એ દસ યુધ્ધ, જેણે વિશ્વની દશા અને દિશાઓ બદલી…

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવજનક સ્થિતિ પ્રવર્તી રહી છે અને કોઇપણ ઘડીએ યુધ્ધ ફાટી નીકળે એવો માહોલ સર્જાઇ ચૂક્યો છે.

ત્યારે આજે વાત કરીએ અગાઉ વિશ્વએ જોયેલા-અનુભવેલા એવા કેટલાક યુધ્ધોની, જેણે ન માત્ર દેશોની સરહદો બદલાવી, પરંતુ કરોડો માનવીઓના જીવન બદલાવ્યા. આ યુદ્ધોએ માત્ર ભૌગોલિક નકશા બદલ્યા નથી, પણ વિશ્વની રાજકીય, આર્થિક અને સામાજિક દિશાઓ પણ બદલી છે…

કેવાક હતા એ યુધ્ધો?

નેપોલિયન યુદ્ધ (1803–1815)

ફ્રાંસના નેપોલિયન બોનાપાર્ટ દ્વારા યુરોપમાં સામ્રાજ્ય સ્થાપવાનો પ્રયાસ આ યુદ્ધના મુખ્ય કારણોમાંથી એક હતું. બ્રિટન, ઓસ્ટ્રિયા, રશિયા અને પ્રશિયા જેવા રાષ્ટ્રોએ નેપોલિયનનો સામનો કર્યો. આ યુદ્ધ 12 વર્ષ ચાલ્યું, જેના કારણે યુરોપના રાજકીય નકશામાં મોટો ફેરફાર આવ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918)

આ યુદ્ધ 28 જૂન 1914ના રોજ ઓસ્ટ્રિયા-હંગેરીના રાજકુમાર ફ્રાંઝ ફર્ડિનન્ડની હત્યા પછી શરૂ થયું. યુદ્ધ યુરોપ, મિડલ ઈસ્ટ, એશિયા અને આફ્રિકામાં ફેલાયું હતું. મુખ્ય દેશો જેમ કે બ્રિટન, ફ્રાંસ, રશિયા અને જર્મની સામસામે ટકરાયા હતા. આ યુદ્ધ ચાર વર્ષ ચાલ્યું અને સમ્રાજ્યવાદ, રાષ્ટ્રવાદ, શસ્ત્રોની હથિયાર હોડ અને ગુપ્ત સંગઠનના કારણે વધ્યું હતું. ચાર વર્ષ ચાલેલા આ યુદ્ધમાં લગભગ 1.6 કરોડ લોકો માર્યા ગયા અને દુનિયા દયનીય હાલતમાં આવી ગઈ.

બીજું વિશ્વયુદ્ધ (1939–1945)

હિટલર દ્વારા પોલેન્ડ પર હુમલા બાદ 1 સપ્ટેમ્બર 1939ના રોજ શરૂ થયેલું આ યુદ્ધ અત્યાર સુધીનું સૌથી વિનાશક યુદ્ધ હતું. આમાં નાઝી જર્મની, ઈટાલી અને જાપાન (એકસિસ પાવર્સ) સામે યુ.કે., યુ.એસ., રશિયા વગેરે (એલાઈડ પાવર્સ) લડી પડ્યા હતા. આ યુદ્ધ છ વર્ષ ચાલ્યું અને અંદાજે 7.5 કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

કોરિયન યુદ્ધ (1950–1953)

ઉત્તર કોરિયા (ચીન અને રશિયાના ટેકાથી) અને દક્ષિણ કોરિયા (યુ.એસ. અને યુ.એન.ના ટેકાથી) વચ્ચે ત્રણ વર્ષ સુધી ચાલેલું આ યુદ્ધ, કમ્યુનિઝમ અને કેપિટલિઝમ વચ્ચેના તણાવના ભાગરૂપે થયું. યુદ્ધ હજુ સુધી શાંતિ કરાર વિના પૂરું થયું છે, અને આજે પણ કોરિયાઈ ઉપખંડ વિભાજિત છે.

વિયેતનામ યુદ્ધ (1955–1975)

દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ વચ્ચે બે દશક સુધી ચાલેલું આ યુદ્ધ અમેરિકાની હાજરીને કારણે વધુ ચર્ચામાં આવ્યું. આ યુદ્ધ કમ્યુનિઝમ સામેની લડત તરીકે જોઈ શકાય છે. યુ.એસ.એ.એ દક્ષિણ વિયેતનામને ટેકો આપ્યો, પરંતુ અંતે યુ.એસ.એ.એ પાછો ખેંચાવો પડ્યો અને વિયેતનામ કોમ્યુનિસ્ટ રાષ્ટ્ર બની ગયું.

