પ્રીતિ સુદનની UPSCના નવા ચેરપર્સન તરીકે નિમણૂક

નવી દિલ્હી: યુ.પી.એસ.સી.ના નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનની નિયુક્તી કરવામાં આવી છે. તેઓ ગુરુવારે એટલે કે 1લી ઓગસ્ટે અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. પ્રીતિ 2022 થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.આ પહેલાં UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.

પ્રીતિ સુદન આંધ્રપ્રદેશ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો હતો. ત્યાર બાદથી તેઓ યુ.પી.એસ.સી.ના સભ્ય બન્યા હતા. પ્રીતિએ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમણે આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરિઝમ અને એગ્રીકલ્ચર માટે પણ કામ કર્યું છે.  ઉપરાંત  વર્લ્ડ બેન્ક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે.

પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં પણ ફાળો આપ્યો હતો.