Home Blog Page 20

બિહારનાં 200 ગામોમાં પૂરઃ 2.50 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

પટનાઃ બિહારમાં કોસી, ગંડક, બાગમતી નદી કાળો કેર વર્તાવી રહી છે. અત્યાર સુધી બે ગામોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. આશરે 2.50 લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહાર સરકારે અલર્ટ પણ જારી કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સાત બાંધ તૂટ્યા છે. આ બાંધ તૂટવાને કારણે કિરતપુર, પ્રખંડ અને ધન્યશ્યામપુર પ્રખંડમાં પૂરનાં પાણી વિનાશ વેર્યો છે. સીતામઢી અને શિવહરમાં કુલ પાંચ બંધને બાગમતી નદીના પૂરે ધ્વસ્ત કર્યાં છે.

હાલના દિવસોમાં ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કોસી નદીમાં જળસ્તર વધી રહ્યું છે. લાખ્ખો લોકોની જિંદગી મુશ્કેલીમાં છે. લોકોને 2008વાળો ડર સતાવવા લાગ્યો છે. વર્ષ 2008માં આવેલા પૂરમાં સરકારી આંકડાઓ મુજબ 2008માં પૂરથી 526 લોકોનાં મોત થયાં હતાં. અનેક ખેડૂતોનાં ખેતરો હંમેશ માટે ખતમ થયાં હતાં, ત્યારે નેપાળે બે-ત્રણ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું.રાજ્યમાં ઘર, રસ્તા, પૂલ અને ઊંચી ઇમારતો પાણીમાં ગરકાવ છે. લાખ્ખો જિંદગીઓ અચનક નિઃસહાય થઈ ગઈ છે. નેપાળના રસ્તે આવી રહેલી નદીઓએ રાજ્યના 13 જિલ્લાઓ ભારે વિનાશ વેર્યો છે. આ જળપ્રલય જોઈને લોકોને હવે 1968 અને 2008ની ભયાનક યાદો તાજી થઈ છે.

રાજ્યમાં કોસી નદી પર બીરપુર (નેપાળ)થી 6.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે છેલ્લાં 56 વર્ષોમાં સૌથી વધુ છે. જે 2008ની તુલને આશરે ત્રણ ગણું છે. જોકે 168માં 7.88 લાખ ક્યુસેક પછી એ સૌથી વધુ છે. ગંડક પર વાલ્મીકિનગરથી 5.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 2003 પછી સૌથી વધુ છે.

Monsoon Update: ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં નોંધાયો વરસાદ

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારના ત્રણ દિવસ પહેલા ગુજરાતમાં મેઘરાજા પણ મનમૂકી વરસી રહ્યા છે. જોકે હવામાન વિભાગે નવરાત્રિમાં કોઈ પણ વિધ્ન નહીં પડે તેવી આગાહી પણ વ્યક્ત કરી છે. જ્યારે પાછલા 24 કલાકની વાત થાય, ગુજરાતમાં એક દિવસમાં 134 તાલુકમાં વરસાદે હાજરી પુરાવી હતી. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઈંચ, બોટાદના ગઢડામાં 3.26 ઈંચ, તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડા 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી  

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે વરસાદનું જોર ઘટવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

નવરાત્રિ પર નહીં નડે વિઘ્ન 

આ ઉપરાંત ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શકયતા નહિવત છે. જો કે ક્યાં કોઇ જગ્યા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા નવસારી, વલસાડમાં પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઓક્ટોબરની શરૂઆતમાં જ ચોમાસાની વિદાયની શક્યતા સેવાય રહી છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.

ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઈંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઈંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.

‘ડિસ્કો કિંગ’ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીનું ફિલ્મજગતમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમણે તેમની કેરિયરમાં એક-એકથી ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેથી મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. તેમને આ એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ આઠ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે.

એક્ટરે કેરિયરના પ્રારંભમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે એ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં તેમનો એક જમાનો હતો. તેમના નામના સિક્કા પડતા હતા. સિનેમામાં યોગદાન માટે તેમની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઈ છે.  એક્ટર મિથુન માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ એક્શન અને ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. તેણે વિવિધ ભાષાઓમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે – બંગાળી, હિન્દી, ઉડિયા, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી. તેની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ મૃગયા હતી. આ ફિલ્મમાં તેનો બહુ નાનો રોલ હતો. આ પછી તેણે તેરે પ્યાર મેં, પ્રેમ વિવાહ, હમ પાંચ, ડિસ્કો ડાન્સર, હમ સે હૈ જમાના, ઘર એક મંદિર, અગ્નિપથ, તિતલી, ગોલમાલ 3, ખિલાડી 786 અને ધ તાશ્કંદ ફાઇલ્સમાં કામ કર્યું.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે આ માહિતી શેર કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે મિથુન ચક્રવર્તીની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. તેમને આ સન્માન ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે અભિનેતા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ચાહકો ખૂબ જ ખુશ છે. વડા પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.

મિથુન ચક્રવર્તીએ અભિનય ઉપરાંત માર્શલ આર્ટમાં નિષ્ણાત તાલીમ લીધી છે અને તે બ્લેક બેલ્ટ પણ છે. મિથુન 80ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા છે. તેમણે હિન્દી ફિલ્મોમાં ડાન્સને નવી ઓળખ આપી. એક સમય હતો જ્યારે મિથુનના ડાન્સના કારણે જ ફિલ્મ હિટ થતી હતી.મિથુનને નામે ક રેકોર્ડ નોંધાયેલો છે. મિથુને સૌપ્રથમ રૂ. 100 કમાણી કરતી હિટ ફિલ્મ આપી હતી, તેમની ડિસ્કો ડાન્સરે રૂ. 100 કરોડનો બિઝનેસ કરી ઇતિહાસ રહ્યો હતો.

 

 

લાપતા લેડિઝ ફિલ્મ લખવાનો સંજોગ કેવી રીતે બન્યો? સ્નેહા દેસાઈએ માંડીને કરી વાત

ઓસ્કાર માટે ઘણી ભારતીય ફિલ્મને મોકલવામાં આવી છે. પરંતુ જો કોઈ ફિલ્મ વધારે ચર્ચામાં હોય તો તે છે ‘લાપતા લેડિઝ’. આ ફિલ્મની એટલી બધી વાતો થઈ છે કે કદાચ ફિલ્મ સંબંધિત તમામ બાબતોથી તમે અવગત હશો. ત્યારે આજે આપણે ફિલ્મને પાનાં પર ઉતારનાર ફિલ્મના લેખિકા સ્નેહા દેસાઈ વિશે વાત કરીશું. ગુજરાતીઓ માટે ખાસ ગોરવની વાત છે એ છે કે સ્નેહા દેસાઈ ગુજરાતી છે. મૂળ સ્ટોરી બિપલબ ગોસ્વાની છે. પરંતુ એક રોપાને પાણી પાઈને જેમ ઘટાદાર વુક્ષ બનાવવામાં આવે એમ સ્નેહા દેસાઈએ આ સ્ટોરીનો સ્ક્રીનપ્લે અને સંવાદો લખીને વાર્તા બનાવી લોકોના દિલ સુધી પહોંચાડી છે.

સ્નેહા દેસાઈ મૂળ મુંબઈના છે. તે એક લેખિકા અને કુશળ અભિનેત્રી પણ છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા સ્નેહા દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. અભિનેત્રી તરીકે ગુજરાતી નાટકોમાં કામ કરતાં સ્નેહાને સપનેય વિચાર નહોતો કે ભવિષ્યમાં કલમ તેમની કરિયરને એક અલગ જ દિશા આપશે. તેણીએ પ્રખ્યાત નાટકોમાં અભિનય પણ કર્યો છે. લગ્ન બાદ બાળકનો જન્મ થયો ને અભિનયથી થોડું અતંર આવ્યું, આ અંતરે તેણીને લેખન તરફ દોર્યા. તેમણે કોડમંત્ર, સફરજન, ક કાનજીનો ક જેવા વિવિધ સફળ નાટકો લખ્યાં અને પછી ટેલિવિઝન તરફ પ્રયાણ કર્યુ. સ્નેહા દેસાઈએ હિન્દી શૉ ‘વાગળે કી દુનિયા’ અને ‘પુષ્પા ઈમ્પોસિબલ’પણ લખ્યાં છે. લેખિકા તરીકે લાપતા લેડિઝ તેમની ડેબ્યુ ફિલ્મ રહી છે. તેમજ ‘મહારાજ’ ફિલ્મ પણ તેમની કલમથી લખાઈ છે. હવે જ્યારે લાપતા લેડિઝને ઓસ્કારમાં એન્ટ્રી મળી છે ત્યારે સ્નેહા દેસાઈએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરી પોતાના અનુભવ શેર કર્યા છે.

