NEET પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

સુરતઃ મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ એક્ઝામ (NEET) દ્વારા લેવાયેલી પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી મેદાન માર્યું છે. ઓલ ઈન્ડિયા રેન્કમાં સુરતના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં ઓલ ઈન્ડિયા છ રેન્ક જેનિલ વિનોદભાઈ ભાયાણી અને મૌલિક ભલગામિયાએ ઓલ ઈન્ડિયામાં 71મો રેન્ક મેળવ્યો છે.

અબ્રામામાં આવેલી પી.પી. સવાણી શાળામાં અભ્યાસ કરતાં જેનિલ વિનોદભાઈ ભાયાણીએ ભારતમાં છઠ્ઠો તથા ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભારતમાં સુરતનું તથા પી.પી.સવાણીનું નામ રોશન કર્યું હતું. આ તબક્કે પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ તેમને આગળના ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. જેનિલે કહ્યું હતું કે હું કોઈ જ ટ્યુશન વગર રોજેરોજની મહેનત કરતો હતો. જેના કારણે આ સફળતા મળી છે. આગામી સમયમાં MBBS દિલ્હી એઇમ્સમાંથી કરવા ઈચ્છું છું.

તેણે કહ્યું હતું કે મેં નવમા ધોરણથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમારી શાળામાં પહેલેથી જ NEET અને JEEની તૈયારી કરાવવામાં આવતી હતી. ફાઉન્ડેશનની તૈયારીઓ પહેલેથી જ કરતો હતો. માતાપિતા પણ સતત મોટિવેટ કરતાં હતાં. શાળા દ્વારા પણ તૈયારીઓ કરાવવામાં આવતી હતી. મેં ભૂલો થાય તો તેની પણ અલગ બુક બનાવી હતી. જેથી ફરી ભૂલ ન થાય. અભ્યાસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ખપપૂરતો કર્યો હતો. એ સાથે જ ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયાનો ઉપયોગ નહોતો કર્યો. મેં NEETની સાથે JEEની પણ તૈયારીઓ કરી હતી.

એલનમાં અભ્યાસ કરતાં મૌલિક ભલગામિયાએ કહ્યું હતું કે મેં રોજની આઠ કલાક જેવી તૈયારી કરી હતી. આ તૈયારીના ભાગરૂપે આ સફળતા પ્રાપ્ત થઈ છે. મેં આ પરીક્ષા દરમિયાન કોઈ જ સ્ટ્રેસ લીધો નહોતો. હંમેશાં એન્જોય કરતાં-કરતાં જ તૈયારી કરી હતી. રોજેરોજ ટાર્ગેટ રાખતો હતો. ટાર્ગેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સૂતો પણ નહીં. NEET ક્રેક કરવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી હતી. NCERT સિલેબસ પર પૂર્ણ ફોક્સ કર્યું હતું. નેહચલસિંહ હંસપાલે કહ્યું હતું કે અમારા વિદ્યાર્થીએ ટોપ 71મું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અથાક મહેનતને કારણે આ સફળતા તેમને પ્રાપ્ત થઈ છે.