કોરોના સંક્રમિતોની સંખ્યા 48 લાખને પારઃ 54 ટકા સંક્રમણ 18-44 વયના લોકોમાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 92,071 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1136 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 48,46,427 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 79,722 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 37,80,107 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,86,598 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.64 ટકા થયો છે.

5.72 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી 5.72 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 13 સપ્ટેમ્બરે 10 લાખ લોકોનાના કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના વાઇરસના 54 ટકા કેસ 18થી 44 વર્ષની ઉંમરના લોકોના છે, જ્યારે કોરોના વાઇરસથી થનારાં 51 ટકા મોત 60 વર્ષ કે તેનાથી વધુ વયના લોકોનાં થયાં છે, એમ ICMRએ કહ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.