પળવારમાં પેચીદા પ્રશ્ન ઉકેલતી ગુરુચાવી

સુખ અને દુઃખ, ચડતી અને પડતી એ માનવજીવન સાથે વણાઈ ગયેલાં પરમ સત્યો છે. પરંતુ કેટલાંક દુઃખો એવાં હોય છે, જે મનની અંદર જન્મે છે ને અંદર જ અથડાતાં રહે છે. માણસ મેળામાં પણ એકલતતા અનભવે છે, ચોવીસ કલાક નિરાશા એના ખભા પર બેઠી હોય છે, અજાણ્યું અંધારું એની ઘેરી વળ્યું હોય છે.

 

જો કે અંધકારનું ષડ્યંત્ર બહુ લાંબું ચાલતું નથી. પોતીકાનો એક મૃદુ સ્પર્શ, મીઠી નજર, કે સાદ એને ભગાવવા પૂરતાં છે. આ બધાં સાથે મળીને મનમાં ઉજાસ રેલાવે છે. આ પણ જીવનનું ગહન ને પરમ સત્ય છે.

અમેરિકામાં જૉની કેશ નામનો મોટા ગજાનો ગાયક થઈ ગયો. તેણે તેના જીવનકાળ દરમિયાન 1500થી વધુ ગીતો ગાયાં. સંગીતજગતનો પ્રતિષ્ઠિત ગણાય એવો ગ્રેમી એવૉર્ડ પણ મેળવેલો. 1961માં, એક જ વર્ષમાં જૉનીએ 290 લાઈવ કન્સર્ટ્સ કરેલા.

અચાનક જૉનીને શું દુઃખ આવી પડ્યું કે એ ડ્રગ્ઝનો બંધાણી થઈ ગયો. મનોવિજ્ઞાનીઓના કહેવા મુજબ અમર્યાદ ધનસંપત્તિ, પ્રતિષ્ઠા અને વાહવાહથી એ છકી ગયો હોવો જોઈએ. જે હોય તે, પણ વધુ પડતા ડ્રગ્ઝના સેવનથી એનું ગળું સુકાઈ જતું, એ ગાઈ શકતો નહોતો, એનું વજન ઊતરી ગયું. જૉની પર પોલીસ કેસ થયા, હૉસ્પિટલ-રિહેબિલિટેશન સેન્ટરમાં એની આવનજાવન ચાલુ રહેતી.

એક દિવસ જૉનીએ જીવનનો અંત આણી દેવાનું નક્કી કર્યું. એ નિકાજેક ગુફામાં જતો રહ્યો. અમેરિકાના ટેનેસી રાજ્યની નિકાજેક ગુફા એવી અટપટી ને ખતરનાક છે કે એમાં ગયેલો પાછો ભાગ્યે જ આવી શકે. જૉની એ અંધારી ગુફામાં કલાકો સુધી રઝળ્યો, મૃતઃપ્રાય થઈને ઢળી પડ્યો, પરંતુ અથડાતો-કૂટાતો ગુફાની બહાર આવી ગયો. એ સમયે એણે પોતાની માતા તથા પત્નીને ત્યાં ઊભેલાં જોયાં. સૌ જૉનીની ભાળ કાઢતાં આવી પહોંચેલાં. તેમણે જૉનીને પ્રેમથી આવકાર્યો. આવું શું કામ કર્યું એ વિશે એક શબ્દ નહીં.

જૉની નોંધે છે કે “મારી માતા-પત્નીના સ્નેહે મને હિંમત આપી. હું એકલવાયો અને ઓરમાયો થયો ત્યારે તેમણે મને પ્રેમ આપ્યો.” પત્ની અને માતાના સ્નેહે તે કલાકારને બચાવી લીધો. તેની ડ્રગની લત છૂટી ગઈ અને જીવન પુનઃ સીધી લીટીમાં આવી ગયું. 2003માં 72 વર્ષની વયે એનું અવસાન થયું.

ઉપરોક્ત સત્યઘટનામાં ‘સ્નેહ’ની તાકાત દેખાય છે. કહે છેને કે, સ્નેહભરી સંભાળ આખી દુનિયા બદલી શકે છે. એ દુનિયા ભલેને યુવાનની જ કેમ ન હોય? કહ્યું છેને કે “બાય અ સ્વીટ ટંગ ઍન્ડ કાઈન્ડનેસ, યુ કૅન ડ્રૅગ ઍન એલિફન્ટ વિથ હૅર” અર્થાત્ “મધ જેવી મીઠી બોલી અને મમતાથી તો હાથી જેવા હાથીને કાચા સૂતરના તાંતણે દોરી શકાય.”

ન્યુ જર્સીમાં રહેતા એક ભારતીય યુવાનનાં લગ્ન માતા-પિતાએ દેશની સુકન્યા સાથે ધામધૂમથી કરાવ્યાં, પણ લગ્ન પછી યુવાને પત્નીને અમેરિકા લાવવાની ના પાડી દીધી. મા-બાપ, સગાંવહાલાં સમજાવીને થાક્યાં. સંયોગથી એ અરસામાં પૂજ્ય પ્રમુખ સ્વામી પ્રેરણાથી ન્યુ જર્સીમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ- કલ્ચરલ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા યોજાયેલો. પેલો યુવાન ઉત્સવ પ્રસંગે સ્વામીશ્રીના સંપર્કમાં આવ્યો. સ્વામીશ્રીના સ્નેહ અને સૌહાર્દમાં એ યુવાન ભીંજાયો. એક સાંજે સ્વામીશ્રીએ તેને લગ્ન બાબત પૂછ્યું, એ વિશે સ્નેહપૂર્વક ચર્ચા કરી. ત્યાર બાદ યુવાને કહ્યું: “સ્વામી, આપ કહો તે કરવા તૈયાર છું. આપના આશીર્વાદ હોય તો હું તેને બોલાવીશ.”

આમ, સ્નેહના જાદુથી એક પેચીદો પ્રશ્ન પળમાં પીગળી ગયો.

સાચું જ કહેવાયું છે કે હૃદયમાંથી નીકળે એ હૃદયસોંસરવું ઊતરે. તમે પણ અનુભવ્યું હશે. ઘણા લોકો એવા હોય છે, જેમની સાથે વાત કરીને એવું લાગે કે એ આપણી સાથે જાણે દિલથી વાત કરી રહ્યા છે. એમના દિલમાંથી નીકળેલો એક એક શબ્દ સામેવાળાના દિલમાં ઊતરી જાય, એ શબ્દોને ગ્રહણ કરવાનું તેને અનુસરવાનું ખરેખર મન થાય.

તો આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ, આપણે પણ આપણા પ્રત્યે હૃદયનો સેતુ રચીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)