Home Blog Page 16

TMC, DMKના સાથથી સરકાર સીમાંકન બિલ પસાર કરવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સીમાંકન (Delimitation) બિલને ફરીથી સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં તેને અમલમાં મૂકવાનો છે. થોડા સમય પહેલાં મહિલા આરક્ષણ સંબંધિત નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ સરકારે સીમાંકનનો પ્રસ્તાવ સંસદમાં લાવ્યો હતો, પરંતુ તે પસાર થઈ શક્યો નહોતો.હવે સરકાર બિલમાં એવી જોગવાઈ ઉમેરવા તૈયાર છે કે દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં 50 ટકા વધારો કરવામાં આવશે. આ પગલાથી દક્ષિણ ભારતીય રાજ્યોનો વિરોધ ઓછો થવાની શક્યતા છે અને ત્યાંના પ્રાદેશિક પક્ષોનું સમર્થન મેળવવાની શક્યતા વધી શકે છે. એ સાથે જ TMCમાં બળવો અને DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યા પછી રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે અગાઉના સત્રમાં આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોંગ્રેસ તે માટે તૈયાર નહોતી.

તમામ પક્ષોનું સમર્થન મેળવવાની તૈયારી

સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયાને આગળ વધારવા ઉત્સુક છે, પરંતુ તે સાથે જોડાયેલી રાજકીય સંવેદનશીલતાઓને પણ ધ્યાનમાં રાખી રહી છે, તેથી ટકરાવનો માર્ગ અપનાવવાને બદલે એવું માળખું તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને તમામ પક્ષોનો ટેકો મળી શકે.

ભારતમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન થયું છે:

  • 1952
  • 1962
  • 1973
  • 2002

2002માં થયેલા સીમાંકનને હવે 24 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તેથી નવી વસ્તી ગણતરીને આધારે લોકસભા બેઠકોમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે.

TMCમાં બળવો, DMK-કોંગ્રેસ ગઠબંધન સમાપ્ત

એપ્રિલમાં જ્યારે મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ થયું હતું, ત્યારે TMC અને DMKએ તેના વિરોધમાં મત આપ્યો હતો. પરંતુ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMCમાં આંતરિક અસંતોષ વધ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ:

  • TMCના 58 વિધાનસભ્યો બાગી વલણ અપનાવી ચૂક્યા છે.
  • 20થી વધુ સાંસદો પણ અસંતોષ વ્યક્ત કરી શકે છે.

DMK સાંસદોને સાથે લાવવાનો પ્રયાસ

બીજી તરફ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને DMKનું ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે TVKને સમર્થન આપ્યું હતું, જેને DMKએ “પીઠમાં છરો ઘોંપવા” જેવી કાર્યવાહી ગણાવી હતી. હવે કેન્દ્ર સરકાર સીમાંકનના મુદ્દે DMKના સાંસદોને પોતાના પક્ષે લાવવાના પ્રયાસોમાં લાગી હોવાનું કહેવાય છે.

હરિયાળીના હીરા વચ્ચે ઝગમગતું સુરત ડાયમંડ બુર્સ

સુરત: ડાયમંડ બુર્સ માત્ર હીરા ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર નથી, પરંતુ આધુનિક વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય તેનું પણ એક જીવંત ઉદાહરણ છે. વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે ઓળખ મેળવેલા આ ભવ્ય પ્રોજેક્ટમાં વેપારની ચહલપહલ વચ્ચે કુદરતને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ડ્રીમ સિટી ખાતે ફેલાયેલા આ વિશાળ સંકુલમાં પ્રવેશતા જ કોન્ક્રિટની ભવ્ય ઇમારતો કરતાં વધુ ધ્યાન ખેંચે છે તેની લીલાછમ હરિયાળી. સુરત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અંદાજે ૧૦૮૫ જેટલાં મોટા વૃક્ષો અને હજારોની સંખ્યામાં ૧૦૮ પ્રકારના વિવિધ છોડ વાવવામાં આવ્યા છે. આ હરિયાળી માત્ર શોભા માટે નથી, પરંતુ પર્યાવરણના સંતુલન માટેનું એક વિચારીને કરાયેલુ આયોજન છે.આ સમગ્ર લેન્ડસ્કેપનું આયોજન પંચ તત્વ — પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશની થીમને આધારે કરવામાં આવ્યું છે. કુદરતના આ પાંચ મૂળભૂત તત્વોને ધ્યાનમાં રાખીને વિવિધ ગાર્ડન, ગ્રીન કોર્ટ અને ખુલ્લા વિસ્તારોનું સર્જન કરવામાં આવ્યું છે. પરિણામે અહીં ફરનાર વ્યક્તિને માત્ર એક બિઝનેસ કોમ્પ્લેક્સ નહીં, પરંતુ કુદરતની નજીક હોવાનો અનુભવ થાય છે. ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ કહે છે, દેશી અને વિદેશી પ્રજાતિના અનેક વૃક્ષો આ સંકુલને એક અનોખી ઓળખ આપે છે. કેટલાક વૃક્ષો તેમની વિશાળ છાયા માટે જાણીતા છે, તો કેટલાક હવાની શુદ્ધતા વધારવામાં મદદરૂપ બને છે. ઘણા છોડ અને વૃક્ષો એવા છે, જે ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરત જેવા ઉષ્ણ અને ભેજવાળા શહેરમાં આ હરિયાળી કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે કુદરતી ઠંડકનું કામ કરે છે.વૃક્ષોના મજબૂત મૂળ જમીનને બાંધી રાખે છે, જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય છે. વરસાદી પાણીના યોગ્ય સંચય અને જળચક્રને જાળવવામાં પણ વૃક્ષો મહત્વપૂર્ણ ફાળો આપે છે. તેઓ જમીનમાંથી પાણી શોષી વાતાવરણમાં છોડે છે, જે વાદળોની રચના અને વરસાદની પ્રક્રિયામાં સહાયક બને છે.આ હરિયાળી પક્ષીઓ, પતંગિયાં અને અન્ય નાના જીવસૃષ્ટિ માટે પણ આશ્રયસ્થાન સમાન છે. કોઈપણ સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે જૈવવૈવિધ્ય જરૂરી હોય છે અને સુરત ડાયમંડ બુર્સની ગ્રીન ડિઝાઇન તેમાં પણ યોગદાન આપે છે. વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડો અને અન્ય પ્રદૂષક કણોને શોષવાની ક્ષમતા પણ વૃક્ષોમાં હોય છે. તેથી અહીંની હરિયાળી માત્ર આંખોને શીતળતા આપતી નથી, પરંતુ હવાની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ બને છે.

આજે જ્યારે વિશ્વભરના શહેરો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સુરત ડાયમંડ બુર્સ એક પ્રેરણાદાયી મોડેલ બનીને ઉભરી રહ્યું છે. અહીં હીરાના વેપાર સાથે હરિયાળીની પણ એટલી જ કદર કરવામાં આવી છે.સાચા અર્થમાં કહીએ તો સુરત ડાયમંડ બુર્સ માત્ર વેપારનું કેન્દ્ર નથી. તે એક એવો જીવંત સંદેશ છે કે જો ઇચ્છા હોય તો કોન્ક્રિટના જંગલ વચ્ચે પણ હરિયાળીની એક સુંદર દુનિયા સર્જી શકાય છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

છેલ્લાં 24 વર્ષમાં 45 મોટા પેપર લીકઃ જવાબદારીનો અભાવ અને ગુનેગારો બેખોફ

નવી દિલ્હીઃ દેશમાં પેપર લીકની સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગઈ છે. તાજેતરમાં NEET-UG પરીક્ષાને કારણે લાખો ઉમેદવારોને ફરી પરીક્ષા આપવાની સ્થિતિ સર્જાઈ હતી. CBSEની પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિ પર પણ પ્રશ્નો ઊઠ્યા છે. આ પહેલી વાર નથી કે દેશમાં કોઈ પરીક્ષાનું પેપર લીક થયું હોય. આ દાયકાઓથી ચાલતી સમસ્યા છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આવા કેસોમાં દોષિતોને સજા કેટલી વખત મળે છે?છેલ્લાં 20 વર્ષના 45 મોટા પેપર લીક કેસોની તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે માત્ર બે કેસોમાં જ દોષ સાબિત થઈ શક્યો છે. મોટા ભાગના કેસો હજુ પણ કોર્ટોમાં લંબિત છે, જ્યારે ઘણા કેસોની તપાસની ગતિ લગભગ થંભી ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે એક પેપર લીક કેસનો આરોપી આજે ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય (MLA) બની ગયો છે.

ચિંતાજનક આંકડા

2002થી 2025 દરમિયાન:

  • 27 ભરતી પરીક્ષાઓ
  • 18 ઉચ્ચ શિક્ષણ પ્રવેશ પરીક્ષાઓ
  • અનેક બોર્ડ પરીક્ષાઓ

વિવાદોમાં આવી હતી.

