નવી દિલ્હીઃ રિઝર્વ બેંક (RBI) પોલિમર કરન્સી નોટો રજૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જોકે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવ હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ તેને મંજૂરી મળે તો તે ભારતીય ચલણ વ્યવસ્થામાં સૌથી મોટા ફેરફારોમાંનો એક સાબિત થવાની શક્યતા છે.
એક વરસાદ અને નોટ ખરાબ!
દિલ્હીના એક દુકાનદાર રમેશ (કાલ્પનિક નામ)ની ખિસ્સામાં રૂ. 500ની નોટ હતી. અચાનક વરસાદ શરૂ થયો અને નોટ સંપૂર્ણ ભીંજાઈ ગઈ. તેણે કોઈ રીતે તેને સુકવી, પરંતુ નોટ પહેલાની જેમ રહી નહીં. આવી સમસ્યા કદાચ તમે પણ ક્યારેક અનુભવી હશે.
પોલિમર નોટો શું હોય છે?
પોલિમર નોટો દેખાવમાં હાલની નોટો જેવી જ હોય છે. તેને વાળી શકાય છે, ખિસ્સામાં રાખી શકાય છે અને સામાન્ય લેવડદેવડમાં વાપરી શકાય છે. ફરક માત્ર એટલો છે કે આ નોટો કાગળથી નહીં પરંતુ ખાસ પ્રકારના કૃત્રિમ પ્લાસ્ટિક (પોલિમર)માંથી બનાવવામાં આવે છે. આ કારણે તે વધુ મજબૂત અને ટકાઉ માનવામાં આવે છે.
RBI શા માટે બદલાવ ઇચ્છે છે?
આ સવાલનો જવાબ નોટો છાપવાના વધતા ખર્ચમાં છુપાયેલો છે. ભારતમાં દર વર્ષે કરોડો નોટો છાપવામાં આવે છે. પરંતુ ઓછી કિંમતની નોટો ઝડપથી ફાટી જાય છે, ગંદી થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે. ત્યાર બાદ તેને પાછી ખેંચીને નવી નોટો છાપવી પડે છે. સરકાર અને RBIને વારંવાર આ માટે ખર્ચ કરવો પડે છે. હવે RBI એ વિચાર કરી રહી છે કે જો નોટો વધુ લાંબા સમય સુધી ટકી રહે તો લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થઈ શકે. આ વિચારમાંથી પોલિમર નોટોનો પ્રસ્તાવ સામે આવ્યો છે.
પરંતુ પોલિમર નોટો તો વધુ મોંઘી છે!
પોલિમર નોટોની કહાની પણ એવી જ છે. તેની શરૂઆતની કિંમત વધુ હોય છે, પરંતુ તે કાગળની નોટોની સરખામણીએ અનેક ગણી વધુ લાંબા સમય સુધી ટકે છે. એટલે વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત ઘટે છે અને લાંબા ગાળે કુલ ખર્ચ ઓછો થઈ શકે છે.
અમદાવાદ: ત્રણ દિવસના વિલંબ બાદ આખરે ચોમાસાએ ભારતમાં દસ્તક દીધી છે. ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. શુક્રવારે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંભાવના છે.ચોમાસાએ આપી દસ્તક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 4 જૂને દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાંક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે.
ક્યાં ક્યારે પહોંચશે ચોમાસું?
ગોવા-તેલંગાણા: 7-8 જૂન સુધી
મહારાષ્ટ્ર: 5થી 10 જૂન સુધી
ગુજરાત: 20 જૂન સુધી
મધ્ય પ્રદેશ: 15થી 20 જૂન
પૂર્વી યુપી અને બિહાર: 15થી 20 જૂન સુધી
મધ્ય યુપી: 20થી 25 જૂન
રાજસ્થાન: 25થી 30 જૂન
દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?
શનિવાર 6 જૂનના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ રાજ્યોમાં ચોમાસાના વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું ઍલર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી 5-6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.
અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)એ તેની શૈક્ષણિક સફરમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે. આ વિશેષતા SBSને ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓની હરોળમાં સ્થાન અપાવે છે.ભારતભરમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ્સને માન્યતા આપવા માટે NBA એક સર્વોચ્ચ સંસ્થા છે. NBA માન્યતા એ એક કઠોર અને પરિણામ-આધારિત પ્રમાણપત્ર છે, જે અભ્યાસક્રમની ગુણવત્તા, ફેકલ્ટીની યોગ્યતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી લિંકેજ અને સ્નાતકોની રોજગારીની ક્ષમતાના આધારે સંસ્થાનું મૂલ્યાંકન કરે છે. કોઈપણ બી-સ્કૂલ માટે, આ સન્માનનું પ્રતીક છે, સાથે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને વૈશ્વિક સ્વીકૃતિની ગેરંટી પણ છે.
SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માના જણાવ્યા અનુસાર, “આ માન્યતા સમગ્ર SBS પરિવાર માટે ગર્વની ક્ષણ છે. NBA એક્રેડિટેશન એ ઉદ્યોગ-સુસંગત અને પરિણામ-લક્ષી મેનેજમેન્ટ શિક્ષણ પ્રદાન કરવાની અમારી અડગ પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે. તે અમારી એ માન્યતાને પણ પ્રતિબિંબિત કરે છે કે ગુણવત્તા એ કોઈ એક વખતનું કાર્ય નથી, પરંતુ એક આદત છે. અમે આ સન્માન અને સિદ્ધિનો ઉપયોગ અમારી શૈક્ષણિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને અમારા વિદ્યાર્થીઓ માટે તકોની નવી ક્ષિતિજો ખોલવા માટે કરવા દૃઢ નિશ્ચયી છીએ.”
આ ઐતિહાસિક સિદ્ધિ સાથે, SBS અમદાવાદની માત્ર બીજી એવી બી-સ્કૂલ બની ગઈ છે, જેને PGDM પ્રોગ્રામ માટે NBA માન્યતા મળી હોય.
પટનાઃ પોલીસે શુક્રવારે ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’ના સંચાલક ફૈસલ ખાન સામે FIR નોંધી છે. ફૈસલ ખાન સોશિયલ મિડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ ‘ખાન સર’ તરીકે ઓળખાય છે. ગુરુવારે પોલીસે આ કોચિંગ સંસ્થાના બે સુરક્ષા ગાર્ડોને ફાયરિંગના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. સિટી એસપી (સેન્ટ્રલ) કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ કદમકુઆં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. આરોપ છે કે મંગળવારની રાત્રે 15થી 20 લોકોએ ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં તોડફોડ કરી હતી અને કેમ્પસમાં પથ્થરમારો કર્યો હતો.
ફાયરિંગના વિડિયો આવ્યા હતા સામે
આ મામલે ફાયરિંગના બે વિડિયો સામે આવ્યા હતા. એક વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ખાન સર’ના સુરક્ષા ગાર્ડોએ ફાયરિંગ કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે આ વિડિયો બીજી જૂનની રાત્રિનો છે અને એ જ રાત્રે ‘ખાન સર’ના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો થયો હતો.
ખાન સરે ફાયરિંગનો આરોપ લગાવ્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયા હોવાની શંકા ધરાવતાં હથિયારો જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. ખાન સરે આરોપ મૂક્યો હતો કે પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાથી જોડાયેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું. જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે ખરેખર ફાયરિંગ થયું હતું કે નહીં તે માત્ર પોલીસ તપાસથી જ સ્પષ્ટ થઈ શકે છે. પોલીસે આ કેસમાં ખાન સરના પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાના સંચાલક રોશન આનંદ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. રોશન આનંદે દાવો કર્યો હતો કે આ સમગ્ર ઘટનાનું કાવતરું ખુદ ખાન સરે જ રચ્યું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સીમાંકન (Delimitation) બિલને ફરીથી સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં તેને અમલમાં મૂકવાનો છે. થોડા સમય પહેલાં મહિલા આરક્ષણ સંબંધિત નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ સરકારે સીમાંકનનો પ્રસ્તાવ સંસદમાં લાવ્યો હતો, પરંતુ તે પસાર થઈ શક્યો નહોતો.હવે સરકાર બિલમાં એવી જોગવાઈ ઉમેરવા તૈયાર છે કે દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં 50 ટકા વધારો કરવામાં આવશે. આ પગલાથી દક્ષિણ ભારતીય રાજ્યોનો વિરોધ ઓછો થવાની શક્યતા છે અને ત્યાંના પ્રાદેશિક પક્ષોનું સમર્થન મેળવવાની શક્યતા વધી શકે છે. એ સાથે જ TMCમાં બળવો અને DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યા પછી રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે અગાઉના સત્રમાં આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોંગ્રેસ તે માટે તૈયાર નહોતી.
