Home Blog Page 15

PM મોદીએ સુરતમાં કર્યું 18,100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરત: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પ્રજાને સમર્પિત કર્યા. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત લઈને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ નિર્માણાધીન અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત 7 જિલ્લા માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની આત્મનિર્ભરતા અને આધુનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં જોડાયા, જ્યાં ડિજિટલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ વિશાળ જનમેદનીને સંબોધિત કરી. સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર લોકો સુધી પહોંચાડ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે. હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન Narendra Modiએ શહેરમાં ચાલેલી વિશાળ સફાઈ ઝુંબેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો કે જ્યારે સુરત શહેર પ્લેગના રોગનો ભોગ બન્યું હતું. જ્યારે આજે સ્વચ્છતામાં તેનો ડંકો વાગે છે. શહેરમાં ચાલેલા સફાઈ અભિયાનમાં લગભગ એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી ભાગ લીધો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને સરકાર પર વિશ્વાસ છે અને ભારત સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ક્લાયમેન્ટ ચેન્જ જેવી પડકારજનક પરિસ્થિતિને સરકાર વિકાસના અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું તે દેશનું પ્રથમ રાજ્ય હતું. પાટણના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલી આ મુલાકાત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

ભારતીય અર્થતંત્રનો Q4માં GDP વૃદ્ધિદર 7.8 ટકા નોંધાયો

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન બજારના અંદાજ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શુક્રવારે NSO (નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ ત્રિમાસિક દરમિયાન દેશની GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે, જ્યારે બજારનો અંદાજ 7.3 ટકા હતો. આ પહેલાં ત્રીજા ત્રિમાસિકનો સુધારેલો GDP વૃદ્ધિ દર 8% નોંધાયો હતો. જાન્યુઆરીથી માર્ચ, 2026 દરમિયાન દેશના GDPમાં 7.8 ટકાનો વધારો નોંધાયો છે. આ મજબૂત વૃદ્ધિના કારણે સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતીય અર્થતંત્ર 7.7 ટકાના દરે વધ્યું છે, જ્યારે 2024-25માં આ દર 7.1 ટકા હતો.

નોમિનલ GDP 346 લાખ કરોડ રૂપિયા પાર

સરકારી આંકડા મુજબ FY25માં 7.1 ટકાની સરખામણીએ FY26માં ભારતીય અર્થતંત્ર 7.7 ટકાના ઝડપે વધ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે FY25 માટે પ્રથમ સુધારેલા અંદાજ (FRE) મુજબ વાસ્તવિક GDP 299.89 લાખ કરોડ રૂપિયા હતી, જ્યારે FY26માં તે વધીને 323.12 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. વર્તમાન કિંમતોને આધારે ગણાતી નોમિનલ GDP FY26માં 346.36 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, જ્યારે FY25માં તે 318.07 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે નોમિનલ GDPમાં 8.9 ટકાનો વધારો નોંધાયો છે.

નાણાકીય વર્ષમાં પણ અનુમાન કરતાં વધુ વૃદ્ધિ

માર્ચ, 2026એ પૂરા થયેલા FY26માં અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, જે બજારના 7.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. સરકારના જણાવ્યાનુસાર આ સુધારેલી રાષ્ટ્રીય આવક શ્રેણી હેઠળનો બીજો રિપોર્ટ છે, જેમાં આધાર વર્ષ અપડેટ કરવામાં આવ્યું છે અને આંકડાઓના સ્ત્રોતોનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. એ સાથે જ FY26ની પ્રથમ ત્રિમાસિકના GDP વૃદ્ધિ દરને 6.7 ટકામાંથી વધારીને 6.8 ટકા કરવામાં આવ્યો છે.

સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરે અર્થવ્યવસ્થાને ગતિ આપી

FY26માં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મજબૂત ટેકો આપ્યો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર 10.7 ટકા રહ્યો, જે FY25માં 9.3 ટકા હતો. વેપાર, હોટેલ, પરિવહન અને સંચાર સેવાઓમાં 11 ટકાનો વધારો નોંધાયો, જ્યારે એક વર્ષ પહેલાં આ વૃદ્ધિ દર 6.6 ટકા હતો. નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 10.4 ટકાનો વૃદ્ધિદર નોંધાયો, જે અગાઉના વર્ષમાં 10 ટકા હતી.

કોના મૃત્યુથી દીપિકા ભાંગી પડી હતી? પછી મેન્ટલ હેલ્થ અંગે કરી પહેલ

દીપિકા પાદુકોણ પોતે ડિપ્રેશનથી પીડાતી હતી. તેણીએ આ મુદ્દા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણીએ આ નિર્ણય તેના પ્રિયજનના મૃત્યુ પછી લીધો હતો. તાજેતરમાં તેના પિતા પ્રકાશ પાદુકોણે આ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

દીપિકા પાદુકોણ ડિપ્રેશન જેવા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. તે લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે પોતે લાંબા સમયથી ડિપ્રેશનનો સામનો કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણના પિતાએ પણ અભિનેત્રીના માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે વાત કરી હતી અને ડિપ્રેશન વિશે જાગૃતિ લાવવાની તેમની પહેલની પ્રશંસા કરી હતી.

દીપિકા પાદુકોણના પિતાએ તેણીને સંપૂર્ણ ટેકો આપ્યો

રોડ્રિગો કેનેલાસના શો “ધ સમથિંગ બિગર શો” માં દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણે દીપિકાના માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ચર્ચા કરી. તેમણે સમજાવ્યું કે જ્યારે તેમની પુત્રીએ તેના માનસિક સ્વાસ્થ્ય સંઘર્ષો વિશે ખુલીને વાત કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેમણે અને તેમની પત્ની ઉજ્જલા પાદુકોણએ તેણીને સંપૂર્ણ ટેકો આપ્યો.

પ્રકાશ પાદુકોણે કહ્યું,”જો તે બીજાઓને મદદ કરવાનું હતું, તો અમને તેમાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે દીપિકા લોકોને મદદ કરવાની સ્થિતિમાં હતી. મને લાગે છે કે તેણી આ સમજી ગઈ હતી, તેથી જ તેણી આગળ આવી અને તેના (ડિપ્રેશન) વિશે વાત કરી.”

મિત્રના મૃત્યુ પછી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

પ્રકાશ પાદુકોણે એ પણ ખુલાસો કર્યો કે દીપિકાએ ડિપ્રેશન વિશે વાત કરવાનો નિર્ણય એક મિત્રના મૃત્યુ પછી લીધો હતો. તે ઇન્ટરવ્યુમાં કહે છે, “દીપિકાના એક મિત્રનું અવસાન થયું, અને તે સમયે દીપિકાએ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે કંઈક કરવાનું નક્કી કર્યું. તે સમયે દીપિકાએ તેના પાયા વિશે વિચારવાનું શરૂ કર્યું.”

એ નોંધનીય છે કે દીપિકા માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવે છે.

દીપિકા પાદુકોણ આ ફિલ્મોમાં જોવા મળશે

કારકિર્દીની વાત કરીએ તો દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની ફિલ્મ “કિંગ” માં જોવા મળશે. તે દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “રાકા” માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અંગત મોરચે દીપિકા પાદુકોણ બીજી વખત ગર્ભવતી છે.

‘વિશ્વ પર્યાવરણ દિને’ હર્ષ સંઘવીની સાયકલ રેલી

સુરત: ‘વિશ્વ પર્યાવરણ દિને’ શહેરના આંગણે મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અનોખી પહેલ કરવામાં આવી. આ બેવડા અવસરને યાદગાર બનાવવા તેમજ મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ લાવવા વડાપ્રધાન દ્વારા કરાયેલા ઇંધણ બચતના આહ્વાનને ઝીલી લેતાં શહેરમાં સાયકલ રેલી યોજાઈ હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલરેલીમાં જોડાયા હતા.વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણના હેતુથી યોજાયેલી આ સાયકલ રેલીમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉર્જા અને ઇંધણ બચતની સાથે સ્વાસ્થ્યનો સંદેશ પણ આપ્યો હતો.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

પોલિમર નોટો લાવવાની તૈયારીમાં રિઝર્વ બેન્ક

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક (RBI) પોલિમર કરન્સી નોટો રજૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જોકે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવ હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ તેને મંજૂરી મળે તો તે ભારતીય ચલણ વ્યવસ્થામાં સૌથી મોટા ફેરફારોમાંનો એક સાબિત થવાની શક્યતા છે.

એક વરસાદ અને નોટ ખરાબ!

દિલ્હીના એક દુકાનદાર રમેશ (કાલ્પનિક નામ)ની ખિસ્સામાં રૂ. 500ની નોટ હતી. અચાનક વરસાદ શરૂ થયો અને નોટ સંપૂર્ણ ભીંજાઈ ગઈ. તેણે કોઈ રીતે તેને સુકવી, પરંતુ નોટ પહેલાની જેમ રહી નહીં. આવી સમસ્યા કદાચ તમે પણ ક્યારેક અનુભવી હશે.

પોલિમર નોટો શું હોય છે?

પોલિમર નોટો દેખાવમાં હાલની નોટો જેવી જ હોય છે. તેને વાળી શકાય છે, ખિસ્સામાં રાખી શકાય છે અને સામાન્ય લેવડદેવડમાં વાપરી શકાય છે. ફરક માત્ર એટલો છે કે આ નોટો કાગળથી નહીં પરંતુ ખાસ પ્રકારના કૃત્રિમ પ્લાસ્ટિક (પોલિમર)માંથી બનાવવામાં આવે છે. આ કારણે તે વધુ મજબૂત અને ટકાઉ માનવામાં આવે છે.

RBI શા માટે બદલાવ ઇચ્છે છે?

આ સવાલનો જવાબ નોટો છાપવાના વધતા ખર્ચમાં છુપાયેલો છે. ભારતમાં દર વર્ષે કરોડો નોટો છાપવામાં આવે છે. પરંતુ ઓછી કિંમતની નોટો ઝડપથી ફાટી જાય છે, ગંદી થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે. ત્યાર બાદ તેને પાછી ખેંચીને નવી નોટો છાપવી પડે છે. સરકાર અને RBIને વારંવાર આ માટે ખર્ચ કરવો પડે છે. હવે RBI એ વિચાર કરી રહી છે કે જો નોટો વધુ લાંબા સમય સુધી ટકી રહે તો લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થઈ શકે. આ વિચારમાંથી પોલિમર નોટોનો પ્રસ્તાવ સામે આવ્યો છે.

પરંતુ પોલિમર નોટો તો વધુ મોંઘી છે!

પોલિમર નોટોની કહાની પણ એવી જ છે. તેની શરૂઆતની કિંમત વધુ હોય છે, પરંતુ તે કાગળની નોટોની સરખામણીએ અનેક ગણી વધુ લાંબા સમય સુધી ટકે છે. એટલે વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત ઘટે છે અને લાંબા ગાળે કુલ ખર્ચ ઓછો થઈ શકે છે.

કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે?

અમદાવાદ: ત્રણ દિવસના વિલંબ બાદ આખરે ચોમાસાએ ભારતમાં દસ્તક દીધી છે. ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. શુક્રવારે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંભાવના છે.ચોમાસાએ આપી દસ્તક

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 4 જૂને દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાંક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે.

ક્યાં ક્યારે પહોંચશે ચોમાસું?

ગોવા-તેલંગાણા: 7-8 જૂન સુધી

મહારાષ્ટ્ર: 5થી 10 જૂન સુધી

ગુજરાત: 20 જૂન સુધી

મધ્ય પ્રદેશ: 15થી 20 જૂન

પૂર્વી યુપી અને બિહાર: 15થી 20 જૂન સુધી

મધ્ય યુપી: 20થી 25 જૂન

રાજસ્થાન: 25થી 30 જૂન

દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ

ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?

શનિવાર 6 જૂનના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ રાજ્યોમાં ચોમાસાના વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું ઍલર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી 5-6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.

શાંતિ બિઝનેસ સ્કૂલને મળી પ્રતિષ્ઠિત નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશનની માન્યતા

અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)એ તેની શૈક્ષણિક સફરમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે. આ વિશેષતા SBSને ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓની હરોળમાં સ્થાન અપાવે છે.ભારતભરમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ્સને માન્યતા આપવા માટે NBA એક સર્વોચ્ચ સંસ્થા છે. NBA માન્યતા એ એક કઠોર અને પરિણામ-આધારિત પ્રમાણપત્ર છે, જે અભ્યાસક્રમની ગુણવત્તા, ફેકલ્ટીની યોગ્યતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી લિંકેજ અને સ્નાતકોની રોજગારીની ક્ષમતાના આધારે સંસ્થાનું મૂલ્યાંકન કરે છે. કોઈપણ બી-સ્કૂલ માટે, આ સન્માનનું પ્રતીક છે, સાથે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને વૈશ્વિક સ્વીકૃતિની ગેરંટી પણ છે.

SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માના જણાવ્યા અનુસાર, “આ માન્યતા સમગ્ર SBS પરિવાર માટે ગર્વની ક્ષણ છે. NBA એક્રેડિટેશન એ ઉદ્યોગ-સુસંગત અને પરિણામ-લક્ષી મેનેજમેન્ટ શિક્ષણ પ્રદાન કરવાની અમારી અડગ પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે. તે અમારી એ માન્યતાને પણ પ્રતિબિંબિત કરે છે કે ગુણવત્તા એ કોઈ એક વખતનું કાર્ય નથી, પરંતુ એક આદત છે. અમે આ સન્માન અને સિદ્ધિનો ઉપયોગ અમારી શૈક્ષણિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને અમારા વિદ્યાર્થીઓ માટે તકોની નવી ક્ષિતિજો ખોલવા માટે કરવા દૃઢ નિશ્ચયી છીએ.”

આ ઐતિહાસિક સિદ્ધિ સાથે, SBS અમદાવાદની માત્ર બીજી એવી બી-સ્કૂલ બની ગઈ છે, જેને PGDM પ્રોગ્રામ માટે NBA માન્યતા મળી હોય.

ફાયરિંગને મામલે પોલીસે ખાન સર સામે નોંધી FIR

પટનાઃ પોલીસે શુક્રવારે ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’ના સંચાલક ફૈસલ ખાન સામે FIR નોંધી છે. ફૈસલ ખાન સોશિયલ મિડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ ‘ખાન સર’ તરીકે ઓળખાય છે. ગુરુવારે પોલીસે આ કોચિંગ સંસ્થાના બે સુરક્ષા ગાર્ડોને ફાયરિંગના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. સિટી એસપી (સેન્ટ્રલ) કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ કદમકુઆં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. આરોપ છે કે મંગળવારની રાત્રે 15થી 20 લોકોએ ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં તોડફોડ કરી હતી અને કેમ્પસમાં પથ્થરમારો કર્યો હતો.

ફાયરિંગના વિડિયો આવ્યા હતા સામે

આ મામલે ફાયરિંગના બે વિડિયો સામે આવ્યા હતા. એક વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ખાન સર’ના સુરક્ષા ગાર્ડોએ ફાયરિંગ કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે આ વિડિયો બીજી જૂનની રાત્રિનો છે અને એ જ રાત્રે ‘ખાન સર’ના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો થયો હતો.

ખાન સરે ફાયરિંગનો આરોપ લગાવ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયા હોવાની શંકા ધરાવતાં હથિયારો જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. ખાન સરે આરોપ મૂક્યો હતો કે પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાથી જોડાયેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું. જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે ખરેખર ફાયરિંગ થયું હતું કે નહીં તે માત્ર પોલીસ તપાસથી જ સ્પષ્ટ થઈ શકે છે. પોલીસે આ કેસમાં ખાન સરના પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાના સંચાલક રોશન આનંદ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. રોશન આનંદે દાવો કર્યો હતો કે આ સમગ્ર ઘટનાનું કાવતરું ખુદ ખાન સરે જ રચ્યું હતું.

TMC, DMKના સાથથી સરકાર સીમાંકન બિલ પસાર કરવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સીમાંકન (Delimitation) બિલને ફરીથી સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં તેને અમલમાં મૂકવાનો છે. થોડા સમય પહેલાં મહિલા આરક્ષણ સંબંધિત નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ સરકારે સીમાંકનનો પ્રસ્તાવ સંસદમાં લાવ્યો હતો, પરંતુ તે પસાર થઈ શક્યો નહોતો.હવે સરકાર બિલમાં એવી જોગવાઈ ઉમેરવા તૈયાર છે કે દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં 50 ટકા વધારો કરવામાં આવશે. આ પગલાથી દક્ષિણ ભારતીય રાજ્યોનો વિરોધ ઓછો થવાની શક્યતા છે અને ત્યાંના પ્રાદેશિક પક્ષોનું સમર્થન મેળવવાની શક્યતા વધી શકે છે. એ સાથે જ TMCમાં બળવો અને DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યા પછી રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે અગાઉના સત્રમાં આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોંગ્રેસ તે માટે તૈયાર નહોતી.

તમામ પક્ષોનું સમર્થન મેળવવાની તૈયારી

સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયાને આગળ વધારવા ઉત્સુક છે, પરંતુ તે સાથે જોડાયેલી રાજકીય સંવેદનશીલતાઓને પણ ધ્યાનમાં રાખી રહી છે, તેથી ટકરાવનો માર્ગ અપનાવવાને બદલે એવું માળખું તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને તમામ પક્ષોનો ટેકો મળી શકે.

ભારતમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન થયું છે:

  • 1952
  • 1962
  • 1973
  • 2002

2002માં થયેલા સીમાંકનને હવે 24 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તેથી નવી વસ્તી ગણતરીને આધારે લોકસભા બેઠકોમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે.

TMCમાં બળવો, DMK-કોંગ્રેસ ગઠબંધન સમાપ્ત

એપ્રિલમાં જ્યારે મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ થયું હતું, ત્યારે TMC અને DMKએ તેના વિરોધમાં મત આપ્યો હતો. પરંતુ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMCમાં આંતરિક અસંતોષ વધ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ:

  • TMCના 58 વિધાનસભ્યો બાગી વલણ અપનાવી ચૂક્યા છે.
  • 20થી વધુ સાંસદો પણ અસંતોષ વ્યક્ત કરી શકે છે.

DMK સાંસદોને સાથે લાવવાનો પ્રયાસ

બીજી તરફ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને DMKનું ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે TVKને સમર્થન આપ્યું હતું, જેને DMKએ “પીઠમાં છરો ઘોંપવા” જેવી કાર્યવાહી ગણાવી હતી. હવે કેન્દ્ર સરકાર સીમાંકનના મુદ્દે DMKના સાંસદોને પોતાના પક્ષે લાવવાના પ્રયાસોમાં લાગી હોવાનું કહેવાય છે.