આ સમયગાળામાં:

  • 1658 લોકોની ધરપકડ કરવામાં આવી
  • 925 લોકો સામે ચાર્જશીટ દાખલ થઈ
  • માત્ર 18 લોકોને દોષિત ઠેરવાયા
  • 32 લોકો નિર્દોષ છૂટ્યા
  • 43 આરોપીઓ હજુ પણ ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે

આ તમામ કેસોમાં એક સામાન્ય બાબત એ રહી કે વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહી અત્યંત મર્યાદિત રહી હતી.

ખાસ નોંધનીય વાત એ છે કે આ પરીક્ષાઓમાં લગભગ 3.86 કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી. તેઓ સારી નોકરી, પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ અથવા ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યની આશા સાથે પરીક્ષામાં બેઠા હતા. પરંતુ પેપર લીકની ઘટનાઓએ લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્યને માઠી અસર પહોંચાડી છે.

એક અન્ય કેસમાં નિવૃત્તિ બાદ કેન્દ્રીય સિપાહી પસંદગી બોર્ડ (CSBC)ના પ્રમુખ રહેલા એસ.કે. સિંઘલ પર પેપર લીક પછી બેદરકારીના આરોપો લાગ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે કહ્યું કે તેઓ “યોગ્ય સમયે” આ મુદ્દે વાત કરશે.

ઉમેદવારોને લાંબી રાહ

45 કેસોમાંથી:

  • 23 કેસ ભાજપ શાસિત રાજ્યોમાં થયા
  • 14 કેસ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થયા
  • બાકીના કેસ અન્ય રાજ્યોમાં થયા

આમાંથી મોટા ભાગના કેસોમાં કોર્ટ કાર્યવાહી વર્ષોથી લંબાઈ રહી છે. ઘણા આરોપીઓ જામીન પર બહાર છે, જ્યારે કેટલાક કેસોમાં તપાસ એજન્સીઓએ ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરી દીધા છે.

કચરો પ્રાણીઓ માટે જીવલેણ બન્યો!

મહારાષ્ટ્ર: સાંગલીથી પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ, બરણીઓ, ડબ્બાઓ અને અન્ય કચરો ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, તે શેરીમાં ફરતા ગાય અને શ્વાન જેવા અબોલ પશુઓ તેમજ વન્યજીવો માટે ‘ડેથ ટ્રેપ’ એટલે કે મોતનો કુવો સાબિત થઈ રહ્યો છે. સંસ્થાએ લોકોને અપીલ કરી છે કે પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે કચરાનો યોગ્ય નિકાલ કરવાની પ્રતિજ્ઞા લઈએ.

પ્રાણીઓના હૃદયસ્પર્શક ઉદાહરણો:
વર્ષ ૨૦૨૫માં જ ‘એનિમલ રાહત’ સંસ્થાએ કચરામાં ફસાયેલા આવા ડઝનબંધ પ્રાણીઓના જીવ બચાવ્યા હતા, જેમાંના કેટલાંક કિસ્સા નીચે મુજબ છે:

ચાલા (શ્વાન): આ શેરીનો શ્વાન ગળામાં સ્ટીલની તૂટેલી કીટલી ફસાઈ જવાને કારણે ૪ વર્ષ સુધી હેરાન થતો ભટકતો રહ્યો હતો, જેને સંસ્થાએ મુક્ત કર્યો.

મીના (ગાય): આ ગાયના પેટમાંથી ઈમરજન્સી ઓપરેશન કરીને ૪૭ કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી હતી! હવે તે સંસ્થાના આશ્રયસ્થાનમાં સુરક્ષિત છે.

રેવતી (ગાય): આ ગાયના જડબામાં લોખંડનો ડબ્બો (ટીન કેન) એવી રીતે ફસાઈ ગયો હતો કે તે કંઈ ખાઈ શકતી નહોતી અને અસહ્ય પીડામાં હતી.

એનિમલ રાહતની ખાસ ટિપ્સ:
આપણે આપણી નાની આદતો બદલીને અબોલ જીવોનો જીવ બચાવી શકીએ છીએ:

પ્લાસ્ટિકને ‘ના’ કહો: સિંગલ-યુઝ પ્લાસ્ટિક (એક વાર વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિક)નો ઉપયોગ બંધ કરો અને કાપડની થેલી વાપરો.

બરણીના ઢાંકણા બંધ કરો: કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બરણી કચરામાં ફેંકતા પહેલા તેનું ઢાંકણું બરાબર બંધ કરો, જેથી કોઈ પ્રાણીનું મોઢું કે માથું તેમાં ફસાઈ ન જાય.

ડબ્બા કચડીને ફેંકો: ટીનના ખાલી ડબ્બા કે કેનને હંમેશા કચડી (Crush કરી) નાખો જેથી તેની અણીદાર ધારથી પ્રાણીઓ ઘવાય નહીં.

ખોરાક ખુલ્લો ન ફેંકો: એવો પ્લાસ્ટિકનો કચરો ખુલ્લો ન મૂકો જેમાં વધેલું ભોજન હોય, કારણ કે ખોરાકની લાલચે પ્રાણીઓ આખો પ્લાસ્ટિકનો કચરો ગળી જાય છે.

કચરાપેટી બંધ રાખો: ઘર કે સોસાયટીનો કચરો હંમેશા મજબૂત અને બરાબર બંધ થઈ શકે તેવા ડબ્બામાં જ રાખો.

સંસ્થાના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. નરેશ ઉપ્રેતીનું કહેવું છે, “ભૂખ્યા અથવા કુતૂહલવશ થઈને પ્રાણીઓ આ ખુલ્લા ડબ્બા અને પ્લાસ્ટિક તરફ ખેંચાય છે અને તેમાં ફસાઈને જીવ ગુમાવે છે. જો આપણે માત્ર કાપડની થેલીઓ વાપરવાનું શરૂ કરીએ અને સજાગ રહીએ, તો અનેક માસૂમ પશુઓના જીવ બચાવી શકાય છે.”

સંસ્થા વિશે ટૂંકમાં:
‘એનિમલ રાહત’ એ પશુ ચિકિત્સકો (ડોક્ટરો) અને સ્વયંસેવકોની એવી સંસ્થા છે જે પીડાતા પ્રાણીઓને મફત તબીબી સારવાર આપે છે. લોકોને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન રાખવા જાગૃત કરે છે અને બચાવેલા પ્રાણીઓને પોતાના આશ્રયસ્થાનમાં આજીવન આશરો આપે છે.

અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદ: ખેલ જગતમાં એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. શહેરના પ્રતિષ્ઠિત ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા (EKA Arena TransStadia) ખાતે ‘પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ થયો. વૈશ્વિક સ્તરે રમત તરીકે યોગાસનને સ્થાપિત કરતી આ પ્રથમ ઐતિહાસિક સ્પર્ધા છે. જેમાં વિશ્વના ૭૮ દેશોના ૫૦૦થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એકત્રિત થયા છે.

આ ભવ્ય સ્પર્ધાને ડિજિટલ માધ્યમથી ખુલ્લી જાહેર કરતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ક્ષણને યોગાસનના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત ગણાવી હતી. તેમણે ગૌરવભેર જણાવ્યું કે, “આજે અમદાવાદની પવિત્ર ધરતી પરથી વૈશ્વિક રમતગમતના વારસામાં એક નવું પ્રકરણ જોડાયું છે. આ ચેમ્પિયનશિપ યોગાસનને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં સ્થાન અપાવવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.”કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપમાં માત્ર ૧૩ દેશોએ ભાગ લીધો હતો, જ્યારે પ્રથમ વિશ્વ યોગાસન સ્પર્ધામાં જ ૭૮ દેશોની હાજરી ભારતની આ પરંપરા પ્રત્યે વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને એક સ્વદેશી રમત તરીકે સામેલ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના એથ્લેટ્સ, ઓફિશિયલ્સ અને મહેમાનોનું અમદાવાદમાં હાર્દિક સ્વાગત કરીને આ આયોજનને રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ યોગાસનના અધ્યક્ષ યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ, મહાસચિવ ડૉ. જયદીપ આર્ય અને યોગાસન ભારતના અધ્યક્ષ ઉદિત શેઠે પણ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરીને યોગાસનને આત્મશુદ્ધિ અને માનસિક સ્થિરતા માટેનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું.

સ્પર્ધાની મુખ્ય વિશેષતાઓ:

  • વૈશ્વિક પ્રદર્શન: ૭૮ દેશોના ખેલાડીઓ સામે યજમાન ભારત પોતાની ૧૨૨ સભ્યોની મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતર્યું છે.

  • ૫ દિવસની ટક્કર: આગામી પાંચ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં ખેલાડીઓ વ્યક્તિગત, કલાત્મક (Artistic) અને પરંપરાગત (Traditional) જૂથ સ્પર્ધાઓ સહિત કુલ ૬ વયજૂથોમાં ભાગ લેશે.

  • ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ: રમતગમતના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે વૈશ્વિક સ્તરે હાઇ-ટેક ‘ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ’નો ઉપયોગ થઈ રહ્યો છે.

  • નિર્ણાયકો: મેચોનું તટસ્થ સંચાલન કરવા માટે ૩૨ આંતરરાષ્ટ્રીય અને ૫૧ રાષ્ટ્રીય કક્ષાના જજ તૈનાત કરવામાં આવ્યા છે.