તમામ પક્ષોનું સમર્થન મેળવવાની તૈયારી
સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયાને આગળ વધારવા ઉત્સુક છે, પરંતુ તે સાથે જોડાયેલી રાજકીય સંવેદનશીલતાઓને પણ ધ્યાનમાં રાખી રહી છે, તેથી ટકરાવનો માર્ગ અપનાવવાને બદલે એવું માળખું તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને તમામ પક્ષોનો ટેકો મળી શકે.
ભારતમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન થયું છે:
1952
1962
1973
2002
2002માં થયેલા સીમાંકનને હવે 24 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તેથી નવી વસ્તી ગણતરીને આધારે લોકસભા બેઠકોમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે.
TMCમાં બળવો, DMK-કોંગ્રેસ ગઠબંધન સમાપ્ત
એપ્રિલમાં જ્યારે મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ થયું હતું, ત્યારે TMC અને DMKએ તેના વિરોધમાં મત આપ્યો હતો. પરંતુ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMCમાં આંતરિક અસંતોષ વધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ:
TMCના 58 વિધાનસભ્યો બાગી વલણ અપનાવી ચૂક્યા છે.
20થી વધુ સાંસદો પણ અસંતોષ વ્યક્ત કરી શકે છે.
DMK સાંસદોને સાથે લાવવાનો પ્રયાસ
બીજી તરફ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને DMKનું ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે TVKને સમર્થન આપ્યું હતું, જેને DMKએ “પીઠમાં છરો ઘોંપવા” જેવી કાર્યવાહી ગણાવી હતી. હવે કેન્દ્ર સરકાર સીમાંકનના મુદ્દે DMKના સાંસદોને પોતાના પક્ષે લાવવાના પ્રયાસોમાં લાગી હોવાનું કહેવાય છે.
સુરત: ડાયમંડ બુર્સ માત્ર હીરા ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર નથી, પરંતુ આધુનિક વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય તેનું પણ એક જીવંત ઉદાહરણ છે. વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે ઓળખ મેળવેલા આ ભવ્ય પ્રોજેક્ટમાં વેપારની ચહલપહલ વચ્ચે કુદરતને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ડ્રીમ સિટી ખાતે ફેલાયેલા આ વિશાળ સંકુલમાં પ્રવેશતા જ કોન્ક્રિટની ભવ્ય ઇમારતો કરતાં વધુ ધ્યાન ખેંચે છે તેની લીલાછમ હરિયાળી. સુરત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અંદાજે ૧૦૮૫ જેટલાં મોટા વૃક્ષો અને હજારોની સંખ્યામાં ૧૦૮ પ્રકારના વિવિધ છોડ વાવવામાં આવ્યા છે. આ હરિયાળી માત્ર શોભા માટે નથી, પરંતુ પર્યાવરણના સંતુલન માટેનું એક વિચારીને કરાયેલુ આયોજન છે.આ સમગ્ર લેન્ડસ્કેપનું આયોજન પંચ તત્વ — પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશની થીમને આધારે કરવામાં આવ્યું છે. કુદરતના આ પાંચ મૂળભૂત તત્વોને ધ્યાનમાં રાખીને વિવિધ ગાર્ડન, ગ્રીન કોર્ટ અને ખુલ્લા વિસ્તારોનું સર્જન કરવામાં આવ્યું છે. પરિણામે અહીં ફરનાર વ્યક્તિને માત્ર એક બિઝનેસ કોમ્પ્લેક્સ નહીં, પરંતુ કુદરતની નજીક હોવાનો અનુભવ થાય છે. ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ કહે છે, દેશી અને વિદેશી પ્રજાતિના અનેક વૃક્ષો આ સંકુલને એક અનોખી ઓળખ આપે છે. કેટલાક વૃક્ષો તેમની વિશાળ છાયા માટે જાણીતા છે, તો કેટલાક હવાની શુદ્ધતા વધારવામાં મદદરૂપ બને છે. ઘણા છોડ અને વૃક્ષો એવા છે, જે ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરત જેવા ઉષ્ણ અને ભેજવાળા શહેરમાં આ હરિયાળી કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે કુદરતી ઠંડકનું કામ કરે છે.વૃક્ષોના મજબૂત મૂળ જમીનને બાંધી રાખે છે, જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય છે. વરસાદી પાણીના યોગ્ય સંચય અને જળચક્રને જાળવવામાં પણ વૃક્ષો મહત્વપૂર્ણ ફાળો આપે છે. તેઓ જમીનમાંથી પાણી શોષી વાતાવરણમાં છોડે છે, જે વાદળોની રચના અને વરસાદની પ્રક્રિયામાં સહાયક બને છે.આ હરિયાળી પક્ષીઓ, પતંગિયાં અને અન્ય નાના જીવસૃષ્ટિ માટે પણ આશ્રયસ્થાન સમાન છે. કોઈપણ સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે જૈવવૈવિધ્ય જરૂરી હોય છે અને સુરત ડાયમંડ બુર્સની ગ્રીન ડિઝાઇન તેમાં પણ યોગદાન આપે છે. વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડો અને અન્ય પ્રદૂષક કણોને શોષવાની ક્ષમતા પણ વૃક્ષોમાં હોય છે. તેથી અહીંની હરિયાળી માત્ર આંખોને શીતળતા આપતી નથી, પરંતુ હવાની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ બને છે.
આજે જ્યારે વિશ્વભરના શહેરો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સુરત ડાયમંડ બુર્સ એક પ્રેરણાદાયી મોડેલ બનીને ઉભરી રહ્યું છે. અહીં હીરાના વેપાર સાથે હરિયાળીની પણ એટલી જ કદર કરવામાં આવી છે.સાચા અર્થમાં કહીએ તો સુરત ડાયમંડ બુર્સ માત્ર વેપારનું કેન્દ્ર નથી. તે એક એવો જીવંત સંદેશ છે કે જો ઇચ્છા હોય તો કોન્ક્રિટના જંગલ વચ્ચે પણ હરિયાળીની એક સુંદર દુનિયા સર્જી શકાય છે.
નવી દિલ્હીઃ દેશમાં પેપર લીકની સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગઈ છે. તાજેતરમાં NEET-UG પરીક્ષાને કારણે લાખો ઉમેદવારોને ફરી પરીક્ષા આપવાની સ્થિતિ સર્જાઈ હતી. CBSEની પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિ પર પણ પ્રશ્નો ઊઠ્યા છે. આ પહેલી વાર નથી કે દેશમાં કોઈ પરીક્ષાનું પેપર લીક થયું હોય. આ દાયકાઓથી ચાલતી સમસ્યા છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આવા કેસોમાં દોષિતોને સજા કેટલી વખત મળે છે?છેલ્લાં 20 વર્ષના 45 મોટા પેપર લીક કેસોની તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે માત્ર બે કેસોમાં જ દોષ સાબિત થઈ શક્યો છે. મોટા ભાગના કેસો હજુ પણ કોર્ટોમાં લંબિત છે, જ્યારે ઘણા કેસોની તપાસની ગતિ લગભગ થંભી ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે એક પેપર લીક કેસનો આરોપી આજે ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય (MLA) બની ગયો છે.
ચિંતાજનક આંકડા
2002થી 2025 દરમિયાન:
27 ભરતી પરીક્ષાઓ
18 ઉચ્ચ શિક્ષણ પ્રવેશ પરીક્ષાઓ
અનેક બોર્ડ પરીક્ષાઓ
વિવાદોમાં આવી હતી.
આ સમયગાળામાં:
1658 લોકોની ધરપકડ કરવામાં આવી
925 લોકો સામે ચાર્જશીટ દાખલ થઈ
માત્ર 18 લોકોને દોષિત ઠેરવાયા
32 લોકો નિર્દોષ છૂટ્યા
43 આરોપીઓ હજુ પણ ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે
આ તમામ કેસોમાં એક સામાન્ય બાબત એ રહી કે વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહી અત્યંત મર્યાદિત રહી હતી.
ખાસ નોંધનીય વાત એ છે કે આ પરીક્ષાઓમાં લગભગ 3.86 કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી. તેઓ સારી નોકરી, પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ અથવા ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યની આશા સાથે પરીક્ષામાં બેઠા હતા. પરંતુ પેપર લીકની ઘટનાઓએ લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્યને માઠી અસર પહોંચાડી છે.
