કોરોના સંક્રમિતોની સંખ્યા 37 લાખને પારઃ વિશ્વમાં સૌથી વધુ નવા કેસ ભારતમાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,357 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1045 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 37,69,523 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 66,333 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 29,01,908 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,01,282 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.

અમેરિકામાં 62 લાખથી વધુ લોકો સંક્રમિત

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પહેલા નંબરે છે. અહીં અત્યાર સુધી 62 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,000થી વધુ નવા કેસો નોંધાયા છે, જ્યારે બ્રાઝિલમાં 24 કલાકમાં 41,000થી વધુ કેસો નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.