G20 સમિટમાં નવી દિલ્હી લીડર્સ ઘોષણાપત્રને મંજૂરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટ જારી છે. વડા પ્રધાન મોદીએ માહિતી આપી હતી કે નવી દિલ્હી G20 નેતાઓની ઘોષણાપત્ર પર બધા દેશોની સહમતી બની છે. તેમણે તમામ સભ્ય દેશોની સંમતિથી નવી દિલ્હી ડિક્લેરેશન પસાર કરી દીધું છે.

નવી દિલ્હી ઘોષણાપત્રમાં નવ વાર વૈશ્વિક આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. શાંતિ માટે બધા ધર્મોની પ્રતિબદ્ધતાનો સ્વીકાર કર્યો હતો.

નવી દિલ્હી ઘોષણાપત્રમાં નીચેના મુદ્દાઓ સામેલ છે.

  • મજબૂત ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ.
  • SDGs પર પ્રગતિમાં ઝડપ લાવવી
  • સતત ભવિષ્ય માટે હરિત વિકાસ સમજૂતી
  • 21મી સદી માટે બહુપક્ષી સંસ્થા
  • ટેક્નોલોજી પરિવર્તન અને ડિજિટલ જાહેર પાયાનું માળખું
  • આંતરરાષ્ટ્રીય ટેક્સેશન
  • લૈન્ગિક સમાનતા અને બધી મહિલાઓ અને યુવતીઓને સશક્ત બનાવવી
  • નાણાકીય ક્ષેત્રના મુદ્દા ઉકેલવા
  • આતંકવાદ અને મની લોન્ડરિંગનો સામનો કરવો
  • સમાવેશી વિશ્વનું નિર્માણ

G-20 સમિટમાં PM મોદીએ કહ્યું હતું કે કોરોના પછી વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું. યુક્રેન યુદ્ધે આ સંકટને વધુ ઘેરું બનાવ્યું. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ તો પરસ્પર ચર્ચા દ્વારા વિશ્વાસના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય બધાએ સાથે મળીને આગળ વધવાનો છે.

55 દેશનું સંગઠન આફ્રિકન યુનિયન પણ G-20નું સભ્ય

ગ્લોબલ સાઉથનું અગ્રણી ગ્રુપ આફ્રિકન યુનિયન પણ G20માં જોડાયું છે. એ પછી વિદેશ મંત્રી એસ. જયશંકર આફ્રિકન યુનિયન (AU)ના અધ્યક્ષ અજાલી અસોમાનીને G-20ના ટેબલ પર તેમનું સ્થાન લેવા માટે લઈ ગયા હતા. AU એક પ્રભાવશાળી સંગઠન છે, જેમાં 55 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.

PM મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનો મંત્ર આપ્યો. PM મોદીએ વિશ્વમાં ‘આત્મવિશ્વાસની કટોકટી’ ગણાવતાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનો મંત્ર આપ્યો હતો.