RBIની ધિરાણ નીતિઃ વ્યાજદરો યથાવત્, લોનના EMI નહીં વધે

નવી દિલ્હીઃ આરબીઆઈએ (RBI) મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે અને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રહેશે. આ નિર્ણયની પહેલેથી જ અપેક્ષા હતી, કારણ કે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે જૂનની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાહેરાત કરી હતી.

હોમ લોન, કાર લોન સહિત અન્ય લોનની EMI નહીં વધે

રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાનો અર્થ એ છે કે હાલ માટે હોમ લોન, કાર લોન અને અન્ય લોનના વ્યાજદરમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. જેને કારણે લોનધારકોની EMI હાલમાં ન તો વધશે અને ન તો ઘટશે.

મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક ત્રીજી જૂનથી શરૂ થઈ હતી. આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે અર્થતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ ઊંચા ગયા છે. તેને પરિણામે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેનાથી મોંઘવારી વધવાનો ભય ઊભો થયો છે.

2026માં અત્યાર સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

છેલ્લે ડિસેમ્બર, 2025માં RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ 2026ની અગાઉની બે પોલિસી બેઠકોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આ વખતે પણ સ્થિતિ યથાવત્ રાખવામાં આવી છે. તેનું મુખ્ય કારણ વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને તેના કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.

RBIનું વલણ ‘ન્યુટ્રલ’ યથાવત્

આ વખતે અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને એ જાણવા ઉત્સુક હતા કે RBI નીતિગત વલણમાં ફેરફાર કરશે કે નહીં. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે RBIનું વલણ ‘ન્યુટ્રલ’ જ રહેશે. જોકે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં કેન્દ્રીય બેંક વધુ આકરું વલણ અપનાવી શકે છે.

GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો

RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશની GDP વૃદ્ધિનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા મુજબ ઊંચી ઊર્જા કિંમતો, સપ્લાયમાં અવરોધ અને વધતા ઇનપુટ ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે, જે GDP વૃદ્ધિને અસર કરશે. કેન્દ્રીય બેંકે રિટેલ મોંઘવારીનો અંદાજ 0.5 ટકા વધારીને 5.1 ટકા કર્યો છે.

વાસ્તુદોષ કરતાં મનોદોષ વધુ નુકસાન કરે

આપણે ત્યાં કહેવત છે, ‘છીંડે ચડે તે ચોર.’ બારણે થતું બધું જ માફ હોય છે, પરંતુ કોઈના વિશે ફેલાયેલી અફવા પણ તેના ચરિત્ર પર સવાલ ઊભા કરી શકે છે. Charitra ફિલ્મમાં પણ આ જ વાત રજૂ કરવામાં આવી છે.

વળી, ચરિત્ર શું માત્ર શરીર સાથે જ જોડાયેલું છે? આપણા ઇતિહાસમાં એવી કેટલીક ગણિકાઓનાં ઉદાહરણો છે, જેમણે ઈશ્વરભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. માણસના સંજોગો પરથી તેના ચરિત્રનું મૂલ્યાંકન કરી શકાય નહીં. જેનો આત્મા સ્વચ્છ છે, તે જ સાચા અર્થમાં ચારિત્રવાન ગણાય.

કોઈ ગમવું, કોઈને ચાહવું અથવા કોઈની ચાહતની ઈચ્છા રાખવી એ સ્વાભાવિક છે. પરંતુ વફાદારી એ સૌથી મોટો ગુણધર્મ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈ-મેઇલ પર જરૂરથી પૂછી શકો છો.

સવાલ: હું ગુજરાતને અડીને આવેલા એક રાજ્યમાં રહું છું, પરંતુ વારંવાર ગુજરાત આવવાનું થતું હોવાથી ગુજરાતી શીખી ગયો છું. હું કલા સાથે સંકળાયેલી એક સંસ્થામાં મેનેજર છું. હજી સુધી મારા લગ્ન થયા નથી. અથવા એમ કહું કે થતાં નથી.

હું અનામત કેટેગરીમાં આવું છું, એટલે અમારી જ્ઞાતિમાં લગ્નની યોગ્યતા ધરાવતી વ્યક્તિ મળતી નથી અને અન્ય જ્ઞાતિમાં પણ લોકો સહેલાઈથી તૈયાર થતા નથી. ચોક્કસ ઉંમર પછી માણસની કેટલીક શારીરિક જરૂરિયાતો હોય જ છે. જોકે એક સાહેબે મને સમજાવ્યું હતું કે પોતાનું કામ કઢાવવા માટે લોકો ઘણી વખત ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. બસ, એ તક પારખતાં શીખી જા.

