કબીરવાણી: ભક્તિ અને વેશ વચ્ચેનો ભેદ…

 

ભક્તિ કઠિન અતિ દુર્લભ, ભેષ સુગમ નિત સોય,

ભક્તિ જુ ન્યારી ભેષસે, યહ જાને સબ કોય.

 

સાચી ભક્તિ અને ભક્ત હોવાનો ડોળ એ બે વચ્ચે પાયાનો તફાવત છે. કબીરજી આ સાખીમાં કોઈ લક્ષણ વર્ણવ્યા વિના કહે છે કે, ભક્તિ કઠિન, દુષ્કર અને દુલર્ભ છે. જેણે ભગવાં પહેરી, દાઢી-મૂછ ઉગાડયા તે બધા નથી તો સાધુ કે નથી ભક્ત. અન્ય સાખીમાં કબીરજીએ ટકોર કરી છે કે, આવો વેશ તો ગુજરાન કરી લેવાનો નુસ્ખો જ છે.

ભક્તિ આંતરિક વૃત્તિ છે અને તેને બહારના પહેરવેશ સાથે સંબંધ નથી. સ્વામી આનંદે ગાંધીજીના આશ્રમમાં જોડાવા ઇચ્છા વ્યક્ત કરી તો બાપુએ શરત મૂકી કે, આ ભગવાં ઉતારવા પડશે. સ્વામીએ પૂછ્યું કે, કેમ ? મહાત્માજીએ જવાબ આપ્યો કે, આપણા દેશમાં ભગવા વેશને સૌ નમન કરે છે. તેને કોઈ મહેનતનું કાર્ય કરવા દેતું નથી. આશ્રમ એટલે તો અગિયાર મહાવ્રતોથી ઉપાસનાનું ધામ. તે કાર્યમાં સાધુવેશ બાધારૂપ બને છે.

આજે દંભી સ્વામી, માયાવી મહંતો, ગડબડીયા ગુરુઓનો જમેલો છે – અગાઉ પણ હતો જ ને. આમાં સુધારો ત્યારે જ આવે કે સૌ ભક્તિ અને વેશ વચ્ચેનો ભેદ પારખે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)