સાયરસ પૂનાવાલા, શિવ નાદર, અભય-રાણી બંગ સંતોકબા એવોર્ડથી સન્માનિત

મુંબઈ: જાણીતી નેચરલ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (S.R.K.)ની સખાવતી શાખા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (S.R.K.K.F) એ જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ સમારંભનું આયોજન કર્યું હતું. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મહર્ષિ વેદવ્યાસ પ્રતિષ્ઠાનના પ્રમુખ સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાયરસ પૂનાવાલા, શિક્ષણ સુધારક અને HCL તથા શિવ નાદર ફાઉન્ડેશનના સ્થાપક શિવ નાદર, સામાજિક કાર્યકર અને સર્ચ ફાઉન્ડેશનના સ્થાપક ડો. અભય બંગ અને ડો. રાની બંગનું આ સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું. સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ્સ સૌપ્રથમવાર ‘સિટી ઓફ ડ્રીમ્સ’ મુંબઈ ખાતે યોજાયો હતો. જે સ્વપ્નદ્રષ્ટા અગ્રણીઓના અભૂતપૂર્વ યોગદાનની ઊજવણીની સાક્ષી બન્યું હતું.

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સ્વપ્નદ્રષ્ટા સાયરસ પૂનાવાલાને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સ્થાપનામાં તેમની મુખ્ય ભૂમિકા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-19 સમયગાળા દરમિયાન જાહેર આરોગ્ય અને પરોપકાર માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા ડો. પૂનાવાલાએ લાખો લોકો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી રસી બનાવીને દુનિયાભરમાં રસીના ક્ષેત્રે ક્રાંતિ કરી છે. ડો. પૂનાવાલાએ જણાવ્યું, “હું આ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ માટે ગોવિંદ ધોળકિયા અને SRK નોલેજ ફાઉન્ડેશનનો આભાર માનું છું. જે તેમની માતા સ્વ. શ્રી સંતોકબાજીની સ્નેહભરી સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. 1966માં સ્થપાયેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા 25 મિલિયનથી વધુ લોકોના જીવન બચાવવા માટે આપેલા અજોડ યોગદાનને માન્યતા આપવા બદલ આ એવોર્ડ મેળવતા હું ખૂબ જ વિશેષાધિકાર અને નમ્રતા અનુભવું છું.”

શિક્ષણ સુધારક શિવ નાદરને તેમના ફાઉન્ડેશન દ્વારા અસાધારણ યોગદાન માટે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના અવિરત પ્રયાસો દ્વારા શિવ નાદારે સમુદાયોને સશક્ત બનાવવા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર કામ કર્યું છે.  શિવ નાદરના પત્ની અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા કિરણ નાદરે જણાવ્યું, “શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના માતા સંતોકબા દ્વારા પ્રેરિત આ પ્રતિષ્ઠિત એવોર્ડથી મારા પતિને સન્માનિત કરવામાં આવ્યા તેનાથી હું ખુબ જ ખુશ છું. આ સન્માન ખાસ કરીને અર્થપૂર્ણ લાગે છે કારણ કે અમારી પોતાની પરોપકારી યાત્રા આવા જ એક પ્રભાવથી શરૂ થઈ હતી. મારા સાસુએ 1990માં મારા પતિને પૂછ્યું કે સમાજને પાછું આપવા માટે તેઓ શું કરવા માગે છે. તેમના શબ્દોએ મારા પતિમાં જવાબદારીની ઊંડી ભાવના જાગૃત કરી, જેના કારણે શિક્ષણ પર મજબૂત ભાર સાથે શિવ નાદર ફાઉન્ડેશનની રચના થઈ. અમારી પ્રથમ કોલેજ મારા સસરાના નામ પર ચેન્નાઈમાં સ્થાપી હતી.”

સર્ચ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પાયાના સ્તરે સસ્તી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાના કાર્ય માટે સામાજિક કાર્યકરો ડો. અભય બંગ અને ડો. રાની બંગને પણ પ્રતિષ્ઠિત સંતોકબા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ બંનેએ હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (એચબીએનસી) પહેલ તેમજ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ (સીએચડબ્લ્યુ) પહેલ દ્વારા આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે અગ્રણી ભૂમિકા ભજવી છે.

એવોર્ડ સમારંભમાં ડો. અભય બાંગે જણાવ્યું હતું કે “મને અને મારી પત્નીને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું ગઢચિરોલીના લોકો વતી આ સન્માન સ્વીકારું છું, જેમના અતૂટ સમર્થન અને વિશ્વાસે મને આ સ્થાન અપાવ્યું છે.”

SRK અને SRKKFના સ્થાપક અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા 2006માં શરૂ કરવામાં આવેલ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ તેમની માતા સંતોકબા લાલજીદાદા ધોળકિયાની નિઃસ્વાર્થ ભાવના અને દ્રષ્ટિને મૂર્તિમંત કરે છે. ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું, “સંતોકબા એવોર્ડ એ કરુણાની શક્તિ અને વિશ્વ પર સકારાત્મક અસર ઊભી કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમને એવી વ્યક્તિઓનું સન્માન કરવાનો ગર્વ છે કે જેમણે પોતાનું જીવન પરિવર્તન લાવવા અને અન્યોને પણ તે જ કરવા માટે પ્રેરિત કરવા માટે સમર્પિત કર્યું છે. આ સન્માન દયાની શક્તિ અને સમાજ પર તેની ઊંડી અસરને દર્શાવે છે.”

આ વર્ષે SRKFFની માનવતાવાદી કામો માટે સમર્પિત પ્રતિબદ્ધતાની 10મી વર્ષગાંઠ પણ છે. અગાઉ સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનારા મહાનુભાવોમાં ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટા, આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામા, એન્જિનિયર અને ઈનોવેટર સોનમ વાંગચુક, ભારતની શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયન, સમાજ સુધારક કૈલાશ સત્યાર્થી અને સ્પેસ સાયન્ટિસ્ટ તથા ઈસરોના પૂર્વ ચેરમેન એ.એસ. કિરણ કુમારનો સમાવેશ થાય છે.