થોડા સમય પહેલાં એક કલાકારનું એક્ઝિબિશન (Exhibition) હતું. તેમને જોતા જ લાગતું હતું કે તેઓ ખૂબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે અમે કોઈને ખાસ મદદ કરતા નથી, પરંતુ તેમણે કહ્યું કે, “હું આ જગ્યાએ નવો છું, તમે મને બિલ આપી દેજો.” અમને પણ આનંદ થયો. જતી વખતે તેમણે અમને એક મોંઘી ભેટ પણ આપી.

ત્યારબાદ જ્યારે પણ તેમને કોઈ કામ હોય ત્યારે હું સંપર્ક કરતો. ચાર મહિના પહેલાં એક સરકારી તાલીમ કાર્યક્રમ દરમિયાન બે યુવતીઓને અમારી સંસ્થાની જરૂર પડી. એમાંથી એક સમૃદ્ધ પરિવારની હતી. તેણે સ્પષ્ટ કહી દીધું કે અહીં જે છું તે બહાર નથી. બીજી યુવતી સામાન્ય પરિવારની હતી. અંતે તેણે ઘરે કહ્યું કે કાર્યક્રમ એક દિવસ લંબાયો છે અને તેને રહેવા માટે જગ્યા જોઈએ છે. પેલા કલાકાર એ જ ગામમાં રહેતા હતા. મેં તેમને ફોન કર્યો. તેમણે તરત જ કહ્યું, “અમારા ઘરે રહી જાઓ.” પરંતુ મેં કહ્યું કે ટેક્નિકલ કારણોસર તે શક્ય નથી.

અંતે તેમણે બીજી એક જગ્યાની ચાવી આપી, જ્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. રાત વીતી ગઈ. જતી વખતે તે બહેને કહ્યું, “મારું સર્ટિફિકેટ તમે રાખો. હું કહીશ કે લેવા આવવાનું છે, એટલે સાંજે ફરી આવીશ.”

પરંતુ એવું બન્યું નહીં. અંતે સર્ટિફિકેટ તે કલાકાર પાસે જ રાખવામાં આવ્યું અને વિનંતી કરવામાં આવી કે કોઈ લઈ જશે. મારા ગયા પછી તે બહેનને તે કલાકારમાં રસ પડ્યો. કુરિયર દ્વારા સર્ટિફિકેટ મોકલાવવાને બદલે તેણે વ્યક્તિગત રીતે મળવાનો આગ્રહ રાખ્યો. પેલા ભાઈ સમજાવતા રહ્યા, પરંતુ વાત વણસી ગઈ. આ સમગ્ર ઘટનામાં મેં તે કલાકારનું અપમાન કર્યું. ત્યારથી તેમણે મને બ્લોક કરી દીધો છે. હવે મને પસ્તાવો થાય છે. હું શું કરું?

જવાબ: સૌપ્રથમ તો તમારા જીવનને સ્થિરતા આપવાનો પ્રયાસ કરો. લગ્ન માટે ગંભીરતાથી પ્રયત્ન કરો. તમારા પત્ર પરથી એવું લાગે છે કે કેટલીક જગ્યાએ તમે તમારી વ્યક્તિગત વાસનાઓ અને લાગણીઓને કારણે એવા નિર્ણયો લીધા, જે યોગ્ય નહોતા. જીવનમાં ક્ષણિક આકર્ષણ અને સાચા સંબંધ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

પ્રેમ અને વાસનામાં તફાવત છે. ભૂખ લાગે એટલે ઝેર ખાઈ લેવું યોગ્ય નથી. તેવી જ રીતે, એકલતા કે શારીરિક જરૂરિયાતોને કારણે કોઈપણ માર્ગ અપનાવવો યોગ્ય નથી.

જો તમારી ભૂલથી કોઈનું દિલ દુભાયું હોય, તો એક વખત નિખાલસપણે માફી માગવાનો પ્રયાસ કરો. જો સામેની વ્યક્તિ સ્વીકાર ન કરે તો પણ એ નિર્ણયનો આદર કરો. જીવનમાં દરેક સંબંધ ફરી પાછો મેળવી શકાય એવો નથી. જીવનમાં રિવર્સ ગિયર હોતો નથી. ભૂલમાંથી શીખવું અને આગળ વધવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

સૂચન:
શિવપૂજા અને સૂર્યપૂજાના સમન્વયથી મન વધુ સ્થિર અને મજબૂત બની શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

દુલ્હન કે ડિસ્પ્લે મોડેલ : દુલ્હન બનવું હવે સહેલું નથી

એક જમાનામાં ઘૂંઘટ પાછળ છુપાયેલો દુલ્હનનો ચહેરો પરિવારની લાજ ગણાતો. ભાગ્યે જ બહારના લોકો તેને જોઈ શકતાં. કારણ કે રૂઢિચુસ્ત મર્યાદાઓ પાછળ પરિવારની સુરક્ષાનું એક આવરણ પણ રહેલું હતું. વિચારો સાથે સમય બદલાતો રહ્યો, પરંતુ શૃંગારરસ અને દુલ્હનનો સંબંધ હંમેશા અવિચળ રહ્યો.

ફૂલના ગજરાં અને નવલખાં હાર કરતાં પણ દુલ્હનનો સંકોચ વધારે નમણો લાગતો. એની કલાકો સુધી ઝૂકેલી નજર જાણે પિતાની આબરૂ સાચવતી. એના ન બોલાયેલા શબ્દો અનાયાસે જ ખોખરાંમાંથી સરી પડતાં અને આંખના પલકારે જાણે માતાની બધી જ શીખ સમજી લેતી. જ્યાં શરમ અને નજાકત વારસામાં મહેકતી, ત્યાં નકલી મેકઅપનાં થર ઝાંખા પડી જતા.

આજે સમય બદલાયો છે. હવે આપણે વધુ આધુનિક અને પ્રગતિશીલ બન્યા છીએ. પરંતુ દુલ્હનના દેખાવને લઈને સમાજની માનસિકતા હજુ પણ પાછળ જ છે. પરિવર્તન સાથે દુલ્હનનું સુંદર દેખાવું એક આવશ્યકતા બની ગયું છે. એવી આવશ્યકતા, જેના આધારે આખો ઉદ્યોગ ઊભો થઈ ગયો છે.

બ્યુટી પાર્લર સુધી વાત મર્યાદિત હતી, પરંતુ હવે સ્ટેટસ સિમ્બોલની અસર માત્ર ખિસ્સા પર જ નહીં, સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી છે. કોઈ દુલ્હનનું પ્રિ-વેડિંગ શેડ્યૂલ જાણીએ તો નવાઈ લાગે કે આ લગ્નની તૈયારી છે કે કોઈ સજા!

વેઇટ લોસ, સ્કિન ટ્રીટમેન્ટ અને અતિ ખર્ચાળ બ્રાઇડલ બ્યુટી પેકેજિસ હવે દેખાડા માટે નહીં, પરંતુ લગભગ ફરજિયાત બની ગયાં છે. જાણીને આશ્ચર્ય થશે કે આજે વેઇટ લોસ માટેની દવાઓનું વૈશ્વિક બજાર જ અબજો રૂપિયાનું છે અને બ્યુટી પ્રોડક્ટ્સનું બજાર તો તેનાથી પણ વિશાળ છે.

વેઇટ લોસ :- લગ્નના દિવસે દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કે તે સૌથી ખાસ અને સુંદર દેખાય. તેની અદા દરેકથી અલગ હોય. પરંતુ આ વલણ હવે હદો વટાવી રહ્યું છે.

ડાયેટ કરવી, યોગ કે જિમ કરવું એક સ્વસ્થ જીવનશૈલીનો ભાગ છે. પરંતુ હવે બજારમાં નવા ટ્રેન્ડ્સ શરૂ થઈ ગયા છે. ઘણી યુવતીઓ લગ્ન પહેલાં ક્રેશ ડાયેટ કરે છે, જેમાં ખૂબ ઓછી કેલરીવાળો ખોરાક લેવામાં આવે છે. આ પદ્ધતિ ક્યારેક ગંભીર સ્વાસ્થ્ય જોખમો પણ ઊભા કરી શકે છે.

આ ઉપરાંત GLP-1 દવાઓ, જેમ કે મોન્જારો (Mounjaro), વેગોવી (Wegovy) અને ઓઝેમ્પિક (Ozempic), દ્વારા ઝડપથી વજન ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ દવાઓથી વજન ઝડપથી ઘટે છે, પરંતુ તેના લાંબા ગાળાના આડઅસરો અંગે તબીબી નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે.

ખાસ કરીને ઓઝેમ્પિકનાં ઇન્જેક્શન્સ ઝડપથી વજન ઘટાડવાના સાધન તરીકે લોકપ્રિય બન્યાં છે અને વેડિંગ માર્કેટમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે.

બ્યુટી ટ્રીટમેન્ટ:- જો આપણે બ્યુટી ટ્રીટમેન્ટને માત્ર વેક્સિંગ કે ફેશિયલ સુધી મર્યાદિત સમજતા હોઈએ, તો આપણે હકીકતથી અજાણ છીએ.

ભારતમાં બ્યુટી ટ્રીટમેન્ટ અને બ્યુટી પ્રોડક્ટ્સનો વ્યવસાય કરોડો રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે, જેમાં મુખ્ય ટાર્ગેટ ઇન્ડિયન વેડિંગ માર્કેટ છે.

સ્કિન લાઇટનિંગ, કેમિકલ પીલિંગ, ગ્લુટાથાયોન ઇન્જેક્શન અને લેઝર ટ્રીટમેન્ટ જેવી સેવાઓ હવે સામાન્ય બની ગઈ છે. આ તમામ ટ્રીટમેન્ટ્સ ખૂબ ખર્ચાળ હોય છે અને તેમાં વપરાતા કેટલાક રસાયણો શરીર માટે જોખમી પણ બની શકે છે.

સૌંદર્ય ઉદ્યોગનો વિકાસ એટલો ઝડપી છે કે ઘણા ત્વચા નિષ્ણાતો હવે સારવાર કરતાં કોસ્મેટિક પ્રક્રિયાઓમાં વધુ રસ લેતા જોવા મળે છે, કારણ કે તેમાં વધુ નફો છે. પરિણામે, લગ્ન પહેલાં દુલ્હન માટે આવા પેકેજિસ હવે લગભગ અનિવાર્ય ગણાવા લાગ્યા છે.

એટલું જ નહીં, લગ્નમાં ફોટા સારા આવે, શરીરનું ફિગર આકર્ષક દેખાય અને દરેક તસવીર સોશિયલ મીડિયા માટે યોગ્ય બને – આ બધું હવે ઇચ્છા નહીં, પરંતુ અપેક્ષા બની ગયું છે.

શું આપણે એવા સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં દરેક વસ્તુ ફોટોજેનિક હોવી જોઈએ? દરેક ક્ષણ, દરેક હાવભાવ અને દરેક ખૂણો ઇન્સ્ટાગ્રામેબલ હોવો જોઈએ?

શું હવે આપણું અસ્તિત્વ માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને સ્ટોરીઝ દ્વારા ચર્ચામાં રહેવા પૂરતું જ સીમિત થઈ રહ્યું છે?

દેખાડાની આ દોડ હવે માત્ર બેન્ક બેલેન્સ સુધી મર્યાદિત રહી નથી. એ દિવસો કદાચ દૂર નથી જ્યારે આ ટ્રેન્ડ્સની ગંભીર અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ સ્પષ્ટપણે જોવા મળશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

નોઈડાનાં બે બિલ્ડિંગમાં લાગી ભીષણ આગથી નાસભાગ

નવી દિલ્હીઃ નોઈડાનાં બે અલગ-અલગ સેક્ટરોમાં આવેલી IVY કાઉન્ટી સોસાયટીના ફ્લેટ અને એક PG બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાઓથી અફરાતફરી મચી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં આગ લાગવાની ઘટનાઓ અટકતી દેખાતી નથી. થોડા દિવસ પહેલાં માલવીય નગરના એક હોટેલમાં લાગેલી આગમાં 21 લોકોનાં મોત થયાં હતાં. હવે શુક્રવારે સવારે નોઈડાના સેક્ટર-74 સ્થિત IVY કાઉન્ટી સોસાયટીના એક ફ્લેટમાં ભીષણ આગ લાગ્યાની ઘટના બની છે. અહીં એકસાથે અનેક ફ્લેટ આગની ઝપટમાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

સેક્ટર-74માં આવેલી IVY કાઉન્ટી એક જાણીતી રહેણાક સોસાયટી છે, જ્યાં સેંકડો પરિવારો રહે છે. વહેલી સવારે લાગેલી આ આગમાં અનેક ફ્લેટોને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી, પરંતુ તેમની મશીન માત્ર છઠ્ઠા માળ સુધી જ પહોંચી શકતી હતી. સોસાયટીમાં ઉપલબ્ધ આંતરિક ફાયર સેફ્ટી સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે. આગ 12મા માળે લાગી હતી અને ત્યાર બાદ 16મા માળ સુધી ફેલાઈ ગઈ હતી.

મુખ્ય મંત્રી યોગીના અધિકારીઓને નિર્દેશ

નોઈડાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. એ સાથે જ પ્રશાસનને દરેક સ્તરે સતર્ક રહેવા અને રાહત કામગીરીની સતત દેખરેખ રાખવા પણ સૂચના આપી છે.

હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબૂ

આગની જ્વાળાઓને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 12મા માળે લાગેલી આગ ઉપરના ફ્લેટોમાં પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર કર્મચારીઓ હાઇડ્રોલિક ક્રેનની મદદથી સતત કામગીરી કરતા રહ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી તેમ જ કેટલા લોકો અંદર ફસાયેલા હતા તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો