Home Blog Page 1653

આજે વિશ્વ કૌશલ્ય દિવસઃવર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા સ્પર્ધાનું આયોજન

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કર્યો. એનો મુખ્ય હેતુ યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવાનો છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024 ની થીમ ‘શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય’, છે. જે શાંતિ નિર્માણ અને સંઘર્ષ નિવારણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે.

દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે એ માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે પણ નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન(NSDC)ની ગાઈડલાઈન પ્રમાણે  રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય  વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્ધારા ગુજરાત રાજ્યમાં જિલ્લા, ઝોન અને રાજ્ય લેવલે ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪ આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં રાજ્ય કક્ષાનાં ૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમણે નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં યોજાયેલી જુદી-જુદી સ્કીલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધકમાંથી રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના ૨ સ્પર્ધકોને ગોલ્ડ મેડલ , ૨ સ્પર્ધકોને સીલ્વર મેડલ, ૨ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ, અને ૭ સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ મેડલ મેળવ્યા છે. નોંધનીય છે કે ઈન્ડસ્ટ્રી ૪.૦માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના ૨ સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ફ્રાંસ જશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા ૧૨ ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિભાગના અધિક મુખ્ય સચિવ  ડો.અંજુ શર્મા નિયામક કૌશલ્ય વિકાસ, અનુપમ આનંદ અને રોજગાર- તાલીમના નિયામક ગાર્ગી જૈન ઉપસ્થિતિ રહ્યા હતા.

અક્ષય કુમારની ‘સરફિરા’ની હાલત ખરાબ, દર્શકોને આકર્ષવા અપનાવી આવી રીત

મુંબઈ: અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સરાફિરા’નું પ્રથમ દિવસનું કલેક્શન લગભગ 2.50 કરોડ રૂપિયા હતું. બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે કલેક્શનમાં લગભગ 70 ટકાનો વધારો કર્યો અને 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી, પરંતુ આ રકમ અક્ષય કુમાર અભિનીત ફિલ્મની કમાણીને એક સ્તરે લઈ જવા માટે પૂરતી નથી.

અભિનેતા અક્ષય કુમારની ‘સરાફિરા’ બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળી ઓપનિંગ રહી છે.બોક્સ ઓફિસ પર ફિલ્મના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દર્શકોને આકર્ષવા માટે એક મલ્ટિપ્લેક્સે ઓફર કરી છે. હવે લોકોને ફિલ્મની ટિકિટ સાથે ફ્રી ચા અને બે સમોસાની ઓફર આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 11.85 કરોડ રૂપિયા જ થયું છે.

સુધા કોંગારા દ્વારા નિર્દેશિત ફિલ્મ અક્ષય કુમારની ‘સરાફિરા’ બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ ‘સૂરરાય પોટ્રુ’ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મ તમિલમાં ઘણી હિટ રહી હતી. તેના કરતાં પણ વધુ હિન્દી રિમેક બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સહિત રાધિકા મદાન અને પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં છે.

લાગે છે અભિનેતા અક્ષય કુમાર માટે વર્ષ 2024 સારું રહ્યું નથી. પહેલા તેની મેગા બજેટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ ગઈ હતી અને હવે આ વર્ષની તેની બીજી ફિલ્મ ‘સરફિરા’ની પણ આવી જ કઈંક હાલત છે. ફિલ્મની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને હવે ફિલ્મનું પ્રથમ વીકેન્ડ કલેક્શન એટલું ઓછું છે કે તેને વધુ રિકવર કરવાનો અવકાશ ઓછો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અક્ષય કુમાર કોરોટના પોઝિટિવ આવ્યા હતાં. જેને કારણે તે અનંત અંબાણીના લગ્નમાં પણ સામેલ થઈ શક્યા નહોતાં.

અક્ષય કુમાર પાસે આ વર્ષે રિલીઝ માટે પ્રસ્તાવિત વધુ ત્રણ ફિલ્મો છે,’ખેલ ખેલ મેં’, ‘સ્કાય ફોર્સ’ અને ‘સિંઘમ અગેન’. આ ત્રણેય ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય અક્ષય કુમારની વધુ છ ફિલ્મો નિર્માણના વિવિધ તબક્કામાં છે અને તેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.

એલેમ્બિક ફાર્માને સેલેક્સિપેગ ઇન્જેક્શન માટે USFDAની મંજૂરી  

મુંબઈઃ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે કંપનીને એબ્રિવિયેટેડ ન્યુ ડ્રગ્સ એપ્લિકેશન (ANDA) ઇન્જેક્શન સેલેક્સિપેગ-1800 mcg/શીશી માટે અમેરિકી US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA)થી કામચલાઉ મંજૂરી મળી ગઈ છે, જે સ્વીકૃત થયેલી ANDAથી સારવાર હેઠળ એક્ટેલિયન ફાર્માસ્યુટિકલ્સ US ઇન્ક. સંદર્ભે લિસ્ટેડ દવા ઉત્પાદક (RLD) ઇન્જેક્શન માટે અપટ્રાવી 1800 MCG/શીશીની બરાબર છે.

સેલેક્સિપેગ એક પ્રોસ્ટેસાઇક્લિન રિસેપ્ટર એગોનિસ્ટ છે, જે પલ્મોનરી આર્ટિયલ હાઇપરટેન્શન (PAH- WHO ગ્રુપ-1) (ઊંચું બલ્ડપ્રેશર)ની સારવારમાં વપરાય છે, જેથી રોગ પ્રસરવામાં વિલંબ થાય છે અને PAH માટો હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરે છે. વધુ વિગતો માટે આ ઇન્જેક્શનમાં લેબલમાં જુઓ.

FDAના ઓનલાઇન પેરેગ્રાફ IV ડેટાબેઝ લિસ્ટિંગના અપડેટ મુજબ એલેમ્બિક એકમાત્ર અરજીકર્તા છે, જેણે ઇન્જેક્શન માટે સેલેક્સિપેગ-1800 MCG/શીશી માટે પહેલી ANDAમાં અરજી દાખલ કરી હોય, જેમાં હેચ-વેક્સમેન એક્ટની જોગવાઈ હેઠળ પેરેગ્રાફ IV સર્ટિફિકેશન સામેલ છે.

USFDA દ્વારા આ ANDAની અરજી પર એલેમ્બિક USમાં 180 દિવસો સુધી જેનેરિક માર્કેટિંગ માટે યોગ્યતા ધરાવે છે. કંપનીની પાસે USFDAથી કુલ મળીને 208 ANDA મંજૂરી (180 અંતિમ મંજૂરી અને 28 કામચલાઉ મંજૂરી છે.

વડોદરા સાવલીમાં લાગ્યો પેલેસ્ટાઈનનો ઝંડો..

ગતરોજ એટલે કે 14 જુલાઈ પેલેસ્ટાઈનનો ઝંડો વડોદરાના સાવલીમાં દેખાતા ચકચાર મચી ગયો હતો. પેલેસ્ટાઈનનો ઝંડો ફરકાવતાની સાથે જ સાવલી સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ અને યુદ્ધ ચાલી રહ્યું છે. એ જ કારણો થી અવાર નવાર બંને દેશો દ્વારા એક બીજા પર જીવલેણ હુમલા પણ કરવામાં આવતા હોય છે. વડોદરા જિલ્લાના સાવસલી ગામના લાહોરી વગામાં પેલેસ્ટાઈનનો ઝંડો લગવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઝંડો લગાવવાની વાત પોલીસ સુધી પહોંચતાની સાથે પોલીસ કાયદો વ્યવસ્થા સાચવવા માટે દોડતી થઈ હતી. આ ઘટનાની પોલીસે તાત્કાલીકના ઘોરણે નામજોગ ફરિયાદ નોંધી હતી, આ ઉપરાંત ઝંડો પણ અટાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર બનાવની વડોદરાના સાવલી પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદ નોંધ્ય બાદ આવું કૃત્ય કરનારાઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ મામલાની તપાસ PSI ડી. જે. લીંબોલા કરી રહ્યા છે. સમગ્ર ઘટનામાં જવાબદારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

હાલમાં દેશભરમાં મોહર્રમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં સાવલીના લાહોરી વગામાં મોહર્રમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામિક બોર્ડ લગાડવામાં આવ્યા છે અને તેમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સામે આવતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘાટના અંગે સાવલી પોલીસના આ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ દ્વારા સાવલી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

 

નીતિન પટેલે રાહુલ ગાંધીને લઈને કર્યો કટાક્ષ

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતાં. તેમણે કોંગ્રેસ ભવન ખાતે સભાને સંબોધન કરતાં બે પ્રકારના ઘોડાની વાત કરી હતી. તેમના આ નિવેદન પર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કટાક્ષ કર્યો છે. મહેસાણાના GIDC ટાઉનહોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. મહેસાણાના ભાજપના સાંસદ હરિભાઈ પટેલનો જીઆઇડીસી ટાઉનહોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સંબોધનમાં રાહુલ ગાંધીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, ભાજપ પાસે ફક્ત રેસમાં દોડનાર ઘોડા છે, કોઈના ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો.

