Home Blog Page 1752

મોદીની સરકાર બની પણ ગઈ તો લાંબો સમય ટકશે નહીં

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ ભાજપની આગેવાની હેઠળ એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં એક તરફ NDAએ બહુમતી મેળવી છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન INDIAએ પણ જોરદાર ટક્કર આપી છે. જોકે, વિપક્ષી ગઠબંધન INDIAએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં સરકાર બનાવવાનું વિચારી રહ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. નરેન્દ્ર મોદી એનડીએ વતી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો હતો કે જો એનડીએ સરકાર બનશે તો આ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં.

સંજય રાઉતે કહ્યું, “હું આ વાત વારંવાર કહું છું. મોદીજીની સરકાર નહીં બને. જો તેમની સરકાર બનશે તો તે ટકશે નહીં.” તેમણે આગળ કહ્યું, “શું તમને નથી લાગતું કે શિવસેના (UBT) એ કોંગ્રેસના મતો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે? જો એવુ હોત તો શું શિવસેના (UBT) અને ઉદ્ધવ ઠાકરે સમગ્ર મહારાષ્ટ્રમાં ન ગયા હોત? મહાવિકાસ અઘાડી મજબૂત રીતે કામ કરશે અને અમારા મનમાં કોઈ અહંકાર નથી.”

સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની ઓફર પર પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, “રાજકારણમાં આવી યુક્તિઓ સામાન્ય છે. મહારાષ્ટ્રે ફડણવીસના નેતૃત્વને નકારી કાઢ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજકારણના ખલનાયક છે. તેમના કારણે મહારાષ્ટ્રમાં બીજેપી સાથે ખરાબ વસ્તુઓ થઈ હતી. તેમણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઝેર ઓક્યું હતું. હવે તેમને તેનુ પરિણામ ભોગવવું પડશે.”

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં શિવસેના (UBT)એ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 9 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસે 13 બેઠકો, ભાજપે નવ, એનસીપી-એસપીએ આઠ, શિવસેનાએ સાત અને એનસીપીએ એક બેઠક જીતી હતી. દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપની આગેવાની હેઠળની એનડીએ 292 અને INDIAએ 234 બેઠકો જીતી છે. NDAની આ જીત સાથે નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

 

અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂરઃ JDU

નવી દિલ્હીઃ PM મોદીની આગેવાની હેઠળ NDA સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ શનિવારે યોજવાનો છે અને મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને મોરિશિયસ સહિત કેટલાય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર થવાના છે, પણ ગઠબંધન સરકાર બને એ પહેલાં જ વિવાદોનો પ્રારંભ અત્યારથી જ થઈ ગયો છે.

NDA સરકારમાં સામેલ JDUએ મોટું નિવેદન આપતાં કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર અમારું વલણ જેમનું તેમ છે. JDUના મહા સચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે આ મામલે બધા સ્ટેકહોલ્ડરને સાથે લઈને ચાલવાની જરૂર છે. UCC પર નીતીશકુમારે વિધિ પંચના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે અમે એની વિરુદ્ધ નથી, પણ એમાં વ્યાપક વિચારવિમર્શ કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અગ્નિવીર યોજનાને લઈને બહુ વિરોધ થયો હતો અને ચૂંટણીમાં પણ એની જોવા મળી છે. એના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. અગ્નિવીર યોજનાને નવી રીતે વિચારવાની આવશ્યકતા છે, જે સુરક્ષા કર્મચારીઓ હતા સેનામાં તહેનાત હતા અને જ્યારે અગ્નિવીર યોજના આવી તો યુવાનોમાં મોટા પાયે અસંતોષ હતો. મારું માનવું છે કે તેમના પરિવારજનોએ પણ ચૂંટણીમાં વિરોધ જારી કર્યો છે, એટલે એમાં નવા પ્રકારે વિચારવિમર્શ કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

આ સાથે વન નેશન, વન ઇલેક્શનને સમર્થન કરતાં તેમણે કહ્યું હતું કે અમે એક દેશ એક ચૂંટણીની વાતને સમર્થન આપે છીએ. અમે લાંબા સમયથી માગ કરી રહ્યા છીએ કે જો બિહારથી પલાયન રોકવું હશે તો એને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

 

સંજય સોલંકી અપહરણ કેસના આરોપી જેલના હવાલે, જાણો શું છે આખો કેસ

જુનાગઢમાં NSUIના શહેર પ્રમુખના અપરહણ કેસમાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અપરહણ કેસના મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે અટકાયત કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને દબોચ્યા હતા.  

જુનાગઢમાં NSUIના શહેર પ્રમુખના અપરહણ કેસમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. અગાઉ થોડા દિવસ પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરિતો પણ ધરપકડ કરવામાં આવી હતી. ગઈ કાલે ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી ગણેશ ફરાર હતો.

