ઠાકરે સરકાર સામે બળવો? : રાજકીય ઊથલપાથલનાં એંધાણ

સુરતઃ વિધાન પરિષદ (MLC) ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી મહારાષ્ટ્રમાં એક મોટું રાજકીય તોફાન ફૂંકાવાનું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સરકાર પર સંકટનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ચિંતામાં છે, શિવસેનાના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદે ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે અને તેઓ ઠાકરે સરકારને પાડવા માટે તેમની સાથે શિવસેનાના વિધાનસભ્યોનો એક મોટો હિસ્સો તોડે એવી શક્યતા છે.

શિંદે અને તેમના વફાદાર -20થી 25 શિવસેનાના વિધાનસભ્યો ગુજરાતના સુરતમાં હોટેલ લા મેરિડિયનમાં અડિંગો જમાવ્યો છે. તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બહુ નજીકની વ્યક્તિ હતા. ગુજરાત પોલીસે હોટેલની ચારેકોર ભારે સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરી છે. જોકે શિવસેના વિધાનસભ્યોની સંખ્યા કેટલી છે- એની પુષ્ટિ નથી થઈ.શિંદે છેલ્લા કેટલાક સમયથી ઠાકરે પરિવારથી નારાજ હતા. બીજી તરફ વિધાન પરિષદની ચૂંટણીના પરિણામને લઈને પણ નારાજ CM ઉદ્ધવ ઠાકેર આજે ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. હજુ પણ નારાજ ધારાસભ્યોની સંખ્યા વધવાની અટકળો લગાવવામાં આવી રહી છે અને તેઓ જલદી સુરત પહોંચશે તેમ માનવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના આશરે 30થી વધુ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂરની તબિયત લથડી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

શિંદે ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજીને તેમનું વલણ સ્પષ્ટ કરે એવી શક્યતા છે. MLC ચૂંટણીમાં ભાજપને 134 મત મળ્યા હતા, જ્યારે મહા વિકાસ આઘાડીને 151 મતો મળ્યા છે.