Home Blog Page 2226

PM Modi ના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂએ આકર્ષણ જમાવ્યું

સુરતમાં PM Modiના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂને લઈ એક્ઝિબિશનમાં આકર્ષણ છે. જેમાં પ્રથમ સ્ટેચ્યૂ બનાવવામાં સાતથી આઠ માસ લાગ્યા હતા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ્સ અને જ્વેલરી એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂએ આકર્ષણ જમાવ્યું છે. પીએમ મોદીના ગોલ્ડ સ્ટેચ્યૂને બનાવનાર જ્વેલર્સ બસંત બોહરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 156 બેઠક સાથે સરકાર બની હોવાથી વડાપ્રધાનનું 156 ગ્રામનું ગોલ્ડ સ્ટેચ્યૂ બનાવ્યું છે. જેમાં 18 કેરેટ ગોલ્ડ છે. આવા ફક્ત બે સ્ટેચ્યૂ બનાવાયા છે. પ્રથમ સ્ટેચ્યૂ બનાવવા પાછળ સાતથી આઠ માસનો સમય લાગ્યો હતો.

એક સ્ટેચ્યૂની કિંમત 11 લાખ જેટલી

જ્યારે બીજા સ્ટેચ્યૂને દોઢ મહિનામાં બનાવવામાં આવ્યું હતું. એક સ્ટેચ્યૂની કિંમત 11 લાખ જેટલી છે, પરંતુ સ્ટેચ્યૂ પીએમ મોદીના હોવાથી તે વેચાણ માટે રાખવામાં આવ્યા નથી. બસંત બોહરાએ વધુમાં કહ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી જ્વેલરી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેઓ વેપાર કરે છે.

નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ; 10 કર્મચારીનાં મરણ

નાગપુરઃ અહીંના બાજારગાંવ નામના ગામમાં વિસ્ફોટક પદાર્થો બનાવતી એક કંપનીના કારખાનામાં આજે ભયાનક વિસ્ફોટ થતાં 10 કર્મચારીનાં મરણ થયા છે. આ દુર્ઘટનામાં બીજા અનેક જણ ઘાયલ થયા છે. એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં છ મહિલાનો સમાવેશ થાય છે.

આ કંપનીનું નામ છે સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડ. આજે સવારે લગભગ 9 વાગ્યે આ કંપનીના પ્લાન્ટમાં ભયાનક અવાજ સાથે ધડાકો થયો હતો. આ કંપની ઔદ્યોગિક વિસ્ફોટક પદાર્થો બનાવે છે. સવારે મોર્નિંગ શિફ્ટમાં કર્મચારીઓના આવવાની શરૂઆત થઈ હતી એ જ વખતે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. તેમજ ધડાકો થયો એ વખતે ત્યાં કેટલા કર્મચારીઓ હાજર હતા એ પણ જાણવા મળ્યું નથી. બચાવ અને રાહત કાર્ય બપોર પછી પણ ચાલુ હતું. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિસ્ફોટના આ બનાવની તપાસ કરાવવામાં આવશે.

વારાણસીમાં PM મોદીનો રોડ શો, એમ્બ્યુલન્સ માટે કાફલો રોકી દીધો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીની બે દિવસની મુલાકાતે છે અને તેમના સંસદીય મતવિસ્તારમાં રોડ શો દરમિયાન તેમણે એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા માટે તેમના કાફલાને રોક્યો હતો. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી વારાણસી અને પૂર્વાંચલ માટે 19,000 કરોડ રૂપિયાથી વધુના 37 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ નમો ઘાટથી કાશી તમિલ સંગમમ 2.0નું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય તેઓ કન્યાકુમારીથી વારાણસી સુધીની નવી ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીએ પોતાના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હોય. અગાઉ પણ તેમણે કાફલાને રોકીને એમ્બ્યુલન્સને પસાર થવા માટે રસ્તો બનાવ્યો હતો.ગત વર્ષે ડિસેમ્બરમાં જ પીએમ મોદીના કાફલામાં એક એમ્બ્યુલન્સ આવી હતી અને તેના માટે પણ રસ્તો આપવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર, 2022 ના રોજ, પીએમ મોદી ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શો કરી રહ્યા હતા અને તે લગભગ 30 કિલોમીટર લાંબો રોડ શો હતો. આ સમય દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા માટે કાફલાને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ, જ્યારે પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા, ત્યારે તેમણે કાફલામાં ફસાયેલી એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા માટે તેમના કાફલાને અટકાવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં પણ જ્યારે પીએમ મોદી હિમાચલના ચંબીની મુલાકાતે હતા અને તેમના કાફલા દરમિયાન એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, ત્યારે તેમણે કાફલાને રોક્યો હતો અને રસ્તો બનાવ્યો હતો. પોતાના વારાણસી પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સાંજે નમો ઘાટથી કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી અહીંથી કન્યાકુમારીથી વારાણસી સુધી કાશી તમિલ સંગમ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આજથી 31 ડિસેમ્બર સુધી કાશી તમિલ સંગમની બીજી આવૃત્તિ દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીના લગભગ 1,400 લોકો વારાણસી તેમજ પ્રયાગરાજ અને અયોધ્યા જશે.

કાશી તમિલ સંગમમ ખાતે તમિલનાડુ અને કાશીની કલા અને સંગીતની સાથે હેન્ડલૂમ, હસ્તકલા, ભોજન અને અન્ય વિશેષ ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ ઉપરાંત કાશી અને તમિલનાડુની સંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. સંગમની બીજી આવૃત્તિમાં સાહિત્ય, પ્રાચીન ગ્રંથો, તત્વજ્ઞાન, અધ્યાત્મ, નાટક, સંગીત, નૃત્ય, યોગ અને આયુર્વેદ પર પણ પ્રવચનોનું આયોજન કરવામાં આવશે.

ઇશાન કિશન અચાનક ટીમ ઇન્ડિયામાંથી બહાર, આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ નહીં રમે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ODI સીરીઝની પ્રથમ મેચ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈશાન કિશન 2 મેચની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. બોર્ડે એ પણ માહિતી આપી હતી કે ઈશાન કિશન પોતે સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, જેના માટે તેને પરવાનગી આપવામાં આવી હતી. તેની જગ્યાએ કેએસ ભરત ટીમમાં પરત ફર્યો છે. ઈશાન કિશને પોતાનું નામ કેમ પાછું ખેંચ્યું તે સ્પષ્ટ નથી. બીસીસીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં માત્ર એટલું જ કહ્યું કે ઈશાન કિશને અંગત કારણોસર ટીમમાંથી બહાર કરવાની વિનંતી કરી હતી, ત્યારબાદ બોર્ડે તેની વિનંતી સ્વીકારી હતી. ઈશાન કિશન સિવાય કેએલ રાહુલ ટેસ્ટ ટીમમાં બીજા વિકેટકીપર-બેટ્સમેન છે અને હવે તે આ ભૂમિકામાં આવે તેવી શક્યતા છે.

આ વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું

ડાબોડી વિકેટકીપર-બેટ્સમેન ઈશાને આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઈશાને આ સિરીઝની બંને મેચ રમી હતી. જેમાં ઈશાને 3 ઈનિંગમાં અડધી સદી સહિત 78 રન બનાવ્યા છે, જ્યારે 5 કેચ પણ લીધા છે. જો કે, ઇશાન માટે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં રાખવું મુશ્કેલ જણાતું હતું, કારણ કે વર્લ્ડ કપમાં કીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે રાહુલના મજબૂત પ્રદર્શને ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યું હતું અને એવું માનવામાં આવતું હતું કે તે એકમાત્ર ખેલાડી હશે. ટેસ્ટ શ્રેણીમાં પણ તે આ જવાબદારી નિભાવશે.

બીસીસીઆઈએ ઈશાનની જગ્યાએ અનુભવી વિકેટકીપર કેએસ ભરતને ટીમમાં પરત બોલાવ્યો છે. અગાઉ, ભરત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પણ ટીમમાં હતો પરંતુ અગાઉની મેચોમાં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં તક આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેની દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી. જોકે, ભરતને હજુ બેંચ પર બેસવું પડશે.

‘એલી ગ્રેજ્યુએટ્સ-2023’ કાર્યક્રમમાં બોલીવુડ સિતારાઓનો ઠસ્સો

શનિવાર, 16 ડિસેમ્બરે મુંબઈમાં એલી ઈન્ડિયા કંપની દ્વારા ‘એલી ગ્રેજ્યુએટ્સ’ એવોર્ડ કાર્યક્રમની નવી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં તૃપ્તિ ડિમરી, નુસરત ભરૂચા, ઈશાન ખટ્ટર સહિત અનેક ફિલ્મી સિતારાઓએ હાજરી આપી હતી અને રેડ કાર્પેટ પર તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. એલી ગ્રેજ્યૂએટ્સ-2023 ફેશન જગતમાં ભારતની નવી પેઢીનાં લોકો માટે એમનું સર્જનાત્મક કૌશલ્ય દર્શાવવા માટેની એક સ્પર્ધા છે. આ સ્પર્ધા નવી ભારતીય ફેશન ટેલેન્ટ અને ક્રીએટિવિટીની ખોજ કરે છે. ઉપરની તસવીરમાં તિપ્તી ડિમરી છે, જે હાલમાં જ રિલીઝ થયેલી ‘એનિમલ’ ફિલ્મમાં ચમકી છે. (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા)

રાધિકા મદાન

રિચા ચઢ્ઢા અને અલી ફૈઝલ

ડેઈઝી શાહ

જિયા શંકર

ઈન્ટરનેટ પર્સનાલિટી અને ‘બિગ બોસ’ સ્પર્ધક ઓરી (મૂળ નામ ઓરહાન અવતરમણિ)

સંજના સાંઘી

ઈશાન ખટ્ટર

નુસરત ભરૂચ

 

પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન ફાઈલકર્તાઓની સંખ્યા 65% વધી

મુંબઈઃ દેશમાં એપ્રિલ-2023 સુધીના પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 65 ટકાનો વધારો નોંધાયો છે. આ સંખ્યા હવે વધીને 1 કરોડ 13 લાખ થઈ ગઈ છે. આમ, કર ચૂકવણીમાં ઘણો સુધારો આવ્યો છે, એમ કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું છે.

વધુ નોંધનીય બાબત એ છે કે જીએસટી હેઠળ રજિસ્ટર થયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા પણ વધી છે. 2018ના એપ્રિલમાં તે સંખ્યા 1.06 કરોડ હતી, જે હવે 1.40 કરોડ થઈ છે. 90 ટકા લાયક કરદાતાઓ GSTR-3B રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આ આંકડો 2017-18માં 68 ટકા હતો, જે વર્ષથી જીએસટી કાયદો લાગુ કરાયો હતો. જીએસટી નિયમો અને પ્રક્રિયાને સરળ બનાવાયા તે પછી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા વધી છે.

ઉલ્લેખનીય છે કે, 2017ની 1 જુલાઈથી દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરાયો હતો. તેમાં એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, વેટ જેવા ડઝનબંધ સ્થાનિક વેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત ડાયમંડ બુર્સ નવા ભારતની શક્તિ, દ્રઢતાનું પ્રતિક છેઃ પીએમ મોદી

સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું, હીરા અને ઝવેરાતના આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટે આ દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર છે. નવા ભારતની શક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે. વિશાળ જનસભાને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, ‘સુરતનો હીરા ઉદ્યોગ 8 લાખ લોકોને રોજગાર પૂરા પાડે છે. હવે નવું બુર્સ શરૂ થઈ જતાં રોજગારની વધુ દોઢ લાખ તકોનો ઉમેરો થશે. સુરત શહેરની ભવ્યતામાં આજે એક વધુ ડાયમંડ ઉમેરાયો છે. જ્યારે પણ દુનિયામાં આ ડાયમંડ બુર્સની વાત થશે ત્યારે સુરત અને ભારતનું પણ નામ લેવાશે.’

આ ડાયમંડ બુર્સ 67 લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્રસરેલો છે. તે સુરત શહેરની હદના ખજોદ ગામમાં આવેલું છે. વિશ્વમાં આ સૌથી મોટી કોર્પોરેટ ઑફિસ ઈમારત છે. તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. હીરાના વ્યાપાર માટેનું આ ગ્લોબલ સેન્ટર છે જે વર્ષે રૂ. 2 લાખ કરોડનો વેપાર કરશે.

વડા પ્રધાન મોદીએ આજે સુરત મુલાકાત દરમિયાન શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલનું પણ ઉદઘાટન કર્યું હતું.

મહિલા ડોક્ટરે ઉદ્યોગપતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી

મુંબઈઃ એક મહિલા ડોક્ટરે જેએસડબલ્યૂ ગ્રુપ કંપનીના મેનેજિંગ ડાઈરેક્ટર સજ્જન જિંદલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. હિન્દૂસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, મહિલા ડોક્ટરનો આરોપ છે કે બળાત્કારની ઘટના 2022ના જાન્યુઆરીમાં મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા કંપનીના મુખ્ય કાર્યાલયના પેન્ટહાઉસમાં બની હતી. ફરિયાદીનો દાવો છે કે બીકેસી પોલીસ સ્ટેશને આ વર્ષના આરંભમાં એની ફરિયાદ પર ધ્યાન આપ્યું નહોતું તેથી એને કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે તે ફરિયાદ નોંધે.

મહિલા ડોક્ટરનો આરોપ છે કે, 2022ના જાન્યુઆરીમાં તે એક મીટિંગ માટે કંપનીના મુખ્યાલયમાં ગઈ હતી. ત્યારે મેનેજિંગ ડાઈરેક્ટર પોતાને પેન્ટહાઉસમાં લઈ ગયા હતા. ત્યાં પોતે સતત વિરોધ અને ઈનકાર કર્યો હોવા છતાં મેનેજિંગ ડાઈરેક્ટરે એની પર જબરદસ્તી કરી હતી. બીકેસી પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહ્યું છે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી લાપતા; મદદ માટે વિદેશપ્રધાનને કરાઈ વિનંતી

નવી દિલ્હીઃ ગુરશમન સિંહ ભાટિયા નામનો એક ભારતીય શીખ વિદ્યાર્થી ગઈ 15 ડિસેમ્બરથી પૂર્વ લંડનમાં લાપતા થયો છે. તે લોફબોરો યૂનિવર્સિટીમાં ભણતો હતો. આ જાણકારી ભારતીય જનતા પાર્ટીના દિલ્હીનિવાસી નેતા મનજિન્દર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત આપી છે. એમણે એમ પણ કહ્યું કે ભાટિયાનો પતો મેળવવા માટે વિદેશ પ્રધાન એસ. જયશંકરની મદદ માગવામાં આવી છે. સાથોસાથ, લોફબોરો યૂનિવર્સિટી અને ભારતીય હાઈ કમિશનને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ભાટિયાને શોધે.

સિરસાએ ભાટિયાના યૂનિવર્સિટી આઈડેન્ટિટી કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ભાટિયા છેલ્લે પૂર્વ લંડનના કેનારી વ્હાર્ફમાં જોવા મળ્યો હતો. તેને બે વર્ષ માટે બ્રિટિશ રેસિડેન્સ પરમીટ આપવામાં આવી છે, જેની મુદત 2024ની બીજી જૂને પૂરી થાય છે. એ પોસ્ટ-ગ્રેજ્યૂએટ વિદ્યાર્થી છે. લોફબોરો યૂનિવર્સિટી બ્રિટનના લેસ્ટરશાયરમાં આવેલી છે. ત્યાં દુનિયાભરના આશરે 18,000 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે.

G S Bhatia, a student of Loughborough University, has been missing since Dec 15. Last seen in Canary Wharf, East London.
Bringing to the kind attention of @DrSJaishankar Ji
We urge @lborouniversity & @HCI_London to join efforts in locating him. Your assistance is crucial. Please… pic.twitter.com/iFSqpvWVV8

— Manjinder Singh Sirsa (@mssirsa) December 16, 2023

૧૭ ડિસેમ્બર, ૨૦૨૩

૧૭ ડિસેમ્બર, ૨૦૨૩