લગ્નને કારણે કોહલીનું ફોર્મ નબળું પડ્યું: અખ્તર

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એવી કમેન્ટ કરી છે કે લગ્નના દબાણે વિરાટ કોહલીની રમત પર માઠી અસર ઉપજાવી છે. જો હું કોહલીની જગ્યાએ હોત તો મેં લગ્ન કર્યા ન હોત. એક હિન્દી અખબારને આપેલી મુલાકાતમાં, અખ્તરે કહ્યું કે કોહલીને કેપ્ટન બનાવવામાં આવે એની મેં ક્યારેય તરફેણ કરી નથી. કોહલીએ તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને વધારે સદીઓ ફટકારવી જોઈએ. કોહલીએ લગ્ન કરવાને બદલે 10-12 વર્ષ સુધી વધારે રન કરવા ઉપર જ તેનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું. એની જગ્યાએ જો હું હોત તો મેં લગ્ન કર્યા ન હોત અને વધારે રન કર્યા હોત અને ક્રિકેટનો આનંદ માણ્યો હોત. હું એમ નથી કહેતો કે લગ્ન કરવા એ ખોટું છે, પરંતુ તમે ભારત માટે ક્રિકેટ રમતા હો તો તમને આનંદ કરવાનો થોડોક સમય તો મળી જ રહે.

ઉલ્લેખનીય છે કે, કોહલીએ હિન્દી ફિલ્મોની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. દંપતીને એક પુત્રી છે – વામિકા, જે એક વર્ષની થઈ છે. કોહલી-અનુષ્કાએ 2017ની 11 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. કોહલીએ ટ્વેન્ટી-20 અને ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપ્યા બાદ વન-ડે ટીમના કેપ્ટનપદેથી એને હટાવી દેવામાં આવ્યો છે.