Home Blog Page 11

‘તેનો ચહેરો કાળો કરો’, એનિમલ અભિનેત્રી તૃપ્તિ ડિમરી પર ગંભીર આરોપ

મુંબઈ: અભિનેત્રી તૃપ્તિ ડિમરી પર મંગળવારે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જયપુરના સાહસિકોએ કહ્યું કે તૃપ્તિ ડિમરી પૈસા લઈ ગઈ અને તે પછી પણ ઈવેન્ટમાં પહોંચી ન હતી. અભિનેત્રીએ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. FICCI FLOના જયપુર ચેપ્ટરના નારી શક્તિ કાર્યક્રમના આયોજકોએ કહ્યું હતું કે તૃપ્તિએ મંગળવારે તેમના કાર્યક્રમમાં આવવાનું વચન આપ્યું હતું, પરંતુ આવી ન હતી. અભિનેત્રીએ હવે આ વાતને નકારી કાઢી છે.

તૃપ્તિએ સ્પષ્ટતા કરી

‘એનિમલ’ અને ‘કલા’થી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી તૃપ્તિએ એક નિવેદન જારી કર્યું જેમાં તેણે કહ્યું કે જયપુરમાં જે પણ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેનો તે ભાગ રહી છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચાલી રહેલા પ્રમોશનલ અભિયાન દરમિયાન તૃપ્તિ ડિમરીએ તેની વ્યાવસાયિક જવાબદારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું અને ફિલ્મ સંબંધિત તમામ નિર્ધારિત કાર્યક્રમો અને સત્રોમાં હાજરી આપી હતી.’

તેણીએ ઇવેન્ટમાં ભાગ લેવા માટે કોઈ વચન આપ્યું હતું અથવા કોઈ પૈસા લીધા હતા આયોજકોના આ દાવાને પણ ફગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અભિનેત્રીએ તેણીની પ્રમોશનલ ફરજો સિવાયના કોઈપણ વ્યક્તિગત દેખાવ અથવા ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ નથી તેવું પણ નિવેદનમાં જણાવાયું છે. તે સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે આ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી માટે કોઈ વધારાની ફી અથવા ચૂકવણી સ્વીકારવામાં આવી નથી.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, મંગળવારે સમાચાર આવ્યા હતા કે તૃપ્તિ જયપુરના JLN માર્ગ પર સ્થિત એક હોટલમાં FICCI FLO દ્વારા મહિલા શક્તિ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાની હતી, પરંતુ તે પહોંચી શકી નહોતી. આ ઈવેન્ટનું આયોજન કરનાર એક મહિલા ઉદ્યોગસાહસિકે દાવો કર્યો હતો કે આ ખાસ ઈવેન્ટ માટે અભિનેત્રી સાથે 5.5 લાખ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી. હવે આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તે અભિનેત્રી સામે કેસ કરશે. તેણે એમ પણ કહ્યું કે જયપુરે તેનો અને તેની ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે તેણે આ રીતે તેમની સાથે દગો કર્યો છે. આટલું જ નહીં મહિલાઓએ અભિનેત્રીનો ચહેરો કાળો કરવાની વાત પણ કરી હતી.

વીડિયો વાયરલ થયો હતો

કાર્યક્રમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં ઘણા લોકો કાર્યક્રમમાં તૃપ્તિના પોસ્ટરની તોડફોડ કરતા અને તેના બહિષ્કારની હાકલ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મનું પોસ્ટર પણ હટાવી દેવામાં આવ્યું હતું. તૃપ્તિ તેની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ના પ્રમોશન માટે જયપુરમાં હતી, જેમાં રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

પાંચ કિલોની પાઘલડી પહેરીને ઝૂમતો પાઘડીમેન…

નવરાત્રિમાં લોકો મન મૂકીને ગરબા પર ઝૂમતા હોય છે ત્યારે લોકોનું ધ્યાન ખેચવા યુવાનો કપડા અને પાઘડી સાથે અવનવા પ્રયોગ કરતા હોય છે. કોઇ ખેલૈયા નવી થીમ પર ગરબાના સ્ટેપ ઈનોવેટ કરી લાવે તો કોઈ કપડાં પર નવી ડિઝાઈન ચીતરાવીને આવે.

