Home Blog Page 695

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

ગાંધીનગર: ગુજરાતમાં રક્ષાબંધનનો તહેવાર સ્વ-સહાય જૂથની અનેક બહેનોના આત્મનિર્ભરતા અને સશક્તિકરણની ગાથા બની રહ્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી રક્ષાબંધન નિમિત્તે રાજ્યના અનેક સ્વ-સહાય જૂથની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને અને તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે.માત્ર હાથથી બનાવેલી રાખડી જ નહિ, પરંતુ રક્ષાબંધન તહેવારને અનુરૂપ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવે છે. જેમાં આ બહેનો રાખડી, મીઠાઈ, કંકાવટી, આરતીની સુશોભિત થાળી જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે. ગુજરાતભરના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની આશરે ૧૫,૦૦૦થી વધુ બહેનો રાખડી અને ગિફ્ટ હેમ્પર્સ બનાવીને તેનું રીટેઈલ અને હોલસેલ વેચાણ કરીને સન્માનજનક આવક મેળવી રહી છે.આ બહેનો દ્વારા હાથથી બનાવવામાં આવતી આ રાખડીમાં સાડી, કપડાના ટુકડા, માટી, શણ, છાણ જેવી ઇકો ફ્રેન્ડલી ચીજ-વસ્તુઓનો સમાવેશ કરીને તેને સ્થાનિક કલાથી શણગારવામાં આવે છે. સ્થાનિક વસ્તુઓથી બનેલી આ રાખડી બજાર ભાવની તુલનાએ સસ્તી અને ભાવનાત્મક રીતે જોડાયેલી હોવાથી તેનું સ્થાનિક બજાર, સરસ મેળા, સ્કૂલો, ઓફિસો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ રાખડીઓ માત્ર સુતરનો તાંતણો નથી, પણ આ બહેનોના સપના, મહેનત અને આશાનું પ્રતીક છે.

રાખડી બનાવતી સ્વ-સહાય જૂથની બહેનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં “રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં રાખડીઓની સાથે સખી મંડળની બહેનો દ્વારા તહેવાર માટે તૈયાર કરાયેલી મીઠાઈઓ, આરતીની સુશોભીત થાળી, કંકુ અને ચોખા માટે ડેકોરેટિવ કંકાવટી, ફરાળી તેમજ અન્ય નાસ્તાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં કાર્યરત ‘જય ગજાનંદ મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથની બહેનો સમગ્ર વર્ષ દરમિયાન રાખડીઓ બનાવે છે. તહેવારના સમયમાં જૂથનાં જ એક બહેન પોતાની કટલરીની દુકાનમાં આ રાખડીઓનું વેચાણ કરે છે. જ્યારે, બાકીના સમયમાં રાખડીઓનું હોલસેલ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ઘરે બેઠા પોતાના ફુરસતના સમયે રાખડી બનાવીને આ સખી મંડળની પ્રત્યેક બહેનો પ્રતિમાસ ઓછામાં ઓછી રૂ. ૬,૦૦૦ અને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ જેટલી આવક મેળવીને આત્મનિર્ભર બની છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધકવાડા ગામના “રામદેવપીર સખીમંડળ” સાથે જોડાયેલી બહેનો છેલ્લાં બે વર્ષથી માત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી બનાવીને તેનું વેચાણ કરે છે. આ સખી મંડળની બહેનો રક્ષાબંધન નિમિત્તે માત્ર રાખડીના વેચાણથી જ વર્ષે રૂ. ૧૨,૦૦૦ સુધીની વધારાની આવક મેળવી રહ્યા છે.

ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી

લખનઉ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનઉ ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનશે તેવો વિશ્વાસ અહીં વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના ઉજ્વળ ભવિષ્ય નિર્માણ માટેના મુખ્ય પરિબળો ગણાવ્યા હતા.

અદાણી ગ્રુપના ચેરમેને આગામી પેઢીને આ ઐતિહાસિક ક્ષણને હિંમત અને કલ્પનાશક્તિ સાથે ઝડપી લેવા જણાવ્યું હતું. તેમણે ભારતને 21મી સદીની સૌથી મોટી આર્થિક તક ગણાવતા જણાવ્યું કે “તમારી કારર્કિર્દીના સૌથી મહત્વપૂર્ણ વર્ષો ભારતના સૌથી શક્તિશાળી સમય સાથે સુસંગત રહેશે. તમારી કારકિર્દી એક એવા રાષ્ટ્ર સાથે ઉભરશે જેને $3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અંદાજવામાં આવે છે.”

ગૌતમ અદાણીએ યુવા વસ્તી, મજબૂત સ્થાનિક માંગ, આધાર અને UPI જેવા અદ્યતન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ભારતીય નવીનતાને બળ આપતી વધતી સ્થાનિક મૂડીને ભારતના ઉદય માટેના ડ્રાઇવર્સ ગણાવ્યા હતા. ભારતના અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને તેમણે સમાવેશક અને સ્કેલ માટેના લોન્ચપેડ ગણાવ્યા હતા. ગૌતમ અદાણીની $25 ટ્રિલિયન ડોલરની આગાહી S&P ગ્લોબલ જેવી વૈશ્વિક સંસ્થાઓના અંદાજોને વટાવી જાય છે, જે 2030 સુધીમાં ભારતને ટોચના 3 અર્થતંત્ર તરીકે માને છે.

ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સાહસિક બનવા અને સંભાવનાઓને સ્વીકારવા કહ્યું. તેમણે કહ્યું હતું કે “કંઈક નવું બનાવવા માટે તમારે નકશાની જરૂર નથી, ફક્ત શક્યતાઓ તરફ નિર્દેશ કરતા હોકાયંત્રની જરૂર છે.”

ગૌતમ અદાણીએ IIM લખનઉ ખાતે જણાવ્યું કે, “આધાર, UPI અને ONDC સહિત ભારતનું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે અજોડ છે અને 2050 સુધીમાં દેશને $25 ટ્રિલિયન અર્થતંત્ર તરફ દોરી જશે.

ગૌતમ અદાણીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ઉર્જા પ્રોજેક્ટ્સમાંના એક કોલસા પ્રોજેક્ટ પર તેમના જૂથ દ્વારા સામનો કરવામાં આવેલા ઉગ્ર વિરોધનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે “બેંકો અને વીમા કંપનીઓએ અમને છોડી દીધા, કાર્યકરોએ રસ્તાઓ રોક્યા, છતાં અમે પીછેહઠ ન કરી.” ક્વીન્સલેન્ડ પ્રોજેક્ટને તેમણે કોલસાના ધંધો નહીં પરંતુ ભારત માટે વધુ સારી ગુણવત્તાવાળા કોલસાને સુરક્ષિત કરી ઉર્જા સ્વતંત્રતાને મજબૂત બનાવવાનું પગલું ગણાવ્યું હતું. આજે આ પ્રોજેક્ટ હજારો લોકોને રોજગાર અને ભારતીય ઉદ્યોગોને પાવર આપે છે.

IIM લખનઉ ખાતે ભાવુક સંબોધનમાં, ગૌતમ અદાણીએ મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસને નૈતિક જવાબદારી ગણાવી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યુ હતું કે, “ધારાવી સુવિધા માટે નથી – તે અંતરાત્માનો અવાજ છે. જ્યારે કેટલાય લોકો આત્મગૌરવ વિનાનું જીવે છે ત્યારે કોઈ પણ રાષ્ટ્ર ઉભરી શકતું નથી.”

અદાણીએ પોતાનો સંકલ્પ સમજાવતા જણાવ્યું હતું કે “લોકોના મતે તે ખૂબ જોખમી પ્રોજેક્ટ છે, રાજકીય પણ છે. તેથી જ મેં કહ્યું કે આપણે તે કરવો જોઈએ.” આ પ્રોજેક્ટ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે, ફક્ત ઇમારતો બનાવવાનો નહીં.

ભારતે 3.6 અબજ $ની બોઇંગ જેટ ડીલ પર લગાડી બ્રેક?

નવી દિલ્હીઃ રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાને કારણે અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. સામે પક્ષે ભારતે બોઇંગ જેટ્સની $3.6 અબજની મોટી ડીલને હાલ માટે અટકાવી દીધી છે. છ વધારાના બોઇંગ P-8I સમુદ્રી પેટ્રોલ એરક્રાફ્ટ માટેના મૂળ ડીલને વર્ષ 2021માં US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા $ 2.42 અબજમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સપ્લાય ચેઇનમાં અવરોધો, મોંઘવારી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવવાને કારણે આ ડીલની કિંમત ઘણી વધી ગઈ છે.

સંરક્ષણ મંત્રાલયે હાલ માટે આ ડીલને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે અને ફરીથી સ્ટ્રેટેજિક રીતે આ ડીલનું મૂલ્યાંકન કરવામાં આવશે. પુનઃમૂલ્યાંકન દરમિયાન વધતી કિંમત, ભૂ-રાજકીય ગતિશીલતા અને સ્વાયત્તતા જેવા મુદ્દાઓ અંતિમ નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જોકે હાલ સુધીમાં આ સોદા અંગે અથવા તે રદ કરવામાં આવી હોવાનું કોઈ સત્તાવાર નિવેદન ભારત સરકાર તરફથી આપવામાં આવ્યું નથી.

પંચાંગ 08/08/2025

ભારત સાથે કોઈ વેપાર વાટાઘાટ નહીં થાયઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફ વિવાદ ઉકેલાઈ જાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વેપારની ચર્ચા નહીં થાય. તેમણે આ નિવેદન ભારતીય આયાત પર ટેરિફ બમણો કરવાના પોતાના પ્રશાસનના નિર્ણય પછી આપ્યું છે. ઓવલ ઑફિસમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને આશા છે કે નવા 50 ટકા ટેરિફને પગલે વાતચીત ફરી શરૂ થશે? તો ટ્રમ્પે જવાબ આપ્યો, ના, જ્યારે સુધી અમે આનું નિરાકરણ નહીં કરી લઈએ, ત્યાં સુધી નહીં.

વ્હાઇટ હાઉસે એક કાર્યકારી આદેશ જાહેર કર્યો, જેમાં ભારતીય માલસામાન પર 25 ટકા વધારાનો ટેરિફ લાગુ કરાયો છે, જેને કારણે કુલ ટેરિફ 50 ટકા થયો છે. પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સંબંધિત ચિંતાઓનો ઉલ્લેખ કર્યો છે, ખાસ કરીને ભારત દ્વારા રશિયન તેલના સતત આયાત તરફ ઈશારો કર્યો છે.

આ દેશમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આયાતો ભલે સીધી હોય કે દલાલોના માધ્યમથી, અમેરિકાને એક “અસામાન્ય અને અસાધારણ ખતરો” રજૂ કરે છે અને આર્થિક તાત્કાલિક પગલાં લેવાં યોગ્ય છે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના 25 ટકા ટેરિફ સાત ઓગસ્ટથી લાગુ થયો છે. આ વધારાનો શૂલ્ક 21 દિવસમાં લાગુ થશે અને અમેરિકી પોર્ટમાં પ્રવેશતા તમામ ભારતીય માલસામાન પર લાગુ થશે.  જોકે પહેલેથી જ ટ્રાંઝિટમાં હોય તેવા માલ અને કેટલીક મુક્ત કેટેગરીઓને છૂટ આપવામાં આવી છે.

સામે પક્ષે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત ખેડૂત, માછીમાર અને ડેરી ખેડૂતનાં હિતોથી કદી સંમતિ નહીં આપે. મને ખબર છે કે તેના માટે અમારે ભારે કિંમત ચૂકવવી પડશે અને હું તે માટે તૈયાર છું.

વાસ્તુ: આધુનિક ગરબા અને આપણી સંસ્કૃતિ

માણસ સતત કુદરતને હરાવવા પ્રયત્ન કરે છે. અને કુદરતના નિયમોને અવગણી એવો સંતોષ લે છે કે હવે કુદરત એને આધીન થઇ જશે. નવા સંશોધનો કરીને સાબિત કરવા માથે છે કે ટેકનોલોજી દ્વારા જ વિશ્વ ચાલી શકે. એ લાખો વરસનો કુદરતનો ઈતિહાસ જાણ્યા વિના એને વશમાં કરવા મથી રહ્યો છે. વશ ફિલ્મમાં પણ માણસ અન્યને સંપૂર્ણપણે વશમાં લઇ શક્યો ન હતો. તો આ તો હકીકત છે. ફિલ્મની સિકવલ બને અને ચાલે પણ ખરી. પણ જીવનની સિકવલ થોડી જ બને? કુદરતની સામે પડવા કરતા એની સાથે સંતુલન સાધીને મજાનું જીવન જીવીએ તો કેવું? કુદરતને વશમાં કરવા કરતા એને મિત્ર બનાવીએ તો?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: કુદરતનું તોફાન, અવ્યવસ્થિત અર્થ વ્યવસ્થા, વિવધ દેશો વચ્ચેની લડાઈ, વધતા ટેરીફ દર, આવી વિવિધ સમસ્યાઓ સામે આખું વિશ્વ જજુમી રહ્યું છે. તેમ છતાં કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કર્યા વિના લોન લઈને મોજશોખ પુરા કરે છે. અમે નાના હતા ત્યારે આસપાસના લોકોને જોઇને ગરબા શીખી લેતા. અને હવે લાખો રૂપિયાની ફી ભરીને મહિનાઓ સુધી ગરબા શીખવાનું ચાલે છે. વળી એને શીખવાડવા વાળા અને શીખવા વાળા બંનેના વસ્ત્રો જોઇને વિચાર આવે કે સાચે જ આ ગરબાના ક્લાસ છે ને? માની લઈએ કે ગરબાનું એક સ્ટેપ ખોટું લેવાઈ ગયું તો શું એના માટે ફાંસીની સજા થશે?

તકલીફમાં ભવિષ્યનો વિચાર ન કરીએ તો પણ આજનો વિચાર તો કરાય જ ને? ગરબા એ આધ્યાત્મિક પરંપરા છે. એમાં વળી ઝુમ્બા અને ડિસ્કો ક્યાંથી આવે? આપણે ક્યાંક સંસ્કૃતિના નામે મોજ્શોખતો નથી કરી રહ્યા ને? અને જુવાનીયાઓ તો ઠીક માબાપ પણ સમજ્યા વિના આવા ક્લાસમાં જાય છે. શું આખી જિંદગી ગરબા કર્યા પછી પણ કશું શીખ્યા નહિ? કે પછી ગરબાના નામે બીજું જ કશુક શીખી રહ્યા છે?

સાચે જ આપણી પેઢી ક્યાં અટકશે? એક તરફ સંસ્કૃતિ બચાવવા માટે આપણે બુમો પડીએ છીએ અને બીજી બાજુ આવી પ્રવૃતિનો આનંદ પણ લઈએ છીએ. ગરબા પાછળનું વિજ્ઞાન કોરાણે મુકાઈ ગયું છે અને એ માત્ર અર્થ સંપાદનની પ્રવૃત્તિ થઇ ગઈ હોય એવું લાગે છે.

જવાબ: સંસ્કૃતિ શીખવાડવા માટે સંસ્કૃતિની સમજણ હોવી જરૂરી છે. ગરબા કરવા જોઈએ. પણ એની પાછળનો આશય, એનો સમય, એ કરવાની રીત વિગેરે જાણવું જરૂરી છે. ચંદ્રનો ઉગવાના સમયે પ્રકાશ સકારાત્મક ઉર્જા આપે છે. જેમ મધ્યાન પછીનો સૂર્ય નકારાત્મક છે એવું ચંદ્ર પ્રકાશ માટે પણ છે. ઠેશ, તાલી, ચપટી આ બધી પ્રક્રિયાઓ યોગ સાથે જોડાયેલી છે. ગરબામાં આવેગની કે સ્પર્શની જરૂર નથી. વળી ગરબા એ સામુહિક પ્રક્રિયા છે. એટલે એને થોડા સમયમાં એની મેળે જ સમજી શકાય છે. એના માટે લાખોનો ખર્ચ કરવાની જરૂર નથી.

કેટલાક સભ્ય સમાજના લોકો ગરબાના ક્લાસનો વિરોધ કરી રહ્યા છે. વળી નામમાત્રના કપડા પહેરીને ગરબા કરવા એ સંસ્કૃતિનો અનાદર છે. જે સંસ્કૃતિ નિયમો છોડે છે એનું અસ્તિત્વ જોખમાય છે. તમારી વાત સાચી છે. મોજશોખ અને ધર્મ બંનેના સ્થાન અલગ છે. એને એક સાથે ન જ રખાય. જેમને સંસ્કૃતિ વિષે સાચી સમજણ નથી એમને સમજાવવું શક્ય નથી. આપણી આસપાસ વ્યવસાયિક નજરે ઘણુબધું એવું થઇ રહ્યું છે જે સાંસ્કૃતિક નથી. એને રોકવા માટે વ્યક્તિગત પહેલ શક્ય નથી. જયારે સભ્ય સમાજની કલ્પના સાર્વત્રિક બને ત્યારે જ આ શક્ય બને.

મારી દ્રષ્ટીએ ગરબા ક્લાસ એ દેખાડો જ છે. જેને ગરબા કરવા છે એ પૈસા ખર્ચ્યા વિના પણ શીખી શકે છે. અને આજના રીલ્સ અને વીડીઓના યુગમાં તગડી ફી આપીને મહિનાઓ સુધી સમય બગાડીને ટ્રાફિક ફેંદીને ક્લાસમાં જવું એ મારી દ્રષ્ટીએ મુર્ખામી છે. પણ કેટલીક બાબતો આપણે સમજી નથી શકતા કે સમજાવી પણ નથી શકતા. આ એમાંની એક બાબત છે.

શેરી ગરબા કરો. સ્વસ્થ રહો. સંસ્કૃત રહો.

સુચન: ઉંબરો દરવાજાની બારસાખનો ભાગ છે. એની આગળ માત્ર પત્થર કે લાકડું મુકવાથી કોઈ ફાયદો થતો નથી.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

શ્રાવણમાં સાત્ત્વિક આહારનું આટલું મહત્ત્વ કેમ?

શ્રાવણ એ હિંદુઓ માટે આધ્યાત્મિક મહિના તરીકે ઓળખાય છે. આ સમય તહેવારોનો પણ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નાગપંચમી, વ્રત, વગેરે આ સમયે મહત્તમ હોય છે, જેમાં આધ્યાત્મિકતા સાથે ઉપવાસનું પણ આગવું મહત્ત્વ છે. શ્રાવણ શરૂ થતાં જ સમગ્ર દેશમાં, અને એમાં પણ ગુજરાતીઓમાં આ સમય મહાદેવની રુદ્રી જેવી આરાધના તેમ જ ઠાકોરજીનાં હિંડોળાદર્શન જેવી સેવામાં પસાર થાય છે. ઈશ્ર્વરને રીઝવવા માટે વ્રત, જાપ, તપ, વગેરે આ સમયે કરવામાં આવે છે. આ બધાં કારણે શ્રાવણ મહિનો પવિત્ર ગણાય છે, જેમાં મન અને શરીરને શુદ્ધ કરવા માટે પૂજાપાઠ સાથે ઉપવાસને પણ આગવું મહત્ત્વ અપાય છે.

ઘણાં ઘરોમાં આખો શ્રાવણ માસ ઉપવાસ અથવા એકટાણાં કરાય છે. શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ હોવાથી જે લોકો આખો મહિનો એકટાણાં ન કરી શકે એમ હોય એ કમ સે કમ દર સોમવારે ઉપવાસ ચોક્કસ કરે છે.

આવા પવિત્ર માસનો ઉપવાસ સાથે શું સમન્વય છે? શું આહારની અસર મન પર થાય છે? આ પ્રશ્ર્નનો ઉત્તર ચોક્કસપણે હા  છે. સાત્ત્વિક આહાર દ્વારા આપણે મન તેમ જ શરીરને શુદ્ધ કરી શકીએ છીએ. આત્મશુદ્ધીકરણ કરાવતા આ મહિનામાં ઉપવાસનું આગવું મહત્ત્વ છે. આપણી સંસ્કૃતિમાં સાત્ત્વિક આહારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેના થકી શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક ફાયદા મેળવી શકાય છે. આહાર આ બધી ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે આહાર અને મન એ એકબીજા સાથે સંકળાયેલાં છે. જેવું ખાઈએ અન્ન એવું બને મન  આ કહેવત આપણે નાનપણથી સાંભળતાં આવ્યાં છીએ, પરંતુ એના મહત્ત્વ વિશે કદાચ હજી પણ આપણે અજાણ છીએ.

સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માનસિક શાંતિ માટે, તો આધ્યાત્મિક પ્રગતિ માટે પણ સાત્ત્વિક ખોરાક લેવો જરૂરી છે એટલે પૂજાપાઠ, અનુષ્ઠાન જેવી આધ્યાત્મિક ક્રિયા ઉપવાસ રાખીને કરવામાં આવે છે. ઉપવાસમાં જે આહાર લેવામાં આવે છે એને સાત્ત્વિક આહાર કહેવાય છે, જેમાં ફળાહારનો પણ સમાવેશ થાય છે. ઉપવાસમાં લેવાતાં ખાદ્યોથી મનની પણ શુદ્ધિ થાય છે. શ્રાવણ મહિનામાં ફરાળમાં લેવાતાં ખાદ્યોમાં ફ્રૂટ, ફ્રૂટ જ્યુસ, ડ્રાયફ્રૂટ્સ ઉપરાંત રાજગરો, મોરૈયો, સાબુદાણા, શિંગોડાં, બટેટાં, શક્કરિયાં, વગેરેનો સમાવેશ થાય છે, જે કાર્બોહાઈડ્રેટયુક્ત તો છે જ, સાથે સાથે મિનરલ્સથી ભરપૂર છે, જેને નિયંત્રિત પ્રમાણમાં લેવાથી પેટ હળવું રહે છે, આવી પરંપરાગત ખાદ્ય સામગ્રીમાંથી આ સમયે અવનવી વરાઈટી બનાવવામાં આવે છે, જેમાં શિંગતેલ, સિંધવ નમક, મરી પાવડર, જીરું, લીમડો, વગેરેનો ઉપયોગ થાય છે.

આ ફરાળી ખાદ્યોનું મહત્ત્વ પોષણકીય ભાષામાં સમજીએ તો શ્રાવણ દરમિયાન ફ્રૂટ સૅલડ એક તાજગીભર્યો અને પૌષ્ટિક વિકલ્પ છે, જે તમને ઉપવાસ દરમિયાન ઊર્જાવાન રાખવા માટે કુદરતી વિટામિન અને હાઈડ્રેશન પ્રદાન કરે છે. સાબુદાણા, રાજગરો, મખાણા અને બિયાં એ ઊર્જાથી ભરપૂર, પચવામાં સરળ અને સમગ્ર વ્રત દરમિયાન તમને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર છે.

દહીં, છાશ, પનીર અને ઘી જેવાં દૂધનાં ઉત્પાદનો પ્રોટીન, કૅલ્શિયમ અને સ્વસ્થ ચરબીના સારા સ્રોત છે, જે શ્રાવણના ઉપવાસ દરમિયાન તમારા શરીરને પોષણ આપવા માટે ઉત્તમ છે. બદામ, ખજૂર, કિસમિસ અને સૂકાં ફળો શ્રાવણ વ્રત દરમિયાન ઊર્જા વધારવા માટે આવશ્યક વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે. નાળિયેરપાણી તેમ જ ફ્રૂટ જ્યુસ કુદરતી અને તાજગી આપતાં પીણાં છે, જે તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને આવશ્યક ઈલેક્ટ્રોલાઈટ્સ પૂરાં પાડે છે. શક્કરિયાં, અળસી, દૂધી અને બટેટાં જેવાં કેટલાંક શાકભાજી પૌષ્ટિક હોવા ઉપરાંત સરળતાથી પચી જાય એવા વિકલ્પ છે. સિંધવ મીઠું, મરી અને ધાણા સામાન્ય રીતે શ્રાવણ વ્રત દરમિયાન ઉપયોગમાં લેવાતા મસાલા છે, જે સ્વાદ ઉમેરે છે, પાચનમાં મદદ કરે છે અને ભોજનને હળવું પણ રાખે છે.

અત્યારના સમયમાં ફરાળી વાનગીઓની ઘણી વરાઈટી બજારમાં ઉપલબ્ધ છે, જેમાં સાબુદાણા ખીચડી, પેટિસ, વગેરે તો છે જ. એ ઉપરાંત, ફરાળી સૅન્ડવિચ, પિઝા, સમોસાં, વગેરે પણ જોવા મળે છે. જુદી જુદી વાનગી ખાવાના શોખીનો માટે તો આ મહિનો કંઈક નવું ટેસ્ટ કરવા માટેનો પણ છે. જો કે હકીકતમાં ઉપવાસ દરમિયાન તમારે સૌપ્રથમ તો સ્વાદ પર અંકુશ મેળવવાની જરૂર છે. એને જ સાચું તપ કહેવાય અને એ જ સાત્ત્વિક આહાર કહેવાય, અન્યથા આવા ઉપવાસનો કોઈ અર્થ રહેતો નથી. ઘરમાં બનેલો પારંપરિક ફરાળ જ આ સમયે લેવાવો જોઈએ, અને એમાં પણ ફરાળમાં ફળાહારનો ઉપયોગ મહત્તમ થાય તો જ આધ્યાત્મિક ઉપવાસ સાર્થક થયો ગણાય, કારણ કે સાત્ત્વિક આહાર એટલે મૂળભૂત રીતે આયુર્વેદના સિદ્ધાંત મુજબ બનેલો ખોરાક, જેમાં શુદ્ધતા, સંતુલન અને પોષણ હોય, જે શરીર તથા મનને સકારાત્મકતા બક્ષે, જેમાં તાજાં-શુદ્ધતાથી બનેલ ખાદ્યોનો સમાવેશ થાય અને વધુપડતા તેજાના, ગરમ મસાલા, લસણ, ડુંગળી (કાંદા), વગેરેનો ઉપયોગ ન થતો હોય. આ પ્રકારનો આહાર મનને સ્થિર રાખી શકે અને શરીરને શુદ્ધ કરી શકે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

સુરક્ષા મંત્રાલયની ઇઝરાયલને ગાઝા પર કબજો કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે જંગ ચાલી રહ્યું છે. આ જંગની વચ્ચે ઇઝરાયલે મોટો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા શહેર પર કબજો કરવાની યોજનાને મંજૂરી આપી છે. ગુરુવારે શરૂ થયેલી અને આખી રાત ચાલેલી સુરક્ષા મંત્રીમંડળની બેઠક પહેલાં નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલ આખા વિસ્તારમાં ફરીથી નિયંત્રણ સ્થાપિત કરવા અને તેને હમાસવિરોધી મિત્ર આરબ દળોને સોંપવાની યોજના બનાવી રહ્યું છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં હજારોથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. ગાઝાનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે અને ત્યાંના લોકોને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ બધાની વચ્ચે ગાઝા પર ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. આજે ગાઝાના કેટલાક ગણતરીના વિસ્તારમાં જ એવું બન્યું છે કે તેને ઇઝરાયલીએ બફર ઝોન નથી બનાવ્યું અને ન તો ત્યાંથી લોકોને ખસેડવાનો આદેશ જારી કર્યો છે.

તાજેતરમાં ઇઝરાયલે બંધકોને છૂટા મૂકવાની માગ કરી હતી. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદઓન સારે કહ્યું હતું કે હમાસ બંધક બનાવવામાં આવેલા લોકોને ભૂખ્યા રાખી રહ્યો છે જયારે ‘આતંકવાદીઓ માંસ, માછલી અને શાકભાજી ખાઈ રહ્યા છે.’ સારે આ દાવો પણ કર્યો હતો કે ઇઝરાયલ ગાઝામાં મોટા પ્રમાણમાં સહાય સામગ્રી જવા દે છે, પરંતુ હમાસ આ ખાદ્ય સામગ્રી લૂંટી રહ્યો છે અને તેને વેચી નાણાં કમાઈ રહ્યો છે.

હમાસે સાત ઓક્ટોબર, 2023એ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેને કારણે જંગ શરૂ થઈ હતી. આ હુમલામાં આતંકવાદીઓએ લગભગ 1200 નિર્દોષ નાગરિકોને હત્યા કરી હતી અને 251 લોકોને બંધક બનાવી લીધા હતા. હમાસ દ્વારા કરાયેલા આ હુમલાની જવાબી કાર્યવાહી ઇઝરાયલે શરૂ કરી હતી, જે આજે પણ ચાલુ છે. હાલ સ્થિતિ એવી છે કે ગાઝા અધમરું થઈ ગયું છે.

Chitralekha Gujarati – 18 August, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો