સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુંઃ લોકડાઉનની પોઝિટિવ અસર દેખાઈ

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે દાવો કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનના કેટલાક અંશે પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે. વિકસિત દેશોમાં તેજીથી આંકડો વધ્યો, તેવું આપણાં ત્યાં થયું નથી. આપણા દેશમાં કેસની સંખ્યા 100 થી 1000 સુધી પહોંચવામાં 12 દિવલ લાગ્યા, જ્યારે વિકસિત દેશોમાં આટલા જ દિવસોમાં 3500,5000,8000 કેસો આવ્યા છે.

લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં લોકડાઉનની અસર દેખાઈ છે. કોરોના વાયરસના સંક્રમણના અત્યારસુધીમાં 1071 કેસો સામે આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, 24 કલાકમાં 92 જેટલા નવા કેસો સામે આવ્યા છે. આપણા દેશમાં 100 થી 1000 કેસ સુધી પહોંચવામાં 12 દિવસ લાગ્યા. વિકસિત દેશોમાં આટલા દિવસમાં 3500,5000 અને 8000 સુધી કેસો સામે આવ્યા છે.

અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમાજના દરેક વ્યક્તિનો સહયોગ જરુરી છે. જો એકપણ વ્યક્તિ સહયોગ ન કરે તો ઝીરો પર આવી જઈએ. ગાઈડ લાઈન પર 100 ટકા અમલ થાય તે જરુરી છે. જો 99 ટકા પણ અમલ થયો તો બધું બેકાર થઈ જશે. 100 ટકા એફર્ટની અત્યારે જરુર છે.

તેમણે કહ્યું કે, 10 એમ્પાવર્ડ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે. એઈમ્સ અને nimhans દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે લોકો વડીલો છે અને જેમને કોઈ બિમારી છે તેઓ વધારે સંકટમાં છે. આ વાયરસ માટે ટેસ્ટિંગ ફેસિલિટી, ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવાની અમારી પ્રાથમિકતા છે. 38442 જેટલા ટેસ્ટ થયા છે.115 ટેસ્ટ આઈસીએમઆરની લેબ કરી રહી છે. 47 પ્રાઈવેટ લેબમાં 1334ર લોકોના ટેસ્ટ થયા છે.