આ કેસમાં અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું છે આખો અપહરણ મામલો

જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફરિયાદ અને આરોપી વચ્ચે રસ્તા પર કાર વ્યવસ્થિત ચલાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીત મિત્રો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતું. ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરી જુનાગઢ આવ્યા અને ફરિયાદી સંજય સોલંકીને મારી નાંખવાના ઇરાદે કારથી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. જે બાદ આ લોકોએ લોખંડના પાઈપ જેવા હથિયારોથી સંજય સોલંકીને માર પણ માર્યો હતો. જે બાદ સંજય સોલંકીનું અપહરણ કરી દીધું હતું.

‘ઓપરેશન બ્લુ સ્ટાર’: સુવર્ણ મંદિરમાં ભિંડરાવાલેનાં પોસ્ટરો લહેરાયાં

અમૃતસરઃ ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વરસી પર અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીખ સમાજના કેટલાક લોકોએ ખાલિસ્તાન સમર્થકનાં સૂત્રો પોકાર્યાં હતાં. પ્રદર્શનકારીઓએ માર્યા ગયેલા અલગાવવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલાનાં પોસ્ટર પણ લહેરાવ્યાં હતાં. શિરોમણિ અકાલી દળ (અમૃતસર)ના પ્રમુખ સિમરનજિત સિંહ માન પણ સુવર્ણ મંદિરના પ્રાંગણમાં જરનૈલ સિંહ ભિડરાવાલેના સૂત્રોચ્ચાર કરતા અને પોસ્ટર પ્રદર્શિત કરતા લોકોની વચ્ચે જોવા મળ્યા હતા. જેથી સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારવામાં આવી હતી.

વરિષ્ઠ પોલીસ કમિશનર એસએસ રંધાવા સિંહે કહ્યું હતું કે અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દળોને તહેનાત કરવામાં આવ્યા છે અને બેરિકેડિંગ કરવામાં આવી છે. કોઈ પણ અપ્રિય ઘટના પર નજર રાખવામાં આવશે.

કોણ હતો ભિંડરાવાલે?

ભિંડરાવાલે કટ્ટરપંથી શીખ સંગઠન દમદમી ટકસાલના પ્રમુખ હતા. જૂન, 1984માં સુવર્ણ મંદિર પ્રાંગણમાં આતંકવાદીઓને બહાર કાઢવા માટે સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બ્લુસ્ટાર દરમ્યાન તેઓ સશસ્ત્ર અનુયાયીઓની સાથે માર્યો ગયો હતો.  પંજાબમાં છ જૂન, 1984એ ભિંડરાવાલેના નેતૃત્વમાં શીખ ઉગ્રવાદને અટકાવવા માટે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશ પર ઓપરેશન બ્લુ સ્ટાર હેઠળ સેનાએ સુવર્ણ મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવી માહિતી હતી કે ભિંડરાવાલાએ સુવર્ણ મંદિર પ્રાંગણમાં મોટી માત્રામાં હથિયારો છુપાવી રાખ્યા હતા.

આ ઓપરેશનની ઘણી આકરી ટીકા થઈ હતી. મહિનાઓ પછી 31 ઓક્ટોબર, 1984એ ઇન્દિરા ગાંધીની નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને તેમના શીખ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. બિયંત સિંહ અને સતવંત સિંહ ઇન્દિરા ગાંધીના અંગરક્ષક હતા.હાલમાં પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં બિયંત સિંહ (ઇન્દિરા ગાંધીના અંગરક્ષકો માના એક)ના પુત્ર સરબજિત સિંહ ખાલસાએ ફરીદકોટ મતક્ષેત્રમાંથી આમ આદમી પાર્ટીના નેતા કરમજિત સિંહ અનમોલ પર 70,053 મતોના અંતરથી જીત નોંધાવી હતી.

 

 

 

 

 

 

 

 

‘અયોધ્યાની જનતાએ હંમેશા તેમના સાચા રાજા સાથે દગો કર્યો છે’

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો હવે બધાની સામે છે, જેના કારણે ઘણા લોકો નિરાશ થયા છે. ખાસ કરીને અયોધ્યામાં ભાજપની હાર ઘણા લોકોને ગળે ઉતરી રહી નથી.એમાનાં એક નામ છે ‘લક્ષ્મણ’ એટલે કે રામાનંદ સાગરની ‘રામાયણ’ના સુનીલ લાહિરી. સુનીલ લાહિરી આ વખતની લોકસભા ચૂંટણીના પરિણામોથી ખૂબ જ નિરાશ છે. તેઓ ચૂંટણી પરિણામો પર પોતાની નિરાશા વ્યક્ત કરી ચૂક્યા છે અને ફરી એકવાર તેઓ કંઈક આવું જ કરતા જોવા મળ્યા. એક તરફ સુનીલ લાહિરી પોતાના રામાયણ કો-સ્ટાર અરુણ ગોવિલ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની જીતથી ખુશ છે, તો બીજી તરફ ફૈઝાબાદ એટલે કે અયોધ્યામાં ભાજપની હાર તેમના માટે સૌથી મોટો આંચકો સાબિત થયો છે. સુનીલ લાહિરીએ હવે અયોધ્યામાં બીજેપીને વોટ ન આપવા પર અયોધ્યાવાસીઓ પર નિશાન સાધ્યું છે.