આવા જ એક ખેલૈયા એટલે અમદાવાદના પાઘડીમેન. આ પાઘડીમેન છેલ્લાં કેટલાક વર્ષોથી નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યા છે. એમનું નામ છે અનુજ મુદલિયાર.

આ વર્ષે અનુજે પાંચ કિલો વજન ધરાવતી પાઘડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે. નોંધનીય છે કે અનુજ મુદલિયાર દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ પર પાઘડી તૈયાર કરતા હોય છે.

આત્મનિર્ભરથીમની પાઘડી વિશે વાત કરતાં અનુજ મુદલિયાર ચિત્રલેખા.કોમને કહે છે, ‘હું છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરુ છું. આ વર્ષે પાઘડીમાં મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા સાથે આગામી 2029ની ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ ડાયમંડ સિટી સુરતના ડાયમંડ બુર્સને પાઘડીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, આ પાઘડી પાછળ અનુજે 35000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનું કુલ વજન 5 કિલોગ્રામ છે. પાંચ કિલોની પાઘડી સાથે અનુજ પાંચ કિલો વજનનું કેડીયું પહેરીને મેદાનમાં ઉતરશે.

અગાઉ અનુજ વર્ષ 2017માં GSTની થીમ, 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી બનાવડાવીને ગરબા રમી ચૂક્યા છે. 2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણીની થીમ પર પાઘડી તૈયાર કરી હતી.

(તેજસ રાજપરા)

PM મોદીએ ઈઝરાયેલને ‘રોશ હશના’ નિમિત્તે શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને યહૂદીઓના નવા વર્ષ રોશ હશના નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ અવસર પર પીએમ મોદીએ નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાના અભિનંદન સંદેશમાં પીએમ મોદીએ યહુદી ધર્મની પ્રાચીન ભાષા હિબ્રુ અને અંગ્રેજીમાં સંદેશ લખ્યો હતો. મોદીએ લખ્યું, મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયેલના લોકોને યહૂદી નવા વર્ષ રોશ હશનાહના અવસરે મારી હાર્દિક શુભેચ્છા. હું ઇઝરાયેલના તમામ લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

યહૂદી નવું વર્ષ: રોશ હશના શું છે?

રોશ હશનાહ એ યહૂદી નવું વર્ષ છે અને યહૂદી કેલેન્ડરમાં તિશ્રી મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે. આ તહેવાર યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ, પ્રાર્થના અને વધુ સારા ભવિષ્યની શરૂઆત દર્શાવે છે. તે “સૃષ્ટિ દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાને આ દિવસે વિશ્વની રચના કરી હતી.

રોશ હશનાહ બે દિવસ માટે ઉજવવામાં આવે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓથી ભરપૂર છે. આ સમય દરમિયાન, વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને શોફર (એક પ્રકારનું શિંગડું) વગાડવામાં આવે છે, જે સ્વ-જાગૃતિ અને આધ્યાત્મિક શુદ્ધિકરણનું પ્રતીક છે. આ દિવસ યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ કરવાની, પાછલા વર્ષની ભૂલો પર ચિંતન કરવાની અને આવતા વર્ષ માટે નવા સંકલ્પો કરવાની તક છે.

દિલ્હી પોલીસે જપ્ત કર્યું રૂ. 2000 કરોડનું 500 કિલો કોકેન

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ડ્રગ્સની એક બહુ મોટી ખેપ જપ્ત કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લગભગ રૂ. 2000 કરોડનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે લગભગ 565 કિલોથી વધુ કોકેન ઝડપ્યું છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીમાં એક દરોડા પાડ્યા હતા, જેમાં જપ્ત કરવામાં આવેલા આ ડ્રગ્સની કિંમત રૂ. 2000 કરોડ આંકવામાં આવી રહી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ રાજધાનીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલિવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ-કોણ લોકો જોડાયેલા છે. પોલીસ આ પ્રશ્નોના ઉત્તર શોધી રહી છે. પોલીસના અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. પોલીસ આ માહિતી હાંસલ કરી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસની આ મોટી સફળતા માનવામાં આવે છે. આ દિલ્હીમાં કોકેનનું અત્યાર સુધી સૌથી મોટું સીઝર છે. કોકેન હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં ઉપયોગમાં લેવાનારું ડ્રગ્સ છે.

દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા રૂ. 1.14 કરોડના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કરયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી. આરોપી આંધ્ર પ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને NCRમાં સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરુ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી-NCRમાં ડ્રગ્સ સપ્લાયને રોકવાનો છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહની બુમ બુમ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બુધવારે વિશ્વનો ટોપ ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો. અનુભવી બોલરે તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં તેના પ્રદર્શનના આધારે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પણ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. આ ફાસ્ટ બોલરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 11 વિકેટ ઝડપી હતી. હવે તેમને આનો લાભ મળ્યો છે. તે એક જગ્યાએ કૂદીને ટોચ પર પહોંચ્યો. હવે તેના 870 પોઈન્ટ છે. આ સાથે જ અશ્વિન બીજા સ્થાને સરકી ગયો છે. તેના ખાતામાં 869 પોઈન્ટ છે.

 

બુમરાહ પહેલાથી જ ટોપ પર છે

આ બીજી વખત છે જ્યારે બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો છે. આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો હતો. તે ટોચનો ટેસ્ટ બોલર બનનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો હતો. તેમના પહેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ ટેસ્ટ બોલરોમાં સર્વોચ્ચ રેન્કિંગ મેળવનાર એકમાત્ર ભારતીય બોલર હતા. તેઓ ડિસેમ્બર 1979 થી ફેબ્રુઆરી 1980 વચ્ચે બીજા ક્રમે રહ્યા હતા.

જયસ્વાલ ત્રીજા સ્થાને

બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બે સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હવે તેના 792 પોઈન્ટ છે. ચાર ઇનિંગ્સમાં તેણે 47.25ની એવરેજથી 189 રન બનાવ્યા. આ દરમિયાન 22 વર્ષીય બેટ્સમેને ત્રણ અડધી સદી ફટકારી હતી. બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ ટોચ પર છે જ્યારે કેન વિલિયમસન બીજા સ્થાને યથાવત છે.

કોહલીએ લાંબી છલાંગ લગાવી

ચેન્નાઈ ટેસ્ટમાં છ અને 17 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા બાદ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગયો હતો. જો કે, કાનપુર ટેસ્ટમાં વાપસી કરીને, તેણે 47 અને 29* રનની ઇનિંગ્સ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે તે તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં છ સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. હવે તેને 724 પોઈન્ટ મળ્યા છે. તે જ સમયે પંતને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે નવમા સ્થાને પહોંચી ગયો.

નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર નહીં રમાય ગરબા

નવરાત્રિને લઈ જાહેર જનતા સહિત તંત્ર પણ સજ્જ છે. તહેવારના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ કમિશનરનું જાહેરનામુ સામે આવ્યું છે. જેમાં રાત્રિના સમયે 12 પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તેમજ તારીખ 3થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મોડી રાત સુધી સાઉન્ડ સિસ્ટમ ઉપર ગરબા રમવાની ખેલૈયાઓની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યુ છે. જેમાં 12 વાગ્યા બાદ ક્યાંય પણ માઇક કે સાઉન્ડ સિસ્ટમ ચાલુ હશે તો પગલાં લેવામાં આવશે.

ગઇકાલે અમદાવાદમાં DCPએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. આથી શહેરમાં નવરાત્રિ સારી રીતે થઈ શકે તે માટે અમદાવાદ પોલીસના અધિકારીઓ બંદોબસ્તમાં રહેવાના છે. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન અનેં સ્થાનિક પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સાથે ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈ નું પાલન કરાશે. આ સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. DCP ના નિવેદન પ્રમાણે કોમર્શિયલ ધોરણે cctv રાખવા, લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વહિકલનીં વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે સાથે વ્યવસન કરી કોઈ ન આવે તેની તકેદારી રાખવા માટે પણ આયોજકોને સૂચનાઓ અપાઈ છે.

બ્રાઝિલમાં 13 વર્ષથી ફૂટબોલ રમે છે ‘મહાત્મા ગાંધી’

ભારતમાં મહાત્મા ગાંધી અંગ્રેજો સામે આઝાદીની લડાઈ માટે જાણીતા છે. તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમણે દેશ માટે બલિદાન આપ્યાને 76 વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે 2જી ઓક્ટોબરે તેમની જન્મજયંતિના દિવસે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ‘મહાત્મા ગાંધી’ છેલ્લા 13 વર્ષથી બ્રાઝિલમાં ફૂટબોલ રમી રહ્યા છે. નવાઈ પામશો નહીં, કારણ કે આ ભારતના ‘બાપુ’ નથી, પરંતુ આ જ નામનો બ્રાઝિલનો ખેલાડી છે. આ 32 વર્ષીય ખેલાડીનું પૂરું નામ મહાત્મા ગાંધી હેબરપિયો માટોસ પીરેસ છે, જેને ત્યાં ‘મહાત્મા ગાંધી’ અથવા મહાત્મા તરીકે ઓળખવામાં આવે છે.

ફૂટબોલર મહાત્મા ગાંધી કોણ છે?

હેબરપિયો માટોસનો જન્મ 1992માં થયો હતો. લીગ સિરીઝ Aમાં રમનાર હેબરપિયોની ઊંચાઈ 5 ફૂટ 10 ઈંચ છે. 32 વર્ષીય હેબરપિયો ડિફેન્સિવ મિડફિલ્ડર છે અને તેણે 2011માં પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. તેની પ્રથમ સિઝનમાં, તેને મોટાભાગે બેન્ચની બહાર બેસવું પડતું હતું. 2012થી તેને ધીરે ધીરે તક મળવા લાગી. તે હાલમાં આ લીગમાં ગોયાનિયા સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમે છે.

લીગમાં ઘણા વિચિત્ર નામો

મહાત્મા ગાંધી હેબરપિયો માટોસ પાયર્સ એકમાત્ર એવા ખેલાડી નથી જેનું નામ આશ્ચર્યજનક છે. બ્રાઝિલની ક્લબમાં આવા ઘણા નામ છે, જેને જાણીને તમે ચોંકી જશો. લીગ સેરી Aમાં રમી રહેલા એક ખેલાડીનું નામ છે યોગો પિકાચુ, જે કાર્ટૂન શો પર આધારિત છે. એક ફૂટબોલર પણ આ લીગમાં ‘મોસ્કિટો’ એટલે કે મચ્છર નામથી રમે છે. અન્ય ફૂટબોલર, જ્હોન લેનન, સિલ્વ સાન્તોસનું નામ ગાયક ‘જ્હોન લેનન’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સિવાય હોલિવૂડ એક્ટર માર્લોન બ્રાન્ડોના નામના ખેલાડીઓ પણ છે.

મહાત્મા ગાંધીએ 3 ફૂટબોલ ટીમ બનાવી હતી

વાસ્તવમાં મહાત્મા ગાંધીને રમતગમત સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 1893 અને 1915 ની વચ્ચે દક્ષિણ આફ્રિકામાં તેમના રોકાણ દરમિયાન, તેમણે પેસિવ રજિસ્ટર ક્લબ માટે ત્રણ ટીમો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ તમામ ક્લબ જોહાનિસબર્ગ, પ્રિટોરિયા અને ડરબનમાં હાજર હતી. આ સિવાય મહાત્મા ગાંધીએ 1896માં ટ્રાન્સવાલ ઈન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાણો, કઇ રીતે બનાવવામાં આવે છે ગરબા?

અમદાવાદ: નવરાત્રિનો તહેવાર શરૂ થઇ રહ્યો છે ત્યારે આ નવ દિવસ દરમ્યાન મા દુર્ગાના નવ સ્વરૂપોની ઘટ સ્થાપન કરી પૂજા કરવામાં આવે છે. ઘટ સ્થાપન માટે બજારમાં અલગ અલગ ડીઝાઇનના ગરબા જોવા મળે છે. અત્યારે બજારમાં પ્રિન્ટેડ ગરબાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન થાય છે. છિદ્રો વાળી નાની માટલી, જેને ઘટ અથવા ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુને પાંદડાથી શણગારી એની અંદર મા અંબાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ ગરબાને શણગારવા માટે પણ ખૂબ મહેનત લાગતી હોય છે.

આ પરંપરાગત ગરબા કેવી રીતે તૈયાર થાય છે તે વિશે ચિત્રલેખા.કોમ સાથે વાતચીત કરતા અમદાવાદના વાસણા ગામના શારદાબેન ગણેશભાઈ પ્રજાપતિ કહે છે, ‘અમે આમ તો ઘડીયાવાળાનું કામ કરતા આવ્યા છીએ અને હાલ પણ કરીએ છીએ. આ કામ અમને પેઢી દર પેઢી વારસામાં મળ્યું છે.’ ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ સમાજનો વારસાગત વ્યવસાય માટીના વાસણો ઘડવાનો છે અને ગરબો એ પણ એક પ્રકારે માટીનું વાસણ છે.

બજારમાં હાલ મળતા આ ગરબાની કિંમત સામાન્ય રીતે તેની ડિઝાઇન પર આધાર રાખે છે. હાલ ગરબામાં લાલ-લીલા કલરની ડિઝાઇન સાથે સાથીયા અને ફુલની પ્રિન્ટ વધારે ચાલે છે.

શારદાબહેન કહે છે, અમે નવરાત્રિ માટે ગરબા બનાવવાના એક મહિના પહેલાથી શરૂ કરીએ છીએ. સૌથી પહેલા ગરબા માટલી સ્વરૂપે અમારી પાસે આવતા હોય છે. જેના પર અમે ખડી કામ કરી કાણા પાડવાનું કામ કરીએ છીએ. એ પછી તેના પર કલર કામ અને પ્રિન્ટનું કામ કરવામાં આવે છે.”

એક માણસ એક દિવસમાં લગભગ 50 પ્રિન્ટેડ ગરબા બનાવી શકે છે. જ્યારે કાચથી સુશોભિત ગરબો બનતા એક દિવસનો સમય લાગે છે.

નવરાત્રિના બે-પાંચ દિવસ અગાઉથી જ ગરબાનું વેચાણ શરૂ થઇ જતું હોય છે. એ વાત પણ નોંધવા જેવી છે કે ગરબો ઘડવામાં આ કામમાં જેટલી મહેનત પડતી હોય છે એના પ્રમાણમાં મજૂરી ખૂબ ઓછી મળતી હોય છે. એક કારીગર ગરબાના વેચાણમાંથી માંડ 5-10 રૂપિયા કમાઇ શકે છે.

ગાંધીજીની પ્રપૌત્રી છે આર્ટિસ્ટ, હોલીવૂડમાં કરે છે કામ

મુંબઈ: મહાત્મા ગાંધીના વિચારોને વિશ્વ સ્તર પર લોકો અનુસરે છે. આજે ગાંધી જયંતિ છે, આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશ માટે તેમના યોગદાનને યાદ કરવાની સાથે લોકો તેમના જીવન અને પરિવાર વિશે પણ જાણવા માંગતા હોય છે. તેમના ખબર છે બાપુની પેઢીના એક સભ્યનું સીધું હોલીવૂડ સાથે જોડાણ છે. જોકે,તે મહાત્મા ગાંધીની જેમ સાદું જીવન જીવતી નથી પણ ગ્લેમરસ જીવન જીવે છે. તે તેના પરિવારની પાંચમી પેઢીમાંથી આવે છે.

અમેરિકામાં રહેતી બાપુની પૌત્રી કોણ છે?

મહાત્મા ગાંધીની એક પ્રપૌત્રી અમેરિકામાં રહે છે. કાંતિલાલ મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલના પુત્ર હતા અને તેમની પૌત્રી એટલે મેધા ગાંધી, જેની આપણે વાત કરી રહ્યાં છીએ, જેઓ અમેરિકામાં રહે છે. કાન્તિલાલનો પરિવાર ઘણા વર્ષો પહેલા અમેરિકા ગયો હતો. કાંતિલાલ મહાત્મા ગાંધીના પૌત્ર છે જેમણે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રામાં પણ ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે તે સમયે 20 વર્ષના કાંતિલાલ દાદા મહાત્મા ગાંધીની આગળ આગળ થેલો લઈને ચાલતા હતા.

કાંતિલાલ વિશે આટલી જ વાત હવે વાત કરીએ તેમની પૌત્રી મેધા ગાંધીની, જે હોલીવુડમાં કલાકાર છે. મેધા હ્યુમર રાઇટર એટલે કે કોમેડી રાઇટર છે. તે ઘણા શો માટે સ્ક્રિપ્ટ લખે છે. આ સાથે મેધા ગાંધી પણ એક અદભૂત ગાયિકા છે. આટલું જ નહીં તે પ્રોડ્યુસર પણ છે. મેધા અમેરિકાના પ્રખ્યાત શો ‘ડેવ એન્ડ શો’ની નિર્માતા પણ હતી. આ સિવાય તેણે ‘મેટી ઇન ધ મોર્નિંગ શો’નું નિર્માણ પણ કર્યું છે.

મેધા ગાંધી ખૂબ જ સ્માર્ટ છે. તેણીના સોશિયલ મીડિયા બાયો અનુસાર, તે ‘એલ્વિશ દુરાન એન્ડ ધ મોર્નિંગ શો’ની હોસ્ટ પણ છે. સોશિયલ મીડિયા પર તેની પ્રોફાઈલ ખૂબ જ મજબૂત છે. તે તેના જીવનની દરેક નાની-મોટી અપડેટ શેર કરતી રહે છે. મેધાના સોશિયલ મીડિયા પર લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે. મેધા ગાંધી ગ્લેમરસ અને સ્ટાઇલિશ જીવન જીવે છે. ગાંધીથી તદ્દન વિપરીત, તેમની ડ્રેસિંગ શૈલી પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. મેધા ગાંધીના અંગત જીવનની વાત કરીએ તો તે બ્રાન્ડેન જોન્સ નામના વિદેશી સાથે રિલેશનમાંછે. મેધા પોતાની લવ લાઈફ વિશે પણ વાત કરતા શરમાતી નથી. સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથે ઘણી તસવીરો છે અને બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

આ સ્થળેથી વિશ્વમાં ફેલાયો સત્ય-અહિંસાનો સંદેશ…

અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીથી પાલડી તરફ જતો માર્ગ આશ્રમ રોડ તરીકે ઓળખાય છે. આ આશ્રમ એટલે સાબરમતી આશ્રમ.

અંગ્રેજો સામેની મહાત્મા ગાંધીએ લડત આપી એનું કેન્દ્ર એટલે આ આશ્રમ. જે સત્ય અને અહિંસાનો વિચાર જ્યાંથી વિશ્વભરમાં ફેલાયો એ સ્થળ એટલે આ આશ્રમ. એની સ્થાપના ઇ.સ. ૧૯૧૫માં થયેલી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. દરરોજ સાંજે બાપુ સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ જે દાંડીકૂચ કરી એની શરૂઆત પણ આ આશ્રમથી જ થયેલી. આ એ જ સ્થળ છે, જ્યાંથી પૂજ્ય બાપુએ સ્વરાજ માટેની પ્રતિજ્ઞા કરતાં કહ્યું હતું કે, કાગડા-કૂતરાના મોતે મરીશે, પણ સ્વરાજ મેળવ્યા વિના પાછો નહીં ફરું…

એ વાત જૂદી છે કે, સ્વરાજ મળ્યા પછી પણ ગાંધીજી આ આશ્રમમાં ક્યારેય પાછા ફરી શક્યા નથી!

દેશ-વિદેશના વડાઓ, મહાનુભાવો અમદાવાદ-ગુજરાતની મુલાકાતે આવે એટલે આ આશ્રમની મુલાકાતે અવશ્ય આવે. આજે પણ ગાંધીજીનું જે નિવાસસ્થાન હતં એ કુટીરને યથાવત રાખવામાં આવી છે. દેશ-વિદેશના વડાઓ અહીં મુલાકાતે આવે ત્યારે બાપુને પ્રિય રેંટીયો કાંતે છે.

આશ્રમ પરિસરમાં ગાંધીજી જેનો ઉપયોગ કરતા એવી અનેક ચીજોને દર્શાવતું વિશિષ્ટ સંગ્રહાલય છે, જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી આઠ ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીર સામેલ છે. ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. 1915 થી 1930 સુધીનું અમદાવાદનું  જીવન દર્શાવાયું છે. પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય સામગ્રી રાખવામાં આવી છે.

ઉપરાંત હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવનકાર્ય અને લખાણો સહિત ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને એને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય પણ છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ગાંધી વિચારથી પ્રેરાયેલા હજારો લોકો, પ્રવાસીઓ સાબરમતી આશ્રમની મુલાકાત લે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)