Aurangabad : Congress leader Rahul Gandhi speaks at a public rally during the ‘Bharat Jodo Nyay Yatra’ in Aurangabad on Thursday, Feb. 15, 2024. (Photo: IANS)

રાહુલ ગાંધીએ બે પ્રકારના ઘોડાની વાત કરી હતી

અમદાવાદ રાજીવ ભવન ખાતે કાર્યકર્તાઓને સંબોધન સમયે રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડાની વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં એક મુશ્કેલી છે. બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને બીજો લગ્નનો ઘોડો. ક્યારેક-ક્યારેક કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે. તો કાર્યકરે મને કહ્યું કે તમે આ બંધ કરાવી દો. રેસના ઘોડાને તમે રેસમાં દોડાવો અને લગ્નના ઘોડાને લગ્નમાં મોકલો. તો આ અમારે ગુજરાતમાં કરવાનું છે. જે રેસના ઘોડા છે, જે દોડવા માટે તૈયાર છે, એને રેસમાં લગાવવા જોઈએ અને જે લગ્નના ઘોડા છે તેને આપણે લગ્નમાં નચાવવા જોઈએ. હવે આ કામ સિરિયસલી કરવાનું છે.

વડોદરામાં વધતા રોગચાળાને લઈ તંત્ર એક્શનમાં..

રાજ્યમં મેઘરાજાએ જામાવટ લીધી છે. ત્યારે વરસાદ સાથે રાજ્યમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. વધતા રોગચાળાને ધ્યાને રાખી વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દુષિત જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો.

વડોદરા સહિત રાજ્યમાં હલા પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. જ્યારે વડોદરામાં રોગચાળો વધતો અટકાવવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુષિત કે અખાદ્ય પાણી વરતાતા પાણીનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખુમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી. છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખુમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે વહેલી સવારથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન લગભગ દૂષિત એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.

કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ.. શંકરાચાર્યનો આરોપ

દિલ્હીમાં કેદારનાથ મંદિરના શિલાન્યાસને લઈને વિવાદ ઉભો થયો છે. જ્યોતિર્મથના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે રાજધાનીમાં કેદારનાથ મંદિરના નિર્માણ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તેણે કેદારનાથ મંદિરના ગર્ભગૃહની અંદર સોનાનો કોટિંગ લગાવવાના કામમાં કૌભાંડનો પણ આરોપ લગાવ્યો છે. શકરાચાર્યએ કહ્યું કે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ છે. તેનો હિસાબ કોણ આપશે?

શંકરાચાર્યનો ગંભીર આરોપ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો નથી? ત્યાં કૌભાંડ થયા પછી, શું કેદારનાથ દિલ્હીમાં બનશે? અને પછી બીજું કૌભાંડ થશે.”

સોનાને બદલે પિત્તળનો ઉપયોગ થતો હતો

ગયા વર્ષે કેદારનાથ મંદિરના એક વરિષ્ઠ પૂજારીએ કેદારનાથ મંદિરના સોનાના પ્લેટિંગના કામમાં 125 કરોડ રૂપિયા સુધીના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કોટિંગ સોનાને બદલે પિત્તળથી કરવામાં આવ્યું હતું, જોકે મંદિર સમિતિએ આ આરોપને ફગાવી દીધો હતો.

228 કિલો સોનું ગાયબ

શંકરાચાર્યએ કહ્યું, “કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ છે… કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી. આ માટે કોણ જવાબદાર છે? હવે તેઓ કહી રહ્યા છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે.”

