Home Blog Page 981

પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ, વિવિધ મંદિરોમાં સુરક્ષા વધી

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે બપોરે બૈસરણ વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 28 લોકોના મોત થયા, જેમાં ગુજરાતના ભાવનગરના યતીશભાઈ પરમાર, તેમના પુત્ર સ્મિત અને સુરતના શૈલેષભાઈ કળથીયાનો સમાવેશ છે. આ હુમલાને પગલે દેશભરમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. આતંકવાદી હુમલાને લઈ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સતર્ક બની છે. અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવા ધાર્મિક સ્થળો પર વધારાની પોલીસ ટુકડીઓ તહેનાત કરાઈ છે. રેલવે સ્ટેશનો, એરપોર્ટ્સ અને બોર્ડર વિસ્તારોમાં ચેકિંગ તેજ કરાયું છે.

ગુજરાત પોલીસે રાજ્યભરમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. ખાસ કરીને પાકિસ્તાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા, કચ્છ અને પાટણ જેવા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ છે. અંબાજી મંદિરમાં એસઓજી ટીમ અને સ્નાઇપર્સ તહેનાત કરાયા છે. બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે, મંદિરમાં દર્શનાર્થીઓનું સઘન ચેકિંગ થશે. દ્વારકા અને સોમનાથ મંદિરો, જે દરિયાકાંઠે આવેલા છે, ત્યાં નૌકાદળ અને કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યની ત્રણેય સેનાઓને સતર્ક રહેવા આદેશ અપાયા છે.

આ હુમલાએ અમરનાથ યાત્રા પહેલાં સૌથી મોટી ચિંતા ઉભી કરી છે, કારણ કે પહલગામ યાત્રાનો બેઝ કેમ્પ છે. ગુજરાત સરકારે મૃતકોના મૃતદેહો પરત લાવવા અને ઘાયલોની સારવાર માટે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સંકલન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી, આતંકીઓને સજાની ચેતવણી આપી. રાજ્યમાં સંવેદનશીલ સ્થળો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે.

પહેલગામ હુમલાને લીધે રૂ. 12,000 કરોડના પ્રવાસન વેપાર પર સંકટ

શ્રીનગરઃ કાશ્મીરમાં આતંકવાદનો ભૂંડો ચહેરો ફરીથી સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ માત્ર ગોળીબાર જ નથી કર્યો, પરંતુ કાશ્મીરના અર્થતંત્ર અને 2.5 લાખ કાશ્મીરીઓના પેટ પર સીધો હુમલો કર્યો છે. આ હુમલાને પગલે હવે માત્ર કાશ્મીરની આર્થિક પ્રગતિ પર બ્રેક લાગશે, પરંતુ લાખો કાશ્મીરીઓની રોજગારી પણ જોખમમાં પડશે.

પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો માત્ર જાનમાલનું જ નુકસાન નથી, પરંતુ કાશ્મીરના આત્મા કહેવાતી “કાશ્મીરિયત” પર પણ સીધો હુમલો છે. આ ઘટનાને લીધે પ્રવાસન ઉદ્યોગને પણ ભારે સંકટમાં મૂકે છે. દરેક ગોળીએ કાશ્મીરના અર્થતંત્રને ઘણાં વર્ષો પાછળ ધકેલી દીધું છે..

જમ્મુ કાશ્મીરમાં હુમલા પછી જેમણે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી, તેમણે ધડાધડ ટિકિટ કેન્સલ કરાવવી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, કાશ્મીરના ઘણી મોટી હોટલ અને ટેક્સી બુકિંગ પણ રદ થવા લાગ્યાં છે.

કાશ્મીરનું વાર્ષિક પ્રવાસન ઉદ્યોગ લગભગ રૂ. 12,000 કરોડનું છે. અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં આ ઉદ્યોગ રૂ. 25,000 કરોડથી રૂ. 30,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા હતી. રાજ્યના કુલ GDPમાં પ્રવાસનની 7-8 ટકા હિસ્સેદારી છે.આ હુમલાએ નિર્દોષ લોકોની હત્યા સાથે પ્રવાસન ઉદ્યોગ માટે પણ કબર ખોદી છે. પહેલગામને ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે, જ્યાં રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ હુમલો એ સમયે થયો છે જ્યારે ઉનાળાની તાપથી ત્રસ્ત લોકો કાશ્મીર જવાનું શરૂ કરે છે. એથી આ આખો પ્રવાસન સીઝન હવે બરબાદ થવાનો ખતરો છે.

શ્રીનગરના દાલ લેકમાં ચાલે છે 1500થી વધુ હાઉસબોટ કાશ્મીરમાં માત્ર પ્રવાસન ક્ષેત્રમાંથી 2.5 લાખથી વધુ લોકોને રોજગારી મળી છે અને તેમના પરિવારનું ગુજરાન ચાલે છે, પણ આ હુમલા પછી આ તમામ લોકોના નોકરી અને આવક પર સંકટ ઊભું થઈ શકે છે.

વર્ષ 2020માં 34 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, 2021માં આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ, 2022માં 1.88 કરોડ, 2023માં 2.11 કરોડ અને 2024માં 2.36 કરોડ પ્રવાસીઓ કાશ્મીરમાં આવ્યા હતા. 2024માં આવેલા પ્રવાસીઓમાં 65,000થી વધુ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થતો હતો.

પહેલગામ હુમલાને કારણે ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’ફિલ્મની રિલીઝ મુલતવી

કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓનો ધર્મ પૂછીને હત્યા કરવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ ગુસ્સાને કારણે હિન્દી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મમાં પાકિસ્તાની હીરો ફવાદ ખાન મુખ્ય ભૂમિકામાં છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓએ પહેલાથી જ ધમકી આપી છે કે તેઓ આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં. આ પહેલા ફવાદ ખાનની છેલ્લી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ના રિલીઝ સમયે ઘણો વિરોધ થયો હતો.

દેશભરમાંથી પહેલગામ આવેલા પ્રવાસીઓની ઓળખ પૂછ્યા બાદ તેમની હત્યાને કારણે મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં ભારે ગુસ્સો છે. ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ઓફિસમાં બનેલા મિની થિયેટરમાં બુધવારે સરહદ સુરક્ષા દળ દ્વારા ખતરનાક કાશ્મીરી આતંકવાદી ગાઝી બાબાને મારવા માટે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ગ્રાઉન્ડ ઝીરો પર આધારિત ફિલ્મનો એક ખાસ શો યોજવામાં આવ્યો છે. શોમાં આવેલા લોકોમાં સૌથી વધુ ચર્ચાતો વિષય ફિલ્મ ‘અબીર ગુલાલ’ હતો.

ફિલ્મ ‘અબીર ગુલાલ’નું પહેલું ટીઝર આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયું હતું. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર રિલીઝ થતાં જ ફિલ્મમાં ફવાદ ખાનની હાજરી વિરુદ્ધ નિવેદનો આવવા લાગ્યા. આ ફિલ્મ સાથે ફવાદ ખાન નવ વર્ષ પછી હિન્દી સિનેમામાં વાપસી કરી રહ્યો છે. પરંતુ, આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા અમેય ખોપકરે કહ્યું, “અમે સ્પષ્ટપણે કહી રહ્યા છીએ કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દઈશું નહીં કારણ કે તેમાં એક પાકિસ્તાની કલાકાર છે. અમે આવી ફિલ્મને કોઈપણ સંજોગોમાં અહીંના સિનેમાઘરોમાં રિલીઝ થવા દઈશું નહીં.”

શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ ફિલ્મ ‘અબીર ગુલાલ’માં પાકિસ્તાની કલાકારની હાજરી સામે વાંધો વ્યક્ત કર્યો છે. ફિલ્મ અને ટીવી ડિરેક્ટર્સના સંગઠન IFTDA (ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ એસોસિએશન) ના પ્રમુખ અશોક પંડિતે સ્પષ્ટપણે કહ્યું છે કે અમારું યુનિયન અને અમારું ફેડરેશન પાકિસ્તાની કલાકારો સામે અસહકાર આંદોલન ચાલુ રાખી રહ્યા છે. અમે ફિલ્મ નિર્માતાઓને પણ અપીલ કરી છે કે તેઓ તેમની ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો, ગાયકો અને ટેકનિશિયનોને કામ ન આપે. આમ છતાં, જો કોઈ આવું કરી રહ્યું છે તો ફક્ત તે જ જાણે છે કે તે આવું કેમ કરી રહ્યો છે.

આ દરમિયાન અમર ઉજાલા ડૉટ કૉમના એક અહેવાલ પ્રમાણે બુધવારે ફિલ્મ પ્રદર્શન ક્ષેત્રના તેના સૂત્રો પાસેથી માહિતી મળી કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂર અભિનીત ફિલ્મ ‘અબીર ગુલાલ’ ની રિલીઝ, જે 9 મેના રોજ રિલીઝ થવાની હતી, તે મંગળવારે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મુલતવી રાખવામાં આવી છે. જ્યારે આ અંગે ફિલ્મ નિર્માતાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના સત્તાવાર પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી. જોકે, આ સંદર્ભમાં નિર્માતાઓ તરફથી કોઈ નિવેદન કે પ્રતિભાવ વિશે પૂછવામાં આવતા, પ્રવક્તાએ કહ્યું કે તેઓ નિર્માતાઓ સાથે વાત કરશે અને ફરીથી સંપર્ક કરશે.

પહેલગામ હુમલા પર ઇઝરાયલી રાજદૂતનું કડક નિવેદન

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખી દુનિયા સ્તબ્ધ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા 17 હોવાનું કહેવાય છે. આ દરમિયાન, ભારતમાં ઇઝરાયલી રાજદૂતે આતંકવાદીઓ અંગે કડક નિવેદન આપ્યું છે.

ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે કહ્યું કે આ હુમલો કાયરતાપૂર્ણ હતો. આતંકવાદીઓ હંમેશા આપણને ડરાવવા અને ધમકાવવા માટે નવા રસ્તા શોધે છે. આવી સ્થિતિમાં, આપણે આતંકવાદીઓના વિચાર અને કાર્ય કરવાની રીતને સમજવી પડશે. આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે ભારત સરકાર નક્કી કરશે.

તેમણે કહ્યું પણ મને ખાતરી છે કે આપણે તેની સામે વધુ મજબૂતીથી લડીશું. ભારત સરકાર જાણે છે કે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો. અમે આ બાબતે ભારત સરકાર સાથે મોટા પાયે સહયોગ કરવાનો પ્રયાસ કરીશું.

રાજદૂત અઝારે કહ્યું કે ભારતને આતંકવાદનો સામનો કેવી રીતે કરવો તે જણાવવાનું અમારું કામ નથી. ભારત પાસે ઘણી સારી ગુપ્ત માહિતી છે. આવી સ્થિતિમાં, આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. ભારત આ વાત સારી રીતે જાણે છે અને અમે તેમની સાથે સહયોગ કરવા તૈયાર છીએ.

આ પહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. આતંકવાદ સામે લડવામાં ઇઝરાયલ ભારતની સાથે ઉભું છે. ઇઝરાયલના વિદેશ પ્રધાન ગેડેઓન સારએ પણ આ હુમલાની નિંદા કરી હતી.

તમને જણાવી દઈએ કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.

તુર્કીના ઇસ્તંબુલમાં 6.2 ની તીવ્રતાનો ખતરનાક ભૂકંપ

તુર્કીમાં ઇસ્તંબુલ અને આસપાસના વિસ્તારોમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇસ્તંબુલ નજીક મારમારાના સમુદ્રમાં હતું. અત્યાર સુધી મળેલા અહેવાલો અનુસાર, કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. જર્મન ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન કેન્દ્ર અનુસાર, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

ભૂકંપની અસર આસપાસના રાજ્યોમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપ પછી, ગભરાયેલા લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇસ્તંબુલમાં મારમારાના સમુદ્ર પર સિલિવરીમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપના આંચકા પડોશી પ્રાંતોમાં પણ અનુભવાયા હતા. તેમણે લખ્યું કે ટીમ હવે નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. ભૂકંપથી પ્રભાવિત આપણા નાગરિકોને હું મારી શુભકામનાઓ પાઠવું છું. ભગવાન આપણા દેશ અને રાષ્ટ્રને આફતોથી બચાવે.

આતંકવાદી હુમલાને પગલે શ્રીનગરમાં બાપુની કથા અધવચ્ચે આટોપાઇ

રાજકોટ: પહેલગામમાં આતંકી હુમલાને લઈને જમ્મુ-કાશ્મીરમાં તણાવનો માહોલ છે. ત્યારે પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુની રામકથા હાલ શ્રીનગરમાં ચાલી રહી છે. એને પાંચમા દિવસે જ વિરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને સુરક્ષાની દ્રષ્ટિએ તંત્રને સાથ આપવાની સાથે માનવ સંવેદનાને ધ્યાનમાં રાખીને મોરારીબાપુ દ્વારા જ કથાના પૂર્ણ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરારીબાપુની 955મી રામકથા તારીખ 19 એપ્રિલથી દાલ લેક નજીક કન્વેશન સેન્ટરમાં શરુ થઇ હતી. આ કથા તારીખ 21 સુધી ચાલવાની હતી. પરંતુ ગઈ કાલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, એમાં 28 પ્રવાસીઓના મોત થયા. આ ઘટનાને પગલે જમ્મુ-કાશ્મીર હાઈ એલર્ટ પર છે. ત્યારે મોરારીબાપુની કથા સાથે જોડાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે પાંચમા દિવસે જ બાપુએ કથાનો અલ્પવિરામ મુકાયો હોવાનું જાહેર કર્યું છે. મોરારીબાપુ સાથે નજીકથી જોડાયેલા અને મહુવાના કૈલાશ ગુરુકુળનું સંચાલન સંભાળતા જયદેવભાઈ માંકડે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહ્યું કે, “સ્થાનિક પરિસ્થિતિ અને માનવતાને ધ્યાનમાં રાખીને બાપુએ આ નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં સ્થિતિ જયારે સારી થશે ત્યારે બાકીના ચાર દિવસની કથા બાપુ કાશ્મીરમાં કરશે હાલ કથાનો પૂર્ણવિરામ મુકાયો છે.”

મોરારીબાપુએ પહેલગામના હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિવગંતના પરિવારને રૂપિયા પાંચ લાખની સહાય રાશિ તુલસીપત્ર રૂપે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. શ્રીનગરની કથા માટે ગુજરાતથી કેટલાક સાહિત્યકારો, લેખકો કાશ્મીર ગયા છે. હાલ બાપુ સતાહૈ ટીમમાં જોડાયેલા તમામ સુરક્ષિત હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું.

દેવેન્દ્ર જાની ( રાજકોટ)

પહેલગામના હુમલામાં સામેલ આતંકવાદીઓની ઓળખ કરાઈ

શ્રીનગરઃ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના ફોટો હવે સામે આવી ચૂક્યા છે. સેના અને સ્થાનિક પોલીસની વિશેષ ટીમ આ આતંકવાદીઓની તપાસ માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં છ આતંકવાદીઓ સામેલ હોવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓએ આ પહેલાં આતંકવાદીના ત્રણ સ્કેચ પણ જારી કર્યા છે. પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબા (LET)થી જોડાયેલા ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી છે.

આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી-વીણીને ગોળબાર કર્યા હતા. આ આતંકવાદીઓ નજીકની પહાડી જંગલમાં સંતાઈ ગયા છે.

કોણ છે TRF?

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં TRF સામેલ છે. સોશિયલ મિડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓનાં નામ સામેલ છે.

હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ કોણ છે?

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં લોકોને તેમનાં નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકવાદી હુમલાની જવાબદારી ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે. સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તે પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપી ત્યાંના નાગરિકો અને સેનાને ભડકાવવાનું કામ કરે છે. નવયુવાનોનું બ્રેઇનવોશ કરી તેમને આતંકવાદી બનવા મજબૂર કરે છે. સૈફુલ્લાહે બે મહિના પહેલાં જ પાકિસ્તાનના પંજાબના કંગનપુરમાં એક જેહાદી ભાષણ આપ્યું હતું.

સંજય દત્ત અને સોનુ સૂદ સહિત આ સેલેબ્સે આતંકવાદી હુમલાની કરી નિંદા

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરના કોઈપણ હુમલા કરતાં મોટી ગણાવી. તાજેતરમાં અક્ષય કુમારે તેના x (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, ‘પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હું ભયભીત છું. આ રીતે નિર્દોષ લોકોને મારવા એ ઘોર પાપ છે. હું તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું. હવે ઘણા સેલિબ્રિટીઓએ તાજેતરના આતંકવાદી હુમલા સામે અવાજ ઉઠાવ્યો છે અને આ ઘટનાની સખત નિંદા કરી છે.

પહેલગામ આતંકવાદી હુમલા પર બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયા

આ દુઃખદ સમાચાર જાણ્યા પછી, સેલેબ્સે સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાય માટે અપીલ કરી. સોનુ સૂદે ટ્વિટર પર લખ્યું,’કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. સભ્ય વિશ્વમાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં અને આ કૃત્ય અસ્વીકાર્ય છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. ઓમ સાઈ રામ’

તુષાર કપૂરે લખ્યું,’પહલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. ભારત કાયરોને યોગ્ય જવાબ આપશે! જે લોકો ભારતના ઉદયથી ડરે છે, તેઓ હંમેશની જેમ બદનામ થશે! ઘાયલો અને માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના! #Pahalgam’

સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરતા સંજય દત્તે લખ્યું,’તેઓએ આપણા લોકોને નિર્દયતાથી મારી નાખ્યા. આ માફ કરી શકાય નહીં, આ આતંકવાદીઓએ જાણવું જોઈએ કે આપણે ચૂપ નહીં બેસીએ. આપણે બદલો લેવાની જરૂર છે, હું આપણા પ્રધાનમંત્રી @narendramodi જી, ગૃહમંત્રી @AmitShah જી અને સંરક્ષણ મંત્રી @rajnathsingh જી ને વિનંતી કરું છું કે તેઓ તેમને જે લાયક છે તે આપે.’

વિવેક ઓબેરોયે પણ X પર ટ્વીટ કરીને પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી, ‘આજે કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના સમાચારથી આપણા હૃદય તૂટી જાય છે. દુઃખદ રીતે પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રાર્થનાઓ પાઠવું છું. હવે, પહેલા કરતાં વધુ, વિશ્વએ આ પ્રકારની નફરત સામે એક થવું જોઈએ, શક્તિ, ઉપચાર અને કાયમી શાંતિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. #આતંક નહીં શાંતિ’

સમાચાર વાંચ્યા પછી અનુપમ ખેરે એક ભાવુક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘ખોટું…ખોટું…ખોટું!!!’ પહેલગામ હત્યાકાંડ!! આજે શબ્દો શક્તિહીન છે!! #Pahalgam.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

આતંકવાદી હુમલાના સમાચાર જોઈને અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ ઘટનાની નિંદા કરી. તેમણે લખ્યું,’નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો! કાશ્મીરમાં આતંકવાદીઓએ જે કર્યું છે તે જોઈને મારું હૃદય દુ:ખી થયું છે. અમે ભારતીય વડા પ્રધાનને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારાઓને ન્યાયના કઠેડામાં લાવવા વિનંતી કરીએ છીએ. @PMOIndia #kashmir’

આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતા રવીના ટંડન આઘાત અને ગુસ્સામાં છે. તેમણે લખ્યું,’ઓમ શાંતિ. લાગણીઓ. દુઃખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. હું પીડિતો માટે પ્રાર્થના અને શક્તિ માંગી શકું છું. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા બધા નાના-મોટા આંતરિક ઝઘડાઓને બાજુ પર રાખીએ અને એક થઈને સાચા દુશ્મનને ઓળખીએ.’

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું,’હે ભગવાન! હે ભગવાન. હે ભગવાન. હું હમણાં જ શિકાગો પહોંચ્યો અને આ અમાનવીય દુર્ઘટના વિશે જાણ થઈ. મને ઘણા સમયથી આનો ડર હતો. મેં હંમેશા કહ્યું છે કે – કાશ્મીરમાં શાંતિ નહોતી, તે એક વ્યૂહાત્મક મૌન હતું. હું @AmitShah જી ને વિનંતી કરું છું કે બીજી કોઈ દુર્ઘટના બને તે પહેલાં કાશ્મીર અને બંગાળ બંનેને તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવે. મને તેની યુક્તિઓ ખબર છે.’

વડોદરામાં વીજ રીપેરીંગ: દક્ષિણ વિભાગના વિવિધ વિસ્તારોમાં 25થી 30 એપ્રિલ સુધી વીજ પુરવઠો ખોરવાશે

વડોદરા: શહેરના દક્ષિણ વિભાગના અનેક વિસ્તારોમાં વીજ રીપેરીંગની કામગીરીને કારણે 25થી 30 એપ્રિલ દરમિયાન સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. લાલબાગ વિભાગની કચેરીના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો અગાઉથી જાણ કર્યા વિના ચાલુ કરાશે. નાગરિકોને અસુવિધા ન થાય તે માટે આગોતરું આયોજન કરવા વિનંતી કરાઈ છે.

તરસાલી સબ ડિવિઝનમાં 25 એપ્રિલ (શુક્રવાર)ના રોજ હાઇવે ફીડરની આસપાસના વિસ્તારોમાં વીજ બંધ રહેશે. જીઆઇડીસી સબ ડિવિઝનમાં 25 એપ્રિલે સ્કાઈ ઓનિક્સ ફીડર, 27 એપ્રિલ (રવિવાર)ના રોજ તિરુપતિ ફીડર અને 28 એપ્રિલ (સોમવાર)ના રોજ યુજી 3 ફીડરના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરંભે પડશે. આ ઉપરાંત, માંજલપુર સબ ડિવિઝનમાં 29 એપ્રિલ (મંગળવાર)ના રોજ નંદનવન ફીડર અને વાડી સબ ડિવિઝનમાં 28 એપ્રિલે રામ ચોક ફીડર તથા 30 એપ્રિલ (બુધવાર)ના રોજ ભવાની કુંજ ફીડરના આસપાસના વિસ્તારોમાં વીજ બંધ રહેશે.

આ રીપેરીંગ કામગીરી વીજ વિતરણની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અનિવાર્ય છે. લાલબાગ વિભાગે નાગરિકોને વીજ પુરવઠો બંધ રહેવાના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે. વધુ માહિતી માટે વીજ વિભાગની નજીકની કચેરીનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

પહલગામમાં નરસંહાર, 3 ગુજરાતીઓએ ગુમાવ્યો જીવ, સાંજે પાર્થિવ દેહ વતન આવશે

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે બપોરે બૈસરણ વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા, આ હુમલામાં ત્રણ ગુુજરાતીઓઅ જીવ ગુમાવ્યો છે. જેમાં ગુજરાતના ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત તેમજ સુરતના શૈલેષભાઈ કળથીયા (44)નો સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત આતંકીઓએ પ્રવાસીઓ અને સ્થાનિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ભાવનગરના વિનુભાઈ ડાભી (62) ગોળી વાગવાથી ઘાયલ થયા. તેમને અનંતનાગ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા. હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી. ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી, 23 એપ્રિલે ઘાયલોની મુલાકાત લીધી.

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મંગળવારે સુરતના યુવકનું અને બુધવારે (આજે) ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું. ત્યારે સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. ત્યારબાદ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા મૃતકોના પાર્થિવ દેહને મુંબઇ લાવવમાં આવશે. ત્યારબાદ જે-તે રાજ્યમાં મોકલવામાં આવશે. ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલએ જણાવ્યું હતું કે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને સાંજે 4 કલાકે મુંબઇ એરઓર્ટ પર લાવવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ભાવનગર પહોંચતાં સાંજના 7:00 વાગી જશે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલો ભાવનગરના 20 પ્રવાસીઓના ગ્રૂપ પર થયો, જે 16 એપ્રિલે 15 દિવસની યાત્રાએ નીકળ્યું હતું. ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લઈ, ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલ અને સુરત વહીવટે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સંકલન કરી મૃતદેહો પરત લાવવાની અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરી છે. શ્રીનગર કંટ્રોલ રૂમે ઈમરજન્સી નંબર (0194-2483651, 7780805144) જાહેર કર્યા. PDP ચીફ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, ‘ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (23 એપ્રિલ) સંપૂર્ણપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નક્કી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.’

આ ઘટનાએ અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા ચિંતા વધારી છે, જેનો બેઝ કેમ્પ પહલગામમાં છે. 2024માં 35 લાખ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી, પરંતુ હવે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને ફટકો પડવાની ભીતિ છે. વડાપ્રધાન મોદીએ હુમલાની નિંદા કરી, આતંકીઓને સજાની ચેતવણી આપી. સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું, જ્યારે બરામુલ્લામાં ઘૂસણખોરી નિષ્ફળ બનાવાઈ. ભાવનગર-સુરતમાં શોકનો માહોલ છે.