એક અન્ય કેસમાં નિવૃત્તિ બાદ કેન્દ્રીય સિપાહી પસંદગી બોર્ડ (CSBC)ના પ્રમુખ રહેલા એસ.કે. સિંઘલ પર પેપર લીક પછી બેદરકારીના આરોપો લાગ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે કહ્યું કે તેઓ “યોગ્ય સમયે” આ મુદ્દે વાત કરશે.
ઉમેદવારોને લાંબી રાહ
45 કેસોમાંથી:
23 કેસ ભાજપ શાસિત રાજ્યોમાં થયા
14 કેસ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થયા
બાકીના કેસ અન્ય રાજ્યોમાં થયા
આમાંથી મોટા ભાગના કેસોમાં કોર્ટ કાર્યવાહી વર્ષોથી લંબાઈ રહી છે. ઘણા આરોપીઓ જામીન પર બહાર છે, જ્યારે કેટલાક કેસોમાં તપાસ એજન્સીઓએ ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરી દીધા છે.
મહારાષ્ટ્ર: સાંગલીથી પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ, બરણીઓ, ડબ્બાઓ અને અન્ય કચરો ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, તે શેરીમાં ફરતા ગાય અને શ્વાન જેવા અબોલ પશુઓ તેમજ વન્યજીવો માટે ‘ડેથ ટ્રેપ’ એટલે કે મોતનો કુવો સાબિત થઈ રહ્યો છે. સંસ્થાએ લોકોને અપીલ કરી છે કે પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે કચરાનો યોગ્ય નિકાલ કરવાની પ્રતિજ્ઞા લઈએ.
પ્રાણીઓના હૃદયસ્પર્શક ઉદાહરણો:
વર્ષ ૨૦૨૫માં જ ‘એનિમલ રાહત’ સંસ્થાએ કચરામાં ફસાયેલા આવા ડઝનબંધ પ્રાણીઓના જીવ બચાવ્યા હતા, જેમાંના કેટલાંક કિસ્સા નીચે મુજબ છે:
ચાલા (શ્વાન): આ શેરીનો શ્વાન ગળામાં સ્ટીલની તૂટેલી કીટલી ફસાઈ જવાને કારણે ૪ વર્ષ સુધી હેરાન થતો ભટકતો રહ્યો હતો, જેને સંસ્થાએ મુક્ત કર્યો.
મીના (ગાય): આ ગાયના પેટમાંથી ઈમરજન્સી ઓપરેશન કરીને ૪૭ કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી હતી! હવે તે સંસ્થાના આશ્રયસ્થાનમાં સુરક્ષિત છે.
રેવતી (ગાય): આ ગાયના જડબામાં લોખંડનો ડબ્બો (ટીન કેન) એવી રીતે ફસાઈ ગયો હતો કે તે કંઈ ખાઈ શકતી નહોતી અને અસહ્ય પીડામાં હતી.
એનિમલ રાહતની ખાસ ટિપ્સ:
આપણે આપણી નાની આદતો બદલીને અબોલ જીવોનો જીવ બચાવી શકીએ છીએ:
પ્લાસ્ટિકને ‘ના’ કહો: સિંગલ-યુઝ પ્લાસ્ટિક (એક વાર વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિક)નો ઉપયોગ બંધ કરો અને કાપડની થેલી વાપરો.
બરણીના ઢાંકણા બંધ કરો: કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બરણી કચરામાં ફેંકતા પહેલા તેનું ઢાંકણું બરાબર બંધ કરો, જેથી કોઈ પ્રાણીનું મોઢું કે માથું તેમાં ફસાઈ ન જાય.
ડબ્બા કચડીને ફેંકો: ટીનના ખાલી ડબ્બા કે કેનને હંમેશા કચડી (Crush કરી) નાખો જેથી તેની અણીદાર ધારથી પ્રાણીઓ ઘવાય નહીં.
ખોરાક ખુલ્લો ન ફેંકો: એવો પ્લાસ્ટિકનો કચરો ખુલ્લો ન મૂકો જેમાં વધેલું ભોજન હોય, કારણ કે ખોરાકની લાલચે પ્રાણીઓ આખો પ્લાસ્ટિકનો કચરો ગળી જાય છે.
