કોરોનાના કેસથી હરભજન ચિંતામાં: કહ્યું, ‘કોઈને કંઈ પડી છે?’

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર હરભજન સિંહે દેશમાં કોરોના વાઇરસ ચેપનો ફેલાવો વધી જતાં ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં વાઇરસના કેસ ઘટવાનું નામ નથી લેતા. બુધવારે 24 કલાકમાં નવા 45,000થી વધુ લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. એ સમાચારને આધારે હરભજન સિંહે ટ્વીટ કરીને કહ્યું છે કે જો લોકો ગંભીર નહીં બને તો પ્રતિદિન સંક્રમિત થનારા લોકોની સંખ્યા એક લાખે પહોંચી જશે.

ભજ્જીએ એવી ટકોર પણ કરી કે, કોઈને આની પરવા છે? ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.  

હજી સુધી વેક્સિન નથી આવી

આ વાઇરસ સામે હજી સુધી કોઈ રસી બનાવવામાં આવી અને ભારત એક વિશાળ વસતિ ધરાવતો દેશ છે. જેથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળશે.

વાઇરસ માટે ભૂતપૂર્વ સ્પિનરે ચીનને દોષી ગણાવ્યું

આ પહેલાં આ ભૂતપર્વ સ્પિનરે કોરોના વાઇરસ માટે ચીનને દોષી ગણાવ્યું હતું, કેમ કે એ દેશમાં આ ઘાતક વાઇરસનો જન્મ થયો હતો.

આ ક્રિકેટરે ત્યારે પણ કડવાં વેણ કહ્યાં હતાં, જ્યારે ગલવાન ખીણમાં 18 ભારતીય સૈનિક શહીદ થયાં હતા. કેન્દ્ર સરકારે આ હુમલાના પરિણામે 58 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત થઈ રહેલી વૃદ્ધિને જોતાં કેટલાંક રાજ્યો ફરી લોકડાઉન કરવાનું વિચારી રહ્યા છે.