ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું રાજકીય પગલું ભરતા પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. રવિવારે લખનૌના જનભવન ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. આ વિસ્તરણમાં ખાસ કરીને સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 2 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે જ્યારે 6 નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળ્યું છે.

કોણે લીધા મંત્રી પદના શપથ?
રાજ્યપાલ દ્વારા જનભવનમાં તમામ નેતાઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ લેનારા નેતાઓમાં નીચે મુજબના નામ સામેલ છે:
ભૂપેન્દ્ર ચૌધરી
મનોજ પાંડે
અજીત પાલ
સોમેન્દ્ર તોમર
કૃષ્ણા પાસવાન
સુરેન્દ્ર દિલેર
હંસરાજ વિશ્વકર્મા (રાજ્ય મંત્રી)
કૈલાશ રાજપૂત (રાજ્ય મંત્રી)
આ યાદીમાં હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે અન્ય નેતાઓને કેબિનેટ અને સ્વતંત્ર પ્રભારના મંત્રી બનાવવામાં આવ્યા છે.

