દેશમાં ત્રણ મહિના પછી કોરોનાના નવા કેસમાં ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં નિરંતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં હવે નવા કેસોની સંખ્યા 30,000ની નીચે આવી છે. સરકારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને બધાને સતર્ક રહેવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,689 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 132 દિવસોમાં એક દિવસમાં એ સૌથી ઓછા નવા કેસ છે. આજના નવા કેસ ગઈ કાલની તુલનામાં આશરે 25 ટકા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 415 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,14,40,951 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,21,382 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,06,21,469  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42,363 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,98,100એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.39 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,20,110 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 45.91 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 44.19 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 44,19,12,395 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 66,03,112 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.