દેશની ટોચની 10 સૌથી સશક્ત બ્રાન્ડમાં ‘રેમન્ડ’ સામેલ

 મુંબઈઃ રેમન્ડ AAA-નું બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) રેટિંગ મેળવીને સૌપ્રથમ વાર ભારતની ટોચની 10 સૌથી મજબૂત બ્રાન્ડ્સની લીગમાં પ્રવેશી છે, એમ વર્ષ 2024નો બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ કહે છે.  ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા સંચાલિત થતી બ્રાન્ડ ફાઇનાન્સ વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી છે.

આ રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓમાં રેમન્ડની વૃદ્ધિ અસાધારણ રહી છે, કંપનીની બ્રાન્ડ વેલ્યુ 12 ટકાના નોંધપાત્ર વધારા સાથે USD 305 મિલિયન સુધી પહોંચી છે. આ સિદ્ધિ સ્પર્ધાત્મક ભારતીય બજારમાં રેમન્ડની સાતત્યપૂર્ણ કામગીરી અને મજબૂત બ્રાન્ડ ઇક્વિટીને રેખાંકિત કરે છે.

આ સિદ્ધિ પર ટિપ્પણી કરતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે દેશની ટોચની બ્રાન્ડ્સમાં સામેલ થવા બદલ અમે અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ. તે રેમન્ડના સ્થાયી વારસા, નવીન વ્યાપાર વ્યૂહરચનાઓ અને ગુણવત્તા તેમ જ ગ્રાહક સંતુષ્ટિ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ નવી ઓળખ ઇન્ડસ્ટ્રીમાં નેતૃત્વની સ્થિતિ જાળવી રાખવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અમારી ટીમનું સમર્પણ, અમારા ગ્રાહકનો વિશ્વાસ અને એકંદરે અમારી બ્રાન્ડની મજબૂતાઈ અમારી વૃદ્ધિની સફરના કેન્દ્રમાં છે.

પોતાના સમૃદ્ધ વારસાને કારણે રેમન્ડ 100 ટકા રિકોલ વેલ્યુ ધરાવતું ભારતના દરેક પરિવારમાં જાણીતું નામ છે. “ધ કમ્પ્લિટ મેન”ની આઇકોનિક ટેગલાઇન, તેની અનોખી ટ્યુન (સોનિક ઓળખ) અને ભારતમાં ભાગ્યે જ કોઈ લગ્ન રેમન્ડની હાજરી વિના થતા હોવાની હકીકત આ સિદ્ધિને સાર્થક બનાવનારા સૌથી મોટા પરિબળ છે.
સપ્ટેમ્બરમાં 99 વર્ષ પૂરાં કરીને પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશવા આગળ વધતી રેમન્ડ ભારતના 600 શહેરો અને નગરોમાં 1500+ રિટેલ સ્ટોરના નેટવર્ક સાથે સૌથી મોટી ગાર્મેન્ટિંગ/ટેક્સટાઈલ કંપનીઓમાંથી એક છે. તેમની વ્યાપક વૃદ્ધિની વ્યૂહરચના વ્યાપાર કૌશલ્યની સતત વિકસતી ભાવનાને અનુરૂપ છે.
રિયલ્ટી સેક્ટરમાં પ્રવેશ પણ સાવચેતીપૂર્વકનો હતો. રેમન્ડની વ્યવસાયિક ક્ષમતાના મૂલ્યાંકન અને સમજણ પછી જ કંપનીએ રિયલ એસ્ટેટમાં પ્રવેશ કરવા માટે તેમના વિશ્વાસ, ગુણવત્તા અને શ્રેષ્ઠતાના વારસાનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. રેમન્ડ રિયલ્ટી જૂથના વારસાને આગળ ધપાવવા માટે MMRમાં વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ગ્રાહક કેન્દ્રિતતા સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું વલણ તેના કેન્દ્રમાં છે.

રેમન્ડે તેના સમૃદ્ધ વારસાના આધારે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે કંપની આત્મનિર્ભર અને વિકસિત ભારતના રાષ્ટ્રના વિઝન સાથે સંકળાઈને વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારતની સેવા કરવા માટે સમર્પિત છે.

 

પાકિસ્તાનઃ ઈમરાન ખાનના અંતની તૈયારી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે તેમની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સામે જંગ કસવા જઈ રહી છે. પાકિસ્તાન સરકારે ઈમરાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. માહિતી મંત્રી અત્તા તરારે કહ્યું કે તેઓ પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન અને પીટીઆઈ સાથે રહી શકતા નથી. તેઓ પૂર્વ વડાપ્રધાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે. માહિતી મંત્રી અત્તા તરાર કહે છે કે વિદેશી ફંડિંગ કેસ, 9 મેના રમખાણો અને સાઇફર એપિસોડ તેમજ યુએસમાં પસાર થયેલા ઠરાવને જોતા અમે માનીએ છીએ કે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવા માટે ખૂબ જ વિશ્વસનીય પુરાવા છે.