હરિયાળીના હીરા વચ્ચે ઝગમગતું સુરત ડાયમંડ બુર્સ

સુરત: ડાયમંડ બુર્સ માત્ર હીરા ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર નથી, પરંતુ આધુનિક વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય તેનું પણ એક જીવંત ઉદાહરણ છે. વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે ઓળખ મેળવેલા આ ભવ્ય પ્રોજેક્ટમાં વેપારની ચહલપહલ વચ્ચે કુદરતને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ડ્રીમ સિટી ખાતે ફેલાયેલા આ વિશાળ સંકુલમાં પ્રવેશતા જ કોન્ક્રિટની ભવ્ય ઇમારતો કરતાં વધુ ધ્યાન ખેંચે છે તેની લીલાછમ હરિયાળી. સુરત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અંદાજે ૧૦૮૫ જેટલાં મોટા વૃક્ષો અને હજારોની સંખ્યામાં ૧૦૮ પ્રકારના વિવિધ છોડ વાવવામાં આવ્યા છે. આ હરિયાળી માત્ર શોભા માટે નથી, પરંતુ પર્યાવરણના સંતુલન માટેનું એક વિચારીને કરાયેલુ આયોજન છે.આ સમગ્ર લેન્ડસ્કેપનું આયોજન પંચ તત્વ — પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશની થીમને આધારે કરવામાં આવ્યું છે. કુદરતના આ પાંચ મૂળભૂત તત્વોને ધ્યાનમાં રાખીને વિવિધ ગાર્ડન, ગ્રીન કોર્ટ અને ખુલ્લા વિસ્તારોનું સર્જન કરવામાં આવ્યું છે. પરિણામે અહીં ફરનાર વ્યક્તિને માત્ર એક બિઝનેસ કોમ્પ્લેક્સ નહીં, પરંતુ કુદરતની નજીક હોવાનો અનુભવ થાય છે. ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ કહે છે, દેશી અને વિદેશી પ્રજાતિના અનેક વૃક્ષો આ સંકુલને એક અનોખી ઓળખ આપે છે. કેટલાક વૃક્ષો તેમની વિશાળ છાયા માટે જાણીતા છે, તો કેટલાક હવાની શુદ્ધતા વધારવામાં મદદરૂપ બને છે. ઘણા છોડ અને વૃક્ષો એવા છે, જે ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરત જેવા ઉષ્ણ અને ભેજવાળા શહેરમાં આ હરિયાળી કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે કુદરતી ઠંડકનું કામ કરે છે.વૃક્ષોના મજબૂત મૂળ જમીનને બાંધી રાખે છે, જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય છે. વરસાદી પાણીના યોગ્ય સંચય અને જળચક્રને જાળવવામાં પણ વૃક્ષો મહત્વપૂર્ણ ફાળો આપે છે. તેઓ જમીનમાંથી પાણી શોષી વાતાવરણમાં છોડે છે, જે વાદળોની રચના અને વરસાદની પ્રક્રિયામાં સહાયક બને છે.આ હરિયાળી પક્ષીઓ, પતંગિયાં અને અન્ય નાના જીવસૃષ્ટિ માટે પણ આશ્રયસ્થાન સમાન છે. કોઈપણ સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે જૈવવૈવિધ્ય જરૂરી હોય છે અને સુરત ડાયમંડ બુર્સની ગ્રીન ડિઝાઇન તેમાં પણ યોગદાન આપે છે. વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડો અને અન્ય પ્રદૂષક કણોને શોષવાની ક્ષમતા પણ વૃક્ષોમાં હોય છે. તેથી અહીંની હરિયાળી માત્ર આંખોને શીતળતા આપતી નથી, પરંતુ હવાની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ બને છે.

આજે જ્યારે વિશ્વભરના શહેરો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સુરત ડાયમંડ બુર્સ એક પ્રેરણાદાયી મોડેલ બનીને ઉભરી રહ્યું છે. અહીં હીરાના વેપાર સાથે હરિયાળીની પણ એટલી જ કદર કરવામાં આવી છે.સાચા અર્થમાં કહીએ તો સુરત ડાયમંડ બુર્સ માત્ર વેપારનું કેન્દ્ર નથી. તે એક એવો જીવંત સંદેશ છે કે જો ઇચ્છા હોય તો કોન્ક્રિટના જંગલ વચ્ચે પણ હરિયાળીની એક સુંદર દુનિયા સર્જી શકાય છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)