મોદીનું સ્વદેશાગમન: બાંગ્લાદેશ સાથે પાંચ કરાર કર્યા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના બે-દિવસની પ્રવાસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ પાછા ફર્યા છે. તે આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની નવી કડી પ્રસ્તુત કરશે, જે 75મી હશે. મોદી ગઈ કાલે રાતે જ નવી દિલ્હી પાછા ફર્યા હતા. બે-દિવસની મુલાકાત દરમિયાન ઉષ્માભર્યું આતિથ્ય કરવા બદલ એમણે બાંગ્લાદેશની જનતા તથા વડાં પ્રધાન શેખ હસીનાનો આભાર માન્યો છે.

મોદીની મુલાકાત દરમિયાન બંને દેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રમતગમત અને યુવાઓને લગતી બાબતો, વ્યાપાર, ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં પાંચ કરાર કર્યા છે. આ કરારથી બંને દેશ વચ્ચેની વિકાસ ભાગીદારીને બળ મળશે અને બંને દેશોની જનતાને, ખાસ કરીને યુવા વ્યક્તિઓને લાભ થશે, એમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે.