Home Blog Page 11

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: બોર્ડ પરીક્ષાઓની તારીખો જાહેર

રાજ્યભરમાં લાંબા અને 35 દિવસના ઉનાળુ વેકેશનના વિરામ બાદ આજથી નવા શૈક્ષણિક સત્ર 2026-27 નો સત્તાવાર અને ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના દરવાજા આજથી વિદ્યાર્થીઓ માટે ખૂલી ગયા છે અને સ્કૂલ પરિસરો ફરી એકવાર માસૂમ બાળકોના કલરવ અને ઉત્સાહથી જીવંત બન્યા છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નવા ગણવેશ, નવા પુસ્તકો, નવી સ્કૂલ બેગ અને ઉજ્જવળ ભવિષ્યના નવા સંકલ્પો સાથે શાળાએ પહોંચતા એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ નવા સત્રને લઈને શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાઓનું સુવ્યવસ્થિત આયોજન જાહેર કરી દેવામાં આવ્યું છે.

શૈક્ષણિક કાર્ય, રજાઓ અને પ્રથમ સત્રનું ટાઈમટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા શિક્ષણ વિભાગના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આ વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રજાઓ અને કાર્યદિવસોનું માળખું નીચે મુજબ રહેશે:

કુલ કાર્યદિવસો: નવા શૈક્ષણિક વર્ષના બંને સેમેસ્ટર (સત્ર) ના થઈને કુલ ૨૪૪ દિવસો નિર્ધારિત કરાયા છે, જેમાંથી સ્થાનિક રજાઓની બાદબાકી કરતાં કુલ ૨૪૦ દિવસો સુધી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ચાલશે.

પ્રથમ સત્રનો સમયગાળો: આજથી શરૂ થયેલું પ્રથમ સત્ર આગામી ૪ નવેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. આ પ્રથમ સત્ર દરમિયાન કુલ ૧૨૦ દિવસનું શૈક્ષણિક કાર્ય આયોજિત કરવામાં આવ્યું છે.

વર્ષ દરમિયાન રજાઓ: આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તહેવારો અને વેકેશન મળીને કુલ ૮૦ દિવસોની રજાઓ મળવાપાત્ર રહેશે.

સંપૂર્ણ અભ્યાસક્રમ અને બોર્ડ પરીક્ષાની મહત્વની તારીખો

કોરોના કાળ કે અન્ય વિષમ પરિસ્થિતિઓની અસરોમાંથી મુક્ત થઈને હવે શિક્ષણ વિભાગ પૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે.

100% સિલેબસ: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે કોઈપણ કાપ વિના સંપૂર્ણ (100 ટકા) અભ્યાસક્રમ અમલમાં રહેશે અને તે મુજબ જ પરીક્ષાઓ લેવાશે.

બોર્ડ પરીક્ષા 2027: બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, આગામી વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 25 ફેબ્રુઆરી 2027 થી શરૂ થઈ જશે.

શાળાકીય વાર્ષિક પરીક્ષા: ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના તમામ પ્રવાહના (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ ૫ એપ્રિલથી ૨૦ એપ્રિલ ૨૦૨૭ દરમિયાન શાળા સ્તરે આયોજિત કરવામાં આવશે.

મોંઘવારીનો ડબલ માર: પુસ્તકોના ભાવ સ્થિર, પણ વાહન ભાડામાં ભડકો

નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વાલીઓ માટે મિશ્ર સમાચાર આવ્યા છે. વૈશ્વિક સ્તરે કાગળના ભાવમાં જંગી વધારો થયો હોવા છતાં, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વાલીઓના હિતમાં એક પ્રશંસનીય નિર્ણય લેવાયો છે અને આ વર્ષે પુસ્તકોના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી, જે મોટી આર્થિક રાહત છે.

