અમદાવાદના રીલિફ રોડ પર હાજા પટેલની પોળની અંદર પ્રવેશતા જ જૂના શહેરની પોળોની ભવ્યતા જોવા મળે. પોળના બીજા છેડે ટંકશાળ વિસ્તારમાંથી પસાર થાઓ એટલે એક વીસ મીટર લાંબી બંધ પડી રહેલી હવેલી પર નજર પડતાંની સાથે જ ખબર પડી જાય કે એક સમયે શહેરના આ વિસ્તારની ભવ્યતા કેવી હશે.
ટંકશાળના આ વિસ્તારમાં એક સમયે ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળનું અધિકૃત તંત્ર કાર્યરત હતું. મુઘલકાળ દરમિયાન અમદાવાદની આ ટંકશાળનું મહત્વ વિશેષ હતું. અકબર સહિતના મુઘલ બાદશાહો સોના, ચાંદી અને તાંબાના સિક્કા પડાવવા આ ટંકશાળમાં આવતા.
વળી, આ વિસ્તારમાં નગરના શ્રેષ્ઠીઓના નિવાસસ્થાન હતા. શહેરની પોળો જ્યારે વસતિથી ધમધમતી હતી ત્યારે અહીંની ઉત્તરાયણની પણ એક મજા હતી. કાલુપુરનો આ ટંકશાળ વિસ્તાર પતંગ બજારમાં ફેરવાઇ જતો.
અલબત્ત, હાલ ટંકશાળ વિસ્તારની પોળો મુખ્ય બજારમાં ફેરવાઇ ગઇ છે. આ ટંકશાળ હાલ કોસ્મેટિક, ભરતકામ, ઓક્સોડાઇઝના દાગીના, સ્ટેશનરી જેવી અનેક ચીજવસ્તુઓનું હોલસેલ અને રીટેલના વિશાળ બજાર અને ગોડાઉનોમાં ફેરવાઇ ગયું છે.
એમ છતાં, વીસ મીટર લાંબી અને લાકડામાં કરેલી અદ્ભૂત કળા કારીગરીથી ભરપૂર હવેલી હેરિટેજ અમદાવાદનું એક આકર્ષણ તો છે જ.
(પ્રજ્ઞેશ વ્યાસ)
