સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેન્કે પાકિસ્તાનની બંધ કરી બોલતી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ તરત જ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. એ પછી પાકિસ્તાન ચિંતિત થઈ ગયું છે અને કહેવા લાગ્યું કે આ યુદ્ધની સ્થિતિ છે અને આ માટે વિશ્વ બેંકને અપીલ કરવાની વાત શરૂ કરી હતા, પણ વિશ્વ બેંકે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.

વર્લ્ડ બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે મર્યાદિત વ્યાખ્યાયિત કામો માટે કરેલી સંધિ પર હસ્તાક્ષર કરી છે અને અમે ટ્રીટીના સભ્ય દેશો દ્વારા લેવામાં આવેલા સંધિ સંબંધિત સાર્વભૌમ નિર્ણયો પર અમારો અભિપ્રાય વ્યક્ત નથી કરતા.

હવે ભારત સંધિનું પાલન કરવા માટે બંધાયેલ નથી

આ સંધિ સસ્પેન્ડ થયા પછી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે? આ સંદર્ભમાં કેન્દ્રીય જળ પંચના ભૂતપૂર્વ વડા કુશવિંદર વોહરા કહ્યું હતું કે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા પછી  ભારત પાકિસ્તાન સાથે માહિતી શેર કરવા માટે બંધાયેલું નથી.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આપણે સિંધુ જળ સંધિ હેઠળ કેટલીક બાબતો પર બંધાયેલા હતા, પરંતુ સૌપ્રથમ જાણવું મહત્વનું છે કે આ સંધિ હેઠળ કઈ નદીઓ આવરી લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ સંધિમાં છ નદીઓ છે. જેમા રાવી, બિયાસ અને સતલજ, તેનું બધું પાણી ભારત માટે છે. આ ઉપરાંત સિંધુ, ઝેલમ અને ચિનાબનું મોટા ભાગનું પાણી પાકિસ્તાન માટે છે.

પાકિસ્તાનને કેટલું નુકસાન થશે?

તેમણે કહ્યું કે આ સંધિ 1960માં થઈ હતી. જેમાં કેટલીક જવાબદારીઓ હતી, પરંતુ સંધિ સસ્પેન્ડ થયા પછી હવે કોઈ જવાબદારી નથી. ભારત અને પાકિસ્તાન કમિશન વચ્ચે કોઈ બેઠક થશે નહીં. આ ઉપરાંત પાકિસ્તાનથી પણ લોકો અહીં કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે જોવા માટે આવતા હતા, હવે તેની પણ જરૂર રહેશે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે હવે ચોમાસામાં  ભારત સિંધુ નદીમાં પૂરની પરિસ્થિતિ અંગે પાકિસ્તાનને કોઈ અપડેટ આપશે નહીં. મને લાગે છે કે જ્યાં સુધી આ સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે, ત્યાં સુધી પાકિસ્તાનને સમસ્યાઓનો સામનો કરવો પડશે.