પરંતુ, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ના ભાવમાં થયેલા વધારાને આગળ ધરીને સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશનો દ્વારા વાલીઓ પર મોંઘવારીનો બોજ ઝીંકવામાં આવ્યો છે. સ્કૂલ વાહન ચાલકોએ માસિક ભાડામાં ૧૦% (આશરે ₹૧૫૦ થી ₹૨૦૦) સુધીનો તોતિંગ વધારો અમલી બનાવી દીધો છે, જેના કારણે વાલીઓનું બજેટ ખોરવાયું છે.

18 જૂનથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’

નવા સત્રના પ્રારંભની સાથે જ સરકારી શાળાઓમાં બાળકોના નામાંકન અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર સજ્જ બની છે. આગામી ૧૮ જૂનથી રાજ્યભરમાં પ્રશાસન અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાશે.

TMC સાંસદ સુખેન્દુ રોયનું રાજ્યસભામાંથી રાજીનામું

નવી દિલ્હીઃ TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયએ સોમવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના સભાપતિને મોકલી આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોની તૂટફૂટ બાદ TMCને હવે સાંસદોના મામલે પણ પહેલો મોટો આંચકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદથી TMC સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પાર્ટીના 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું છે અને ઋતબ્રત બેનરજીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યો છે.

રોયનું રાજીનામું TMC માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીના અત્યંત નજીકના સહયોગી ગણાય છે. તેમણે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે મમતા બેનર્જી દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી રહ્યાં છે. તેમની સાથે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજી પણ હાજર છે.

અભિષેક બેનર્જીના વધતા પ્રભાવ સામે અસંતોષ

બીજી તરફ, બળવાખોર 58 ધારાસભ્યોનું કહેવું છે કે તેમની લડાઈ મમતા બેનર્જી વિરુદ્ધ નથી. તેમનું કહેવું છે કે તેઓ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના પાર્ટીમાં વધતા હસ્તક્ષેપ અને પ્રભાવનો વિરોધ કરી રહ્યા છે. બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે મમતા બેનર્જી તેમનાં સર્વોચ્ચ નેતા છે અને આગળ પણ રહેશે.

સંગઠનમાં ફેરફાર કર્યા હતા

ધારાસભ્યોના બળવા વચ્ચે મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલાં સંગઠનમાં મોટા પાયે ફેરફારો કર્યા હતા. તેમણે પાર્ટીમાં પોતાના વિશ્વાસુ અને અનુભવી નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી હતી. મમતાએ અભિષેક બેનર્જીને રાષ્ટ્રીય મહાસચિવના પદ પર યથાવત્ રાખ્યા હતા, પરંતુ તેમની સાથે બે સંયુક્ત રાષ્ટ્રીય સચિવોની નિમણૂક કરી હતી. આ પગલાં દ્વારા તેમણે બળવાખોર નેતાઓને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે પાર્ટીના નિર્ણયો માત્ર અભિષેક બેનર્જી નહીં, પરંતુ સામૂહિક રીતે લેવામાં આવશે.

હવે મોટો સવાલ

હવે રાજકીય વર્તુળોમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આગામી દિવસોમાં TMCના અન્ય સાંસદો પણ બળવાખોર વલણ અપનાવી શકે છે? અને જો એવું થાય તો મમતા બેનરજી આ મુશ્કેલ રાજકીય પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે? પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ ઘટનાક્રમ આગામી દિવસોમાં વધુ રસપ્રદ બની શકે છે.

TMCના ‘પુષ્પા’ની બંગાળ STFએ નેપાળ બોર્ડરથી કરી ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. જહાંગીર ખાનને TMCના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નજીકના સાથી તરીકે માનવામાં આવે છે. જહાંગીર ખાન ફાલ્ટા વિધાનસભા બેઠક પરથી TMCના ઉમેદવાર હતા. જોકે ચૂંટણી દરમિયાન થયેલી ગરબડીઓ બાદ ત્યાં ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું. પુનઃમતદાન દરમિયાન જહાંગીર ખાને ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી હતી. ચૂંટણી દરમિયાન જહાંગીર ખાન અને ઉત્તર પ્રદેશના જાણીતા IPS અધિકારી અજય પાલ શર્મા વચ્ચેનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

જહાંગીર ખાને અજય પાલ શર્માને પડકાર આપતાં કહ્યું હતું કે જો તમે સિંઘમ છો તો હું પુષ્પા છું, હું ઝૂકવાનો નથી.

