Home Blog Page 14

INDO-MIM લિમિટેડનો IPO 23 જુલાઈએ ખૂલશે

અમદાવાદઃ INDO-MIM લિમિટેડનો IPO (પ્રારંભિક જાહેર ભરણું) 23 જુલાઈએ ગુરુવારે ખૂલશે, જેમાં રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની ઓફર રજૂ થશે. એન્કર ઇન્વેસ્ટર બિંડિંગ માટેની તારીખ IPO/બિડ ખૂલ્યાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 22 જુલાઈએ બુધવારે છે. બિડ/ઓફર 27 જુલાઈ, 2026એ બંધ થશે.

 UPI મેન્ડેટ એન્ડ ટાઇમ અને ડેટ બિડ/ઓફર બંધ થયાની તારીખે સાંજના પાંચ વાગ્યાનો રહેશે.  ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા કંપનીના દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 461થી રૂ. 485 નક્કી થઈ છે. બિડ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે કરી શકાશે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ. એક છે અને પછી વધારે રોકાણ 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે, જે દરેકની ફેસ વેલ્યુ પણ રૂ. એક છે. ઓફરમાં રૂ. 5000 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને વિક્રેતા શેરધારકો દ્વારા 68,291,022 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે.

ઓફર ફોર સેલમાં ગ્રીન મીડોઝ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (કોર્પોરેટ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર)ના 60,524,322 ઇક્વિટી શેર; અનુરાધા કોદુરી (ઇન્ડિવિડ્યુઅલ પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર)ના 5,459,000 ઇક્વિટી શેર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (અન્ય વિક્રેતા શેરધારક) (સંયુક્તપણે વિક્રેતા શેરધારકો)ના 2,307,700 ઇક્વિટી શેર સામેલ છે.

કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) (BSE અને NSE સંયુક્તપણે- સ્ટોક એક્સચેન્જીસ) પર થશે. ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર (BRLMs) HDFC બેંક લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.

કોલકાતામાં વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિપૂજન

કોલકાતા: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કોલકાતાના ન્યૂ ટાઉન કન્વેન્શન સેન્ટર ખાતે ‘અમૂલ બેંગાલ ડેરી પ્રોજેક્ટ’ (Amul Bengal Dairy Project) અંતર્ગત વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી સહિત સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

₹૭૦૦ કરોડનું રોકાણ અને ૧.૨૦ લાખ પશુપાલકોને સીધો લાભ

હાવડા ફૂડ પાર્ક ખાતે આશરે ₹૭૦૦ કરોડના ખર્ચે સ્થાપવામાં આવી રહેલો આ પ્લાન્ટ પ્રતિદિન ૧૦ લાખ કિલોગ્રામ (૧,૦૦૦ મેટ્રિક ટન) દહીં ઉત્પાદનની ક્ષમતા ધરાવશે. પ્રથમ તબક્કામાં દરરોજ ૧૦ લાખ લીટર દૂધ પ્રોસેસ થશે, જેનો સીધો ફાયદો રાજ્યના ૧.૨૦ લાખથી વધુ નાના પશુપાલકોને મળશે. આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થતાં દૈનિક ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસિંગની સાથે પેકેજ્ડ દૂધ, UHT દૂધ, આઈસ્ક્રીમ, પનીર, ઘી, બંગાળી મીઠાઈઓ અને ફ્લેવર્ડ મિલ્કનું ઉત્પાદન પણ કરશે.

બંગાળ સરકાર દ્વારા ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવાઈ

અમિત શાહે જણાવ્યું હતું કે, અગાઉની સરકારે રાજકીય કારણોસર આ પ્રોજેક્ટ માટે જમીન આપવાનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યના ગરીબ પશુપાલકોના હિતમાં અમૂલ ફેડરેશનને ૩૦ એકર જમીન એક પણ રૂપિયો લીધા વિના મફત પૂરી પાડી છે. આ નિર્ણયથી બંગાળના આશરે ૨.૫ લાખ પશુપાલકોને તેમના દૂધના શ્રેષ્ઠ ભાવો મળશે. તેમણે ઉમેર્યું હતું કે, “અમૂલના ગ્રાહકો જ્યારે ₹૧૦૦ ખર્ચે છે, ત્યારે તેમાંથી ₹૮૭ સીધા પશુપાલકોના બેંક ખાતામાં જમા થાય છે, જે સહકારની સાચી શક્તિ દર્શાવે છે.”

