હનીમૂન માટે ગોવાને બદલે અયોધ્યા જતાં પત્નીએ માગ્યા તલાક

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક મહિલાએ પતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહિલાનો દાવો છે કે પતિએ હનીમૂન માટે ગોવા લઈ જવાનું વચન આપ્યું હતું, પરંતુ તે અયોધ્યા લઈ ગયો હતો. મહિલાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. જોકે એ દરમ્યાન મહિલા અને તેના પતિની કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

રિલેશનશિપ કાઉન્સેલર શૈલ અવસ્થીના જણાવ્યા મુજબ આ દંપતીએ ગયા વર્ષે ઓગસ્ટમાં લગ્ન કર્યાં હતાં. યુવક IT એન્જિનિયર છે. તેની પત્નીએ તેને હનીમૂન માટે કોઈ અન્ય જગ્યાએ લઈ જવા માટે કહ્યું હતું. જેથી પતિએ કહ્યું હતું કે તેણે એક ધાર્મિક સ્થળે જવું જોઈએ, કેમ કે તેનાં માતાપિતા મંદિરમાં જવા ઇચ્છે છે. આ કશ્મકશમાં પતિ-પત્ની ગોવા જવા માટે રાજી થઈ ગયાં.મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ યાત્રાના એક દિવસ પહેલાં તેને જણાવ્યું હતું કે તેઓ તેની માતાની ઇચ્છા પર અયોધ્યા અને વારાણસી જઈ રહ્યા છે. જોકે દંપતી યાત્રા પર નીકળ્યા ખરાં, પણ પરત ફરવા સાથે તેમની વચ્ચે વાદવિવાદ થઈ ગયો. જે પછી મહિલાએ પતિથી તલાક માટે અરજી દાખલ કરી દીધી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પતિ તેનો વિશ્વાસ તોડ્યો અને તેના કરતાં તેના પરિવારને વધુ પ્રાથમિકતા આપી. જોકે દંપતીનું કાઉન્સેલિંગ પણ હજી ચાલી રહ્યું છે. જેથી તેઓ ફરીથી એકસાથે રહી શકે.