Home Blog Page 798

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

ટીનેજ છોકરાઓને ટાર્ગેટ બનાવતો વિકૃત ટ્રેન્ડ : મોનોસ્પિયર કોમ્યુનિટી

ઓણમનો તહેવાર હતો,12 વર્ષના કમલને, તેના પિતાની હરકતો થોડી ડંખી રહી હતી કે તે ટેબલ પર મહેમાનોને પાયસમ વગેરે પીરસતા હતાં,જેનાથી બધા ખૂબ ખુશ હતાં. થોડી વારમાં કમલે પોતાનો કાબુ ગુમાવ્યો અને મહેમાનોની સામે તેમને તેમના પિતાને ‘બીટા મેન’ થી સંબોઘી કહ્યું કે “તમે જે કરો છો એ કંઈ મોટી વાત નથી.”આ કામ તમારું નથી.

આવી શરમજનક ટિપ્પણી માટે તેને થોડી વારમાં તેના પિતા સામે માફી માંગી. મહેમાનો વધુ સમજી ના શક્યા, પણ તેના માતા પિતા માટે આ રીતની ઘટના અપમાન નહીં પણ ચિંતાનો વિષય હતો. તેના માતાપિતાની નજર હવેથી કમલના બિહેવિયર પર હતી. તેની મા સાથે વાતચિતમાં, ઘણી વખત બધી ‘સ્ત્રીઓ એક જેવી’, ‘સ્ત્રી મગજ’ જેવા ઉચ્ચારણ કરતો. સ્કૂલમાં પણ અભદ્ર વર્તનને કારણે તેમની ફરિયાદો વધવા લાગી.

થોડું એવુ કંઈ જેના મૂળ વધુ ઊંડા અને તીવ્ર હતાં, જે આસપાસના વાતાવરણથી કઇ અલગ હતું. કમલના માતાપિતા એ તેમની પર નજર રાખવાનું શરૂ કર્યું. એક વખત તેમના ઈન્ટરનેટ બ્રાઉસરની હિસ્ટ્રી ચેક કરતાં તેના માબાપ ચિંતામાં મુકાય ગયાં. એમનો પુત્ર એક ખતરનાક કોમ્યુનિટીનો એક ભાગ બનવા જઈ રહ્યો હતો. જ્યાં બાળકોમાં, ખાસ કરીને 10 થી 14 વર્ષના છોકરાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. મોનોસ્પિયર નામની કોમ્યુનિટી આ રીતે છોકરાઓના માનસ પર મહિલાઓ વિરુદ્ધ, ઝેર ભરવામાં જાણીતા છે.

મેનોસ્ફિયર શું છે?

મેનોસ્ફિયર એ ઈન્ટરનેટ પર પેદા થયેલો એક એવો સમુદાય છે, જે પુરુષોની સ્વતંત્રતા, સ્ત્રીઓથી બચવું, આધુનિક સંબંધોને નકારવું, જેવી વાત પર ભાર મૂકે છે. જ્યાં Alpha Male એ, હંમેશા જીતવા લાયક અને Beta Male એ કિચનમાં કામ કરતો પુરુષ, થોડો પ્રેમાળ પુરુષ કે એક હારેલો માણસ. જ્યાં સ્ત્રીઓ માટે ફોઇડ કે ફમોઈડ જેવા શબ્દો વપરાય છે જેને સ્ત્રી તો ઠીક, પણ માણસ પણ નથી માનવામાં આવતી, જે માત્ર પુરુષોનો ફાયદો ઉઠાવે છે. જેઓ 80/20 ના નિયમને માને છે જેમાં એવુ શીખડાવવામાં આવે છે કે, 80 % સ્ત્રીઓ પુરુષોના બેન્ક બેલેન્સ માટે લગ્ન કરે છે. જે હકીકતથી ઘણા દૂર છે. એક એવી ભ્રમિત દુનિયા જેમાં, ઘર સંસાર, લગ્ન જેવી બાબતોને તુચ્છ ગણવામાં આવે છે.

મોનોગેમી અને મનોવિજ્ઞાન

યુવાનો વર્ગમાં એક માનસિકતા ફેલાવવામાં આવે છે કે મોનોગેમી એટલે એક પ્રકારનું સોશિયલ ટ્રેપ,જયારે મોનોગેમી એટલે પ્રેમ અને ભરોસાનો સંબંધ હોય છે જેમાં બંને પાર્ટનર એકબીજાની સાથે વિકાસ કરે છે, પણ આ સમુદાય તેને પુરુષો માટેની ગુલામી તરીકે રજૂ કરે છે.

જે બાળકો અત્યારથી “સ્ત્રીઓ વિશ્વાસપાત્ર નથી”, “લગ્ન પોઈઝન છે”, “પ્રેમ એક પાંજર છે” જેવા વિચારોમાં ફસાઈ જાય છે, તેઓ આગળ જઇને પ્રેમ, સંવેદના અને સહયોગ જેવા ભાવો ગુમાવી દે છે. અને આગળ જતાં કોઈની પણ સાથે સબંધો વિકસાવી શકતા નથી. જે અમુક સ્થિતિમાં ભયંકર એકલતા, કે ડિપ્રેસનનો શિકાર બની શકે છે.

ઇન્ટરનેટની ઊંડી દુનિયામાં એન્ડુ ટેટ, જેવા ઇન્ફલુએન્સર્સનો રાફડો ફાટેલો છે. જેઓ લાખોની સંખ્યામાં ફોલોવર્સ ધરાવે છે. ભારતમાં પણ તેના ઘણા જ ફોલોવર્સ છે. જેનો ટાર્ગેટ ટીનેજ અને યુવાન છોકરાઓ હોય છે. જે ફિટનેસ, વેલનેસ ટિપ્સ, જેવી બાબતોના સહારે તેઓને આકર્ષિત કરે છે. મેટ્રોમોનિયલ સાઈટ પર યુવાઓને ભડકાવાની કોશિશ કરે છે. જયારે હકીકતમાં એન્દ્રુ ટેટ પર રેપ જેવા અનેક ગુનાઓની તપાસ ચાલી રહી છે જે રોમાનિયામાં જેલમાં છે.

ઇન્ટરનેટની એકાદ અદ્રશ્ય ગલી પણ તમારા બાળકોના ભવિષ્ય બગાડવા માટે કાફી છે. જે માનસ, આ રસ્તે જઈ ચુક્યા છે, કદાચ એમની માનસિકતા બદલવી શક્ય નથી પણ નવી પેઢીને ચોક્કસ માર્ગદર્શન દ્વારા જરૂર વાળી શકાય છે. આવી બાબતો સ્કૂલ કે ક્લાસીસમાં ભણાવવામાં આવતી નથી. આ કેળવણી માતાપિતા દ્વારા ઘરમાં જ મળી શકે છે. બાકી મોનોગેમી માત્ર સંબંધ નથી, તે વ્યક્તિના માનસિક સંતુલન, સામાજિક સહઅસ્તિત્વ અને ભવિષ્યની પેઢી માટે નમ્રતા શીખવાનો માર્ગ છે. જે ઘરમાં બાળક માતા-પિતાના પ્રેમાળ જીવનના જીવંત ઉદાહરણ જોઈને મોટું થાય છે, તે સાચા જીવનમૂલ્યો તરફ વળી શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

૦૪ જુલાઈ ૨૦૨૫

વાસ્તુ મુજબ પાણીની ટાંકી ક્યાં મૂકી શકાય?

સમય સમયનું કામ કરે જ છે. આજે જેનો જેવો સમય છે એ કાલે ન પણ હોય. હવામાં ઉડતું વિમાન માત્ર એક ચકલીના અથડાવાથી જમીન પર આવી જાય છે. એક વિશાળ જહાંજ એક હિમશીલાના ટકરાવાથી દરિયામાં ગરકાવ થઇ શકે છે. કોઈ વ્યક્તિ કે કોઈ સમય કાયમ નથી રહેતા. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને સત્ય પર ગમે તેટલા આવરણ ચડાવી દેવામાં આવે, ગમે તેટલા નકારાત્મકતાના ઢોલ વગાડવામાં આવે પણ અંતે સત્ય સામે આવે જ છે. માણસ સતત કુદરતને મ્હાત આપવા મથી રહ્યો છે. પણ કુદરત શાંતિથી પોતાનું કાર્ય કર્યા જ કરે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું ઈશ્વરને ત્યાં ન્યાય હોય છે? અમારું આખું ફેમીલી બીજા માટે સારું જ વિચારે છે. લોકોને મદદ કરવા માટે અમે અમારા બધા પૈસા ખર્ચી નાખ્યા. અમે જેમને મદદ કરી એ જ લોકો હવે અમારી મજાક કરે છે. અન્યની સામે ઉતારી પાડે છે. નોકરો જેવો વ્યવહાર કરે છે. જો કર્મનો સિદ્ધાંત લાગુ પડતો હોય તો આવું શા માટે થાય છે?

જવાબ: જયારે કંસ દેવકીને વળાવતો હતો ત્યારે આકાશવાણી થઇ હતી કે દેવકીનું  આંઠમુ સંતાન તારો  વધ કરશે. કંશે દેવકી અને વસુદેવને કેદ કરી લીધા. પછી એ ખુબ સારો માણસ બની ગયો. એનો વધ કરવા માટે એની પાસે પાપ કરાવવા જરૂરી હતા. કંસ પાસે નારદજી કમળનું ફૂલ લઈને ગયા. અને પૂછ્યું કે આની આંઠમી પાંદડી કઈ. કંસ એ ન બતાવી શક્યો. એટલે નારદજીએ સમજાવ્યું કે સમયનું ચક્ર પણ કમળના ફૂલ જેવું છે. કયા જનમનો દીકરો તારો વધ કરશે એ તને ક્યાં ખબર છે? અને કંસને ક્રોધ આવ્યો. એ પાછો ઘાતકી થઇ ગયો. આવું જ ક્યારેક બનતું હોય છે. કુદરત જેને ખોટું કરવામાં સાથ આપે એનો અંત આપણને ખબર નથી. તમે સહુનું ભલું કર્યું છે.

હા, એ વાત સાચી છે કે આજના જમાનામાં પૈસાનું ખુબ મહત્વ છે. પણ એનાથી પણ વિશેષ મહત્વ છે સંતોષનું. જેના વિના સુખ શક્ય નથી. હવે તમે વિચારો તમે સુખી છો? જે લોકો અઢળક ધન હોવા છતાં તમારું અપમાન કર્યા કરે છે એ સુખી નથી. કોઈને નીચા દેખાડવાથી વ્યક્તિ મોટી નથી થઇ જતી. અન્યને સન્માન આપવાની કળા ઈશ્વર બધાને નથી આપતા. તમે જેવા છો એવા જ રહો. ઈશ્વર જરૂર સાથ આપશે.

સવાલ: ઈશાનમાં પાણીની ટાંકી હોવી જોઈએ એવી વાત મેં વાંચી છે. મેં ઈશાનમાં ઓવરહેડ ટાંકી બનાવી પછી ઘરમાં ખુબ સમસ્યાઓ આવી છે. આવું કેમ થાય છે?

જવાબ: અધૂરું જ્ઞાન હમેશા નુકશાન કરે છે. ઈશાનમાં પાણીની ટાંકી ક્યાં કેવી રીતે, કયા માપની, કેવા પ્રકારની આવી ઘણી બધી બાબતોનો તમે અભ્યાસ નથી કર્યો. માત્ર કોઈ પણ પ્રકારની ટાંકી મુકીને આખા શાસ્ત્રને દોષ ન આપી શકાય. ઈશાનમાં ઓવરહેડ ટાંકી હોય તો હૃદયને તકલીફ પડે એવું બને. જો તમને આવો અનુભવ થતો હોય તો તમને શાસ્ત્રમાં વિશ્વાસ આવશે. ભારતીય વાસ્તુશાસ્ત્ર ગહન વિષય છે. એને કોઈ રીલ્સ કે સામાન્ય પુસ્તકમાંથી આત્મસાત ન કરી શકાય. વળી પોતે ભૂલ કરીને આપણા શાસ્ત્રોને વખોડવાની ફેશન ચાલી છે એ પણ આપણી સંસ્કૃતી માટે ઘાતક છે.

સુચન: ઇશાન ખુણામાં પાણીની ટાંકી હોય તો સાયનસ થઇ શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

Chitralekha Gujarati – 14 July, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ યુએસ સંસદમાં પાસ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ ગુરુવારે મોડી રાત્રે પસાર થયું. ટ્રમ્પના આ મહત્વાકાંક્ષી બિલને દેશની સંસદ દ્વારા અંતિમ મંજૂરી મળી ગઈ છે. ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા 218-214 ના માર્જિનથી પસાર થયું છે. 218 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો જ્યારે 214 સાંસદોએ આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ગૃહ દ્વારા આ ટેક્સ બિલને અંતિમ મંજૂરી મળતાની સાથે જ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સહી માટે મોકલવામાં આવ્યું હતું. આ બિલ પસાર થવું ટ્રમ્પના બીજા કાર્યકાળની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી પસાર થયા પછી, આ બિલ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. બિલ પર મતદાન દરમિયાન, બે રિપબ્લિકન સાંસદોએ પાર્ટી લાઇનથી ભટકીને ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હતું. આ બિલ પસાર થવાથી ટ્રમ્પની ઘણી મુખ્ય નીતિઓને કાનૂની બળ મળ્યું, જેમાં સામૂહિક દેશનિકાલ, લશ્કરી અને સરહદ સુરક્ષા પર વધુ ખર્ચ અને પ્રથમ કાર્યકાળની કર મુક્તિનો સમાવેશ થાય છે. બિલ પસાર થયા પછી, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે (4 જુલાઈ) સાંજે 5 વાગ્યે તેમના મુખ્ય કર મુક્તિ અને ખર્ચ ઘટાડા બિલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે.

યુએસ સંસદમાં બિલ પર ચર્ચા

યુએસ સંસદમાં ચર્ચા દરમિયાન, 80 થી વધુ પાનાના આ ભારે બિલ પર ચર્ચા કેટલી વિગતવાર હતી તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ન્યૂ યોર્ક ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીસે બિલના વિરોધમાં આઠ કલાકથી વધુ સમય સુધી ભાષણ આપ્યું. ટ્રમ્પને આ બિલ પસાર કરાવવા માટે સખત મહેનત કરવી પડી. આ બિલ માટે GOP નેતાઓએ રાતોરાત કામ કરવું પડ્યું અને ટ્રમ્પે પણ પૂરતા મત મેળવવા માટે હોલ્ડઆઉટ્સ પર વ્યક્તિગત રીતે દબાણ કર્યું.

બિલ કેવી રીતે પસાર થયું

  • આ બિલ 218 મતોથી પસાર થયું જ્યારે 214 સાંસદોએ તેનો વિરોધ કર્યો.
  • કેટલાક રિપબ્લિકન સાંસદો શરૂઆતમાં આ બિલની વિરુદ્ધ હતા, પરંતુ સ્પીકર માઇક જોહ્ન્સનને તેમને મનાવી લીધા.
  • ડેમોક્રેટ સાંસદ હકીમ જેફ્રીસે બિલનો વિરોધ કર્યો અને લગભગ 8 કલાક સુધી ભાષણ આપ્યું, જેથી મતદાનમાં વિલંબ થઈ શકે.

હવે આ બિલ 4 જુલાઈ, અમેરિકાના સ્વતંત્રતા દિવસના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સહી માટે મોકલવામાં આવશે.

બિલમાં શું ખાસ છે

આ બિલમાં કર કાપ, લશ્કરી બજેટ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે વધારાનો ખર્ચ, તેમજ આરોગ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી મુખ્ય જોગવાઈઓ શામેલ છે. આ બિલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મોટા પાયે દેશનિકાલ માટે ખર્ચ વધારવા સાથે પણ સંબંધિત છે. જ્યારે અન્ય વિરોધીઓ માને છે કે આ ખર્ચ દેશના આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને અસર કરે તેવી શક્યતા છે. આ કારણોસર, ઉદ્યોગપતિ એલોન મસ્ક સહિત એક મોટો વર્ગ આ બિલનો વિરોધ કરી રહ્યો છે અને તેની ટીકા કરી રહ્યો છે.

ટ્રમ્પની પ્રતિક્રિયા

આ પ્રખ્યાત બિલ પસાર થતાંની સાથે જ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે કહ્યું, ‘આ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ બિલ છે. અમેરિકા આજે વિશ્વનો સૌથી ગરમ (પ્રગતિશીલ) દેશ છે!’. ટ્રમ્પ વહીવટીતંત્રના મતે, આ બિલ 2017 ના ટેક્સ કટ અને જોબ્સ એક્ટને કાયમી ધોરણે લાગુ કરવા તેમજ તેમના ચૂંટણી વચનોને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

પંચાંગ 04/07/2025

ENG vs IND : શુભમન ગિલની બેવડી સદી, સચિન-કોહલીના રેકોર્ડ તોડ્યા

બર્મિંગહામમાં ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ સંપૂર્ણપણે શુભમન ગિલના નામે રહ્યો, જેણે એક પછી એક રેકોર્ડ તોડ્યા અને મહાન રેકોર્ડ બનાવ્યા. આ દરમિયાન, તે સેના દેશોમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન પણ બન્યો.

આ ઉપરાંત, તે ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમનાર કેપ્ટન પણ બન્યો. આ રીતે, તેણે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના મહાન રેકોર્ડ એક જ ઇનિંગમાં તોડી નાખ્યા. એટલું જ નહીં, તે ભારતનો પહેલો બેટ્સમેન છે જેણે ફક્ત ઇંગ્લેન્ડમાં જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાં પણ 250 થી વધુ રન બનાવ્યા છે. બીજો કોઈ ભારતીય આ કરી શક્યો નથી. સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓને પણ પાછળ છોડી દેવામાં આવ્યા છે.

શુભમન ગિલ સેના દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર, ભારતની ટેસ્ટની દિવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ અને લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. સચિન તેંડુલકરે 2004માં સિડનીમાં અણનમ 241 રન બનાવ્યા હતા, જ્યારે દ્રવિડે 2003માં એડિલેડમાં 233 રન બનાવ્યા હતા. તે જ સમયે, સુનીલ ગાવસ્કરે 1979માં ઓવલમાં 221 રન બનાવ્યા હતા. આ રીતે, શુભમન ગિલે 242મો રન બનાવતાની સાથે જ, તેણે આ મહાન ક્રિકેટરોને પાછળ છોડી દીધા.

સેના દેશોમાં ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોનો શ્રેષ્ઠ સ્કોર

255* રન – શુભમન ગિલ

241 રન – સચિન તેંડુલકર

233 રન – રાહુલ દ્રવિડ

221 રન – સુનીલ ગાવસ્કર

કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ અત્યાર સુધી વિરાટ કોહલીના નામે નોંધાયેલો હતો, પરંતુ શુભમન ગિલે તેને પણ છીનવી લીધો. શુભમન ગિલ હવે એવો બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં કેપ્ટન તરીકે ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમી છે. વિરાટ કોહલીએ 2019 માં પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે 254 રન બનાવ્યા હતા, પરંતુ ગિલે સમાચાર લખ્યા સુધી 255 થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી પણ ત્રીજા નંબરે છે, જેમણે 2017 માં શ્રીલંકા સામે 243 રન બનાવ્યા હતા.

ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન

255* રન – શુભમન ગિલ

254 રન – વિરાટ કોહલી

243 રન – વિરાટ કોહલી

આ શ્રેણી પહેલા, ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન બનેલા શુભમન ગિલે 348 બોલમાં 29 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 250 રનનો પર્વત જેવો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ 71.84 થઈ ગયો છે, બેવડી સદી પછી તે ખૂબ જ ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે. આજની રમતમાં, ફક્ત એક જ વિકેટ પડી છે, રવિન્દ્ર જાડેજાની, જે સદી ચૂકી ગયો. તેના પછી વોશિંગ્ટન સુંદર આવ્યો અને તેણે કેપ્ટનને સારો સાથ આપ્યો.

PM મોદીએ ઘાનાની સંસદને સંબોધિત કરી

વડાપ્રધાન મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા. ગુરુવારે ઘાનાએ પીએમ મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કર્યા. આ પછી, પીએમ મોદીએ ઘાનાની સંસદને સંબોધિત કરી. સંસદને સંબોધિત કરતા, પીએમ મોદીએ સર્વોચ્ચ સન્માન આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.

ઘાનામાં હોવું એ એક સૌભાગ્યની વાત છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે આ પ્રતિષ્ઠિત ગૃહને સંબોધિત કરવાનો મને ખૂબ ગર્વ છે. ઘાનામાં હોવું એ એક સૌભાગ્યની વાત છે, તે એક એવી ભૂમિ છે જે લોકશાહીની ભાવનાથી રંગાયેલી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહીના પ્રતિનિધિ તરીકે, હું મારી સાથે 1.4 અબજ ભારતીયોની શુભેચ્છાઓ અને શુભેચ્છાઓ લઈને આવ્યો છું. ઘાના તરફથી મળેલા સર્વોચ્ચ સન્માન માટે હું 140 કરોડ ભારતીયો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ઘાનાને સોનાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ફક્ત તમારી માટીની નીચે રહેલી વસ્તુઓ માટે જ નહીં પરંતુ તમારા હૃદયમાં રહેલી હૂંફ અને શક્તિ માટે પણ.

પીએમ મોદીએ કહ્યું, આજે મને સ્વપ્નદ્રષ્ટા રાજનેતા અને ઘાનાના પ્રિય પુત્ર ડૉ. ક્વામે નક્રુમાહને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો. તેમણે એક વખત કહ્યું હતું કે જે શક્તિઓ આપણને એક કરે છે તે આપણને અલગ રાખનારા પ્રભાવો કરતાં ઘણી મોટી છે. તેમના શબ્દો આપણી સહિયારી યાત્રાને માર્ગદર્શન આપતા રહેશે.

ઘાના હિંમત સાથે ઉભો છે – પીએમ મોદી

પોતાના સંબોધનમાં, પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતમાં 2500 રાજકીય પક્ષો છે. 20 અલગ અલગ પક્ષો વિવિધ રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતમાં આવતા લોકોનું ભારતમાં ભવ્ય સ્વાગત થાય છે. ભારતના લોકો ઘાનામાં એવી રીતે ભળી જાય છે જેમ ચામાં ખાંડ ભેળવવામાં આવે છે. પીએમએ કહ્યું, જ્યારે આપણે ઘાના તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક એવો રાષ્ટ્ર જોઈએ છીએ જે હિંમત સાથે ઉભો છે. સમાવિષ્ટ પ્રગતિ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાએ ખરેખર ઘાનાને સમગ્ર આફ્રિકન ખંડ માટે પ્રેરણાનું કેન્દ્ર બનાવ્યું છે.

મુંબઈમાં ડાયમંડ કંપની હરિ ક્રિષ્ના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં 3 જુનના રોજ જાણીતી ડાયમંડ કંપની હરિ ક્રિષ્ના ગ્રૂપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીની સ્થાપનાને 33 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

હરિ ક્રિષ્ના ગ્રૂપ પોતાની સામાજિક પ્રતિબદ્ધતાને બહુ સહજ ભાવે અમલમાં મૂકે છે. ગુજરાતમાં 160 ઉપરાંત માનવ નિર્મિત તળાવો બનાવવાથી માંડીને ગુજરાત તથા મુંબઈમાં વર્ષની ત્રણ રક્તદાન શિબિરના આયોજન જેવા સરાહનીય કાર્યો આ ગ્રૂપ કરે છે.

રક્તદાન શિબિરમાં કવિ તથા કટારલેખક હિતેન આનંદપરા અને કવિ સંજય પંડ્યા સહિતના અનુભવીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હિતેન આનંદપરાએ રક્તને લગતા કેટલાક શેર સંભળાવી હોદ્દેદારોના વાંચન પ્રેમને પણ બિરદાવ્યો હતો.સ્ટાફને જન્મદિવસે અપાતા પુસ્તકની પરંપરા માટે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘સત્કર્મ કરવા માટે પણ ઈશ્વરની કૃપા જરૂરી છે ‘ એવું કવિ સંજય પંડ્યાએ જણાવ્યું હતું. ડૉ.હિમાંશુ મહેતાએ પોતાની પ્રવાહી વક્તવ્ય શૈલીમાં રક્તદાન વિશે વાત કરી હતી તો રિટેલર્સ અસોશિયેશનના અધ્યક્ષ વિરેન શાહે પણ ગ્રૂપના કાર્યને બિરદાવ્યું હતું.

ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકીયાએ શરૂઆતમાં સહુ અતિથિનું સ્વાગત કર્યું અને ગ્રૂપના ન્યૂસલેટર એચકે કનેક્ટના વિશેષ અંકનું સહુએ લોકાર્પણ કર્યું હતું. ઘનશ્યામભાઈએ કહ્યું કે ઓછા ભણતર છતાં ફક્ત મહેનત અને વિઝન દ્વારા ગ્રૂપ નવાં શિખરો સર કરતું જાય છે. એમણે એનો યશ સમગ્ર સ્ટાફને આપ્યો હતો. એમના પુત્ર હિતાર્થે ગ્રૂપની સામાજિક જવાબદારી અને પ્રતિબદ્ધતા સતત જળવાઈ રહેશે એ વાત પર ભાર મૂક્યો.

ગ્રૂપનો બૅન્કીંગ વહીવટ સંભાળનાર કે.બી.રાજગોપાલનની પણ વિશેષ હાજરી હતી. ગ્રૂપના ઍડમિનિસ્ટ્રેશન તથા માર્કેટીંગના હસુ ધોળકીયા, પરાગ શાહ, મહેશ ગડાની ઉપરાંત ડાયમંડ બુર્સના ડીલર્સની પણ હાજરી હતી. રક્તદાન શિબિરમાં 605 બૉટલ રક્ત એકઠું થયું હતું.