જહાંગીર ખાન સામે અનેક આરોપો

બંગાળ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી જહાંગીર ખાન ફરાર હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આખરે આજે STFએ તેની ધરપકડ કરી હતી.  ચૂંટણી પહેલાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન જહાંગીર ખાન સામે અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. તેના પર બૂથ લેવલ ઓફિસરો (BLO)ને પ્રભાવિત કરવાનો અને મૃત વ્યક્તિઓનાં નામ મતદાર યાદીમાં ઉમેરાવવાનો આરોપ હતો.

લોકોને ધમકાવવાના પણ આરોપ

ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે પણ જહાંગીર ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ચૂંટણી પહેલાં તેના પર વિસ્તારમાં લોકોને ધમકાવવાના આરોપો પણ લાગ્યા હતા. આ આરોપોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ IPS અધિકારી અજય પાલ શર્માને વિશેષ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.

ચૂંટણી દરમિયાન ‘પુષ્પા’ જેવી છબી બનાવી

જહાંગીર ખાનને TMC સુપ્રીમો મમતા બેનરજીના ભત્રીજા અને પક્ષના પ્રભાવશાળી નેતા અભિષેક બેનર્જીના નજીકના નેતા તરીકે જોવામાં આવે છે. બંગાળના ચર્ચિત “ડાયમંડ હાર્બર મોડલ” વચ્ચે ફાલ્ટા વિસ્તારમાં જહાંગીર ખાન ખાસ ચર્ચામાં રહ્યો હતો.

“અજય પાલ શર્મા સિંઘમ તો હું પુષ્પા”

સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન જહાંગીર ખાને ફિલ્મ ‘પુષ્પા’ના દબંગ અંદાજને અપનાવ્યો હતો અને ફિલ્મનો પ્રસિદ્ધ સંવાદ “પુષ્પા ઝૂકેગા નહીં” વારંવાર બોલ્યો હતો.

માટીને જીવંત રાખવી એ એક પેઢીગત જવાબદારી છે

સદ્‍ગુરુ: સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે સમૃદ્ધિનો અર્થ તેલ, સોનું અથવા હીરા પાછળ દોટ મૂકવી. પરંતુ જો તમે ઇચ્છતા હોવ કે આવનારી પેઢી સમૃદ્ધ જીવન જીવે, શેરબજાર અથવા તેમના બેંક બેલેન્સના સંદર્ભમાં નહીં, પરંતુ તેમની અંદર ધબકતા જીવનની દૃષ્ટિએ તો જે ખરેખર મહત્વનું છે તે છે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક. આ બધું શક્ય બનવા માટે જમીનમાં શક્તિ હોવી જરૂરી છે.

માટી અને માનવ સુખાકારી માટે આપણી ચિંતા બે અલગ બાબતો નથી. આ બંને એક જ બાબત છે. જમીનનું ઉપરનું પડ, જે વિશ્વભરમાં સરેરાશ 39 ઇંચ જેટલું છે, તે આપણા સહિત આ ગ્રહ પરની 87 ટકા જીવસૃષ્ટિનો આધાર છે. છોડ, પક્ષીઓ, પ્રાણીઓ, જંતુઓ અને અળસિયાં — સૌ જમીનના ઉપરના પડની સમૃદ્ધિ પર નિર્ભર છે.

અત્યારે તમે જે છો તે જમીનમાં થતી જીવંત ગતિવિધિઓનું પરિણામ છે. મુઠ્ઠીભર માટીમાં પાંચથી સાત અબજ જેટલા સૂક્ષ્મજીવો હોય છે. આ સૂક્ષ્મ જીવન થકી જ આ ગ્રહ પર અન્ય તમામ જીવન વિકસિત થયું છે. તેઓ જીવનના પ્રથમ સ્વરૂપો છે અને તેમના કારણે જ આજે આપણે જીવિત છીએ.

અત્યારે પણ માટીમાં જે થઈ રહ્યું છે અને માનવ શરીરની જૈવિક પ્રણાલીમાં જે થઈ રહ્યું છે, તેમાં ઘણું સામ્ય છે. જો તમે કોષીય સ્તરે જોશો તો તમારા શરીરના લગભગ 60 ટકા ભાગમાં સૂક્ષ્મજીવોની હાજરી છે, જ્યારે માત્ર 40 ટકા ભાગ તમારા પૂર્વજો પાસેથી આનુવંશિક રીતે મળેલા કોષોનો છે. તેથી માનવજીવન અને માટી એકબીજાથી સહેજ પણ અલગ નથી. માટીની સમૃદ્ધિ અને માનવજીવનની સમૃદ્ધિ સીધી રીતે એકબીજા સાથે જોડાયેલી છે.

જીવનનું મૃત્યુ: પરંતુ છેલ્લા 50 વર્ષોમાં જમીનની અધોગતિનું સ્તર ભયજનક રીતે વધ્યું છે. ઉદાહરણ તરીકે, જીવજંતુઓની સંખ્યામાં લગભગ 80 ટકાનો ઘટાડો થયો છે. આ ખરેખર જીવનનું મૃત્યુ છે.

ઘણા શહેરી લોકો વિચારે છે, “જો જંતુઓ મરી જાય તો આપણને શું વાંધો? આમ પણ અમને જંતુઓ ગમતા નથી!” પરંતુ હકીકત એ છે કે જો આવતીકાલે બધા જ જંતુઓ નષ્ટ થઈ જાય, તો અંદાજે અઢીથી સાડા ચાર વર્ષમાં આ ગ્રહ પરનું મોટાભાગનું જીવન સમાપ્ત થઈ જશે.

જો બધા અળસિયાં મરી જાય તો માનવજાત પાસે લગભગ 18થી 30 મહિનાનો જ સમય બાકી રહેશે. અને જો બધા સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય તો જીવનની સમગ્ર વ્યવસ્થા તૂટી પડશે. વૃક્ષો ટકી શકશે નહીં, પાક ઊગશે નહીં અને જીવનચક્ર જ થંભી જશે. પરંતુ દુઃખની વાત એ છે કે દર વર્ષે સરેરાશ 27,000 જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર (United Nations) સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ પૂરતા વૈજ્ઞાનિક પુરાવા સાથે ચેતવણી આપી રહી છે કે પૃથ્વી પર માત્ર આગામી 80થી 100 પાક માટે જ ખેતીલાયક જમીન બચી છે. એટલે કે, આગામી 45થી 60 વર્ષમાં જમીનની ફળદ્રુપતા ગંભીર રીતે ખતમ થઈ શકે છે. જો આવું થશે તો વિશ્વભરમાં ખોરાકની ગંભીર કટોકટી ઊભી થશે.

પ્રથમ પગલું: જો આપણે માટીને ફરી જીવંત બનાવવી હોય તો સૌપ્રથમ એ સમજવું પડશે કે માટી કોઈ નિર્જીવ પદાર્થ નથી, પરંતુ એક જીવંત વ્યવસ્થા છે. દુર્ભાગ્યે, ઘણા કૃષિ વૈજ્ઞાનિકો, વિશ્વવિદ્યાલયો અને કૃષિ વિભાગો આજે પણ માટીને માત્ર એક પદાર્થ તરીકે જ જુએ છે. તેમનો અભિગમ એવો છે કે માટીને થોડું વધુ નાઇટ્રોજન, થોડું વધુ પોટાશિયમ કે થોડું વધુ ફોસ્ફરસ આપવાથી સમસ્યા ઉકેલાઈ જશે.

હકીકતમાં માટીને માત્ર રસાયણોની જરૂર નથી. માટીને જીવંત સજીવોની જરૂર છે. જો આપણે જૈવવૈવિધ્યને ફરી સમૃદ્ધ બનાવવું હોય તો સૌથી અગત્યની બાબત છે — સમૃદ્ધ માટી. સમૃદ્ધ માટીનો અર્થ છે જમીનમાં સતત કાર્બનિક પદાર્થોનો ઉમેરો થતો રહે. મૂળભૂત રીતે માત્ર બે જ રસ્તા છે જેના દ્વારા માટીમાં કાર્બનિક પદાર્થો પાછા ઉમેરી શકાય:

  • વનસ્પતિનો લીલો કચરો
  • પ્રાણીઓનું મળમૂત્ર

આ બંનેનું સંતુલિત પ્રમાણ જ માટીને જીવંત રાખે છે. સમય આવી ગયો છે કે આપણે માટી વિશે ગંભીરતાથી વાત કરીએ અને સુધારાત્મક પગલાં લઈએ. જો આપણે અત્યારે જ શરૂઆત કરીશું તો આગામી 15થી 25 વર્ષમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે. પરંતુ જો આપણે વધુ 25થી 50 વર્ષ રાહ જોઈશું તો સ્થિતિ સુધારવામાં 200 વર્ષ જેટલો સમય લાગી શકે છે અને એ સમયગાળો માનવજાત માટે વિનાશક સાબિત થઈ શકે છે.

માટી બચાવવા માટે વૈશ્વિક ચળવળ: આ જ કારણસર 2022માં Conscious Planet – Save Soil અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિશ્વભરની સરકારો અને નીતિનિર્માતાઓને લાંબા ગાળાની માટી પુનરુત્થાન નીતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.

લોકશાહી વ્યવસ્થામાં સંખ્યા જ સૌથી મોટી શક્તિ છે. જો મોટી સંખ્યામાં નાગરિકો એક મુદ્દા પર અવાજ ઉઠાવે તો કોઈપણ સરકાર તેને અવગણી શકતી નથી. હું ઈચ્છું છું કે તમે સૌ આ અભિયાનમાં જોડાઓ. તેને તમારું પોતાનું અભિયાન માનો અને લોકોને જાગૃત કરો કે જેના પર આપણે ઊભા છીએ અને ચાલીએ છીએ, તે માટી જ આપણા જીવનનો આધાર છે.

હકીકતમાં, જમીનના ઉપરના માત્ર 12થી 15 ઇંચના પડમાં થતી જીવંત પ્રક્રિયાઓ જ આપણા અસ્તિત્વનું મૂળ છે. આપણે આ સૂક્ષ્મજીવનનું પરિણામ છીએ, તેઓ આપણા જીવનનું પરિણામ નથી. જમીનની સંભાળ રાખવી, રણીકરણ અટકાવવું અને જમીનની ફળદ્રુપતા જાળવવી એ આપણી પેઢીની સૌથી મોટી જવાબદારી છે. જો આપણે જમીનની સમૃદ્ધિની ખાતરી નહીં કરીએ તો એક અર્થમાં આપણે જીવનનો જ ત્યાગ કરી રહ્યા છીએ.

ચાલો, માટીને બચાવીએ. કારણ કે માટી બચશે તો જ જીવન બચશે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

ઇન્ડિયા બેઠકથી દૂર રહેશે DMK અને AAP, CPM નારાજ

નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુસિવ એલાયન્સ’ (INDIA)ના ઘટક પક્ષો ભાજપ સામે અસરકારક રીતે લડવા અને એકજૂટ થઈ આગળ વધવાની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે સોમવારે દિલ્હીમાં એકઠા થશે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના તેજસ્વી યાદવ અને શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે સહિત 23 વિપક્ષી પક્ષોના ટોચના નેતાઓ ભાગ લેશે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે 23 રાજકીય પક્ષોએ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે કેટલાક પક્ષોએ પોતાનાં કારણોસર આ ખાસ બેઠકમાં હાજર રહી શકશે નહીં એવી જાણ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) પહેલેથી જ જાહેરમાં આ ગઠબંધનથી અંતર બનાવી ચૂકી છે, જ્યારે DMKએ તામિલનાડુમાં કોંગ્રેસ દ્વારા તેની સાથેના સંબંધો તોડી TVK ગઠબંધન સરકારમાં જોડાયા બાદ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં INDIA ગઠબંધન ભવિષ્યની વ્યૂહરચના પર ચર્ચા કરશે અને રાજ્યોમાં આવનારી ચૂંટણી તેમ જ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર મોદી સરકારનો સામનો કરવા માટે એકજૂટ થવાનો પ્રયાસ કરશે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને તાજેતરમાં થયેલી હારને કારણે પણ વિપક્ષી ગઠબંધન પર ભાજપના વધતા પ્રભાવ સામે એકતા દર્શાવવાનું દબાણ વધ્યું છે. TMC પોતાના નેતાઓ પર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલાનો મુદ્દો બેઠકમાં ઉઠાવી શકે છે અને આ મુદ્દે INDIA ગઠબંધનના અન્ય પક્ષોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી શકે છે.

CPM કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગશે

તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી ગઠબંધનની અંદરના મતભેદોને પણ ઉજાગર કર્યા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપનો મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે કે કેરળની ચૂંટણીમાં વામપંથી પક્ષો અને ભાજપ વચ્ચે રાજકીય સમજૂતી હતી. કેરળમાં વામ મોરચાએ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને હરાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં CPMનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યસભા સભ્ય જોન બ્રિટાસ આ મુદ્દો ઉઠાવી કોંગ્રેસના નેતૃત્વ પાસેથી સ્પષ્ટતા માગી શકે છે. આ પહેલાં INDIA ગઠબંધનની છેલ્લી બેઠક જૂન, 2024માં યોજવામાં આવી હતી.

રાશિ ભવિષ્ય 08/06/2026 થી 14/06/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય,  વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.


ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.


આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.


સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.


અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.


આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.


કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.


નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.

પંચાંગ 08/06/2026

સુવિચાર – ૦૮ જૂન ૨૦૨૬

૦૮ જૂન ૨૦૨૬

ભારત સહિત 4 દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા

રવિવારે ભારત સહિત એશિયા ખંડના કેટલાક પ્રમુખ દેશોમાં ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. સેન્ટ્રલ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ પાડોશી દેશ ભૂટાન હતું. જો કે, તેનું અંતર ભારતની સરહદથી નજીક હોવાના કારણે ભારતના પૂર્વોત્તર રાજ્યો, ખાસ કરીને આસામમાં તેની પ્રચંડ અસર જોવા મળી હતી.

ભારત સહિત આ દેશોમાં અનુભવાયા આંચકા

ભૂટાનમાં કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને ભારત ઉપરાંત 3 અન્ય દેશો સુધી પહોંચ્યા હતા:

ભારતમાં અસર: પૂર્વોત્તર રાજ્ય આસામ આ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક હિસ્સાઓમાં પણ ધરતી ધ્રૂજી હોવાના અહેવાલો મળ્યા છે.

પાડોશી દેશો: નેપાળ, ચીન અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં પણ આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા, જેના કારણે અનેક ઇમારતો હલી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એટલે કે 20 મે 2026 ના રોજ જાપાનના દક્ષિણ ભાગમાં આવેલા કાગોશિમા ક્ષેત્રમાં પણ 5.9 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ અનેક બહુમાળી ઇમારતો ધ્રૂજી ઉઠતા સ્થાનિક નાગરિકોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.