વિનેશ ફોગાટના વજન મામલે શું કહ્યું પીટી ઉષાએ? આ કોની જવાબદારી?

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવેલો ઓલિમ્પિક પુરો થયા બાદ પણ સમાચારોમાં રહ્યો છે. વિનેશને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે વજનને નિયંત્રિત કરવાની જવાબદારી એથ્લેટ અને તેના કોચની છે. આ માટે મેડિકલ ટીમને દોષ આપવો યોગ્ય નથી.

વાસ્તવમાં, ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલમાં તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી. હવે આ મામલે ચુકાદો 13 ઓગસ્ટ એટલે કે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આપવામાં આવશે. તો બીજી બાજુ ફાઈનલ પહેલા બહાર થયા પછી વિનેશે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. મહિલા રેસલરને ગેરલાયક ઠેરવ્યા બાદ સોશિયલ મીડિયા પર એક વિભાગ IOA મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. દિનશા પારડીવાલા અને તેની ટીમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યો છે.

હવે IOA પ્રમુખ પીટી ઉષાએ આ મામલે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું,”કુસ્તી, વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો જેવી રમતોમાં ખેલાડીઓના વેઇટ મેનેજમેન્ટની જવાબદારી દરેક એથ્લેટ અને તેના કોચની છે, અને IOAના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલા અને તેમની ટીમની નથી. IOA મેડિકલ ટીમ,ખાસ કરીને ડૉ. પારડીવાલા સામે નફરત અસ્વીકાર્ય છે, અમે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ હકીકતો પર વિચાર કરીશું.

ઉષાએ વધુમાં કહ્યું, “પેરિસ ઓલિમ્પિકમાં, દરેક ભારતીય એથ્લેટ પાસે આવી રમતોમાં તેમની પોતાની સહાયક ટીમ હતી. આ ટીમો ઘણા વર્ષોથી એથ્લેટ્સ સાથે કામ કરી રહી છે. IOAએ થોડા મહિના પહેલા એક મેડિકલ ટીમની નિમણૂક કરી હતી, જે ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન મદદ કરે. તેમજ આ ટીમ બનાવવો એ પણ ઉદ્દેશ હતો કે જેમની પાસે અને ફિઝિયોથેરાપિસ્ટ નથી તેમને પણ ટીમ મદદ કરે.