની માંગણી માટે અડગ રહો. એજેન્સીને કહોકે તમને કોઈ અન્ય જગ્યાએ મૂકી દે. અથવાતો બીજી નોકરી શોધી લો. તમે તમારા પરિવારનો આધાર છો એ વાત પણ યાદ રાખવી જરૂરી છે. પણ હા એના માટે ખોટા કામમાં ભાગીદાર ન જ થવાય. માણસ જે કરે છે એના કર્મની જવાબદારી એની પોતાની જ છે. એ વાત વાલ્મીકી ઋષિ જયારે વાલિયા હતા ત્યારની વાતમાં સ્પષ્ટ સમજાવી છે. કોઈના પાપમાં ભાગીદાર ન થવાય. શિવ પૂજાથી આપનું મનોબળ મજબુત થશે. ઈશ્વરના દરબારમાં બધા સમાન જ છે. તમારી ઉમર નાની છે પણ વૈચારિક રીતે તમે મોટા માણસ છો.

સુચન: જે સોસાયટીમાં ડ્યુટી પરના ગાર્ડ તમાકુ ખાતા હોય કે પગ ટેબલ ઉપર ચડાવીને બેઠા હોય એ સોસાયટી નકારાત્મક ગણી શકાય. જ્યાં અનુશાશન ન હોય એવી જગ્યા ભલે સુંદર હોય પણ ત્યાં ન જ રહેવાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )