Home Blog Page 10

ઇઝરાયેલે UNના મહાસચિવને દેશમાં પ્રવેશવા પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વિદેશપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર (UN) પર ઇઝરાયેલની વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમને દેશમાં ઘૂસવા નહીં દેવામાં આવે. તેમણે કહ્યું હતું કે UN ચીફને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે. તેમણે તેમના પર દેશ પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે તેઓ એન્ટોનિયો ગુટેરેસને “પર્સોના નોન ગ્રેટા (અવાંછિત વ્યક્તિ) તરીકે જાહેર કરી રહ્યા છે અને કહ્યું હતું કે તેમને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવવામાં આવશે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ઇઝરાયેલ પર ઇરાનના જઘન્ય હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી શકે નહીં, જેમ કે વિશ્વના લગભગ દરેક દેશે કર્યું છે, તે ઇઝરાઇલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી.

આ એક એવા સેક્રેટરી-જનરલ છે જેમણે હજી સુધી સાત ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારોની નિંદા કરી નથી. ના તો તેમણે તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયત્નોની આગેવાની લીધી છે. હમાસ, હિઝબુલ્લા, હુતીઓ અને હવે ઇરાન – વૈશ્વિક આતંકના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને ટેકો આપનારા સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસ પર એક કાળા ધબ્બા તરીકે યાદ કરવામાં આવશે.

એન્ટોનિયો ગુટેરેસની સાથે કે તેમના વગર ઇઝરાયેલ પોતાના નાગરિકોનું રક્ષણ કરવાનું અને પોતાના રાષ્ટ્રીય ગૌરવને જાળવી રાખશે, એમ તેમણે કહ્યું હતું.

 

પ્રશાંત કિશોરે લોન્ચ કરી જન સુરાજ પાર્ટી

પટનાઃ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે આજે સત્તાવાર રીતે રાજકય પાર્ટી લોન્ચ કરી છે. તેમની પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી છે. આ પહેલાં તેઓ બે વર્ષ સુધી જન સુરાજ યાત્રા દ્વારા બિહારના ગામોમાં, શહેરોમાં પદયાત્રા કરી ચૂક્યા છે.

રાજ્યના રાજકારણમાં એક નવી પાર્ટીનો પ્રવેશ થયો છે. પ્રશાંત કિશોર ઉર્ફે PKએ પોતાના સંગઠનને રાજકીય પક્ષમાં ફેરવી દીધું છે. પીકેની નવી પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તમારે બધાને જય બિહાર એટલી જોરથી બોલવાનું છે કે કોઈ તમને કે તમારા બાળકને બિહારી ના કહે અને એ એક ગાળ જેવું ના લાગે.તમારો અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ.પટનામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં જન સુરાજ પાર્ટીની રચના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જન સુરાજ સાથે જોડાયેલા રાજ્યભરમાંથી લોકો પટનામાં એકઠા થયા છે. સભા સ્થળે એક અનોખો સ્ટેજ બનાવવામાં આવ્યો છે, જેના પર 5000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સ્ટેજ પર જામર લગાવવામાં આવ્યા છે, જેને કારણે મોબાઈલ ફોન કામ કરી રહ્યા નથી. PKની નવી પાર્ટીની રચના પહેલાં સીતામઢીના પૂર્વ સાંસદ સીતારામ યાદવ અને પૂર્વ મંત્રી રઘુનાથ પાંડેની પુત્રવધૂ વિનીતા વિજય જન સૂરજમાં જોડાયા હતા.

જન સુરાજ અભિયાન રાજકીય પક્ષ બનવાની સાથે તેના નેતા, નેતૃત્વ પરિષદ, બંધારણ અને અન્ય બાબતોની પણ થોડા સમયમાં જાહેરાત કરવામાં આવશે.પ્રશાંત કિશોર પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા લોકોમાં રહેશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ રાજ્યમાં પદયાત્રા પર છે. તેમની પદયાત્રા અત્યાર સુધીમાં 17 જિલ્લામાં નીકળી છે. બે વર્ષમાં તેમણે લગભગ પાંચ હજાર કિલોમીટર ચાલીને 5500થી વધુ ગામડાંઓની મુલાકાત લીધી હતી.

અમદાવાદની નવરાત્રિને નડ્યું ઈરાન-ઈઝાયલ યુધ્ધ

અમદાવાદ: આવતી કાલથી ગુજરાત ભરમાં નવરાત્રિની ધૂમ શરૂ થશે. ત્યારે નવરાત્રિને લઈ મોટા ગાયક કલાકરો પણ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે.

અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ ઈરાન- ઈઝરાયલ યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત ફરી ના ફરી શકતા આજનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે આગામી 14 ઓક્ટોમ્બરના રોજ યોજાશે તેવી ફાલ્ગુની પાઠકે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.

સોશિયલ મીડિયા પર આ અંગે  ફાલ્ગુની પાઠકે કહ્યું કે, “હું આજે એટલા માટે લાઈવ આવી છું. કે એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે, કે આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઓક્ટોમ્બરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઈટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચ્યા હતા. પરંતુ તેમની ફ્લાઈટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલ ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધના કારણે ફ્લાઈટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઓક્ટોમ્બરે કાર્યક્રમ મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો. અને પ્રાર્થના કરજો કે, આવતી કાલથી શરુ થતી નવરાત્રીમાં અમારી ટીમ કોઈ વિઘ્ન વિના પરત આવી જાય. અને હા ગરબાનું સ્થળ જે આજે હતું એજ રહેશે.”

ઈરાન અને ઈઝરાયેલમાં કોની સેના વધુ મજબૂત ?

ઈરાને મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ઈરાન દ્વારા તેલ અવીવ પર 200 થી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની હત્યાનો બદલો લીધો છે અને ભવિષ્યમાં પણ યુદ્ધ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બંને દેશોમાં કોણ વધુ શક્તિશાળી છે? કોની સેના વધુ મજબૂત છે અને કોની પાસે કેટલા હથિયાર છે?

ઈરાનમાં જ વસ્તી ઈઝરાયેલ કરતા દસ ગણી વધારે છે. વર્ષ 2024 માટે ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ મુજબ ઈરાનની વસ્તી 8,75,90,873 છે. તે જ સમયે, ઇઝરાયેલની વસ્તી 90,43,387 જણાવવામાં આવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની સશસ્ત્ર દળો પશ્ચિમ એશિયાની સૌથી મોટી સેના છે. આ સેનાઓમાં ઓછામાં ઓછા 5,80,000 સૈનિકો છે. આ સિવાય લગભગ 200,000 પ્રશિક્ષિત અનામત સૈન્ય કર્મચારીઓ છે.

મિસાઇલોનો વિશાળ કાફલો

ઈરાન પાસે મિસાઈલોનો વિશાળ કાફલો છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇરાન પાસે પશ્ચિમ એશિયામાં બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો સૌથી મોટો ભંડાર છે. આમાં ક્રુઝ મિસાઈલ અને એન્ટીશિપ મિસાઈલનો પણ સમાવેશ થાય છે. તેમાં 2,000 કિલોમીટરની રેન્જમાં મારવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલોનો પણ સમાવેશ થાય છે.

આસામનો ‘ગાંધી મંડપ’ જ્યાં બાપુની યાદો આજે પણ જીવંત છે !

આજે ગાંધી જયંતી એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. ભારતને ગુલામીમાંથી આઝાદી અપાવનાર અને વિશ્વભરને સત્ય-અહિંસાનો સંદેશ આપનારા બાપુ જ્યાં જતા ત્યાંના લોકોને જીવન જીવવાનો મંત્ર આપતા.
આજે એવા જ એક સ્થળ વિશે વાત કરીશું, જ્યાં ગાંધીબાપુએ સ્થાનિક મહિલાઓને કપડામાં સપના વણવાની રાહ ચીંધી હતી. વાત છે આસામના સુઆલકુચી ગામમાં આવેલા ગાંધી મંડપની.

આસામના ગુવાહાટીથી લગભગ 40 કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠે આવેલું છે એક નાનકડું ગામ સુઆલકુચી. જો કે હવે આ ગામને સિલ્ક ગામ તરીકે નવી ઓળખ પણ મળી છે. આ ગામ કાપડ વણાટ અને રેશમ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ઓળખ માટે ગામવાસીઓ મહાત્મા ગાંધીને શ્રેય આપે છે. બાપુ બ્રહ્મપુત્ર નદીના કાંઠેથી એકવાર સુઆલકુચી પહોંચ્યા હતા. અહીં એમણે આ ગામને સપનાનું શહેર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘અહીં મહિલાઓ હાથથી સપના વણી લે છે’.

બ્રહ્મપુત્રાના કિનારે સુંદર રીતે બનેલો ગાંધી મંડપ આજે પણ આનો સાક્ષી છે. અહીંના લોકો ગાંધીજીની એ મુલાકાતને જીવંત રાખી છે. બાપુએ જે જગ્યાએ બેસીને લોકોને સંબોધ્યા હતા ત્યાં ચરખા કાંતતા બાપુની પ્રતિમા આજે પણ વણકરોનું મનોબળ વધારી રહી છે. અહીંના લોકો ગાંધીજીની યાત્રાનું ખૂબ જ ગર્વથી વર્ણન કરે છે.

અહીં બને છે ‘અહિંસા સિલ્ક’

ગાંધીબાપુના ‘અહિંસા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરવા માટે અહીં અહિંસા સિલ્ક પણ બનાવવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારના કિટાણુંની હત્યા કરવામાં નથી આવતી. ઓરી નામે ઓળખાતા આ સિલ્કની ખરી ઓળખ તો અહિંસા સિલ્ક છે. જે આસામી લોકો ગર્વથી બાપુને સમર્પિત કરે છે. કહેવાય છે કે ગાંધીબાપુ સુવાલકુંચીમાં વર્ષ 1946માં આવ્યા હતા. એ જગ્યા આજે ગાંધી મંડપ તરીકે વિશ્વખ્યાતી મેળવી રહી છે. ત્યાં બાપુ આવ્યા, જનસભા કરી, લોકોને સંબોધિત કર્યા, ચરખો કાંત્યો, બાળકો સાથે વાર્તાલાપ કર્યો, આ દરેક ક્ષણની પ્રતિમાં બનાવવામાં આવી છે અને ત્યાં બાપુની યાદગીરી રૂપે સાચવવામાં આવી છે.

આ વારસો ગાંધીજીના ઇતિહાસથી બાળકોને માહિતગાર કરશે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા આસામના ગાંધી મંડપના પ્રોજેક્ટના કન્સલન્ટ મયંકભાઈ કહે છે, “આ આશ્રમ બનાવવાનો ઉદ્દેશ્ય સ્થળ સાથે સંકળાયેલ વારસા અને ઐતિહાસિક મહત્વને જાળવી રાખવાનો છે. ઉપરાંત, આ સ્થળને સંભવિત પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાનો પણ છે. જે બાળકો અને યુવાનોને ગાંધીજીના ઇતિહાસથી માહિતગાર કરી શકે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે આ ગાંધી મંડપને વધુ વિકસિત કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.”

 

બાપુની હયાતીના છે સ્મરણો

 

ગાંધી મંડપ એ “રાષ્ટ્રપિતા” મોહનદાસ કરમચંદ ગાંધીની સ્મૃતિ છે. સરનિયા હિલની ટેકરી પર બનેલું આ સંગ્રહાલય ગુવાહાટીના પ્રવાસન સ્થળોમાંથી એક છે. ગાંધીજીએ સરનિયા પહાડની પ્રથમ મુલાકાત 1921માં અને છેલ્લી મુલાકાત 1946માં લીધી હતી. બાપુના વિચારો આજે પણ અહીં જીવંત છે.

હેતલ રાવ

ગરબોઃ ઘૂમતો ઘૂમતો ક્યારે-ક્યાંથી આવ્યો?

આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. નવ નવ રાત્રિ દરમ્યાન રમાતા ગરબા એ ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે ગરબો એટલે ગુજરાતીઓની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ગુજરાતના આ સૌથી લોકપ્રિય લોકનૃત્યનો યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે.

માતાજીની આરાધના માટે ગવાતા અને રમાતા આ ગરબા કેટલાં પ્રાચીન છે, તેનું મહત્વ શું એ વિશે દૂરદર્શનના અમદાવાદ કેન્દ્રના પૂર્વ ડીરેક્ટર ડૉ. રૂપા મહેતા કેટલીક રસપ્રદ વાતો વાગોળે છે. દૂરદર્શન પર નવરાત્રિ-ગરબાનો લગતા અનેક કાર્યક્રમોના પ્રસારણ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ રૂપાબહેન ગુજરાતના કળા-સાંસ્કૃતિક જગત સાથે જોડાયેલા છે અને એના પર ગાઢ અધ્યયન કર્યું છે. આજે ‘છોટી સી મુલાકાત’ માં એમની સાથે થયેલી વાતચીતના અંશો…

ચિત્રલેખા.કોમ: ગરબાનો ઈતિહાસ કેટલો જૂનો હશે?

ડૉ. રૂપા મહેતા: નૃત્યશૈલી બે પ્રકારની હોય. એક લાસ્ય અને બીજી તાંડવ. ગરબા લાસ્ય શૈલીનો પ્રકાર છે. રાસમાં લાસ્ય અને તાંડવ બન્ને શૈલી જોવા મળે. સૌરાષ્ટ્રના મેર લોકોના ડાન્સમાં કે કણબીઓ, રજપૂતો જે ગરબા રમે છે તેમાં તાંડવ સ્વરૂપ જોવા મળશે. આ લાસ્ય શૈલી પાર્વતી માતાએ બાણાસુરના પુત્રી ઉષાને શીખવી હતી. ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે પરણીને ગુજરાતમાં દ્વારકા નગરી આવ્યા એ પછી અહીંની ગોપ કન્યાઓને લાસ્ય શૈલી શીખવી હતી. આ વાતનો ઉલ્લેખ ‘સંગીત રત્નાકર’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે.

એક લોકવાયકા એવી છે કે અર્જુને ગુપ્તવાસ દરમ્યાન વિરાટ રાજાના દીકરી ઉત્તરાને લાસ્ય શૈલી શીખવેલી. ઉત્તરા અભિમન્યુ સાથે પરણીને દ્વારકા આવ્યા અને એ રીતે ગુજરાતમાં ગરબાનું આગમન થયું. આજે પણ આહિર સ્ત્રીઓને ગરબા ગાતા જુઓ તો તેમની જે શૈલી છે, તેમના જે પોસ્ચર છે તેમાં તમને લાસ્ય શૈલી જોવા મળશે. આખી દુનિયામાં ગોળ ડાન્સ ફોર્મ એટલે કે ગોળ ફરીને ગરબા ગાવા તે ફોર્મ ખુબ જ યુનિક છે.

નવમી-દસમી સદીમાં જામનગરના એક કવિ શ્રીકંઠે લખ્યું હતું કે, ‘લાસ્યોત્તમા ગુર્જરી’ એટલે કે લાસ્યમાં કોઈ ઉત્તમ હોય તો તે છે ગુર્જરી(ગુજરાત).

રાસની વાત કરીએ તો શારદાતનયના ‘ભાવપ્રકાશ’ પુસ્તકમાં રાસક નૃત્યના ત્રણ પ્રકાર કહ્યાં છે. દંડ રાસક, તાલ રાસક અને લત્તા રાસક. જેમાં તાલ રાસકમાં બે પ્રકાર છે. એક તાલી કરીને અને બીજું ગરબા રમતા-રમતા મંજીરા કે બીજા કોઈ વાદ્યનો ઉપયોગ કરવો તે. લત્તા રાસક એટલે એકબીજાના હાથમાં હાથ મેળવીને જે નૃત્ય કરીએ તે. ગરબા આ બન્ને પ્રકારના રાસકમાં આવે છે. નળકાંઠામાં રહેતી પંડાર કોમ્યુનિટીના ગરબા એ તાલ અને લત્તા રાસકના ઉત્તમ ઉદાહરણ છે. તેઓ સુંદર રીતે મંજીરા સાથે રાસ ગાતા હોય છે. એમના રાસમાં તમને નળકાંઠાની પાણીની મુવમેન્ટ જોવા મળે. સત્તરમી સદીમાં લખાયેલાં ‘ગીત ગોવિંદ’ નામના ગ્રંથમાં તાલ રાસક અને લત્તા રાસકના અદ્દભૂત ચિત્રો છે.

આપણે ત્યાં દસમી સદીના શિલ્પોમાં રાસના અદ્દભુત દ્રશ્યો જોવા મળે છે. ભૂજમાં આવેલ કોટાય મંદિરમાં રાસના અદ્દભૂત સ્કલ્પચર્સ છે એ લત્તા રાસકના પ્રતીક છે. મોઢેરા, રાણકી વાવ, સુણોક મંદિર, સંડેર મંદિર ઉપરાંત નાના ગામોમાં બંધાયેલાં અનેક મંદિરોમાં નૃત્ય શૈલીના શિલ્પો અચૂક જોવા મળે છે.  આ રીતે રાસ-ગરબાના ઉલ્લેખો તો ખુબ જૂનાં છે.

આમ અત્યારે ગરબાની જે શૈલી છે તે અગિયારમી કે બારમી સદી આસપાસ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાર ગામે જેમ બોલી બદલાય તેમ બાર ગામે નૃત્યની શૈલી પણ બદલાય છે. ગરબાના પણ સમયાંત્તરે સ્વરૂપો બદલાયા છે.

ઘટ સ્થાપનનું મહત્વ શું નવરાત્રિમાં?

ગરબો એ ફર્ટિલિટીનું પ્રતીક છે. આપણા તહેવારો કૃષિ સાથે જોડાયેલા છે. શારદીય નવરાત્રિ પણ એમાંથી એક છે. ચોમાસામાં જે અનાજ વાવ્યું હોય એ ઓક્ટોબરમાં ઉગે. એની ઉજવણી નવરાત્રિમાં કરવામાં આવે. જૂનાં સમયમાં ગરબીનું સ્થાપન કરે એટલે એનાં નીચે ઘંઉના જવારા ઉગાડવામાં આવતા. એ સમયે એવું કહેવાતું કે જેનાં જવારા સારાં તેને ત્યાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહેશે. ગરબીને બ્રહ્માંડ સાથે જોડીને બ્રહ્માંડના સ્વરૂપમાં પૂજવામાં આવતી. ગરબામાં પડાયેલા 27 છિદ્રને 27 નક્ષત્રના પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય એટલે 27 X 4= 108ની સંખ્યા થાય. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નવરાત્રિના તહેવાર પાછળનું ધાર્મિક, સાંસ્કૃતિક કે સામાજિક મહત્વ શું?

ગરબા દરેક વર્ગના, દરેક ઉંમરના અને દરેક સમાજના લોકો ગાતા હોય છે. દરેક ધર્મ-સમાજના લોકોની ભાગીદારી છે એમાં. આપણા ત્યાં લખાયેલાં ગરબામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે, કુંભારને માતાજીનો ગરબો બનાવવાનું કહેવામાં આવે છે. સુથારને કહો છો કે માતાજીની માંડવડી, બાજોટ બનાવી લાવ, મણિયારાને માતાજીનો ચુંડો બનાવી લાવવાનું કહેવામાં આવે છે. સોનીને માતાજી માટેનાં ઘરેણાં લાવવાનું કહેવામાં આવે છે. માળીને ગજરા, મોચીને મોજડી અને દોશીડાને ચુંદડી લાવવાનું કહેવામાં આવતું. આ રીતે ગરબા દરેક સમાજને એકસાથે જોડવાનો, સમન્વયવાળો તહેવાર છે.

આ ઉપરાંત ગરબા એ સ્ત્રીઓની સ્વતંત્રતાના પણ પ્રતિક છે. પહેલાંના સમયાં સ્ત્રીઓને છૂટથી હરવા-ફરવા કે ઘરની બહાર નીકળવા ન મળતું. ત્યારે નવરાત્રિ એક એવો તહેવાર હતો કે જ્યારે દરેક સ્ત્રીને રાતના સમયમાં ઘરની બહાર નીકળી પોતાનું મનગમતું નૃત્ય એટલે કે ગરબા રમવા મળતા હતા. આમ સામાજિક રીતે પણ ગરબા આપણી માટે અને તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ માટે ખુબ જ મહત્વના હતા.

ગરબા અને ગરબી વચ્ચે શું તફાવત?

જે સ્ત્રીઓ ગાય એ ગરબો અને જે પુરૂષો ગાય તે ગરબી કહેવાય. સૌરાષ્ટ્રમાં એવી પરંપરા હતી કે સ્ત્રી-પુરૂષ એકસાથે ગરબા ન ગાય. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં આજની તારીખમાં પણ માતાજીની માંડવડીની સ્થાપના થાય ત્યારે પહેલાં પાંચ ગરબા પુરૂષો ગાય, જેને ગરબી કહેવામાં આવે. એ પછી સ્ત્રીઓ ગરબા ગાય. આજે પણ વલ્લભ મેવાડાના ગરબા સુપ્રસિદ્ધ છે. દયારામની ગરબીઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે.

પ્રાચીન અને અર્વાચીન ગરબા વિશે શું કહેશો?

પ્રાચીન અને અર્વાચીન ગરબા અલગ-અલગ ફોર્મમાં લખાતા આવ્યા છે. કહેવાય છે કે પ્રથમ ગરબો વલ્લભ સદને લખ્યો હતો, જ્યારે અર્વાચીન ગરબામાં નારીવાદી ગરબો કવિયત્રી સ્વરૂપ ધ્રુવે લખ્યો છે.

ગરબા રમવાની વાત કરીએ તો તાલી અને ઠેસ એ ગરબાની નૃત્યશૈલીના બે મુખ્ય અંગ છે. પરંપરાગત ગરબામાં સ્ત્રીઓ કાં તો એક તાલી, બે તાલી કે પછી ત્રણ તાલી રમતી હોય. આધુનિક ગરબામાં તાલી કે ઠેસનું કોઈ મહત્વ રહ્યું નથી. પહેલાં શેરી ગરબા હતા, પછી સ્ટેજ ગરબા આવ્યા અને હવે આવ્યાં છે પાર્ટી પ્લોટ ગરબા. સ્ટેજના ગરબામાં નવી-નવી કોરિયોગ્રાફી અને કોસ્ચ્યુમ આવ્યા. નવા વાંજિત્રો આવ્યા. શેરી ગરબામાં તો માત્ર ઢોલના તાલે જ ગરબા રમાતા હતા. પાર્ટી પ્લોટ ગરબામાં તો ગોળ ગરબે ઘૂમતી ગુજરાતણનો કોન્સેપ્ટ જ બદલાઇ ગયો. એમાં બજાર પણ આવ્યું અને માર્કેટિંગ પણ આવ્યું.

હું એવું નથી કહેતી કે આધુનિક ગરબા ખરાબ છે, પરંતુ તે તદ્દન જુદાં જ પ્રકારના ગરબા છે. હા, હજુ પણ અનેક ગામડાઓમાં ગરબાના મૂળ સ્વરૂપો, પરંપરાગત ગરબા, લાસ્ય શૈલીમાં રમાતા ગરબા જોઈ શકાય છે. ગરબાનું બજારીકરણ થઇ ગયું હોવાથી ગરબા એટલે શક્તિની આરાધના એ પ્રકારની જે ભાવના હતી તે હવે જોવા મળતી નથી. કોઈપણ વસ્તુમાં પરિવર્તન તો આવે જ, પરંતુ એ પરિવર્તન કેવાં પ્રકારનું છે તે મહત્વનું હોય છે.

પરંતુ હવે તો કોમર્શિયલ ઓર્ગેનાઈઝર્સ પણ શેરી ગરબા, મંડલી ગરબા કે ઢોલ અને શરણાઈના તાલે ગરબા એવી જાહેરાતો કરતા હોય છે…

હા, લોકોને હવે એવું લાગે છે કે ગરબા રમવા પાછળની આપણી જ ધાર્મિક માન્યતા કે સામાજિક પરિવેશ હતો એ ભૂલાતો જાય છે એટલે બધાં ફરી શેરી ગરબા, મંડલી ગરબા, ઢોલના તાલે ગરબા તરફ વળતા થયા છે. પરંતુ ખરેખર ટ્રેડિશનલ ગરબાની વાત કરીએ અમુક જ્ઞાતિ-સમાજોમાં એની પરંપરા જળવાઇ છે. લતીપુરના ગરબામાં પુરૂષો માથે અગ્નિ લઈને ગરબા કરે છે. મોરબી પાસેના એક ગામમાં મુસ્લિમોની મુતવા નામની કમ્યુનિટી નવરાત્રિમાં ગરબા ગાય છે. કચ્છના આહિરો, મેર કમ્યુનિટી અને ભરવાડ કમ્યુનિટીના ગરબા પણ ખુબ જ સુંદર હોય છે. નાયક કમ્યુનિટીના ભવાઈ કલાકારોને ગરબા રમતા જોવાની મજા આવે. અમદાવાદની સદુ માતાની પોળમાં આઠમના દિવસે પુરૂષો જ સાડી પહેરીને ગરબા ગાય છે. નાગરોમાં સ્ત્રીઓ બેસીને ગરબા કરે છે. આમ હજુ પણ ક્યાંક-ક્યાંક ગરબાને તેના ઓરિજનલ ફોર્મમાં જાળવી રાખવામાં આવ્યા છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

તહેવારોની સીઝન અર્થતંત્ર માટે બુસ્ટર બને એવી શક્યતા

નવી દિલ્હીઃ હાલના ડેટા મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષના મધ્યમાં ધીમું પડ્યું છે, પણ નિષ્ણાતોનું માનવું છે કે આ એક હંગામી સ્થિતિ છે. તહેવારોની સીઝન સાથે અર્થતંત્ર વેગ પકડશે.

સપ્ટેમ્બરમાં GST વસૂલાત 6.5 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડે પહોંચી છે, જે એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં દ્વિઅંકી વૃદ્ધિથી ઓછી છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ PMI પણ સપ્ટેમ્બરમાં આઠ મહિનાના નીચલા સ્તરે 56.5એ પહોંચ્યો છે.

ઘરેલુ કાર વેચાણમાં પણ સપ્ટેમ્બર સતત ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. જોકે દેશમાં જૂનથી સપ્ટેમ્બરમાં પડેલા વરસાદમાં સરેરાશ 7.6 ટકાનો વધુ વરસાદ નોંધાયો છે, જે આર્થિક કામગીરી પર સકારાત્મક અસર કરશે.

આમે તહેવારોની સીઝનની સાથે-સાથે હવે લગ્નગાળાની સીઝન પણ થઈ થઈ રહી છે. આ વર્ષે દેશમાં આશરે 48 લાખ લગ્નો થવાનો અંદાજ છે અને આ લગ્ન સીઝનમાં રૂ. 5.9 લાખ કરોડનો વેપાર થવાની અપેક્ષા છે. એકલા દિલ્હીમાં 4.5 લાખ લગ્નો થવાનાં છે, જેમાં રૂ. 1.5 લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ છે.વળી, વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મુખ્ય અર્થશાસ્ત્રીઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બતાવ્યું છે. એના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યા વિશ્વનાં અર્થતંત્રો પર વધતાં દેવાં અને રાજકીય પડકારોને કારણે થયેલા દબાણને કારણે ચિંતા દર્શાવવામાં આવી છે, ત્યારે સાઉથ એશિયાની સારી સ્થિતિ માટે ભારતના મજબૂત દેખાવ અને પ્રાથમિક ચાલક બળ દર્શાવવામાં આવ્યું છે.

વળી, ફેડ રિઝર્વના વ્યાજદર ઘટાડાને પગલે રિઝર્વ બેન્ક પણ વ્યાજદરમાં કાપ મૂકે એવી શક્યતા છે, જેથી ઘરેલુ બજારોમાં સ્થિતિ સાનુકૂળ રહેવાની વકી છે.

 

બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5 ના મોત

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં દરરોજ વિસ્ફોટ થાય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. બુધવારે મોડી સાંજે થયેલા વિસ્ફોટને કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈને પાંચ લોકોના મોત થયા હતા. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફટાકડાના કારખાનાની આસપાસ રહેણાંક મકાનો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં લોકો રહેતા હતા. ગામના રહેવાસી રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલી માર્કેટમાં ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પણ પોતાના ઘરે ચોરીછૂપીથી ફટાકડા બનાવીને આપતો હતો.

બુધવારે કલ્યાણપુર ગામમાં રહેમાન શાહના ઘરમાં રાખેલા ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. જ્યારે લોકોએ બહાર આવીને જોયું તો રહેમાનનું ઘર સંપૂર્ણપણે કાટમાળ થઈ ગયું હતું. આ વિસ્ફોટની અસરમાં નજીકના આઠ અન્ય મકાનો પણ આવી ગયા હતા.

‘તેનો ચહેરો કાળો કરો’, એનિમલ અભિનેત્રી તૃપ્તિ ડિમરી પર ગંભીર આરોપ

મુંબઈ: અભિનેત્રી તૃપ્તિ ડિમરી પર મંગળવારે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જયપુરના સાહસિકોએ કહ્યું કે તૃપ્તિ ડિમરી પૈસા લઈ ગઈ અને તે પછી પણ ઈવેન્ટમાં પહોંચી ન હતી. અભિનેત્રીએ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. FICCI FLOના જયપુર ચેપ્ટરના નારી શક્તિ કાર્યક્રમના આયોજકોએ કહ્યું હતું કે તૃપ્તિએ મંગળવારે તેમના કાર્યક્રમમાં આવવાનું વચન આપ્યું હતું, પરંતુ આવી ન હતી. અભિનેત્રીએ હવે આ વાતને નકારી કાઢી છે.

તૃપ્તિએ સ્પષ્ટતા કરી

‘એનિમલ’ અને ‘કલા’થી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી તૃપ્તિએ એક નિવેદન જારી કર્યું જેમાં તેણે કહ્યું કે જયપુરમાં જે પણ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેનો તે ભાગ રહી છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચાલી રહેલા પ્રમોશનલ અભિયાન દરમિયાન તૃપ્તિ ડિમરીએ તેની વ્યાવસાયિક જવાબદારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું અને ફિલ્મ સંબંધિત તમામ નિર્ધારિત કાર્યક્રમો અને સત્રોમાં હાજરી આપી હતી.’

તેણીએ ઇવેન્ટમાં ભાગ લેવા માટે કોઈ વચન આપ્યું હતું અથવા કોઈ પૈસા લીધા હતા આયોજકોના આ દાવાને પણ ફગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અભિનેત્રીએ તેણીની પ્રમોશનલ ફરજો સિવાયના કોઈપણ વ્યક્તિગત દેખાવ અથવા ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ નથી તેવું પણ નિવેદનમાં જણાવાયું છે. તે સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે આ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી માટે કોઈ વધારાની ફી અથવા ચૂકવણી સ્વીકારવામાં આવી નથી.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, મંગળવારે સમાચાર આવ્યા હતા કે તૃપ્તિ જયપુરના JLN માર્ગ પર સ્થિત એક હોટલમાં FICCI FLO દ્વારા મહિલા શક્તિ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાની હતી, પરંતુ તે પહોંચી શકી નહોતી. આ ઈવેન્ટનું આયોજન કરનાર એક મહિલા ઉદ્યોગસાહસિકે દાવો કર્યો હતો કે આ ખાસ ઈવેન્ટ માટે અભિનેત્રી સાથે 5.5 લાખ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી. હવે આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તે અભિનેત્રી સામે કેસ કરશે. તેણે એમ પણ કહ્યું કે જયપુરે તેનો અને તેની ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે તેણે આ રીતે તેમની સાથે દગો કર્યો છે. આટલું જ નહીં મહિલાઓએ અભિનેત્રીનો ચહેરો કાળો કરવાની વાત પણ કરી હતી.

વીડિયો વાયરલ થયો હતો

કાર્યક્રમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં ઘણા લોકો કાર્યક્રમમાં તૃપ્તિના પોસ્ટરની તોડફોડ કરતા અને તેના બહિષ્કારની હાકલ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મનું પોસ્ટર પણ હટાવી દેવામાં આવ્યું હતું. તૃપ્તિ તેની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ના પ્રમોશન માટે જયપુરમાં હતી, જેમાં રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

પાંચ કિલોની પાઘલડી પહેરીને ઝૂમતો પાઘડીમેન…

નવરાત્રિમાં લોકો મન મૂકીને ગરબા પર ઝૂમતા હોય છે ત્યારે લોકોનું ધ્યાન ખેચવા યુવાનો કપડા અને પાઘડી સાથે અવનવા પ્રયોગ કરતા હોય છે. કોઇ ખેલૈયા નવી થીમ પર ગરબાના સ્ટેપ ઈનોવેટ કરી લાવે તો કોઈ કપડાં પર નવી ડિઝાઈન ચીતરાવીને આવે.

આવા જ એક ખેલૈયા એટલે અમદાવાદના પાઘડીમેન. આ પાઘડીમેન છેલ્લાં કેટલાક વર્ષોથી નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યા છે. એમનું નામ છે અનુજ મુદલિયાર.

આ વર્ષે અનુજે પાંચ કિલો વજન ધરાવતી પાઘડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે. નોંધનીય છે કે અનુજ મુદલિયાર દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ પર પાઘડી તૈયાર કરતા હોય છે.

આત્મનિર્ભરથીમની પાઘડી વિશે વાત કરતાં અનુજ મુદલિયાર ચિત્રલેખા.કોમને કહે છે, ‘હું છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરુ છું. આ વર્ષે પાઘડીમાં મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા સાથે આગામી 2029ની ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ ડાયમંડ સિટી સુરતના ડાયમંડ બુર્સને પાઘડીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, આ પાઘડી પાછળ અનુજે 35000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનું કુલ વજન 5 કિલોગ્રામ છે. પાંચ કિલોની પાઘડી સાથે અનુજ પાંચ કિલો વજનનું કેડીયું પહેરીને મેદાનમાં ઉતરશે.

અગાઉ અનુજ વર્ષ 2017માં GSTની થીમ, 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી બનાવડાવીને ગરબા રમી ચૂક્યા છે. 2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણીની થીમ પર પાઘડી તૈયાર કરી હતી.

(તેજસ રાજપરા)