કેવી રીતે એક સદી જૂના વડલાને મળ્યું જીવતદાન?

જામનગર: જિલ્લામાં આવેલાં અનરાધાર વરસાદ અને તોફાની પવન જેવી સ્થિતિમાં ઇટ્રા ખાતેના ધન્વંતરી મેદાન ખાતે એક સદીથી પણ જૂનો વડલો ધરાશાયી થયો હતો. આ વડલો આયુર્વેદ સંસ્થાનને જામનગરના નામદાર રાજવી પરિવાર તરફથી આયુર્વેદ પરિસરની સાથે જ મળ્યો હતો! વરસાદી વાતાવરણમાં ગત ૨૮મી ઓગસ્ટના રોજ આ વડલો પડી ભાંગતા તેને ફરી જીવતદાન આપવાનો અભિનવ અને અભિન્ન પ્રયોગ થવા જઇ રહ્યો છે. જામનગરના ઇતિહાસમાં આ ઘટના સૌપ્રથમ વખત થવા જઇ રહી છે. એક વૃક્ષનું મહત્વ જીવનમાં અનેક ગણું છે ત્યારે તેને મૂળથી ઉખડી ગયા બાદ પણ ફરી સજીવન કરવાનો આ પ્રયોગ એ અનોખી અને નવી દિશા ખોલનારી ઘટના ગણાય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જ્યારે ‘એક પેડ માં કે નામ’ સંકલ્પ કરાયો છે ત્યારે આ ઘટના તેનું અનુમોદન ગણાય. મૂળથી ઉખડી ગયેલાં આ વડલાને ઇટ્રા અને હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે રિસ્ટોર કરવામાં આવશે. અઢાર કલાક સુધીની જહેમત અને આધુનિક મહાકાય સાધનોના ઉપયોગ બાદ વડલાને તેના મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. સાથો.સાથ તેમાં જરૂરી દવાઓ અને ખાતર પણ ઉમેરવામાં આવશે. મોટા થાંભલાઓ વડે તેને ટેકો (થોડા સમય માટે) આપવામાં આવશે અને ત્યાર બાદ કૂંપળ ફૂંટતાં તેને સ્વતંત્ર રીતે ફરી વિસ્તરવા દેવાશે. આ વડલો ધરાશાયી થતાની સાથે જ ઇટ્રાના એસ્ટેટ વિભાગ દ્વારા બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હાર્ટફૂલનેસ દ્વારા તુરંત આ પડકારરૂપ કાર્ય કરવા માટે ઉત્સુકતા બતાવી સંમતિ દાખવી હતી. ઇટ્રાના કાર્યકારી નિયામક પ્રો. બી. જે. પાટગીરી જણાવ્યું, “સંસ્થાની જગ્યા જામ રાજવી પરિવાર દ્વારા જ્યારથી અર્પણ કરવામાં આવી હતી ત્યારથી આ વડલાની હયાતી છે એટલે તેનું મહત્વ અનેક ગણું છે. વડલો ફરી સજીવન પામે તે અમારા માટે ગર્વની લાગણી સમાન છે.”હાર્ટફૂલનેસ સંસ્થાના સંયોજક સચિનભાઇ વ્યાસનું કહેવું છે, “વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અનિયંત્રિત વાતાવરણની સ્થિતિએ અનેક વૃક્ષો ધરાશાયી થતા રહે છે. પણ પીઢ અને ઘેઘૂર વૃક્ષોને ફરી રોપણ દ્વારા જીવતદાન એ વર્તમાન સમયની માગ અને આવશ્યક બાબત છે. હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 4000થી વધુ આવા વૃક્ષોને પુનઃ સજીવન કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ તેમાં 100% સફળતા મેળવી છે. આ વડલો તો એક સદીથી પણ વધુ ઉંમર ધરાવે છે એટલે તે મહત્વનો છે.”એક દિવસની સતત અને ત્રણ માસની સઘન સારસંભાળ દ્વારા નવજીવન.

બે મહાકાય ક્રેઇન અને જે.સી.બી.ના ઉપયોગથી વડલાને મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. ત્રણથી ચાર મોટાં થાંભલા દ્વારા વડલાને તેના મૂળ જમીનમાં ફરી પકડ ન જમાવે ત્યાં સુધી આધાર તરીકે લગાવવામાં આવશે. દસ જેટલાં કારીગરો અને તજજ્ઞો દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ અને અવલોકન કરશે, મજબૂતાઇ જમાવે તેવું વાતાવરણ તૈયાર કરાશે. સતત એક માસ સુધી વડલાને પાણી અને જરૂરી વાતવરણથી નવા પ્રાણ આપવાની અભૂતપૂર્વ ઘટના બની છે.શું હોય છે વડલાની ખાસિયત?

શાસ્ત્રો અને પુરાણોમાં વડલાને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા થાય છે એટલું જ નહીં પરંતુ તેની હયાતીથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે. માત્ર ધાર્મિક જ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટિએ પણ વડલાનું અનેરૂ મહત્વ છે! વડના ઝાડની એક વિશેષતા એ પણ છે કે તે મૂળથી ઊખડી ગયા બાદ પણ તેની વડવાઇઓના આધારે વાતાવરણમાંથી પોતાની જીવનજરૂરી વાયુ અને પાણી મેળવે છે અને એક માસ સુધી તે જીવિત રહી શકે છે. આ વિશ્વમાં વડલાની ઘણી પ્રજાતિઓ છે અને તેનો જુદી-જુદી રીતે ઉપયોગ થાય છે. પ્રાણવાયુ આપનાર વિરાટ વૃક્ષથી માંડી ઘરોમાં સુશોભન તરીકે પણ ઉપયોગ થાય છે.