મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલા સમીર વાનખેડેની રાજકારણમાં એન્ટ્રી

મુંબઈ: દેશના સૌથી પ્રખ્યાત અને હાઈપ્રોફાઈલ આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે હવે રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમીર વાનખેડે આગામી વિધાનસભામાં ચૂંટણી લડશે. સૂત્રોનું માનીએ તો IRS અધિકારી સમીર વાનખેડે શિવસેના શિંદે જૂથમાં જોડાશે. શિંદે જૂથ તેમને મુંબઈની કોઈપણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ધારાવી સીટ પરથી ચૂંટણી લડી શકે છે તેવી ઘણી ચર્ચા છે.

મુંબઈની ધારાવી બેઠક પરથી ધારાસભ્ય વર્ષા ગાયકવાડ સાંસદ બન્યા બાદ હવે કોંગ્રેસ પોતાના જ પરિવારના સભ્યને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જોકે, સમીર વાનખેડેએ હજુ સુધી સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું નથી. એવું માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી શકે છે અને વિધાનસભા ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

સમીર વાનખેડે રિયા ચક્રવર્તી અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા. તે સમયે વાનખેડે મુંબઈ નાર્કોટિક્સ વિભાગમાં પોસ્ટેડ હતા. જોકે, વર્ષ 2023માં સમીર વાનખેડે પોતે વિવાદોમાં ફસાયા હતા. તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પહેલા તેને વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પછી ફેબ્રુઆરી 2024માં EDએ તેની સામે કેસ નોંધ્યો. એપ્રિલ 2024માં કોર્ટે સમીર વાનખેડેની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈથી પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ તેની પસંદગી UPSC દ્વારા IRS માટે થઈ. વાનખેડેએ તેમની કારકિર્દીમાં ઘણા મોટા કેસની તપાસ કરી છે. જેમાં સુશાંત સિંહ ડ્રગ્સ કેસ અને આર્યન ખાનનો કેસ પણ સામેલ છે