અયોધ્યામાં ભાજપની હારથી સુનીલ લાહિરી નિરાશ
આ વખતે જાન્યુઆરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરના દિગ્ગજ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત તમામ મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આવી સ્થિતિમાં બધાને આશા હતી કે લોકસભાની ચૂંટણીમાં અયોધ્યામાં બીજેપી ઉમેદવાર જીતશે, પરંતુ જ્યારે 4 જૂને પરિણામ આવ્યા તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ સામે હારી ગયા.

સુનીલ લાહિરીએ અયોધ્યાવાસીઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો
આવી સ્થિતિમાં સુનીલ લાહિરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અયોધ્યાના ચૂંટણી પરિણામો પર ટિપ્પણી કરી છે. તેમણે અયોધ્યાના લોકો પર તેમના રાજા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમને સ્વાર્થી ગણાવ્યા છે. સુનીલ લાહિરીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, ‘અમે ભૂલી ગયા કે આ એ જ અયોધ્યાવાસી છે જેણે વનવાસમાંથી આવ્યા બાદ માતા સીતા પર શંકા કરી હતી. હિંદુ એ એવો સમુદાય છે જે જો ભગવાન દેખાય તો તેને પણ નકારે. સ્વાર્થી… ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે અયોધ્યાની જનતાએ હંમેશા તેમના સાચા રાજા સાથે દગો કર્યો છે.’

અયોધ્યાવાસીઓ પર નિશાન સાધ્યું
બીજી પોસ્ટમાં તેણે લખ્યું- ‘અયોધ્યાના લોકો, તમારી મહાનતાને સાદર પ્રણામ. જ્યારે તમે માતા સીતાને છોડી નથી, તો પછી રામને તંબુમાંથી બહાર કાઢીને ભવ્ય મંદિરમાં બેસાડનારાઓને દગો આપવામાં શું મોટી વાત છે. તમારા માટે ખૂબ આદર. સુનીલ લાહિરીની પોસ્ટથી સ્પષ્ટ છે કે તેઓ અયોધ્યાના ચૂંટણી પરિણામોથી ખૂબ નારાજ છે. તેઓ ભાજપની હારથી નિરાશ છે. જોકે, રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલની જીતથી તે સંતુષ્ટ છે. અરુણ ગોવિલ ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીતા વર્મા સામે મોટા માર્જિનથી જીત્યા છે.

કોરાનાના 17 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,618 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,06,123 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 25 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 237 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,725 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

ઐસી કરની ના કરો…

ગયા વર્ષે 83 વર્ષની વયે જેમનું અવસાન થયું તે ચેન્નઈના પદ્મભૂષણથી સમ્માનિત ડૉ. એસ.એસ. બદરીનાથ આંખના વિખ્યાત સર્જન હતા. વર્ષો પહેલાં તેમની માસિક પાંચ લાખની પ્રૅક્ટિસ હતી, પરંતુ એક વખત કાંચીના શંકરાચાર્યે તેમને સહજ ટકોર કરતાં કમાણીમાંથી થોડી નિઃસ્વાર્થ સેવા કરવા પ્રેરણા આપી. ગુરુના શબ્દો ડૉ. બદરીનાથના હૃદયમાં ઊતર્યા. તેમણે વ્યક્તિગત મહેચ્છા તજી લોકકલ્યાણમાં પ્રવૃત્તિમાં જોડી અને શંકર નેત્રાલયની સ્થાપના કરી, જ્યાં આજે દેશ-વિદેશના લાખો દર્દીઓ નજીવી ફીમાં સારવાર લઈ રહ્યા છે.

હવે જરા આ પ્રસંગ જુઓઃ આજથી સો વર્ષ કરતાંયે પહેલાં એક વ્યક્તિએ સવારના પહોરમાં પોતાનું નામ છાપાના ‘બેસણાં’ વિભાગમાં વાંચ્યું. તેને બહુ આશ્ચર્ય થયું. પોતે છાપું વાંચી રહ્યા છે એનો અર્થ એ જીવિત છે, કડેધડે છે. તો પછી… વળી અવસાનના સમાચારની વિગત વાંચીને એ માણસ હચમચી ઊઠ્યો. એને વિચાર આવ્યો કે મારા વિશે સમાચારપત્રમાં આવું કેમ છાપ્યું છે એ જાણવું જોઈએ. છાપામાં છપાયેલું કે ‘મૃત્યુનો સોદાગર… ડાયનામાઈટના રાજાનું અવસાન.’

હા, છાપાના તંત્રી વિભાગની ભૂલથી જેમના મૃત્યુના સમાચાર છપાયેલા એ ડાયનામાઈટનો શોધક હતો. તેણે ‘મૃત્યુનો સોદાગર’ જેવા શબ્દો વાંચ્યા ત્યારે તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોકો મને આ રીતે યાદ કરશે?’ એ ભાવુક થઈ ગયો. એ જ ક્ષણે એણે નક્કી કરી લીધું કે લોકો મને ‘મૃત્યુના સોદાગર’ તરીકે યાદ નહીં જ કરે. એણે વિશ્વ સમસ્તમાં શાંતિ લાવવાના પ્રયાસ શરૂ કર્યા. એનું નામ, સ્વીડનના સ્ટોકહોમમાં જન્મેલા વિજ્ઞાની આલ્ફ્રેડ નોબેલ. આજે લોકો એમને શાંતિ માટે એનાયત થતા નોબેલ પારિતોષિકના જનક તરીકે જ યાદ કરે છે.

કબીરજીનો દુહો છેને, “જબ તૂ આયા જગ મેં લોગ હઁસે તૂ રોયે, ઐસી કરની ના કરો, પિછે હઁસે સબ કોયે” અર્થાત્ નવજાત શિશુ રડતું રડતું પૃથ્વી પર આવે છે, પણ એનાં સગાંસંબંધી હસે છે, એના આગમનનો આનંદ મનાવે છે. કિંતુ જીવનમાં એવાં કાર્યો ન કરવાં કે વિદાય બાદ પણ લોકો આનંદ મનાવે. જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધી અને મિત્રોને, પરંતુ રડતું કોણ હોય છે? એ નવજાત શિશુ. જો કે આપણે જ્યારે આ દુનિયા છોડીને જઈએ છીએ, ત્યારે એનાથી ઊલટું થવું જોઈએ. આપણને ખુશી થવી જોઈએ, એ બાબતની કે જન્મ સમયે આપણને જેવી દુનિયા મળી હતી, એના કરતાં વધુ સારી સ્થિતિમાં આ દુનિયાને છોડીને જઈ રહ્યા છીએ. હા, જ્યારે તમારી જિંદગી પછી પણ તમારા માટે કોઈ રડે છે, યાદ કરે છે તો સમજી લો કે કે તમે હજુ જીવિત છો.

એટલે જ, જિંદગી એવી જીવવી જોઈએ કે આપણા ગયા પછી લોકો આપણને યાદ કરે. સારી ભાવનાથી, નહીં કે ઘૃણાથી!

‘બીજાનું ભલું કરવું.’, ‘બીજા માટે ઘસાવું.’ આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સમ્માનીય બને છે, આદરણીય બને છે, સ્મરણીય બને છે. પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે, ‘બીજાના સુખમાં આપણું સુખ.’ અને એ પ્રમાણે તેઓએ લાખો લોકોના વ્યક્તિગત પ્રશ્નોમાં સ્વજનની પેઠે રસ લઈને એના ઉકેલ લાવી આપ્યા. લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ રોજના સેંકડો લોકોને મળતા રહ્યા, હજારો પત્રો લખતા રહ્યા. એટલે જ, આજે તેમના ધામગમનને વર્ષો વીતી ગયાં છતાં લાખો લોકો તેમને રોજ હૃદયપૂર્વક યાદ કરે છે.

લોકોનાં હૃદયમાં આપણી શાશ્વત સ્મૃતિ રહે તે માટે એક તત્ત્વચિંતક કહે છે, “ઈતિહાસ તપાસી જોજો- આજ સુધી કોઈ પણ વ્યક્તિનું સમ્માન એ કારણથી નથી કરવામાં આવ્યું કે એણે દુનિયા પાસેથી શું અને કેટલું લીધું? પણ હા, એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે દુનિયાને શું અને કેટલું આપ્યું?”

જો આપણી ઈચ્છા હોય કે લોકો આપણને યાદ રાખે અને બધાનાં હૃદયમાં આપણું સ્થાન હોય તો બીજા લોકો માટે આપણે ભોગ આપવા તત્પર થઇએ- સમયનો ભોગ, શક્તિનો ભોગ, નિઃસ્વાર્થ સેવાનો ભોગ અને આપણાં કાર્યોથી સમાજને મદદરૂપ થવામાં ભોગ આપીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૦૬ જૂન, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 06/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 06/06/2024