મથુરાના કૃષ્ણમંદિરે લાઉડસ્પીકર પર ભજન-વગાડવાનું બંધ કર્યું

મથુરાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આપેલા આદેશને પગલે મથુરા શહેરના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરના સંચાલકોએ સમગ્ર સંકુલમાં જુદી જુદી જગ્યાએ લગાડેલા લાઉડસ્પીકરો અને સાઉન્ડ સિસ્ટમને સ્વીચ ઓફ્ફ કરી દેવામાં આવ્યા છે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ આ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે મંદિર સંકુલની અંદરની સૌથી ઊંચી ઈમારત – ભાગવત ભવનની ટોચ પર મૂકવામાં આવેલા લાઉડસ્પીકરોને ગઈ કાલથી જ સ્વિચ ઓફ્ફ કરી દેવાયા છે. ભાગવત ભવનની અંદરની સાઉન્ડ સિસ્ટમનો અવાજ પણ એકદમ ઓછો રખાશે જેથી અંદર ગવાતા ભજન-કીર્તનનો અવાજ મંદિર સંકુલની બહાર ન જાય. મંદિરની ટોચ પરના લાઉડસ્પીકરો બંધ કરી દેવાયા છે. અગાઉ દરરોજ સવારે મંગળા આરતી વખતે તેમજ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ વખતે આ લાઉડસ્પીકરોનો ઉપયોગ કરવામાં આવતો હતો.