તિહાડ જેલમાં કેદીઓને તાલીમ આપી રહ્યો છે પહેલવાન સુશીલ કુમાર

નવી દિલ્હીઃ પહેલવાન સાગરની ધનખડની હત્યાના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા અને પછી તિહાડ જેલમાં બંધ ઓલિમ્પિયન સુશીલ કુમાર કેદીઓને ફિટનેસ અને રેસલિંગની ટ્રેનિંગ આપી રહ્યો છે. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લઈ રહેલા અને ધનખડેની હત્યામાં સામેલ આરોપી તિહાડની જેલ નંબર બેમાં બંધ સુશીલકુમાર સાથી કેદીઓને તાલીમ આપી રહ્યો છે, એમ જેલના અધિકારીએ જણાવ્યું હતું. અન્ય એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે સુશીલ કુમારે કેદીઓને તાલીમ આપવાનું એક સપ્તાહ પહેલાં શરૂ કર્યું હતું અને જેલના વહીવટી તંત્રએ રસ ધરાવતા કેદીઓને તાલીમ આપવાની મંજૂરી આપી હતી.

અમે ઇચ્છીએ છીએ કે તે અન્યને કુશ્તીના દાવ શીખવાડે. અમે કુમારનો સંપર્ક કર્યો હતો અને તેણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. જોકે કુમારને આ કેદીઓને તાલીમ આપવા બદલ વળતરમાં તેની મજૂરી ગણવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં તેનું મહેનતાણું નક્કી કરવામાં આવશે.

છત્રસાલ સ્ટેડિયમમાં 23 મે, 2021એ ઓલિમ્પિયન સુશીલ કુમાર અને તેના સાથી અજય કુમાર સાગર ધનખડેની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધનખડે હત્યા કેસમાં 18 લોકોની ધરપકડ કરી હતી અને રોહિણી કોર્ટમાં અન્ય બે જણની સામે આરોપ પત્ર દાખલ કર્યા હતા. પોલીસની તપાસ દરમ્યાન એક વિડિયો પણ મળ્યો હતો, જેમાં સુશીલ કુમાર મારપીટ કરતો નજરે ચઢ્યો હતો.