‘સોનાર બાંગ્લા’ અને પશુપાલકો માટે કલ્યાણકારી યોજનાઓ

કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ અને આચાર્ય જગદીશચંદ્ર બોઝ જેવી બંગાળની મહાન વિભૂતિઓને યાદ કરીને બંગાળના ગૌરવશાળી વારસાને બિરદાવ્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર બંગાળમાં પશુઓની નસ્લ સુધારવા માટે ‘Sex-Sorted Semen’ ટેકનોલોજી ફેસિલીટી લાવશે. સાથે જ સહકાર મંત્રાલયની ૭૦થી વધુ કલ્યાણકારી યોજનાઓ આગામી ૬ મહિનામાં બંગાળના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે.

સાહિત્યકાર ડૉ. દિનકર જોષીના માનમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની જાહેરાત

મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. દિનકર જોષીના બહુમૂલ્ય પ્રદાનને બિરદાવવા માટે એક અનોખી અને ગૌરવપ્રદ જાહેરાત કરવામાં આવી છે. KES સ્થાપિત અને સંચાલિત ગુજરાતી ભાષા ભવન હવેથી “દિનકર જોષી ગુજરાતી ભાષા ભવન” તરીકે ઓળખાશે. શનિવાર, ૧૮ જુલાઈના રોજ આયોજિત વરસાદી ગીતોના ખાસ કાર્યક્રમ દરમિયાન KESના પ્રેસિડન્ટ મહેશ શાહે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

મહેશ શાહે જણાવ્યું હતું કે, “૧૬૦થી વધુ પુસ્તકોના લેખક દિનકરભાઈએ માત્ર પોતે જ સાહિત્ય સર્જન નથી કર્યું, પરંતુ ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં અનૂદિત થઈને બહોળા વર્ગ સુધી પહોંચે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. તેમણે ગુજરાતીઓમાં સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જગાડ્યો છે. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને નવી તથા આવનારી યુવા પેઢી સુધી પહોંચાડવાના આશય સાથે ભાષા ભવનને આ નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાહિત્યકાર ડૉ. દિનકર જોષી ભાવુક બન્યા હતા અને આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મેં કંઈ લખ્યું નથી, જે લખાયું છે તે પરમાત્માએ લખાવ્યું છે. માણસ માટે અમુક ઉંમર વટાવ્યા બાદ જીવવાનું અઘરું બનતું હોય છે, પરંતુ આવી પળ જીવવાનું બળ આપે છે.”