શું ઈમરાન ખાનને મળશે ફાંસીની સજા?

પાકિસ્તાન સરકારનું કહેવું છે કે PTI પર પ્રતિબંધ મૂકવાની સાથે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને પૂર્વ ઉપાધ્યક્ષ કાસિમ સૂરી વિરુદ્ધ કલમ 6 પણ લાગુ કરશે. ખાસ વાત એ છે કે આ કલમ 6 હેઠળ સજા મૃત્યુ છે.

પાકિસ્તાન સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટે અનામત સીટોના ​​મામલે પીટીઆઈને રાહત આપ્યા બાદ આવ્યો છે. આ સાથે જ પાર્ટી ચીફને ઈદ્દત કેસમાં રાહત આપવામાં આવી છે. માહિતી પ્રધાને જણાવ્યું હતું કે સરકાર ગયા અઠવાડિયે આપવામાં આવેલા નિર્ણય સામે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ સમક્ષ સમીક્ષા અરજી દાખલ કરશે કે પીટીઆઈ મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો માટે પાત્ર હશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, પીટીઆઈ નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે, જ્યારે શાસક ગઠબંધન તેની બે તૃતીયાંશ બહુમતી ગુમાવવા જઈ રહ્યું છે.

સ્પેને ચોથી વાર યુરો કપ જીત્યોઃ ઇંગ્લેન્ડનું સપનું ચકનાચૂર

બર્લિનઃ સ્પેને શાનદાર પ્રદર્શન કરતાં યુરો 2024 જીતી લીધો છે. રવિવારે બર્લિનમાં રમાયેલી ફાઇનલમાં સ્પેનમાં ઇંગ્લેન્ડને 2-1ને હરાવ્યું હતું. સ્પેને રેકોર્ડ ચોથી વાર યુરો કપ જીત્યો છે. સ્પેને આ પહેલાં 1964, 2008 અને 2012માં પણ યુરોપિયન ચેમ્પિયનશિપ પોતાને નામે કરી હતી. સ્પેન યુરો કપની સૌથી સફળ ટીમ છે.

સ્પેને આ ટ્રોફી 12 વર્ષ બાદ ફરીથી મેળવી છે. ઇંગ્લેન્ડને સતત બીજી વખત યુરો કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ 2020ની ફાઇનલમાં ઇટાલી સામે હારી ગઈ હતી.

સ્પેન છેલ્લા એક દાયકાથી કોઈ મોટી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. સ્પેનિશ ટીમે એક પણ મેચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. એટલું જ નહીં, તેણે એક એડિશનમાં સૌથી વધુ ગોલ (14) કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. ફાઇનલ મેચમાં નિકો વિલિયમ્સ અને મિકેલ ઓયારઝાબેલ વિજયના હીરો રહ્યા હતા.

પ્રથમ હાફ પછી બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી. બીજા હાફની શરૂઆત થતાં જ વિલિયમ્સે શાનદાર ગોલ કરીને સ્પેનને લીડ અપાવી હતી. જોકે ઈંગ્લેન્ડના કોલ પામરે 73મી મિનિટે ગોલ કરી બરાબરી કરી હતી. 13 મિનિટ પછી 86માં ઓયારઝાબાલે ફરીથી સ્પેન માટે ગોલ કર્યો, જે રમતનો ટર્નિંગ પોઇન્ટ હતો.

નિકો વિલિયમ્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્પેનનો મિડફિલ્ડર રોદ્રી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. આ ટુર્નામેન્ટમાં સનસનાટી મચાવનાર 17 વર્ષીય લેમિન યમલને યંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડની ટીમે 1964થી યુરો કપમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ 60 વર્ષમાં તે આજ સુધી આ રમત જીતી શકી નથી. હવે તેણે વધુ રાહ જોવી પડશે. છે. પ્રથમ વર્ષ એટલે કે 1964માં તે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય પણ ન થઈ શકી. ઇંગ્લેન્ડને 1996માં યજમાનીનો મોકો મળ્યો હતો.