1. લાપતા લેડિઝ ફિલ્મ કેવી રીતે મળી?

લાપતા લેડિઝ એક સુખદ સંજોગ છે એવું કહી શકાય. મેં પહેલી ફિલ્મ જે લખી હતી એ મહારાજ છે. જ્યારે હું જનૈદ ખાનને મહારાજની સ્ટોરી સંભળાવવા ગઈ હતી ત્યારે આમિર સર અને કિરણ મેમ પણ ત્યાં બેઠા હતા નરેશન સાંભળવા માટે. એ સમયે અમારી પહેલી મુલાકાત થઈ. જોકે ત્યારે લાપતા લેડિઝ વિશે કોઈ જ પ્રકારની વાત નહોતી થઈ. બાદમાં મહારાજ ફિલ્મનું શૂટિંગ શરૂ તો થયું પણ લોકડાઉનને કારણે અટકાવવામાં આવ્યું. આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો જ્યારે ઘરે બેઠા હતા ત્યારે લોકડાઉન દરમિયાન મને આમિર ખાન પ્રોડક્શનન તરફથી લાપતા લેડિઝની સ્ટોરી માટે સ્ક્રીનપ્લે અને સંવાદ લખવાની ઓફર આવી હતી.

2. ફિલ્મ લખતી વખતે કેવા પડકાર રહ્યાં?

અમે લખવાનું શરૂ કર્યુ ત્યારે નક્કી કર્યુ હતું કે ફિલ્મથી ઉપર કોઈ વસ્તુ ન હોવી જોઈએ. પ્રોડક્શન તરફથી મને કોઈ પણ બંધન નહોતું. મને વાર્તાને અનુરુપ કંઈ પણ લખવાની બાંહેધરી હતી. અમે બહુ સાતત્ય સાથે આ વાર્તા લખી શક્યા. લખતી વખતે કિરણ મેમ અને આમિર સર બંને સતત સાથે હતાં. અમે જ્યારે રિંડીંગ કરતા ત્યારે તેઓ સતત ફિડબેક આપતાં. સ્ક્રિપ્ટ લેવલ પર જ એટલું ઝીણવટપૂર્વક અને સરસ એડિટિંગ થયું હતું કે અમને ખાતરી હતી કે જ્યારે ફિલ્મ બનશે ત્યારે એક ભારે ફિલ્મ બનશે.

3. સ્ટોરી લખતાં કેટલો સમય લાગ્યો?

મૂળ વાર્તા બિપલબ ગોસ્વામીની છે. સ્ક્રીનપ્લે અને સંવાદો મેં લખ્યા છે. મેં જ્યારે પહેલો રૉ ડ્રાફ્ટ તૈયાર કર્યો જે મારે પ્રોડક્શનને સંભળાવવાનો હતો તે 25 દિવસમાં તૈયાર થયો હતો.બાદમાં જ્યારે મેં વાર્તા સંભળાવી ત્યારે તે તેમને ખુબ જ ગમી અને તેમણે કહ્યું કે અહીં આપણે આ પ્રોજેક્ટને લૉક કરીએ છીએ. આપણે તમારી સાથે જ આ વાર્તામાં આગળ વધીશું અને તમે જ સ્ક્રીનપ્લે અને સંવાદ લખશો. ત્યાર બાદ અમે બીજા ડ્રાફ્ટ પર કામ કરવાનું શરૂ કર્યુ. કઈ વસ્તુ પર ભાર આપવો, લોકોને સમજાય એવી રીતે ડેવલપ કરવી, કોઈ વસ્તુ સારી છે તો તેને યોગ્ય રીતે ઉજાગર કરવી આવી વિવિધ બાબતનો ધ્યાનમાં રાખી બીજો ડ્રાફ્ટ તૈયાર કર્યો. લોકડાઉન હોવાથી અમારી પાસે ઘણો સમય હતો તેથી ધીમે ધીમે કામ કર્યુ આશરે છ થી આઠ મહિના જેટલો સમય લાગ્યો બાકી બે મહિનામાં પણ થઈ શક્યુ હોત.

4. કિરણ રાવ અને આમિર ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મારે એક વાત કહેવી જ રહી કે તે લોકો પોતાની કળાને લઈને અને પોતાના પ્રોડક્શન હાઉસને લઈને ખુબ જ ઉદાર છે. તેમના પ્રોડ્કશનમાં બનતી અન્ય કોઈ ફિલ્મની પ્રક્રિયામાં પણ તમને સામેલ કરે છે. રિડીંગ સેશન્સ કે કોઈ અન્ય પ્રવૃત્તિમાં તે બોલાવે તેમજ જોડાવવાની તક આપે જેથી જ્યાં પણ તમારે યોગદાન આપવું હોય ત્યાં આપી શકો. તમને સાંભળવામાં આવે. તેમના આટલા બહોળા અનુભવમાંથી મને આ પ્રોજોક્ટ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું.

5. એક મહિલા તરીકે મહિલા કેન્દ્રિત ફિલ્મ લખવાની પ્રક્રિયા કેવી રહી?

મને લાગે છે જ્યારે સ્ત્રીઓ સ્ત્રી પાત્રને લખતી હોય ત્યારે એક અલગ પ્રકારની ભાવના આપણે લાવી શકીએ છીએ. પણ હા, હું જરાય એવું નથી માનતી કે પુરુષો સ્ત્રી પાત્રને સારી રીતે નથી લખી શકતાં. લાપતા લેડિઝમાં જે મહિલા પાત્રો છે, એ પ્રકારના પાત્રો લખો ત્યારે એક મૂળભૂત વાત એ કે મહિલા ઓબર્ઝવેશનને તમે પાત્રમાં લાવી શકો છો. જ્યારે એવી વાતોને તમે પડદા પર લાવો ત્યારે મોટાભાગની ઓડિયન્સ, મહિલાઓ એ બાબતો સાથે કનેક્ટ થઈ શકે છે. તેમની ખુશી પીડા બધું જ અનુભવી શકે છે. જયારે તમને પાત્રો સાથેનું કનેક્શન મળી જાય ત્યારે તમે ફિલ્મ સાથે ઓટોમેટિક કનેક્ટ થઈ જાઓ છો. મને લાગે છે લાપતા લેડિઝને એ વાતનો સૌથી વધારે ફાયદો થયો છે. જો આપણે આપણી આસપાસ નિરીક્ષણ કરીએ તો આવા અનેક પાત્રો જોવા મળે છે. અમારો પહેલેથી એક નિર્ણય હતો કે અમારે માણસોની અંદર રહેલી સારપને ઉજાગર કરવી છે અને એને ઉજવવી છે. નારીને ઉંચી કે નબળી બતાવવી કે પુરૂષને મજબુત કે નબળો દર્શાવવો એવી કોઈ વાત નહોતી.

6. ઉભરતાં યુવા લેખકો માટે કંઈ સૂચન?

સૌથી પહેલા કહીશ કે ખૂબ જ વાંચો અને એટલું જ લખો. જેટલો રિયાઝ હશે એવું જ લખાણ કાગળ પર દેખાશે. ઘણાં લોકોને એવું લાગે કે અમે લખીએ છીએ પણ અમને મોકો નથી મળતો. પરંતુ એવું નથી, જો તમારા લખાણમાં સ્પાર્ક હશે તો તે કોઈ પણ રીતે દુનિયા સુધી પહોંચશે. ફિલ્મ જુઓ, વિવિધ સ્ક્રિપ્ટ વાંચો, સ્ક્રીનપ્લેની ગુંથણી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરો અને સેલ્ફ સ્ટડી કરો.

