ગાંધીનગર: રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ પહેલા મે મહિનામાં અનેક શિક્ષકો નિવૃત થયા છે, ત્યારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાની માગ કરી છે. હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે. આમ શાળા શરૂ થાય તે પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે તેવી શાળા સંચાલકોએ માગ કરી હતી. પત્ર પરથી અમદાવાદમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદની શાળામાં શિક્ષકોની ઘટ
નવા શૈક્ષણિક વર્ષમાં શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ પૂરું પડાશે તેવા સવાલો ઊભા થયા છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર કરીને રજૂઆત કરી હતી કે, 31મેના રોજ શિક્ષકો નિવૃત થતાં નવા શૈક્ષણિક વર્ષમાં મુશ્કેલી ઊભી થાય એમ છે. જ્યારે હાલ રાજ્યભરમાં 4000થી વધુ શિક્ષકોની સંખ્યા ખાલી જણાય છે.
દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ્ઞાન સહાયકની ફાળવણી કરાય છે. અને શૈક્ષણિક વર્ષ પુર્ણ થતા તેમની મુદત પુર્ણ ગણાય છે. કાયમી શિક્ષક ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા પણ માગ કરાઈ છે.
