વારાણસી: એક તરફ સંસારમાં જ્યાં ચારેબાજુ યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાં કાશીની ધરતી પરથી વિશ્વશાંતિનો સંદેશ આપવામાં આવ્યો. હરિદર્શન સાંખ્યની હિમાલયની શાંતિ અને આધ્યાત્મિકતાનું પવિત્ર મૌન દર્શાવતી તસવીરોનું પ્રદર્શન યોજાયું. શાંત પરંતુ ઉર્જામય આ તસવીરો સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપી રહી છે.
મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું. સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસના સંરક્ષણ માટે ઐતિહાસિક રોરિક પેક્ટની યાદમાં, તેમની વર્ષગાંઠ નિમિત્તે 15 એપ્રિલથી યોજવામાં આવ્યું. ઇનટેક (INTACH) વારાણસી, પિલ્ગ્રિમ્સ બુક હાઉસ કાઠમંડુ અને કાશી વિદ્યાપીઠના સહયોગથી આ ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું. હરિદર્શન સાંખ્ય દ્વારા હિમાલયના ઊંડા શિખરો વચ્ચે કરવામાં આવેલી ત્રણ વર્ષની સાધના તેમાં જોવા મળી. શ્રેણીના કુલ 108 ચિત્રોમાંથી પસંદ કરાયેલા 21 ચિત્રો અહીં ‘આઝાદ કલા દીર્ઘા’માં પ્રદર્શિત કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન પ્રખ્યાત ધ્રુપદ ગાયક પદ્મશ્રી પં. ઋત્વિક સાન્યાલ દ્વારા કરવામાં આવ્યું. 
હરિદર્શન સાંખ્યની આ કૃતિઓ આધ્યાત્મિકતા, પ્રકૃતિ અને માનવીય આસ્થાનો સંગમ છે. તેમના ચિત્રો માત્ર ટેકનિકલ રીતે પરિપક્વ નથી, પરંતુ તે પ્રેક્ષકોને એક શાંત અને ભક્તિમય યાત્રા પર લઈ જાય છે. આ ચિત્રોનું મુખ્ય કેન્દ્ર હિમાલયનું વાતાવરણ અને પૌરાણિક તીર્થધામો છે. કલાકારે માત્ર પથ્થરો કે ઇમારતોનું ચિત્રણ નથી કર્યું, પરંતુ તે સ્થાનો સાથે જોડાયેલી ઊર્જાને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. વાદળોની ઉપર સ્થિત એક નાનું મંદિર હોય કે અલકનંદાના કિનારે સ્થિત ધારી દેવીનું ચિત્ર, દરેક પેઈન્ટિંગમાં અલૌકિક ઊર્જાનો અહેસાસ થાય છે. કૈલાશ માનસરોવરના પેઈન્ટિંગમાં પર્વતનું સુવર્ણ આભા સાથે ચમકવું એ શિવત્વના સાક્ષાત્ દર્શન જેવું પ્રેક્ષકોને લાગ્યું. બદરીનાથ મંદિરના ચિત્રમાં સ્થાપત્યની જટિલતા અને ત્યાંની ચહલપહલને ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે ચિત્રિત કરવામાં આવી છે.
એક્રેલિક માધ્યમનો ઉપયોગ કરીને કલાકારે તૈલ ચિત્રો જેવી સોફ્ટનેસ અને ડેપ્થ આપવાનો પ્રયાસ કર્યો છે. કલાકારે પોતાની પીંછીથી કેનવાસ પર જે ‘પ્રભુ દર્શન’ કરાવ્યા, તે પેઈન્ટિંગ જોવા આવનારા દરેક પ્રેક્ષકને ગમ્યું.