વરસાદી ગીતોની સાંજે શ્રોતાઓને ભીંજવ્યા

ટી.પી. ભાટિયા સાયન્સ કોલેજના પંચોલિયા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા ગાયકો નિશા કાપડિયા, શ્રદ્ધા શ્રીધરાણી અને રાઘવ દવેએ પોતાના મધુર કંઠે વરસાદી ગીતો, મલ્હાર રાગ અને ગરબા રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંચાલક નંદિની ત્રિવેદીના રસપ્રદ સંચાલન સાથે નરસિંહ મહેતા, કાગબાપુ, વિનોદ જોશી, હરિન્દ્ર દવે અને દિલીપ રાવલની લોકપ્રિય રચનાઓ રજૂ થઈ હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ અને KESના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શ્રોતાઓ સ્ટેજ પાસે આવી ગરબે ઘૂમ્યા હતા. ભાષા ભવન કમિટી દ્વારા આગામી ૨૨ ઓગસ્ટે આવા જ એક નોખા કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટીએ, IFSCએ ભાગીદારીમાં ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીએ આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCએ) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (ગિફ્ટ IFIH) હેઠળ ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કરવાની જાહેરાત કરી છે.  આ પહેલનો ઉદ્દેશ આગામી પેઢીના ફિનટેક ઇનોવેટર્સને શોધવા, તેમની પ્રતિભા વિકસાવવા અને તેમને ઝડપી ગતિએ આગળ વધારવાનો છે. આ માટે વિચારના તબક્કાથી લઈને પ્રોટોટાઇપ તૈયાર કરવા, નિયમનકારી મંજૂરી મેળવવા અને સ્ટાર્ટઅપ સ્થાપવા સુધીની સમગ્ર અને સુવ્યવસ્થિત પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમની શરૂઆત દેશવ્યાપી અરજી પ્રક્રિયાથી થશે. ત્યાર બાદ પસંદ કરાયેલા અરજદારો બે દિવસીય ફિનટેક આઇડિયેશન હેકાથોનમાં ભાગ લેશે. હેકાથોનમાંથી પસંદ થયેલી ટીમો ત્યાર બાદ ગિફ્ટ IFIH ખાતે આઠ સપ્તાહના રેસિડેન્શિયલ પ્રોગ્રામમાં જોડાશે. આ દરમિયાન તેઓ સ્ટાર્ટઅપ સ્થાપકો, ઉદ્યોગ નિષ્ણાતો, રોકાણકારો, નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઇકો સિસ્ટમના અગ્રણીઓ સાથે નજીકથી કામ કરવાની તક મેળવશે.

નિષ્ણાતોના માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ દ્વારા સહભાગીઓને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ડિઝાઇન થિંકિંગ, ગ્રાહકોની જરૂરિયાતોને સમજવી અને તેની ચકાસણી કરવી, બિઝનેસ મોડેલ તૈયાર કરવું તેમ જ રોકાણકારો સમક્ષ અસરકારક પ્રેઝન્ટેશન કરવાની તૈયારી જેવાં ક્ષેત્રોમાં વ્યવહારુ અનુભવ મળશે. તેને પરિણામે તેઓ પોતાના નવીન વિચારોને બજારમાં રજૂ કરી શકાય એવા અને વિસ્તરણ માટે સક્ષમ વ્યવસાયમાં ફેરવી શકશે. આ પ્રોગ્રામ હેઠળ ટોચના ત્રણ સ્ટાર્ટઅપ્સને IFSCએ ફિનટેક સેન્ડબોક્સમાં વિશેષ સીધી એન્ટ્રી મળશે. તેના દ્વારા તેઓ નિયંત્રિત નિયમનકારી માળખામાં આધુનિક નાણાકીય નવીનતાઓનું પરીક્ષણ અને માન્યતા મેળવી શકશે. નવીનતા અને નિયમનકારી સહયોગ વચ્ચે સેતુ રચીને આ પહેલ આશાસ્પદ ફિનટેક સ્ટાર્ટઅપ્સને ઝડપથી વ્યાવસાયિક સફળતા તરફ આગળ વધારવા તેમ જ ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં જવાબદાર અને ભાવિ જરૂરિયાતોને અનુરૂપ નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.

આ કાર્યક્રમ દેશના વિદ્યાર્થીઓ, તાજેતરમાં અભ્યાસ પૂર્ણ કરનારા સ્નાતકો, ઉદ્યોગ સાહસિક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો અને યુવા ઇનોવેટર્સ માટે ખુલ્લો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ, 2026 છે. પસંદ કરાયેલી ટીમો 21 અને 22 ઓગસ્ટ, 2026એ યોજાનારી ફિનટેક આઇડિયેશન હેકાથોનમાં ભાગ લેશે. ત્યાર બાદ 10 ટીમોની પસંદગી કરીને તેમને 1 સપ્ટેમ્બર, 2026થી ગિફ્ટ સિટીમાં શરૂ થનારા રેસિડેન્શિયલ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે. યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ માટે ગિફ્ટ IFIHના રોકાણકારો, ઉદ્યોગ ભાગીદારો અને માર્ગદર્શકોના મજબૂત નેટવર્ક તેમ જ પ્રારંભિક તબક્કાની નવીનતાઓને પ્રોત્સાહન આપવાના તેના સફળ અનુભવનો લાભ લેવામાં આવશે. ગિફ્ટ IFIHની અગાઉની પહેલમાં જોડાયેલા અનેક સ્ટાર્ટઅપ્સ સફળતાપૂર્વક ફિનટેક સેન્ડબોક્સમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે, નોંધપાત્ર રોકાણ મેળવ્યું છે અને સતત મળતી ઇકો સિસ્ટમના સહયોગથી પોતાના વ્યવસાયને સફળતાપૂર્વક વિસ્તૃત કર્યો છે.

IPE ગ્લોબલ અને ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન વચ્ચે MoU

ગાંધીનગર: ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓને કૌશલ્યવર્ધન (Skilling) અને રોજગારી ક્ષેત્રે વધુ સક્ષમ બનાવવાના હેતુથી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કન્સલ્ટન્સી ‘IPE ગ્લોબલ’ અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન (GSDM) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત મહિલા આર્થિક સશક્તિકરણ માટે ‘શી વર્ક્સ’ (She Works) પહેલને આગળ વધારવામાં આવશે.

‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ નિમિત્તે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) હેઠળ આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરાની વિશેષ ઉપસ્થિતિમાં આ MoUની આપ-લે કરવામાં આવી હતી.

પાંચ વર્ષની બિન-નાણાકીય ભાગીદારી 

આ ૫ વર્ષીય પ્રો બોનો (Pro Bono) ભાગીદારી હેઠળ, IPE ગ્લોબલ દ્વારા રાજ્યની કૌશલ્ય યોજનાઓને વધુ મજબૂત કરવા અને યુવતીઓ માટે નવીનતમ ક્ષેત્રોમાં રોજગારીની તકો વિસ્તારવા માટે તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે.

આ સમજુતી કરાર ‘વિકસિત ગુજરાત @2047’ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં મદદરૂપ થશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સંચાલિત વિકાસ (Women-led Development) પર ભાર મૂકવાનો અને મોટા પાયે કૌશલ્યને રોજગાર સાથે જોડવાનો છે.

“કૌશલ્ય સાથે સીધી રોજગારી આપવાનો અમારો લક્ષ્યાંક” – લોચન સેહરા

કાર્યક્રમ દરમિયાન વાતચીત કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરાએ જણાવ્યું હતું કે,

“નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન હેઠળ અમારો હેતુ માત્ર યુવાનોને કૌશલ્ય આપવાનો નથી, પરંતુ એ કૌશલ્ય થકી તેમને સીધી રોજગારી મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આ ભાગીદારીથી રાજ્યની યોજનાઓ વધુ મજબૂત બનશે અને ગુજરાતની દરેક યુવતી પોતાની કારકિર્દીના સપના પૂરા કરી ઉભરતા ક્ષેત્રોમાં રોજગારી મેળવી શકશે.”

આ ભાગીદારી હેઠળ શું કરવામાં આવશે?

૧. કારકિર્દી મૅપિંગ: યુવતીઓની રૂચિ અને લક્ષ્યો અનુસાર કૌશલ્ય અભ્યાસક્રમો ગોઠવવામાં આવશે.

૨. જાહેર જાગૃતિ અભિયાન: મહિલાઓના કૌશલ્ય અને રોજગાર માટે સામાજિક સમર્થન ઊભું કરવા રાજ્યસ્તરે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે.

૩. ઉદ્યોગો સાથે જોડાણ: વિવિધ ઉભરતા ક્ષેત્રો (Emerging Sectors) ના ઉદ્યોગો અને ઈન્ડસ્ટ્રી એસોસિએશન્સ સાથે મળીને જેન્ડર ડાયવર્સિટી (લિંગ વિવિધતા) માટે રોડમેપ તૈયાર કરાશે.

૪. ડેટા સિસ્ટમ મજબૂત કરવી: મહિલાઓના વય અને ક્ષેત્રવાર રોજગારીના પરિણામોને ટ્રેક કરવા માટે આંકડાકીય સિસ્ટમ સુધારવામાં આવશે.

IPE ગ્લોબલ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) એમ. કે. પદ્મ કુમારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “યુવા કૌશલ્ય દિવસે શરૂ થયેલી આ ભાગીદારી દ્વારા અમે ગુજરાત સરકારના ‘વિકસિત ગુજરાત @2047’ના મહિલા સશક્તિકરણના વિઝનમાં તકનીકી સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

રાહુલ ગાંધી સાથે વાતચીત બાદ ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા મંત્રી જીતેન્દ્ર સિંહ!

દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના ગંભીર મુદ્દે વિપક્ષી દળ કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વડ્રા સહિતના દેશના અનેક દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન (PM Residence) સામે જમીન પર બેસીને ધૂન અને ધરણાં કરવા લાગ્યા હતા. આ તમામ નેતાઓ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની કડક માગ કરી રહ્યા છે. પીએમ આવાસ સામે ધરણા પર બેસતા પહેલા વિપક્ષી નેતાઓએ સંસદ ભવનથી પીએમ આવાસ સુધીનો પગપાળા માર્ચ પણ યોજ્યો હતો.

પીએમ આવાસ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને ગૃહ સચિવ

વિપક્ષના વિરોધ પ્રદર્શનના આશરે 1 કલાક બાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિને સંભાળવા અને વાટાઘાટો કરવા પીએમ આવાસ બહાર ધરણા સ્થળે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી સાથે અંદાજે 30 મિનિટ સુધી રૂબરૂ વાતચીત કરી હતી અને તેમને ધરણાં સમાપ્ત કરવા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ દિલ્હી પોલીસે પણ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને આંદોલન પૂરું કરવા અપીલ કરી હતી, પરંતુ રાહુલ ગાંધીએ પોતાની માગણીઓ પર મક્કમ રહીને ધરણાં ખતમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આ વિરોધ પ્રદર્શન સતત 2 કલાકથી વધુ સમય સુધી જારી રહ્યો હતો.

રાહુલ ગાંધીની મુલાકાત બાદ અણધારી રાજકીય હલચલ

રાહુલ ગાંધી સાથે આશરે અડધો કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ ધરણા સ્થળેથી રવાના થઈ ગયા હતા. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પૂર્ણ કર્યા બાદ મંત્રી જીતેન્દ્ર સિંહ હવે સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ કડક માગણીઓ અને સ્થિતિ વિશે ગૃહમંત્રી અમિત શાહને વિગતવાર વાકેફ કરવામાં આવશે, ત્યારબાદ ગૃહમંત્રી આ મુદ્દે આગળનો આખરી નિર્ણય લેશે.

દેશના યુવાનો માટે કોઈ તક નથી બચી: રાહુલ ગાંધી

ધર્મના આયોજન પહેલાં અને પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, “દેશના યુવાનો માટે કોઈ તકો બચી નથી અને તેમના વિકાસના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એક સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુવાનો માટે પ્રગતિનો મોટો રસ્તો હતી, પરંતુ વર્તમાન સરકારે તે આખી કૌભાંડમુક્ત વ્યવસ્થાને બરબાદ કરી નાખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, “ગઈકાલે પીડિત યુવા વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતા અંગે વિગતવાર જવાબ માગવા માટે અમે વડાપ્રધાન મોદીના ઘર તરફ માર્ચ કરી રહ્યા છીએ. સરકાર આ ગંભીર મુદ્દે કોઈ જવાબદારી લેવા માંગતી નથી કે સંસદમાં તેના પર કોઈ ખુલ્લી ચર્ચા કરવા માંગતી નથી. ભારત દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.”

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, “દેશનો સામાન્ય વિદ્યાર્થી આજે પોકારી રહ્યો છે કે અમારું કોઈ ભવિષ્ય બચ્યું નથી, પરંતુ આ સરકારના અહંકારી મંત્રીઓ કહી રહ્યા છે કે તેમની ખુરશી નહીં જાય. જે દેશમાં દેશનો વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ખોઈ બેસે અને મંત્રી પોતાની ખુરશી ન ખોવે – ત્યાં ન્યાય જેવું કંઈ બચ્યું જ નથી.” તેમણે માગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સંસદના બંને ગૃહમાં આવીને આ પેપર લીક કૌભાંડ પર સ્પષ્ટતા કરવી જોઈએ.

કેજરીવાલે જનરલ ડાયરથી PM મોદીની તુલના કરી

નવી દિલ્હીઃ આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે CJPના વિરોધ પ્રદર્શન મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓ સામે સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગ્રેજોના અત્યાચાર કરતાં પણ વધુ ક્રૂર હતી. તેમણે કહ્યું હતું કે આ દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતાની જાગીર નથી.

તેમણે કહ્યું હતું કે મોદીજી, આ દેશ તમારા પિતાની મિલકત નથી. ધમકીઓ આપવાનું બંધ કરો, નહીં તો દેશની જનતા તમને એવો પાઠ ભણાવશે કે ઇતિહાસ યાદ રાખશે કે એક તાનાશાહનો અંત કેવી રીતે થયો હતો. તેમણે આગળ કહ્યું હતું કે મોદીજીએ બાળકો પર જે રીતે બેરહેમીથી હુમલો કરાવ્યો છે, તે અત્યંત શરમજનક છે. અંગ્રેજોએ પણ સ્વતંત્રતા સેનાનીઓ પર એવો હુમલો કર્યો નહોતો, જેવો મોદીજીએ પોતાના દેશનાં બાળકો પર કર્યો છે. જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે જે કર્યું હતું, મોદીજી તો તેનાથી પણ આગળ વધી ગયા છે.વડા પ્રધાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે આ દેશમાં સૌથી મોટા રાષ્ટ્રવિરોધી તમે જ છો મોદીજી. આ બાળકો તમને પેપર લીક રોકવાની વિનંતી કરી રહ્યા છે. શું તમે એક પણ પેપર લીક રોકી શકતા નથી? અથવા તો તમે સંપૂર્ણપણે અસમર્થ છો, અથવા પેપર લીકમાંથી મળતો પૈસો તમારી સુધી પહોંચે છે.

AAP દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

તેમણે જણાવ્યું હતું કે આપ દ્વારા ઘાયલ પ્રદર્શનકારીઓને તબીબી સહાય અને હિરાસતમાં લેવામાં આવેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને કાનૂની સહાય પૂરી પાડવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યુવા પ્રદર્શનકારીઓ પર પોલીસે જે બર્બરતા દાખવી તે અમે જોઈ છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈ પણ ઉશ્કેરણી વગર પોલીસ છોકરીઓ અને વિદ્યાર્થીઓને સતત માર મારતી રહી અને તેમના પર લાઠીચાર્જ કરતી રહી.

તમારે ડરવાની જરૂર નથી – કેજરીવાલ

તેમણે કહ્યું હતું કે હું પ્રદર્શનકારીઓનાં માતા-પિતા અને પરિવારજનોને કહેવા માગું છું કે તમને ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. હેલ્પલાઇન નંબર પર સંદેશ મોકલો. અમે તમારો સંપર્ક કરીશું અને કાનૂની તેમ જ તબીબી સહાય પૂરી પાડીશું. તેમણે ઉમેર્યું હતું કે તમે અમારા પોતાના છો. તમને કંઈ થવા નહીં દઈએ.

શું મમતા દીદી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં જોડાશે?

મમતા બેનર્જીએ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં વ્યક્તિગત રીતે જોડાશે. તેમણે ટીએમસીમાં બળવાખોર જૂથ પર પણ પ્રહારો કર્યા.

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ પાર્ટીના બળવાખોર નેતાઓ પર અત્યાર સુધીનો સૌથી તીવ્ર હુમલો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે લોકો પાર્ટી છોડી રહ્યા છે અને અલગ રસ્તો પસંદ કરી રહ્યા છે તેમણે સીધા ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવવું જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ. વધુમાં, તેમણે સ્પષ્ટ કર્યું કે જે લોકો પાર્ટી છોડી ગયા છે તેમના માટે પાછા ફરવાના દરવાજા બંધ છે.

કોલકાતામાં એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ બળવાખોર જૂથ પર નિશાન સાધતા કહ્યું,”હું તેમને ભાજપમાં જોડાવાનો પડકાર ફેંકું છું. મને તેનાથી કોઈ વાંધો નથી, હકીકતમાં, હું ખૂબ ખુશ થઈશ. તેમની જગ્યાએ લેવા માટે મારી પાસે ઘણા લોકો છે.” મમતાએ પોતાનું વલણ વધુ કડક બનાવતા કહ્યું, “હું તેમને પાછા નહીં લઈશ.”

શહીદ પરિવારોનો આભાર વ્યક્ત કર્યો

મમતા બેનર્જીએ કાર્યક્રમમાં હાજર શહીદોના પરિવારજનોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમામ લાલચ છતાં શહીદ પરિવારો તૃણમૂલ કોંગ્રેસ સાથે ઉભા છે. તેમણે કહ્યું,’અમારા કાર્યક્રમમાં આવવા માટે હું શહીદોના પરિવારજનોનો આભાર માનું છું. તમામ પ્રલોભનો છતા તે ટીએમસી સાથે ઉભા રહ્યા.

ભારતે ગઠબંધનને લઈને મોટો સંકેત પણ આપ્યો હતો

બંગાળની રાજનીતિમાં વિપક્ષી એકતા અંગે મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તમામ વિપક્ષી દળોએ ભાજપને હરાવવા માટે એક થવું જોઈએ. તેણીએ કહ્યું,’હું ઈચ્છું છું કે બંગાળમાં ભાજપ સામે લડવા માટે આખું ભારત ગઠબંધન હેઠળ એક થાય. મારામાં અહંકાર નથી.

તેમણે CJP વિરોધ પ્રદર્શનમાં જોડાવા વિશે પણ વાત કરી

મમતા બેનર્જીએ બીજી એક રાજકીય ટિપ્પણી કરતા કહ્યું કે જો જરૂર પડે, તો તેઓ વ્યક્તિગત રીતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શનમાં જોડાશે. તેમણે કહ્યું, “જો જરૂર પડે, તો હું વ્યક્તિગત રીતે CJP વિરોધ પ્રદર્શનમાં જોડાઈશ. અમે શરૂઆતથી જ તેમને ટેકો આપ્યો છે અને આપતા રહીશું.”

 

સોનમ વાંગચુક કેસમાં દિલ્હી HC નો મોટો ચુકાદો

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થનમાં ભૂખ હડતાળ પર બેઠેલા દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની કથળતી જતી તબિયત વચ્ચે દિલ્હી હાઈકોર્ટ તરફથી એક મોટો અને રાહતરૂપ નિર્ણય સામે આવ્યો છે. વાંગચુકની પત્ની ગીતાંજલિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરતા દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકને દિલ્હીની સરકારી સફદરજંગ હોસ્પિટલમાંથી પ્રાઈવેટ મેદાંતા (Medanta) હોસ્પિટલમાં મોકલવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે તેમની યોગ્ય સારવાર અને દેખરેખ માટે નિષ્ણાત ડોક્ટરોની એક વિશેષ ટીમ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ મહત્વપૂર્ણ ચુકાદો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે સંયુક્ત રીતે સંભળાવ્યો હતો.

સરકારને મેદાંતામાં શિફ્ટ કરવા સામે કોઈ વાંધો નથી

દિલ્હી હાઈકોર્ટે સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોની તબીબી પેનલ અને સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ જારી કર્યો હતો. સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોએ વાંગચુકની લેટેસ્ટ હેલ્થ રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરી હતી. સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવા સામે કોઈ વાંધો કે વાંધાઅરજી નથી. સફદરજંગ હોસ્પિટલમાં અત્યાર સુધી આપવામાં આવેલી તમામ સારવારની વિગતો, મેડિકલ રિપોર્ટ્સ અને જરૂરી દસ્તાવેજો મેદાંતા હોસ્પિટલને તુરંત ટ્રાન્સફર કરી દેવામાં આવશે, પરંતુ ડોક્ટરોની સલાહ વગર તેમને તબીબી દેખરેખમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કરવા સામે સરકારે વિરોધ નોંધાવ્યો હતો.

ડોક્ટરોની સલાહ અને સુપરવિઝન હેઠળ જ ડિસ્ચાર્જની માગ

સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે હોસ્પિટલમાં વાંગચુક સાથે રોકાયેલા કેટલાક લોકો તેમને તબીબી સંભાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોનમ વાંગચુક પોતાની પસંદગીની હોસ્પિટલ અને તબીબોની ટીમ પસંદ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ માત્ર નિષ્ણાત ડોક્ટરોની લેખિત સલાહ અને સલામતી પૂર્ણ દેખરેખ હેઠળ જ મળવો જોઈએ. જો તેઓ હોસ્પિટલમાંથી નીકળીને ફરીથી જંતર-મંતર પર અનશન કરવા પહોંચી જાય અને ભૂખ હડતાળના કારણે તેમની તબિયત વધુ વણસે, તો તેની જવાબદારી કોણ લેશે?

વાંગચુકને સતત મેડિકલ ઓબ્ઝર્વેશનની જરૂરિયાત

સરકાર વતી રજૂ થયેલા સોલિસિટર જનરલે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અને જીવન અંગે કોઈ જોખમ (Risk) લઈ શકે તેમ નથી, કારણ કે તેમની તબિયત લથડવાની સીધી અસર સરકાર અને કાયદા-વ્યવસ્થા પર પડી શકે છે. બંને પક્ષોની દલીલો અને તબીબી અહેવાલો ધ્યાનથી સાંભળ્યા બાદ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે મેડિકલ રિપોર્ટ જોતાં સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત નિરીક્ષણ (Monitoring) રાખવું અત્યંત અનિવાર્ય છે. હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, આ તબીબી દેખરેખ ગમે ત્યાં થઈ શકે છે — તેઓ સફદરજંગમાં રહે કે મેદાંતામાં રહે, સારવાર બંને જગ્યાએ થશે અને ડોક્ટરોનું સુપરવિઝન પણ રહેશે. તેથી તેમને મેદાંતા હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં કોઈ બાધ નથી.

PMના નિવાસસ્થાન નજીક રાહુલ, પ્રિયંકા ખડગેનાં ધરણાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન ચાલુ છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય કોંગ્રેસ સાંસદો સાથે ધરણાં પર બેઠા છે. વડા પ્રધાનના નિવાસસ્થાન નજીક કોંગ્રેસ સાંસદોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો કે આખો દેશ જાણે છે કે શિક્ષણ વ્યવસ્થા તૂટી ગઈ છે, છતાં પણ આ સ્થિતિ કેમ ચાલુ છે? વડા પ્રધાન શા માટે મૌન છે? તેમણે વિદ્યાર્થીઓ પાસે માફી માગવી જોઈએ અને પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલી મારપીટ જેવી ઘટનાઓને રોકવી જોઈએ. આ સંપૂર્ણપણે ખોટું છે. બીજી તરફ, જંતર-મંતર પર આજે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. ગઈ કાલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ તથા પથ્થરમારો થયો હતો, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદોએ પ્રધાનમંત્રીના નિવાસસ્થાનથી આશરે સાત કિલોમીટર દૂર વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન માત્ર એક મધ્યસ્થ છે અને તેમને ચોક્કસપણે રાજીનામું આપવું જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓ પર થયેલી મારપીટ માટે તેઓ જવાબદાર નથી. આ માટે ગૃહ મંત્રી જવાબદાર છે અને તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. ગૃહ મંત્રી પ્રધાનમંત્રીને અહેવાલ આપે છે, તેથી આ સંદર્ભમાં વડા પ્રધાનને પણ જવાબદારી સ્વીકારવી જોઈએ. દેશમાં આખરે શું ચાલી રહ્યું છે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, કે.સી. વેણુગોપાલ, પવન ખેડા અને અન્ય કોંગ્રેસ નેતાઓએ વડા પ્રધાન તથા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું. જોકે પોલીસે આ નેતાઓને ત્યાંથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.