આરએસએસએ પોતાના આ કાર્યક્રમો મોકૂફ રાખ્યા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ભયને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પણ કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.RSS દ્વારા દર વર્ષે લગાવવામાં આવતી તાલીમ શિબિર ચાલુ વર્ષે નહીં યોજવામાં આવે છે. સંઘના સહકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ આ નિર્ણય અંગેની જાણકારી આપી હતી.

વૈદ્યે વધુમાં કહ્યું હતું કે, દેશના જુદા જુદા સ્થળોએ યોજાનારા તમામ પ્રકારના સંઘ શિક્ષા વર્ગો (સમર ટ્રેનિંગ કેમ્પ) આ વર્ષ પુરતા રદ્દ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આરએસએસ જૂન સુધી કોઈપણ પ્રકારના એકત્રીકરણના કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. સંઘના ઇતિહાસમાં પહેલીવાર, આ શિબિરોની યોજના બને તે પહેલાં જ રદ કરવામાં આવી છે.

આરએસએસના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે આરએસએસ મે-જૂનમા સંઘ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે. તેમણે કહ્યું, ‘આ વર્ગો ત્રણ પ્રકારનાં છે. આ વર્ગો પ્રથમ વર્ષ, દ્વીતીય વર્ષ અને ત્રીજા વર્ષ તરીકે યોજવામાં આવે છે. સામાન્ય રીતે, પ્રથમ વર્ષ દરેક પ્રાંતલક્ષી પ્રાંતમાં યોજવામાં આવે છે, બીજું વર્ષ સંઘની યોજના અનુસાર આયોજિત ક્ષેત્રમાં યોજવામાં આવે છે, અને ત્રીજા વર્ષે ફક્ત નાગપુરમાં તાલીમ આપવામાં આવે છે. તેમણે માહિતી આપી હતી કે આ સિવાય 7 સ્થળોનો વિશેષ પ્રાથમિક શિક્ષણ વર્ગ પણ એક જ સમયે અનેક સ્થળોએ યોજવામાં આવે છે.

આરએસએસ પર પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન આ તાલીમ શિબિરોનું આયોજન કરી શકાતું નથી. સંઘના જાણકારોના મતે, 1948 માં મહાત્મા ગાંધીની હત્યા પછી સંઘ પર પ્રતિબંધ મૂકાયો હતો, ત્યારબાદ 1948 અને 1949 માં સંઘનો તૃતીય વર્ષનો વર્ગ ન થઇ શક્યો. ત્યારબાદ, 1976 માં, ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન, આરએસએસના તૃતીય વર્ગ થઈ શક્યો નહીં.

ઉલ્લેખનીય છએ કે, ઇતિહાસમાં પહેલીવાર કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને સંઘે સ્વયંસેવકોને જાહેર સ્થળોએ શાખા ન લગાવાની સત્તાવાર અપીલ પણ કરી છે. આને કારણે સંઘના સ્વયંસેવકો ‘ઇ-શાખા’ યોજી રહ્યા છે. આ શાખાઓ વિડિઓ કોલ્સ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરીને યોજવામાં આવી રહી છે.