 

અંતે ઓસ્કારમાં ફિલ્મની એન્ટ્રી પર ખુશી વ્યકત કરતાં સ્નેહા દેસાઈએ કહ્યું ‘બહુ બધાં લોકોને ફાળો છે આ સફળતામાં. મારો પરિવાર, મિત્રો અને જે પણ લોકોનો સહકાર મળ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. આ ગોવર્ધન ઉપાડવામાં બધાની આંગળી અડેલી છે એવું હું સખતપણે માનું છે. ઓસ્કાર સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે.’ઉલ્લેખનીય છે કે સ્નેહા દેસાઈએ જયેશભાઈ જોરદાર અને મહારાજ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. જો તેણીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો રાઈટર તરીકે તેમની બે ફિલ્મ્સ આવી રહી છે. જે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.

છ દિવસના બાળકના અંગદાનથી ચાર “જીવનદીપ” રોશન

સુરત : મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઢાંક ગામના વતની અને હાલ સુરત વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુંમરના બેબીનાં અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે. મળતી માહિતી મુજબ 23 સપ્ટેમ્બરના રોજ મનીષાબેન મયુરભાઈ ઠુંમરને નોર્મલ ડીલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો. ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પીટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરુ કરવામાં આવી હતી.

ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી, સઘન સારવાર બાદ 27 સપ્ટેમ્બરના રોજ ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો.મયંક દેત્રોજા, ડો.ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી. બ્રેઈન ડેડ જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે એવી સમજણ આપેલ હતી.

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી હતી. આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનાનો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું. ટીમ જીવનદીપ એ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. હરેશભાઈ પાગડા, ડો. નીલેશ કાછડિયા, ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો. ક્રિષ્ના ભાલાળા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, સતિષ ભંડેરી, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવીયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલથી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરતથી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.

હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો

હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. જે ગયા શુક્રવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. સુરક્ષા અને તબીબી ટીમે હુમલાના સ્થળેથી જ મૃતદેહને બહાર કાઢ્યો છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહ પર સતત હુમલો કરી રહ્યું છે અને રવિવારે લેબેનોનની સરહદ પર ટેન્ક તૈનાત કરી છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર હિઝબુલ્લાહ નેતાનો મૃતદેહ મળી આવ્યો છે. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. એક તબીબી સ્ત્રોત અને સુરક્ષા સ્ત્રોતે જણાવ્યું હતું કે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર ઇઝરાયેલી હવાઈ હુમલાના સ્થળે તેનો મૃતદેહ અકબંધ મળી આવ્યો હતો.

નસરાલ્લાહનું મૃત્યુ કેવી રીતે થયું?

સૂત્રોએ જણાવ્યું હતું કે તેના શરીર પર કોઈ સીધો ઘા નથી અને એવું લાગે છે કે મૃત્યુનું કારણ જોરથી બ્લાસ્ટને કારણે થયેલ આઘાત હોઈ શકે છે. બીજી તરફ ઈઝરાયેલે કહ્યું કે હિઝબુલ્લાના ટાર્ગેટ પર હુમલા ચાલુ છે. એક નવા અપડેટમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા કેટલાક કલાકો દરમિયાન લેબનોનમાં હિઝબુલ્લાહના ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો છે. સેનાનું કહેવું છે કે હુમલાનો ઉદ્દેશ્ય હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર અને હથિયારોના ગોદામોને નષ્ટ કરવાનો હતો.

સીરિયામાં અમેરિકાની એર સ્ટ્રાઈકમાં 37 આતંકી ઠાર

યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવા માટે જવાબદાર હતા. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સીરિયાના ચાર નેતાઓનો સમાવેશ થાય છે.

