વડા પ્રધાન મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ઉત્તર પ્રદેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસવે શરૂ થતાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હવે 594 કિમી લાંબા ગંગા એક્સપ્રેસવે દ્વારા જોડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના વિકાસના માર્ગમાં આ એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. ગંગા એક્સપ્રેસવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠને પૂર્વી યુપીના પ્રયાગરાજ સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો છે. આજે તેના ઉદ્ઘાટન બાદ આજ રાતથી જ લોકો આ માર્ગ પર સફર કરી શકશે. હાલમાં મેરઠથી પ્રયાગરાજ જવામાં 12 કલાક સુધીનો સમય લાગે છે, જ્યારે ગંગા એક્સપ્રેસવે દ્વારા આ અંતર માત્ર છ કલાકમાં પૂર્ણ થશે.

નવા અવસરોનો ગેટવે છે ગંગા એક્સપ્રેસવે

આ ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ એક જાહેર સભાને પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી અને ત્યાં ચાલી રહેલા બીજા તબક્કાના મતદાન અંગે પણ વાત કરી હતી, પરંતુ ગંગા એક્સપ્રેસવેને તેમણે નવા અવસરોનો ગેટવે ગણાવ્યો હતો. હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર, 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ એક્સપ્રેસવેનું શિલાન્યાસ કર્યું હતું. એ સમયે પીએમ મોદીએ રાજ્યને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાનું વિઝન આપ્યું હતું. આજે આપણે દેશમાં નવા ભારતનું વિઝન જોઈ રહ્યા છીએ. આ વિઝનને કારણે અમારી મુસાફરી સરળ બની છે અને સાથે અમારા અર્થતંત્રને પણ નવી ઊંચાઈ મળી છે.

ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે જ યુપીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઈતિહાસમાં આજે એક નવું સુવર્ણ અધ્યાય જોડાઈ ગયું છે. મેરઠથી પ્રયાગરાજ સુધી ફેલાયેલો આ મેગા એક્સપ્રેસવે કોરિડોર માત્ર યુપીના 12 જિલ્લાઓ વચ્ચેનું અંતર ઘટાડશે નહીં, પરંતુ રાજ્યના અર્થતંત્રને નવી ગતિ આપતાં ઔદ્યોગિક રોકાણ અને રોજગારીના માર્ગો પણ ખૂલશે.

આ 12 જિલ્લાઓને મળી નવી કનેક્ટિવિટી

ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે મેરઠ, હાપુડ, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજને સીધી કનેક્ટિવિટી મળી ગઈ છે. આ એક્સપ્રેસવે પર વાહનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.