બપોરે બે વાગ્યે ધોની કરશે મહત્ત્વની જાહેરાત

રાંચીઃ ભારતીય ટીમનો ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ મારફત કોઈક મોટી જાહેરાત કરવાનો છે. એણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગઈ કાલે આવું જણાવતો એક સંદેશ મૂકીને એના પ્રશંસકોને વિચારતા કરી મૂક્યા છે. એમાં તેણે લખ્યું છે કે, ‘હું રવિવાર, 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર આવીને રોમાંચક માહિતી આપીશ. આશા રાખું છું કે તમે સૌ એ વખતે ત્યાં હાજર હશો.’

ધોનીના આ સંદેશને કારણે લોકોમાં ઉત્કંઠા જાગી છે કે એ શું જાહેરાત કરશે? કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તો એ નિવૃત્ત થઈ ચૂક્યો છે. 2020ની 15મી ઓગસ્ટે એણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે એણે આઈપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે. એ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન છે. તો શું આજે એ આઈપીએલમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરશે? ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં આઈસીસી દ્વારા યોજિત સ્પર્ધાઓ જીતવાનો કેપ્ટન તરીકે અસાધારણ વિક્રમ ધોની ધરાવે છે.