હેરિટેજ સિટીના આ મંદિરો માવજત માંગે છે

એક સમયે અમદાવાદમાંથી પસાર થતી સૂકીભઠ્ઠ સાબરમતીની કિનારે ભેખડો કોતરોમાં શું હતું એ ઘણાંને ખબર નહોતી, પણ રિવરફ્રન્ટ બન્યો એ પછી શહેરીજનોને અનેક નવા સ્થળો જોવા મળ્યા. સાબરમતીના પશ્વિમ અને પૂર્વના છેડે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં એલિસબ્રિજ, માણેક બૂરજ પાસે કોટની રાંગને અડીને થોડા થોડા અંતરે અનેક મંદિરો આવેલા છે.

એમાં મહાદેવના ઘણા મંદિરો છે. એક મહાદેવનું મંદિર રિવરફ્રન્ટના માર્ગને અડીને જ ટાંકી જેવા આકારનું છે, જેનું નામ ઇચ્છાપૂર્તિ મનોકામના મહાદેવ છે. બીજુ એક મંદિર જમીનથી નીચે ભોંયરા જેવું છે. એમાં અનેક શિવલિંગ છે. એકબીજાને અડીને આવેલા આ મહાદેવના મંદિરોમાં કામખ્યા દેવી, કુબેર ભંડારી, વિષ્ણુભગવાનની પ્રતિમાઓ આવેલી છે. શિખર સાથેના આ મહાદેવ અતિ પૌરાણિક હોવાનું મનાય છે. અહીં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો સિક્કોતો લાગેલો જ છે, પરંતુ આ ધાર્મિક સ્થળોની સ્થિતિ સારી નથી. રિવરફ્રન્ટ પરના આ ઐતિહાસિક મંદિરોમાં મૂર્તિઓ અને શિવલિંગ બહાર ખુલ્લામાં પડેલા છે.

હેરિટેજ સિટી અમદાવાદની આ ધરોહર હાલ અસામાજિક તત્વો અને ખાનાબદોશ લોકોનો અડ્ડો બની ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)