ટાઈમ મૅનેજમેન્ટની ગોલ્ડન ફોર્મ્યુલા

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ચિત્રલેખાના વાચકોમાંથી ઘણાએ જાતજાતના વ્રત-એકટાણાં રાખ્યાં હશે. સરસ, પણ, શ્રાવણ માસ જ નહીં, પણ વરસ દરમિયાન કરવા જેવું એક પવિત્ર કાર્ય છેઃ મનોમંથન, વાચર. તમે ક્યારેય વિચાર્યું છે કે જેના માટે મારો જન્મ થયો છે એ હું કરી રહ્યો છું?

એક માણસ એના જીવનમાં ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘે છે. આનો અર્થ ત્રીજા ભાગનો સમય ઊંઘવામાં જાય છે. સરેરાશ સિત્તેર વર્ષનું માનવઆયુ ગણો તો આશરે 23 વર્ષ ઊંઘવામાં ગયાં. આ ઉપરાંત રોજ સવારે ઊઠીને તમે દોઢેક મિનિટ બ્રશ અને એવી બધી ક્રિયા કરો છો, તો 80-90 દિવસ આવી નાની નાની ક્રિયા પાછળ ગયા… આ અને આવી બધી ક્રિયા પાછળ કેટલો સમય જતો હશે?

જો તમે એમ માનતા હો કે હું તો હજી ત્રીસનો જ છું, મારી પાસે હજી ઘણો સમય છે તો તમે રોંગ છો. કાર્યક્ષમતાની અને ટાઈમ મૅનેજમેન્ટની વાત આવે ત્યારે હંમેશાં એક વાત યાદ રાખવી કે ટાઈમ આપણી પાસે બહુ જ ઓછો છે. ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ ક્યાં વીતી જશે એની ખબર પણ નહીં પડે. ફાસ્ટ સ્પીડે ભાગતા કટ્ટર સ્પર્ધાના યુગમાં 70, 80 વર્ષ કંઈ જ નથી.

ધારો કે આપણે જીવનને ત્રણ ભાગમાં વહેંચીએ તો પહેલા ભાગમાં આવે આપણી સાંસારિક જવાબદારીઓ. બીજા ભાગમાં આવે છે નિઃસ્વાર્થભાવે કરેલી સેવાપ્રવૃત્તિઓ અને ત્રીજા ભાગમાં છેઃ ચારિત્ર્યઘડતર. જ્યારે અંતિમ સમય આવે ત્યારે તમને સંતોષ હોવો જોઈએ કે જીવનની આ ત્રણેય ભૂમિકા મેં પ્રામાણિકતાપૂર્વક શ્રેષ્ઠ રીતે નિભાવી. જીવનમાં પુરુષાર્થ કરીને હું સફળ વ્યવસાયી બન્યો કે નોકરીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યો, બધી જ સાંસારિક જવાબદારીઓ નિભાવી, પરિવારને સુખી રાખ્યો, જરૂરિયાતમંદોને મારાથી બનતી સહાય કરી, અને જીવન એવું જીવી ગયો કે બીજા માટે પ્રેરણા રૂપ બન્યો.

એક વાત યાદ રાખજો, કઠિન પરિશ્રમથી ક્યારેય ડરવું નહીં. એનો કોઈ વિકલ્પ જ નથી. જીવનમાં ટોચ પર પહોંચવા કોઈ લિફ્ટ નથી. તમારે દાદરા જ ચડવા પડશે. પુરુષાર્થ કરવો એ આ સૃષ્ટિનો નિયમ છે. પશુ-પક્ષી પણ પુરુષાર્થ કરે છે.

આપણે માનવીની વાત કરીએ. આપણને ખાવાપીવાની ઝાઝી ચિંતા નથી. એ તો વરસભર મળી રહે છે. આપણી દૌડ છે પ્રસિદ્ધિની, પૈસાની, સ્ટેટસની. ગરીબ હો કે તવંગર, એક યા બીજા કારણસર બધાએ દોડવું જ પડે છે. પરિશ્રમ સંસારનો નિયમ છે. યથાર્થ પુરુષાર્થ નહીં કરો તો તમને જીવન જીવ્યાનો સંતોષ નહીં મળે. ઈશ્વરે આપણને સૌને ઊર્જા આપી છે. તો એ ઊર્જાનો યોગ્ય વપરાશ આપણે ન કરી શકીએ?

-અને કઠિન પરિશ્રમની સાથે જરૂરી છે કાર્યક્ષમતા, વર્ક એફિશિયન્સી. સમયનું સુસંચાલન. કેમ કે એફિશિયન્સી વિનાના પરિશ્રમનો કોઈ અર્થ નથી. ટાઈમ મૅનેજમેન્ટની વાત આવે ત્યારે આ એક સોનેરી નિયમ યાદ રાખજોઃ

દરરોજ સવારે ઊઠીને વૉટ્સએપ ચેક કરતાં પહેલાં, એક કાગળ પર અથવા ડાયરીમાં એ દિવસ દરમિયાન કરવાનાં કામનું લિસ્ટ બનાવોઃ ગમે તે થાય, આજે મારે આટલાં કામ કરવાં જ છે. લિસ્ટ બનાવ્યા પછી કયું કામ કેટલું મહત્વનું છે એ પ્રમાણે એક ટાઈમટેબલ બનાવો. સવારે અમુક ફોનકૉલ્સ કરીશ, પછી બૅન્કમાં જઈશ, ફલાણાને રૂબરૂ મળવા જઈશ, કોઈની ખબર કાઢવા જઈશ, વગેરે.

યાદ રાખજો, લખવાના ફાયદા છે. દેશ-દુનિયાના મૅનેજમેન્ટ ગુરુઓ કહે છે કે સવારના પહોરમાં આવું લિસ્ટ લખવાથી વર્ક એફિશિયન્સી આવે છે. એફિશિયન્સી નહીં હોય તો સતર્કતા નહીં આવે. મનમાં વિચાર્યા કરશો તો પ્રોકાર્સ્ટિનેશનના રવાડે ચઢી જતાં વાર નહીં લાગે. કોઈ કામને ટાળ્યા કરવું એનું નામ પ્રોકાર્સ્ટિનેશન.

સમયના સુસંચાલનની એક સુવર્ણ સમીકરણ છેઃ ‘એઈટ પ્લસ એઈટ પ્લસ એઈટ.’ દિવસના 24 કલાકને આઠ-આઠ-આઠ કલાકમાં વહેંચી નાખો. આઠ કલાક નિષ્ઠાવાન પુરુષાર્થને આપો. તમે જે નોકરી-વ્યવસાય કરતા હો એ નિષ્ઠાપૂર્વક કરવાં. બીજા આઠ કલાક સારી ઊંઘને, આરામને આપો: નેવર એવર કૉમ્પ્રોમાઈઝ ઑન સ્લીપ. અને ત્રીજા મહત્વના આઠ કલાક એટલે ત્રણ F, ત્રણ H અને ત્રણ S.

શું છે આ ત્રણ F, ત્રણ H અને ત્રણ S?

ફૅમિલી-ફ્રેન્ડ્સ-ફેઈથ. હેલ્થ-હાઈજિન-હોબી. સૉલ-સર્વિસ-સ્માઈલઃ પરિવારને, મિત્રોને પૂરતો સમય તથા ઈશ્વરમાં શ્રદ્ધા. તંદુરસ્તી તથા જે ગમે એ શોખને પોષવા. અને, આત્મસંતોષ માટે કોઈ સેવાકાર્ય કરવાં, સદા મોજમાં રહેવું. જો તમે આ 8+8+8ની ફૉર્મ્યુલા અપનાવી એનો અર્થ તમે સુખી, સંતોષકારી, સમતોલ જીવન જીવો છો.

યાદ રહે, બીજીબધી ચીજો તમે ખોઈ નાખશો તો કદાચ પૈસા આપીને એ પાછી મેળવી શકશો, ખરીદી શકશો, પણ સમય નહીં મળે. વીતેલો સમય ક્યારેય પાછો નહીં આવે. અત્યારે જે ક્ષણે, જે સમયે તમે આ વાંચી રહ્યા છો એ ક્ષણ, એ સમય ક્યારેય પાછાં નહીં આવે. એટલે તમે તમારો સમય બહુ સમજીવિચારીને ખર્ચજો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)