ભારત-પાકિસ્તાન યુદ્ધ- 1965, 1971

1947 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર લશ્કરી અથડોમણો ઘણી થઇ,પણ એમાં 1965 અને 1971ના યુદ્ધ સૌથી મહત્વના હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જમ્મુ-કાશ્મીર મુદ્દે થયું, જ્યારે પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર હેઠળ ઘુસણખોરી કરી કાશ્મીરમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો. ભારતે પ્રતિસાદ આપ્યો અને 5 સપ્ટેમ્બરથી 17 દિવસ સુધી પંજાબ, કાશ્મીર અને રાજસ્થાનના મોરચે પર ઘમાસાણ યુદ્ધ થયું. યુએનના દબાણથી 23 સપ્ટેમ્બરે યુદ્ધ રોકાયું અને જાન્યુઆરી 1966માં તાશકંદમાં શાંતિ કરાર થયો. આ યુદ્ધમાં અંદાજે 3,000થી વધુ ભારતીય અને 3,800થી વધુ પાકિસ્તાની સૈનિકો શહીદ થયા. યુદ્ધે બંને દેશોની રણનીતિમાં ફેરફાર લાવ્યા અને કાશ્મીર મુદ્દે ભારતના દ્રઢ વલણને સ્પષ્ટ કર્યું. જ્યારે 1971ના યુધ્ધના પરિણામે  બાંગલાદેશનો સ્વતંત્ર દેશ તરીકે જન્મ થયો. આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું અને એને દુનિયાનું સૌથી ટૂંકું અને સફળ યુદ્ધ પણ કહેવામાં આવે છે.

ઇરાન-ઈરાક યુદ્ધ (1980–1988)

મધ્ય પૂર્વના બે મહત્વના દેશો વચ્ચે થયેલું આ યુદ્ધ 8 વર્ષ ચાલ્યું હતું. સરહદી વિવાદો, શિયાહ-સુન્ની વિરોધ અને વિસ્તરણવાદી નીતિઓના કારણે આ યુદ્ધ થયું હતું. જેમાં લાખો લોકો માર્યા ગયા, અને બંને દેશોની અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ. આ યુદ્ધ એશિયાના રાજકીય નકશાને પણ અસર કરી ગયું.

ગલ્ફ યુદ્ધ (1990–1991)

ઇરાકના સદામ હુસેને કૂવૈત પર કબજો કર્યા બાદ, શરૂ થયેલું આ યુદ્ધ માત્ર 7 મહિના ચાલ્યું હતું. અમેરિકાએ “ઓપરેશન ડિઝર્ટ સ્ટોર્મ” નામથી આ યુદ્ધમાં નેતૃત્વ આપ્યું અને કૂવૈતને મુક્ત કરાવ્યું. એ સમયે વિશ્વભરમાં તેલની સપ્લાયનું મોટું મહત્વ હતું.

અફઘાનિસ્તાન યુદ્ધ (2001–2021)

આ યુદ્ધ 11 સપ્ટેમ્બર 2001ના અમેરિકામાં થયેલા 9/11 આતંકી હુમલાઓ પછી શરૂ થયું હતું, જેમાં અલ કાયદાના આતંકીઓએ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગન પર હુમલા કર્યા હતા. અમેરિકાએ આ હુમલાઓના જવાબદારીભૂત સંગઠન અલ કાયદા સામે લડત શરૂ કરી અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, કારણ કે તાલિબાને ઓસામા બિન લાદેનને આશરો આપ્યો હતો. અમેરિકાના નેતૃત્વમાં NATO સેનાઓએ તાલિબાનને હટાવીને એક નવી સરકાર સ્થાપિત કરી. યુદ્ધ દરમિયાન આશરે 2,40,000 લોકોના મોત થયા, જેમાં સૈનિકો, આતંકીઓ અને સામાન્ય નાગરિકો શામેલ છે

રશિયા-યુક્રેન યુદ્ધ (2022–ચાલુ)

2022ના ફેબ્રુઆરીથી શરુ થયેલું આ યુદ્ધ યુક્રેનના પૂર્વી વિસ્તારો અને ક્રિમિયા પર રશિયાના દાવાઓને કારણે શરૂ થયું. યુક્રેન નાટો અને યુરોપિયન યુનિયન સાથે નજીક જઈ રહ્યો હતો એ પણ રશિયાને અસહ્ય હતું. યુદ્ધમાં હજારો લોકોના મૃત્યુ, કરોડો લોકોનું સ્થળાંતર અને યુક્રેનના અનેક શહેરોની તબાહી થઈ છે. યુદ્ધ હજુ ચાલુ છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર કરી છે.

હેતલ રાવ