કચરાપેટી બંધ રાખો: ઘર કે સોસાયટીનો કચરો હંમેશા મજબૂત અને બરાબર બંધ થઈ શકે તેવા ડબ્બામાં જ રાખો.
સંસ્થાના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. નરેશ ઉપ્રેતીનું કહેવું છે, “ભૂખ્યા અથવા કુતૂહલવશ થઈને પ્રાણીઓ આ ખુલ્લા ડબ્બા અને પ્લાસ્ટિક તરફ ખેંચાય છે અને તેમાં ફસાઈને જીવ ગુમાવે છે. જો આપણે માત્ર કાપડની થેલીઓ વાપરવાનું શરૂ કરીએ અને સજાગ રહીએ, તો અનેક માસૂમ પશુઓના જીવ બચાવી શકાય છે.”
સંસ્થા વિશે ટૂંકમાં:
‘એનિમલ રાહત’ એ પશુ ચિકિત્સકો (ડોક્ટરો) અને સ્વયંસેવકોની એવી સંસ્થા છે જે પીડાતા પ્રાણીઓને મફત તબીબી સારવાર આપે છે. લોકોને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન રાખવા જાગૃત કરે છે અને બચાવેલા પ્રાણીઓને પોતાના આશ્રયસ્થાનમાં આજીવન આશરો આપે છે.
અમદાવાદ: ખેલ જગતમાં એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. શહેરના પ્રતિષ્ઠિત ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા (EKA Arena TransStadia) ખાતે ‘પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ થયો. વૈશ્વિક સ્તરે રમત તરીકે યોગાસનને સ્થાપિત કરતી આ પ્રથમ ઐતિહાસિક સ્પર્ધા છે. જેમાં વિશ્વના ૭૮ દેશોના ૫૦૦થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એકત્રિત થયા છે.
આ ભવ્ય સ્પર્ધાને ડિજિટલ માધ્યમથી ખુલ્લી જાહેર કરતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ક્ષણને યોગાસનના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત ગણાવી હતી. તેમણે ગૌરવભેર જણાવ્યું કે, “આજે અમદાવાદની પવિત્ર ધરતી પરથી વૈશ્વિક રમતગમતના વારસામાં એક નવું પ્રકરણ જોડાયું છે. આ ચેમ્પિયનશિપ યોગાસનને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં સ્થાન અપાવવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.”કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપમાં માત્ર ૧૩ દેશોએ ભાગ લીધો હતો, જ્યારે પ્રથમ વિશ્વ યોગાસન સ્પર્ધામાં જ ૭૮ દેશોની હાજરી ભારતની આ પરંપરા પ્રત્યે વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને એક સ્વદેશી રમત તરીકે સામેલ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના એથ્લેટ્સ, ઓફિશિયલ્સ અને મહેમાનોનું અમદાવાદમાં હાર્દિક સ્વાગત કરીને આ આયોજનને રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ યોગાસનના અધ્યક્ષ યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ, મહાસચિવ ડૉ. જયદીપ આર્ય અને યોગાસન ભારતના અધ્યક્ષ ઉદિત શેઠે પણ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરીને યોગાસનને આત્મશુદ્ધિ અને માનસિક સ્થિરતા માટેનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું.
સ્પર્ધાની મુખ્ય વિશેષતાઓ:
વૈશ્વિક પ્રદર્શન: ૭૮ દેશોના ખેલાડીઓ સામે યજમાન ભારત પોતાની ૧૨૨ સભ્યોની મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતર્યું છે.
૫ દિવસની ટક્કર: આગામી પાંચ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં ખેલાડીઓ વ્યક્તિગત, કલાત્મક (Artistic) અને પરંપરાગત (Traditional) જૂથ સ્પર્ધાઓ સહિત કુલ ૬ વયજૂથોમાં ભાગ લેશે.
ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ: રમતગમતના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે વૈશ્વિક સ્તરે હાઇ-ટેક ‘ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ’નો ઉપયોગ થઈ રહ્યો છે.
નિર્ણાયકો: મેચોનું તટસ્થ સંચાલન કરવા માટે ૩૨ આંતરરાષ્ટ્રીય અને ૫૧ રાષ્ટ્રીય કક્ષાના જજ તૈનાત કરવામાં આવ્યા છે.