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ યુએસ હિતોની સાથે સાથે અમારા સહયોગીઓ અને ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ISISની તૈયારીઓને નષ્ટ કરી દીધી હતી. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો તૈનાત છે. યુ.એસ. દળો ઉત્તરપૂર્વીય સીરિયામાં તેમના મુખ્ય સહયોગીઓ, કુર્દિશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસને સલાહ અને સહાય પૂરી પાડે છે.

વન નેશન-વન ઈલેક્શન પર સંસદમાં મોદી સરકાર લાવશે બિલ

સરકાર એક દેશ, એક ચૂંટણીને લઈને સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ત્રણ બિલ લાવશે જેમાંથી બે બંધારણીય સુધારા બિલ હશે. જો કે, સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટ સત્રમાં એ હજુ નક્કી નથી. આ અંગે ટૂંક સમયમાં સરકાર સ્તરે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટે એક દેશ, એક ચૂંટણી પર રામનાથ કોવિંદ સમિતિની ભલામણોને સ્વીકારી હતી. સમિતિના રિપોર્ટમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે.

સમિતિએ પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. સમિતિએ બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. સૂચિત બંધારણીય સુધારા બિલોમાંથી એક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને લોકસભા અને વિધાનસભાઓ સાથે જોડવાનું છે. આ બિલને ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોના સમર્થનની જરૂર છે.

લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ

પ્રસ્તાવિત પ્રથમ બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવાની જોગવાઈ છે. સૂત્રોનું કહેવું છે કે પ્રસ્તાવિત બિલમાં ‘નિયત તારીખ’ સંબંધિત પેટા-કલમ (1) ઉમેરવામાં આવશે અને કલમ 82Aમાં સુધારાની જોગવાઈ છે. આ સાથે આ બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ સમાપ્ત કરવાની જોગવાઈ પણ છે. કલમ 82Aની પેટા-કલમ (2)માં સુધારાની જોગવાઈ હશે. કલમ 83(2)માં સુધારો કરવાની પણ જોગવાઈ છે. આ બિલમાં લોકસભાના કાર્યકાળ અને વિસર્જન સાથે સંબંધિત નવી પેટા-વિભાગો (3) અને (4)નો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવશે.

સરકાર બંધારણમાં સુધારા માટે બિલ લાવશે

આ બિલમાં એસેમ્બલીઓનું વિસર્જન અને કલમ 327માં સુધારો કરવામાં આવશે અને તેમાં “એક સાથે ચૂંટણી” શબ્દો સામેલ કરવામાં આવશે. જો કે, આ બિલને 50 ટકા રાજ્યોના સમર્થનની જરૂર રહેશે નહીં. બીજી તરફ, બીજા સંવિધાન સંશોધન બિલને 50 ટકા રાજ્યોની વિધાનસભાઓના સમર્થનની જરૂર પડશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે, ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીની ભલામણ કરવામાં આવશે અને તેમાં પણ સુધારાની જરૂર છે.

બંધારણીય રીતે ચૂંટણી પંચ અને રાજ્યની ચૂંટણીઓ બંને અલગ સંસ્થાઓ છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, રાજ્યસભા, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને રાજ્ય વિધાન પરિષદોની ચૂંટણીઓનું સંચાલન કરે છે, જ્યારે રાજ્ય ચૂંટણી પંચ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કરે છે.

સરકારે રામનાથ કોવિંદ સમિતિની ભલામણ સ્વીકારી

પ્રસ્તાવિત બીજા બંધારણ સુધારા બિલમાં કલમ 324A ઉમેરવાની જોગવાઈ છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ તેમજ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એક સાથે યોજવાની જોગવાઈ છે.

ત્રીજું બિલ એક સામાન્ય બિલ છે. આ બિલ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદાઓની જોગવાઈઓમાં સુધારો કરશે. આ એક સરળ બિલ છે અને તેને ન તો બંધારણમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે ન તો રાજ્યોના સમર્થનની.

રામનાથ કોવિંદ સમિતિએ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે હાલમાં જ આ ભલામણનો સ્વીકાર કર્યો છે.