અમદાવાદ એરપોર્ટના નામે વધુ એક કિર્તીમાન!

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ સર્જ્યો છે. સોમવારે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ, 2019-20માં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જો કે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે SVPIAની ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.25મી માર્ચે SVPIAએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ગયા વર્ષની સરખામણીએ 14 ટકાની વૃદ્ધિ સાથે 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે 1,01,78,749 મુસાફરો નોંધાયા હતા. ગત નાંણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ 7% ની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું.

પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપુર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા કાયાકલ્પ અને કનક્ટિવીટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે. SVPI એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવિએશન ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી-20, યુ-20 અને વર્લ્ડ કપ મેચ જેવી મુખ્ય ઘટનાઓને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગત વર્ષે પેસેન્જર્સની સંખ્યામાં વધારો તેના કારણે નોંધાયો હતો.છેલ્લાં થોડાં વર્ષોમાં SVPIA એ પેસેન્જર અનુભવને સુધારવા ડિજી યાત્રા, સેલ્ફ-બેગેજ ડ્રોપ, પિકઅપ અને ડ્રોપ માટે ખાસ લેન, ઈ-ગેટ્સની સંખ્યામાં વધારો, ઉત્કૃષ્ટ બેગેજ સર્વિસીઝ, ફોરકોર્ટ વિસ્તરણ અને આગમન પ્લાઝા જેવાં કેટલાંક માળખાગત સુધારાઓ કરીને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટર્મિનલ (T-2) ના આધુનિકીકણ સાથે મોટા સુધારાઓ કરાયા છે, જેમાં નવા આગમન અને પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તાર સાથે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. આગામી ઉનાળામાં અમદાવાદ એરપોર્ટ 8 એરલાઇન્સ અને 16 આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ દ્વારા 40થી વધુ ડોમેસ્ટિક સ્થળોને જોડતી સેવા પૂરી પાડશે. જેમાં ગ્વાલિયર, નાંદેડ, સિલીગુરી, રાજકોટ અને ઔરંગાબાદમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવી રહી છે જ્યારે જબલપુર, વિશાખાપટ્ટનમ અને કોઇમ્બતૂરને પણ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદ, ભોપાલ, ગોવા, વારાણસી, બેંગલુરુ, કોલકાતા અને પૂણેની વધારાની ફ્લાઇટ શરૂ થશે.