આંદોલનકારી કિસાનો, કેન્દ્ર-સરકાર વચ્ચે આજે બપોરે મંત્રણા

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ-પ્રદર્શન જારી છે. ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. જેથી દિલ્હી-એનસીઆરમાં છેલ્લા એક સપ્તાહથી એની અસર પડી રહી છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે સમાધાનને લઈને ચર્ચા થવાની છે. સરકાર વગર શરતે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર થઈ ગઈ છે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બપોરે ત્રણ કલાકે ખેડૂતોના સંગઠનોને લઈને વાટાઘાટ માટે બોલાવ્યાં છે. આ વાતચીત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.
પ્રાપ્ત માહિતી મુજબ જે ખેડૂત સંગઠનો સાથે સરકારે કૃષિ કાયદાઓને મુદ્દે પહેલાં પણ વાટાઘાટ કરી છે, એ જ સંગઠનોની આજે વાટાઘાટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કુલ 32 પ્રતિનિધિ કૃષિપ્રધાનની સાથે મંત્રણા કરશે. પંજાબ કિસાન સંઘર્ષ કમિટીના સુખવિન્દરનું કહેવું છે કે દેશમાં ખેડૂતોના આશરે 500થી વધુ સંગઠનો છે, પણ સરકારે કુલ 32ને આમંત્રણ આપ્યું છે.આવામાં જો સરકાર બધાં સંગઠનોને નહીં બોલાવે તો અમે નહીં જઈએ.કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂત સંગઠનોને જે પત્ર લખવામાં આવ્યો છે, એમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પહેલાં પણ તમારી સાથે બે વાર વાતચીત કરી છે, આવામાં એ જ ક્રમને આગળ વધારતાં એક ડિસેમ્બરે એટલે કે આજે બપોરે ત્રણ કલાકે આગળ વાતચીત કરવામાં આવશે. જે સંગઠન પહેલાં વાતચીતમાં સામેલ થયાં હતાં, એ ફરીથી સામેલ થાય.

કેન્દ્ર સરકારે પહેલાં વાતચીત માટે ત્રણ ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ ખેડૂતોના વધતા વિરોધ-પ્રદર્શનને કારણે સરકારને નીચું નમવું પડ્યું છે. ખેડૂતોનો વિરોધ દિલ્હીમાં ચોતરફ થઈ રહ્યો છે. કેટલીય સીમા બંધ છે અને જે ખૂલી છે, એમાં ટ્રાફિક જામની સ્થિતિ છે.