KKના મોત પછી કોલેજ ફેસ્ટના આયોજન પર પ્રતિબંધની શક્યતા

નવી દિલ્હીઃ કોલકાતાના નઝરુલ મંચ કે જ્યાં મશહૂર ગાયક KKની આખરી કોન્સર્ટ થઈ હતી- એના પર મોટો નિર્ણય લેવાય એવી શક્યતા છે. કોલેજ ફેસ્ટના આયોજન પર પ્રતિબંધ લાગે એવી શક્યતા છે. કોલકાતાની ગુરુદાસ કોલેજ દ્વારા આયોજિત ફેસ્ટમાં અરાજકતા પછી આ સંબંધે વિચાર કરવામાં આવે એવી શક્યતા છે.

KKના મોત પછી કોન્સર્ટ દરમ્યાન ઊભી થયેલી અરજાકતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આવામાં કોલકાતા મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (KMDA)નાં  ડિરેક્ટર જનરલ સુપ્રિયો મૈતીના નેતૃત્વમાં KMDએની એક ટીમે બુધવારે નજરુલ મંચનું નિરીક્ષણ કર્યું હતું. હવે ટીમે ત્યાં કોલેજ ફેસ્ટ પર પ્રતિબંધ  લગાવવાનું સૂચન કર્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર નજરુલ મંચની ક્ષમતા 2700થી 3000 સુધી સીમિત છે, પણ કોન્સર્ટની સાંજે 6000 લોકોની મેદની કાર્યક્રમ સ્થળે પહોંચી ગઈ હતી. હોલમાં હકડેઠઠ ભીડ જમા થઈ હતી. KMDA ટીમ અનુસાર ભારે ભીડને કારણે A/Cનાં મશીનોની અસર ઓછી થઈ હતી, જેથી ગભરામણ થઈ હતી.

KMDAના અધ્યક્ષે કહ્યું હતું કે કોલેજ ફેસ્ટ માટે હવે આ જગ્યા અપાવી ના જોઈએ. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક કોલેજ શો પછી કાર્યક્રમ સ્થળે અનેક ખુરશીઓ તૂટેલી હાલતમાં હોય છે.